કોઈ પણ જાતની આંટીઘૂંટી વિનાનું લુંગી નામનું સીધુંસાદું વસ્ત્ર અનેક સગવડની સાહ્યબી પૂરી પાડે છે. શું શાહરુખના લુંગી ડાન્સને કારણે લુંગી યુવાનોને ફરી એક વખત આકર્ષી શકશે?
'ચેન્નઈ એક્સપ્રેસ'નો લુંગી ડાન્સ આજકાલ ધૂમ મચાવી રહ્યો છે. શાહરુખ ખાન અને રોહિત શેટ્ટી લુંગી ડાન્સને દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર વન એન્ડ ઓન્લી રજનીકાંતને અંજલિ રૂપ ગણાવે છે, પણ લુંગીને ચટપટી રીતે પ્રેઝન્ટ કરીને તેમણે દક્ષિણ ભારતીયોના દિલ પણ જીતી લીધા છે. દક્ષિણ ભારતનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં લોકો લુંગી ન પહેરતા હોય. લુંગી તેમનો માત્ર પહેરવેશ નથી પણ તેમની ઓળખ બની ગઈ છે. અલબત્ત, લુંગી માત્ર દક્ષિણ ભારતમાં જ પહેરાય છે, એવું નથી. આપણા ગુજરાતની જ વાત કરીએ તો ઘણા લોકો ઘરમાં નિરાંતના સમયે લુંગી જ પહેરતા હોય છે. કામકાજના સ્થળે મોટા ભાગના લોકો લુંગી નથી પહેરતા પણ કારીગરો તેમને ટ્રક ડ્રાઇવરથી માંડીને રત્ન કલાકારોમાં લુંગી લોકપ્રિય છે.
લુંગી એક સીધુંસાદું અને સિલાઈની દૃષ્ટિએ તે સાવ સરળ વસ્ત્ર છે. તકનીકી દૃષ્ટિએ માર્કેટમાં બે પ્રકારની લુંગી ઉપલબ્ધ હોય છે, એક તો સીધી લાંબા ધોતિયાના કાપડ જેવા સ્વરૂપે મળે છે, જ્યારે બીજા પ્રકારની લુંગી નળાકાર હોય છે, જેને સીવીને તૈયાર કરવામાં આવી હોય છે. આપણે ત્યાં મોટા ભાગે બીજા પ્રકારની લુંગી વધારે ચલણમાં છે. લુંગી મોટા ભાગે પ્લેન (સફેદ), ચેક્સમાં અથવા તો બાટિકની જુદી જુદી ડિઝાઇન અને રંગોમાં ઉપલબ્ધ હોય છે. લુંગી સામાન્ય રીતે કોટન તૈયાર થતી હોય છે, પરંતુ લગ્ન વગેરે શુભપ્રસંગોએ પહેરાતી લુંગી સિલ્ક જેવા કીમતી વસ્ત્રોમાંથી પણ બનાવેલી હોય છે.
આપણા દેશમાં અન્ય વિવિધતાઓની સાથે સાથે વેશભૂષાની વિવિધતા પણ અનેરી છે. આપણે ત્યાં લોકો કમર નીચે ધોતી, પોતડી, પંચિયું, ચોયણી, પાઇજામો-પેન્ટ-પાટલુન, લેંઘો, ચડ્ડો, બર્મુડો, ટ્રાઉઝર્સ, ટ્રેકશૂટ, જિન્સ વગેરે જાતભાતનાં વસ્ત્રો પહેરતા હોય છે, પરંતુ આ બધામાં અનુકૂળતાની દૃષ્ટિએ લુંગી એક આગવું સ્થાન અને ઓળખ ધરાવે છે. 'ભગવદ્ ગોમંડળ'માં લુંગીની એક ટૂંકી અને લુંગી જેવી જ સરળ વ્યાખ્યા આપવામાં આવી છે, 'કાછડી વાળ્યા વગર કેડે વીંટવાનું વસ્ત્ર'. લુંગી મોટા ભાગે દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ગરમ પ્રદેશોમાં વધારે પહેરવામાં આવે છે, કારણ કે ગરમી અને ભેજવાળા વાતાવરણમાં પરસેવો બહુ વળતો હોય ત્યાં પાયજામા-પેન્ટ માફક આવતાં નથી ત્યારે લુંગી સૌથી સાનુકૂળ વસ્ત્ર બની રહે છે. લુંગી પહેરીને વ્યક્તિ રિલેક્સ ફીલ કરી શકે છે અને એટલે જ ગરીબ અને મધ્યમ વર્ગ જ નહીં ભદ્ર ગણાતા સમાજમાં પણ લોકો ઘરમાં લુંગી પહેરવાનું પસંદ કરે છે.
