ભારત જેવી કૃષિપ્રધાન અને દેવમાત્રુક ભૂમિ માટે અને તેના લોકો માટે વર્ષા ઋતુનું મહત્ત્વ અનન્ય છે. ભારતના જનજીવન માટે વર્ષા ઋતુ એ જીવાદોરીનો આધાર જ નહિ, પર્યાય છે. આથી જ વેદોમાંનાં પર્જન્ય સૂક્તોનાં ગાયકોથી માંડીને છેક આજનો કવિ કે લેખક પણ વર્ષા ઋતુને વધાવતાં થાકતો નથી. પરંપરાગત જીવનપદ્ધતિમાં વર્ષા ઋતુ એ વિખૂટાં પડેલાં પ્રેમીઓ-દંપતીઓને, કુટુંબીઓને, ગામવાસીઓને એકઠાં કરનારી ઋતુ પણ હતી. વેપારીઓ અને વણજારાઓ, ખલાસીઓ અને સૈનિકો, વિદ્યાભ્યાસ માટે આશ્રમમાં રહેવા ગયેલા વિદ્યાર્થીઓ, પરાયે ઘરે પરાણે વેઠ કરતા શૂદ્રો, સૌ ચોમાસાના ચાર મહિના શરૂ થાય તે પહેલાં પોતપોતાને ઘરે પાછાં ફરતાં. અરે, સતત પરિભ્રમણ કરનારા સાધુઓ પણ આ ચાર મહિના કોઈ એક સ્થળે ઠરીઠામ થઈને રહેતા. એટલે ભારતવાસી માટે વર્ષા એ વરદાયિની ઋતુ છે. વારિના વરદાન વડે તે વસુધાને વિકસાવે છે એટલે જ નહિ, પણ પ્રેમના પ્રસાદ વડે પ્રાણને પ્રફુલ્લિત કરે છે તેથી પણ. આથી જ વર્ષાગાન વગરની ભારતીય કવિતાને, અને વર્ષાગાથા વગરના ભારતીય ગદ્ય સાહિત્યની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણી ભાષાના કવિઓએ અને ગદ્યકારોએ મેઘના જે અનેકવિધ રૂપો આલેખ્યાં છે તેમાંથી થોડા અમી છાંટણા આ નાનકડા ખોબામાં ઝીલવાનો અહીં પ્રયત્ન કર્યો છે.
***
જળ વરસ્યું ને …
હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘ મલ્હાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળ લૂ,
શ્વાસ હરિના પ્રસર્યા, માટી સ્વયમ્ બની ખુશબુ.
ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર,
સહેજ વાંસળી હોઠ અડાડી, ટહુક્યા મનભર મોર.
ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
મેઘધનુંમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
− ભગવતીકુમાર શર્મા
(‘સીધો સાક્ષાત્કાર’ કાવ્યના સંકલિત અંશો)
***
વિજોગ
ઘન આષાઢી ગાજિયો, સબકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચાવે ધૂન મલ્હાર, કંઠ ત્રિભંગે મોરલા,
સબકે અંતર માંય સાજન! લખ લખ સોણલાં.
ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.
નહિ જોવા દિન-રાત, નહિ આઘું-ઓરું કશું,
શું ભીતર કે બ્હાર, સાજન! તુહીં તુહીં એક તું.
નેણ રડે ચોધાર તોય વિજોગ કેમ રે!
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે?
− મનસુખલાલ ઝવેરી
(‘વિજોગ’ કાવ્યના સંકલિત અંશો)
***
જય હો!
જય હો અષાઢ!
શંખ બજે ગગને ગગને,
શ્યામલ ઘન વાદળ દળ ઘેરાય પ્રગાઢ,
જય હો અષાઢ!
વનમાં નાચત મયુરપિચ્છના કલાપનું ટહુકાવું,
નયન મલક મલકાવું.
નરનારીનાં વૃંદ હિલોળે,
ગાય મલાર મહાડ,
જય હો અષાઢ!
− રાજેન્દ્ર શાહ
(‘જય હો અષાઢ’ કાવ્યના સંકલિત અંશો)
***
આષાઢી બાદલ
બરસ બરસ આષાઢી બાદલ,
શ્યામલ સઘન સજલ અંબરતલ,
રુક્ષ ધરા કરી દો રે છલ છલ … બરસ …
આ મધ્યાહ્ન ધખે સહરાના,
પ્રચંડ રણની જ્વાલા,
એને શીતલ સભર ભરી દો,
મેઘે બાર હિમાળા.
રણમાં રિક્ત પૂરણ લહરાવો
નવ અંકુર હરિયાળા
સ્પરશે મત્ત પવનને પાગલ … બરસ …
તલસી તલસી આથડતી તૃષ્ણા,
પલ પલ ઘેલી અકેલી,
એ મરુવન મૃગજળની માયા
વ્યર્થ લિયો સંકેલી.
મેઘધનુષના રંગ-મિલનની
સ્વપ્ન મધુરતા રેલી
પ્રગટ પરમ તૃપ્તિ જલ નિર્મલ … બરસ …
− પિનાકિન ઠાકોર
***
વરસી ગયા
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
કહીં હવે પણ ઉરને,
નભને ભરતી સૂરત કાળી?
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
જેઠ લગી તો જલી રહી ‘તી
કશુંય ન્હોતું કહેણ,
અચિંત આવ્યા, નવ નીરખ્યા મેં,
ભરી ભરીને નેણ,
રોમ રોમ પર વરસી-પરસી
બિંદુ બિંદુએ બાળી!
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
તપ્ત ધરામાં જે શોષાયું
જહીં સરોવર-કૂપ,
જલધારામાં વહી ગયું એ
ઉરને ગમતું રૂપ.
શૂન્ય હતું ને શૂન્ય રહ્યું એ
નભને રહી હું ન્યાળી,
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
− પ્રિયકાંત મણિયાર
***
વરસાદમાં
ભીંજાવામાં નડતર જેવું લાગે છે:
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે.
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
‘ઊઘડી જઈએ: અવસર જેવું લાગે છે.’
મોસમની હિલચાલ જ છે આશાવાદી:
સોળ અચાનક સત્તર જેવું લાગે છે.
ખુલ્લા ડીલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે.
− ઉદયન ઠક્કર
***********************
વરસાદ પોતપોતાનો

અષાઢના આ ભીના દિવસોના મેઘ સાથે કાલિદાસ જોડાઈ ગયા છે. આદિ કવિ વાલ્મિકી અને આ યુગના કવિ રવિ ઠાકુર પણ જોડાયેલા છે. આ કવિઓએ વર્ષાને વિરહની ઋતુ જાહેર કરી દીધી છે. વર્ષા એ ભારતવર્ષની પ્રધાન ઋતુ છે, અને એ ઋતુ વિરહની? પ્રેમમાં જેણે વિરહ અનુભવ્યો નથી, એ પ્રેમ પદારથ તે શું એ કેવી રીતે જાણે? વિરહ તો પ્રેમીઓના જીવનમાં ડગલે ને પગલે આવે. અરે, વચ્ચે કમળના પાંદડા જેટલું અંતર હોય તોય ચક્રવાક અને ચક્રવાકી વિરહથી ઝૂરી મરે છે. પણ આ અષાઢના દિવસોમાં વિરહ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વર્ષામાં વિરહ સહન કરવો દોહ્યલો છે, એમ કવિઓ કહી ગયા છે.