લુંગીનો ઇતિહાસ બહુ સ્પષ્ટ નથી, પરંતુ કહેવાય છે કે દક્ષિણ પૂર્વી દેશોમાંથી આવતાં વેપારીઓ અને ખલાસીઓ થકી આપણા દેશમાં લુંગીનું આગમન થયેલું. આપણા દેશમાં પહેલાં આંધ્ર પ્રદેશ અને પછી તામિલનાડુમાં છઠ્ઠી અને દસમી સદીમાં લુંગી પહેરવાનું શરૂ થયું હોવાનું મનાય છે. આંધ્ર અને તામિલનાડુ પછી ધીમે ધીમે કેરળ, બંગાળ (પશ્ચિમ બંગાળ અને આજના બાંગ્લાદેશ બન્નેમાં), ઓરિસા, આસામ, બિહાર, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં પ્રસરી છે. હિમાલયન રાજ્યો અને ઠંડા પ્રદેશો સિવાય બધે લુંગી પહેરાય છે. અલબત્ત, દક્ષિણનાં રાજ્યોની જેમ લુંગી ઘર અને ઘરબહાર એટલે કે કામકાજી સ્થળોમાં પહેરાતી નથી, પણ નિરાંતના સમયે લુંગી પહેરવાનું અચૂક પસંદ કરાય છે.
આપણા દેશમાં લુંગી અલગ અલગ પ્રદેશ અને ભાષા પ્રમાણે જુદાં જુદાં નામે પણ ઓળખાય છે. મોટા ભાગે સારંગ અને ઇઝાર તરીકે જાણીતી છે, છતાં દ. ભારતમાં ક્યાંક ફણેક પણ કહેવાય છે. મલયાલમમાં તેના માટે મુંડુ શબ્દ છે, બંગાળમાં ધુતી કે ધોતી, તામિલમાં વેષ્ટી, તેલુગુમાં પંચા, કન્નડમાં પન્ચે જ્યારે પંજાબમાં તેના માટે ચદ્રા શબ્દ વપરાય છે. ભારત ઉપરાંત દક્ષિણ પૂર્વી દેશો અને આફ્રિકન દેશોમાં પણ લુંગીની લોકપ્રિયતા બરકરાર છે.
લુંગી એ માત્ર પહેરવેશ નથી પણ પ્રતીક તરીકે પણ જાણીતી છે. તમને મહાત્મા ગાંધીનો દક્ષિણ આફ્રિકાની પેલી તસવીર યાદ છે, જેમાં તેમણે પહેલી વાર પોતાના વાળ જાતે કાપ્યા હતા અને વિદેશી પહેરવેશનો ત્યાગ કરીને સ્વદેશી વેશભૂષા અપનાવી હતી, એ વખતે ગાંધીજીએ સફેદ ઝભ્ભાની નીચે સફેદ લુંગી વીંટાળી હતી. આમ, તેને ભારતીયની ઓળખ બનવાનું બહુમાન પણ મળેલું છે તો બીજી તરફ મુંબઈ-મહારાષ્ટ્રમાં બાળ ઠાકરેએ જ્યારે દક્ષિણ ભારતીયોને રંજાડવાનું શરૂ કર્યું ત્યારે 'લુંગી ભગાવો, પુંગી બજાવો' એવું ઝેરી સૂત્ર આપેલું! આમ, લુંગી દ્વેષભાવનો પણ ભોગ બની ચૂકી છે.