− ભોળાભાઈ પટેલ
(‘બોલે ઝીણા મોર’માંથી)

કોઈ પણ જાતના ઠાલા દેશાભિમાન વગર એક વાત નોંધવાની લાલચ નથી રોકી શકતો. ઘણા દેશોમાં વરસાદમાં પલળવાનું બન્યું છે. લંડનમાં તો એકાદ ઝાપટું આવે અને તમે માંડ પલળી રહો ત્યાં તો ઝાપટું ગાયબ! સાચું છે કે વરસાદને રાષ્ટ્રીય વાડાઓ સાથે સાંકળવાનું યોગ્ય નથી. છતાંય કહેવું પડશે કે અષાઢને પ્રથમ દિવસે આકાશમાંથી વરસાદી સુગંધ વરસી પડે અને આપણા મનને ભીંજવી દે એવો અનુભવ કોણ જાણે કેમ બીજા દેશોમાં નથી થતો. વરસાદ આપણને પલાળી મૂકે એ પૂરતું નથી. એ તો આપણી અંતર-ક્યારીને ભીંજવીને તરબતર કરી મૂકે ત્યારે જ તો વરસાદ કહેવાય. ચોમાસાની માતૃભાષા છે ‘ડ્રાઉં, ડ્રાઉં’
− ગુણવંત શાહ
(‘ઋતુસંહાર’ લેખના સંકલિત અંશો)

ન આવે. કચ્છીમાં જેને ધરતીનો લાડો કહેવાય છે તે મીં આવે નહિ. અમારી આંખોમાં લોહી ઉતરી આવે. પછી લોકો કહેવા માંડે કે મીંને કોઈએ બાંધી રાખ્યો છે. તે સાચે જ એવું લાગે કે જાણે કોઈ મંત્રતંત્રના જાણકારે વરસાદને બાંધી રાખ્યો છે. પછી એકાએક વરસાદ છૂટી જાય. રણના આકાશને પાર કરતો મોડો મોડો એ દેખા દે. પહેલો છાંટો મારી માલિકીનો. તપ્ત રેતીમાં ફફ્ દેતોકને છાંટો પડે. થોડી ધૂળ ઊડે અને પહેલો છાંટો સૂકાઈ જાય. પછી તો એક પછી એક છાંટા પડે અને મન હોય તો દિલ દઈને વરસવા લાગે. જે અંદર છે તે મારો વરસાદ છે. મારો વરસાદ તમારો વરસાદ નથી, અને તમારો વરસાદ મારો વરસાદ નથી. કારણ કે વરસતા વરસાદમાં આપણને જે યાદ આવવાના છે તે ચહેરા જુદા છે અને તે આંખો જૂદી છે. મારી અને તમારી ભીંતો પર જે લીલ ઊગે છે તે પણ જુદી જુદી છે.
− વીનેશ અંતાણી
(‘પોતપોતાનો વરસાદ’ના સંકલિત અંશો)

વર્ષાનાં અનેક રૂપ જોવાં ગમે છે. દૂરની આમલીની ઘેરી ઘટાની આસપાસ વૃષ્ટિની ધારા જે અવેષ્ટન રચે છે તે હું મુગ્ધ બનીને જોઈ રહું છે. વડની જટામાંથી નીતરતી ધારા પણ જોવી ગમે છે. ખુલ્લા મેદાનમાં યુદ્ધક્ષેત્રમાં ભારે વેગથી ધસી જતી અક્ષૌહિણી સેના જેવી વૃષ્ટિધારા પણ મેં જોઈ છે. દૂરની ક્ષિતિજે મેદુરતાને ઘૂંટતી વર્ષાધારા કશાક અપરિચિત જોડે આપણું સંધાન કરી આપતી હોય છે. જળભીના મુખ પરથી કપોલના ઢોળાવ પરથી સરીને ચિબુકને છેડેથી ટપકતું જળબિંદુ જોઈ રહેવું એ કેવું આહ્લાદક હોય છે!
− સુરેશ જોશી
(‘નિદ્રા ને વરસાદના તાણાવાણા’માંથી સંકલિત અંશો
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2014
![]()


આ કામ કિશોર દેસાઈ છેલ્લાં પચ્ચીસ વર્ષથી કરતા રહ્યા છે. અહીંનાં સામયિકોના સંપાદકોને પણ સતત એક સરખી ઊંચી ગુણવત્તાવાળાં લખાણો મેળવવામાં મુશ્કેલી પડે છે, અને તેમણે બાંધછોડ કરવી પડે છે. તો અમેરિકામાં રહીને આવું સામયિક પ્રગટ કરવાનું તો વધારે મુશ્કેલ હોય. પણ એવી મુશ્કેલીઓ વટાવીને જ્યારે ગુર્જરી ડાયજેસ્ટે પચ્ચીસ વર્ષ પૂરાં કર્યાં ત્યારે તેના બધા અંકોમાંથી ચૂંટેલાં લખાણો પુસ્તકરૂપે પ્રગટ થયાં છે. ‘આનંદયાત્રા’ નામના આ પુસ્તકનાં ૫૯૩ પાનાંમાં આ સામયિકમાંથી સારવેલું નવનીત મળી રહે છે. સામયિકનું સંપાદન ભલે એક હાથે થતું હોય, પણ પુસ્તક અંગે એક સારી વાત એ થઈ છે કે કિશોરભાઈએ સંપાદનના કાર્યમાં બીજાઓનો સાથ પણ લીધો છે. વાર્તા વિભાગમાં રજની પી. શાહ અને હરનિશ જાનીનો, કવિતા વિભાગમાં નવીન શાહ અને પન્ના નાયકનો, નિબંધ વિભાગમાં અશોક વિદ્વાંસ, નિયતિ પંડ્યા, નીતા દવે, અને જયંત મહેતાનો સાથ-સહકાર લીધો છે. અલબત્ત, છેવટની પસંદગીમાં પોતાનો અવાજ રાખ્યો છે. પહેલા વિભાગમાં ૩૬ વાર્તાઓ છે. કવિતા વિભાગમાં સૌથી વધુ કૃતિઓ છે – બાવન ગીત-ગઝલ, સાત છંદોબદ્ધ કાવ્યો, ૩૨ અછાંદસ કાવ્યો, અને નવ હાઈકુ/મુક્તક. નિબંધ વિભાગમાં ૩૧ લખાણો છે, જેમાંના કેટલાક નિબંધો છે તો કેટલાક લેખો છે. આ ઉપરાંત ‘અભ્યાસીલેખો’ એવા મથાળા નીચે છપાયેલા આઠ લેખોમાં ઉમાશંકર જોશી, ધવલ મહેતા, નિરંજન ભગત, અને રઘુવીર ચૌધરી જેવા વિદેશવાસી નહીં તેવા લેખકોના લેખો પણ સમાવ્યા છે. છેલ્લા ‘પ્રતિભાવ વિભાગ’ માટેની પસંદગી કિશોર દેસાઈ ઉપરાંત મનુ નાયક અને શૈલેશ દેસાઈએ કરી છે. તેમાં પણ વિદેશવાસી નહીં એવા પંદરેક લેખકોનાં લખાણો જોવા મળે છે.
‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’
ઓગણીસમી સદીના સાહિત્યના વિવેચન વિશે વાત કરતાં સૌથી પહેલી જરૂર જણાય છે તે ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પર સવિશેષ ધ્યાન આપીને એ સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકો અને સામયિકોના મહત્ત્વને સમજવાની અને સ્વીકારવાની. આપણા સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆત નર્મદ-દલપતનાં લખાણોથી જ થઈ એવી માન્યતા આપણા વિવેચનમાં ઘર કરી ગઈ છે. નર્મદ અને દલપત એ આપણા સાહિત્યના અર્વાચીન યુગના બે મુખ્ય અને મહત્ત્વના પુરસ્કર્તા ખરા, પણ સમય દૃષ્ટિએ પહેલા પુરસ્કર્તા નહીં. અર્વાચીનતાનાં વૃત્તિવલણોનો સીધો સંબંધ બે સાહિત્યેતર ઘટનાઓ સાથે રહેલો છે. કાળક્રમે જોતાં આમાંની પહેલી ઘટના તે મુદ્રણનું આગમન અને બીજી ઘટના તે બ્રિટીશ પદ્ધતિના