બર્મુડાબ્રાંડ નવી પેઢીમાં લુંગીનું ચલણ ઘટયું છે, છતાં પણ લુંગી ડાન્સમાં ઘેલા થયેલા યુવાનો કદાચ લુંગી તરફ પાછા વળી શકે છે. યે આરામ કા મામલા હૈ!
(સૌજન્યઃ 'સમય-સંકેત', સંસ્કાર પૂર્તિ, "સંદેશ", Aug 31, 2013)
divyeshvyas.amd@gmail.com
 


 દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડો. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.
દેશ ગુલામ હતો ત્યારે રાજા રામમોહન રાયે બંગાળમાં સતીપ્રથા સામે અવાજ ઉઠાવીને અંગ્રેજો પાસે સતીપ્રથા વિરોધી કાયદો કરાવીને સામાજિક ક્રાંતિ આણી હતી. કાયદા થકી સમાજસુધારણાનો નવો ખયાલ આપણા દેશમાં વિકસ્યો, પણ આજે ય સમાજસુધારણા માટે આપણે કાયદાની જરૂર પડી રહી છે, એ આપણા સમાજની કમનસીબી જ ગણવી જોઇએ, કારણ કે લોકો જાગૃત હોય તો કોઈ નિયમ-કાયદા બનાવવાની જરૂર જ ન પડે! પણ એવું થઈ રહ્યું નથી. આટલું ઓછું હોય આપણી સરકારોને આવા જરૂરી કાયદા બનાવવાની ફરજ પાડવા માટે આંદોલનો ચલાવવા પડે છે! મહારાષ્ટ્રમાં જાદુટોણા અને અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટે લગભગ બે દાયકાથી ઝુંબેશ ચાલી રહી છે. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નેજા હેઠળ રાજ્યભરમાં જાદુટોણા વિરોધી ચળવળ ચલાવવામાં આવે છે, પણ કહેવાતાં ધાર્મિક સંગઠનો અને જૂથોને આ પ્રવૃત્તિ ઝેર જેવી લાગે છે, અને એટલે તેઓ સમિતિના સ્થાપક અને કાર્યાધ્યક્ષ ડો. નરેન્દ્ર દાભોળકરની હત્યા કરવા સુધી પહોંચ્યા છે. પુણેમાં ગત ૨૦ ઓગસ્ટના રોજ ડો. નરેન્દ્ર દાભોળકરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. મોર્નિંગ વોક પર નીકળેલા ડો. દાભોળકરને પીઠ પાછળથી કાયરતાપૂર્ણ હુમલો કરીને ગોળીથી વીંધી દેવાયા. ડો. નરેન્દ્ર દાભોળકરનો 'વાંક' એટલો જ હતો કે તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધાનાં અંધારા ઉલેચવા માગતા હતા. છેલ્લાં ૧૮ વર્ષથી તેઓ રાજ્યમાં જાદુટોણા વિરોધી કાયદો લાવવા માટેની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ થકી રાજ્યમાં શ્રદ્ધા અને પરંપરાના નામે ચાલતાં ધતિંગો સામે લોકજાગૃતિની ઝુંબેશ ચલાવવાની સાથે સાથે સામાજિક બદીઓને દૂર કરવા માટે પ્રયાસરત હતા. પણ કહેવાતા ધાર્મિક સંગઠનો-જૂથોથી ડો. દાભોળકરની પ્રવૃત્તિને સમાજસુધારણાની દૃષ્ટિએ તો ક્યાંથી જોઈ શકે, કારણ કે તેમને ખ્યાલ હતો કે લોકો જાગૃત થઈ જશે તો આપણી અબજો કમાતી દુકાનો બંધ થઈ જશે.