શાળા-શિક્ષણની અને પછી ઉચ્ચ શિક્ષણની શરૂઆત. આ શરૂઆત ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુંબઈમાં થઈ. ૧૮૦૮માં પહેલવહેલું છપાયેલું ગુજરાતી પુસ્તક મુંબઈમાં છપાઈને પ્રગટ થયું ત્યારથી ૧૮૫૨ સુધીમાં આપણી ભાષામાં ઓછામાં ઓછાં ૩૦૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં મોટા ભાગનાં પદ્યમાં નહીં, ગદ્યમાં લખાયેલાં હતાં. અને છતાં અર્વાચીન ગુજરાતી ગદ્યની શરૂઆત ૧૮૫૦માં પ્રગટ થયેલા દલપતરામના ‘ભૂત નિબંધ’થી કે ૧૮૫૧માં પ્રગટ થયેલા નર્મદના નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’થી થઈ, એમ આપણે વર્ષોથી માનતા-મનાવતા આવ્યા છીએ. વાત જો સર્જનાત્મક ગદ્યની જ કરવાની હોય તો તો આ બંને કૃતિઓનું ગદ્ય પણ સર્જનાત્મક ગદ્ય નથી જ. હકીકતમાં અર્વાચીન ગુજરાતી ગદ્યનો આરંભ ૧૮૫૦ કરતાં ઘણો વહેલો પારસીઓ, પાદરીઓ, અને પરદેશી અમલદારોને હાથે થઈ ચૂક્યો હતો. અલબત્ત, તેમાંનું ઘણુંખરું ગદ્ય કાં અનુવાદ માટે, કાં ધર્મપ્રચાર માટે, કાં શાલેય શિક્ષણ માટે પ્રયોજાયું હતું, પણ તેથી એ અર્વાચીન ગદ્ય નહોતું એમ કેમ કહી શકાય? પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં થોડા અપવાદોને બાદ કરતાં આપણે પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓના પ્રદાનની તો અવગણના જ કરી છે. ૧૮૪૪માં સુરતથી પ્રગટ થયેલા ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ના અનુવાદ ‘યાત્રાકરી’નો અને અનુવાદક ફાધર વિલિયમ ફ્લાવરનો ઉલ્લેખ આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે. ચાલો, એ તો અનુવાદ હતો, પણ ૧૮૪૪માં જ પૂરાં સાતસો પાનાંમાં કાવસજી સોરાબજી કાવસજી પટેલે ‘ચીનનો અહેવાલ’ નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક મુંબઈથી પ્રગટ કરેલું. તેની વાત કોઈએ કરી છે? કરીએ તો તો પછી નર્મદ-દલપતનો ગદ્યના પ્રારંભક હોવાનો હક્ક લૂંટાઈ જાય ને? પણ ખુદ નર્મદે પોતે ગુજરાતી ગદ્યને જન્મ આપ્યાનું માન કેપ્ટન જર્વિસને આપ્યું છે અને ૧૮૨૮ના વરસથી ‘ગદ્યમાં લખવાનું શરૂ થયું’ એમ કહ્યું છે. પણ આ કેપ્ટન જર્વિસ કોણ હતો, એણે શું શું લખેલું એની ભાળ મેળવવાનો પ્રયત્ન કોણે કર્યો છે? ૧૮૬૭માં પ્રગટ થયેલા અભિજ્ઞાન શાકુંતલ નાટકના ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના બે અનુવાદ સંસ્કૃતમાંથી થયેલા પહેલા અનુવાદ તરીકે ઓળખાવાતા આવ્યા છે. પણ એ બંને મહાનુભાવોનો જન્મ પણ નહોતો થયો ત્યારે, છેક ૧૮૨૪માં સંસ્કૃતમાંથી પંચતંત્રનો અનુવાદ ‘પંચોપાખીઆંન’ નામે ફરદુનજી મર્ઝબાનજીએ કર્યો હતો એ વાત સાહિત્યના ઇતિહાસ કે વિવેચનમાં કોઈએ નોંધી છે? ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે પછી કેટલાંક વર્ષો સુધી આ ‘પંચોપાખીઆંન’ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતું હતું અને ૧૮૮૨ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેનાથી પણ પહેલાં, ૧૮૨૧માં બાયબલના નવા કરારનો અનુવાદ સુરતમાં છપાઈને પ્રગટ થયો હતો. જેમ્સ સ્કિનર અને વિલિયમ ફાઈવી નામના લંડન મિશનરી સોસાયટીના બે પરદેશી પાદરીઓ ગુજરાતી ભાષા શીખીને બાયબલનો અનુવાદ ગુજરાતી ગદ્યમાં કરે, જ્યારે નર્મદનો જન્મ પણ થયો નહોતો અને જ્યારે દલપતરામની ઉંમર માંડ દોઢેક વર્ષની હતી ત્યારે કરે, એ હકીકત આપણા વિવેચને કે ઇતિહાસે નોંધી પણ છે? પણ આ બે પાદરીઓ પણ પહેલા ગદ્યકાર નથી. તેમના પહેલાં ‘કમતરીન ખાકસાર મુનશી ડોશાભાઈ મોબેદ શોહરાબજી ભરવચી’એ કરેલો ‘મોગલાઈ ઊનાની હકીમ લોકોનો ઊહવાલ તથા તે લોકોની નશીહતો’ નામનો અનુવાદ ૧૮૧૮માં મુંબઈના ફરદુનજી મર્ઝબાનજીના છાપખાનામાં છપાઈને પ્રગટ થયો હતો. અને આ જ ફરદુનજી મર્ઝબાનજીએ ૧૮૧૫ના ડિસેમ્બરની ૨૫મી તારીખે પોતે કરેલા અનુવાદનું ૪૧૦ પાનાંનું પુસ્તક પોતાના છાપખાનામાં છાપીને પ્રગટ કર્યું હતું. એનું નામ ‘દબેસ્તાનુલ મઝાહેબ.’ કોઈ પુસ્તકનો અનુવાદ પ્રગટ કરતાં પહેલાં કોઈ જાણકાર પાસે તેની ચકાસણી કરાવવાનું આજે પણ આપણને બહુ જરૂરી લાગતું નથી, અને પરિણામે કઢંગા અનુવાદો ખડકાતા જાય છે. ફરદુનજી પોતે ફારસીના સારા જાણકાર હતા, ગુજરાતી તો તેમની માતૃભાષા હતી, છતાં પોતે ફારસીમાંથી કરેલા આ અનુવાદની ચકાસણી તેમણે ત્રણ-ત્રણ જાણકારો પાસે કરાવી હતી અને તેમનાં પ્રમાણપત્ર પ્રસ્તાવનામાં આમેજ કર્યાં હતાં. અને છતાં ગુજરાતી ગદ્યલેખન અંગે આટલી સભાનતાભરી કાળજી રાખનારનું નામ પણ આપણે લેતા નથી. અર્વાચીન મરાઠી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં પરદેશીઓ અને પાદરીઓએ આપેલા ફાળા અંગે સંશોધન કરી, અભ્યાસપૂર્વક લખાયેલાં પુસ્તકો પ્રગટ થયાં છે. પણ આપણે પુસ્તકો લખવાની વાત તો દૂર રહી, પરદેશીઓ અને પાદરીઓના ફાળાની નોંધ પણ કેટલી લીધી છે? પારસીઓની ભાષાને ‘અશુદ્ધ’નું લેબલ લગાડીને આપણે પહેલાં તેમના સાહિત્યને મુખ્ય પ્રવાહથી અલગ માનવાનું અને પછી એ અલગ પ્રવાહની અવગણના કરવાનું શરૂ કર્યું. આ વલણની શરૂઆત પોતાની કૃત્રિમ રીતે સંસ્કૃતમય ભાષાનો ફાંકો ધરાવતા પંડિત યુગના કેટલાક લેખકોથી થઈ અને ભાષાશુદ્ધિના આગ્રહી એવા ગાંધી યુગના કેટલાક લેખકોએ એ વલણને વધુ દૃઢ બનાવ્યું. એક ઉદાહરણ રૂપે આ વાક્ય જુઓ : ‘૧૮૨૨માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ ‘મુમબઈ સમાચાર’ નામે અઠવાડિક કાઢવા માંડ્યું … ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું.’ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા બહુખંડી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ત્રીજા ભાગની ભૂમિકામાં યશવંત શુકલે આ શબ્દો લખ્યા છે. બીજે ક્યાંય નહીં ને સાહિત્યના આવા વિસ્તૃત ઇતિહાસમાં પણ આમ નામ વગર મભમ વાત થાય એ કેવું? ‘૧૮૬૪માં એક નાગર નબીરાએ ‘ડાંડિયો’ નામે સામયિક કાઢવા માંડ્યું’ એમ કોઈ લેખક લખે ખરો? ૧૯૭૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં આમ છપાયું. ૨૦૦૫માં બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે પણ એ પારસી નબીરાનું નામ આપવાનું ન તો બીજી આવૃત્તિના વિદ્વાન સંપાદક કે પરામર્શકને જરૂરી લાગ્યું, કે ન તો પ્રકાશક સંસ્થાને જરૂરી લાગ્યું.
નર્મદે પોતાનો પહેલો ગદ્યલેખ ભાષણ રૂપે મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં રજૂ કર્યો હતો એટલા પૂરતી આપણે એ સભાને યાદ કરીએ છીએ, પણ આ સભાની પણ વિગતે વાત આપણે કેટલી કરીએ છીએ? હકીકતમાં, ૧૮૫૧માં, લગભગ એક જ વખતે, લગભગ સરખા નામવાળી બે સંસ્થાઓ શરૂ થઈ હતી. તેમાંની એક તે નર્મદે શરૂ કરેલી ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’. કોલેજનો અભ્યાસ પડતો મૂકીને નર્મદને સુરત જવું પડ્યું અને તેની દોરવણી વગર આ સભા ઝાઝો વખત ચાલી શકી નહીં. બીજી બાજુ ગંગાદાસ કિશોરદાસે એલ્ફિનસ્ટન કોલેજના પ્રોફેસર પાટન સાથે મસલત કરીને ૧૮૫૧ના આરંભમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપન કરી. તેના પહેલા પ્રમુખ હતા પ્રાણલાલ મથુરાદાસ, સેક્રેટરી હતા મોહનલાલ રણછોડદાસ ઝવેરી, જ્યારે ગંગાદાસ પોતે હતા ખજાનચી. ૧૮૫૧ના ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં નર્મદ મુંબઈ છોડી સુરત ગયો તે પછી ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખથી તેણે સ્થાપેલી મંડળી પ્રાણલાલ મથુરાદાસવાળી ‘બુદ્ધિ વર્ધક સભા’માં ભળી ગઈ. લગભગ ૧૮૭૦ સુધી આ સભા અને તેનું સામયિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ વધતે ઓછે અંશે કાર્યરત રહ્યાં હતાં. ૧૮૯૪-૯૫માં થોડા વખત માટે તે સંસ્થા ફરી સક્રીય બની ત્યારે તેના નામમાંથી ‘હિંદુ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો. છેવટે ૧૯૩૪ના જુલાઈની ૨૯મી તારીખે તે ફાર્બસ ગુજરાતી સભામાં વિલીન થઈ ગઈ. આજે ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે એટલા પૂરતું હજી એ સંસ્થાનું નામ રહ્યું છે. પણ આ સંસ્થાના ઇતિહાસ અને કામગીરીની આપણે ઝાઝી ચિંતા કરી નથી. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ની લગભગ આખી ફાઈલ મુંબઈની કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સચવાઈ છે. એકના એક ચવાઈ ગયેલા વિષયો પર પીએચ.ડી. માટે ‘શોધનિબંધ’ લખનારાઓની નજર આજ સુધી તેમાં દટાયેલા ખજાનાને શોધી શકી નથી.