બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો

વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ કલા નગરીનું બિરુદ વડોદરાની ઓળખ નોખી રહી છે. પણ કમનસીબે શહેરની આ વારસાગત ઓળખ પર બુલડોઝર ફરી રહ્યું છે, અથવા તો ફરી ગયું છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાઇરલ થઇ, જેમાં વડોદરા શહેરના ઐતિહાસિક રેલવે શેડને જમીન દોસ્ત કરી દેવાયું હોવાની વાત થઇ છે. બુલેટ ટ્રેનના રસ્તાને મારગ આપવા માટે એ રેલવે શેડને જમીનદોસ્ત કરી દેવાયું છે જ્યાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જે બોગીમાં મુંબઇ જતા તેને રખાતી, આ કોઇ સામાન્ય બોગી નહોતી પણ તેમાં મહારાજા મુસાફરી કરતા એટલે તેમાં ડાઇનિંગ, બેડરૂમ અને લિવિંગ રૂમ જેવી સવલતો રહેતી. આ ઇમારત આમ પણ જર્જરીત હાલતમાં હતી કારણ કે તે મુખ્ય રસ્તાની સાવ નજીક હતી અને કોઇ પણ હેરીટેજ ઇમારતને વાહનો, પ્રદૂષણ વગેરેની માઠી અસર થતી જ હોય છે. પરંતુ કલાનગરી વડોદરાનો ખોંખારો ખાનારા આ શહેરને માટે આ ચોક્કસ નાલેશી ભર્યું જ કહેવાય કે એક ઇમારતને જર્જરીત થવા દેવાઇ અને હવે તેને હંમેશને માટે ખલાસ કરી દેવાઇ. વિરોધાભાસ તો એ છે કે આ તોડી પડાયેલા ટ્રેન શેડના ફેસ લિફ્ટ માટે બે વાર યોજનાઓ થઇ ચૂકી છે, પણ સરકારી કચેરીઓમાં એ ફાઇલ વખારે ચઢી ગઇ હશે અને હવે ૧૮૮૦ની આસપાસ બનાવાયેલી આ ઇમારત હતી ન થઇ હતી થઇ ગઇ છે. વડોદરામાં ગાયકવાડી પરિવારે આપેલા વારસાનો છેદ ઊડી જાય તો વડોદરામાં શું રહેશે? વારસો માત્ર વિચારોમાં તો ન જીવી શકે તેના પુરાવા સચવાય તો જ ભવિષ્ય ઘડવાનો પાયો મજબૂત બને તે વાસ્તવિકતા સમજવી કંઇ અઘરી નથી. પરંતુ છતાં ય ‘કલાનગરી’ વડોદરાએ વિકાસ માટે વારસો ગુમાવવાનો વારો આવ્યો. હજી ગયા મહિને અહીંની એ શાળા જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલ ભણ્યા હતા તેવી એક્સપેરિમેન્ટલ સ્કૂલ પર પણ તવાઇની તલવાર તોળાવના સમાચાર ઝળક્યા હતા.


ગુજરાતમાં વડોદરા, જૂનાગઢ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો જ્યાં રાજા રજવાડાં હતાં ત્યાં સાંસ્કૃતિક વારસાની ધરોહર હંમેશાંથી રહી છે. અમદાવાદને તો વર્લ્ડ હેરીટેજ સિટીનું બિરુદ મળી ચૂક્યું છે. તાજેતરમાં ગુજરાતમાં ધોળાવીરાને પણ યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સાઇટનું ટાઇટલ આપ્યું છે. પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસને લગતું ઘણું બધું આખા ય રાજ્યમાં પથરાયેલું છે. મીડિયા, વિવાદો અને ક્યારેક સંશોધકોની રૂચિને કારણે લોકોને આમાંથી મોટા ભાગની ધરોહર વિશે આછો પાતળો ખ્યાલ રહ્યો છે પણ તેની જાળવણી અંગેની જાગરૂકતા છેલ્લા દોઢ-પોણા બે દાયકામાં વધારે ધારદાર બની છે.
છતાં પણ આ શહેરોમાં આ વારસાને જાળવવાને મામલે ચૂક થતી આવી છે. જેમ કે જૂનાગઢ શહેરમાં નવાબી સમયની ચિત્તાખાના ચોકની કન્યાશાળા ધરાશયી થઇ છે. વળી અમૂક શહેરોમાં તો જે સાંસ્કૃતિક વારસો નથી તેને હેરીટેજને નામે ચલાવવાના ધખારા પણ થયાં છે, જેની પાછળ સરકારી દાનત અને ખાનગી હિતોનાં સમીકરણો કામ કરી જતાં હોય છે. હેરીટેજ સિટી બનેલા અમદાવાદને હવે યુનેસ્કોને રિપોર્ટ આપવાની ઘડી નજીક આવી છે ત્યારે અવગણાયેલી સૂચનાઓ, ભંગ થયેલા નિયમો જેવી બાબતો અડચણો ન બને તે માટે તંત્ર છેલ્લી ઘડીએ સાબદું થયું હોવાના વાવડ તો છે, પણ આખરે આવા મામલે તો નીવડે વખાણ જેવી જ સ્થિતિ હોય. ૨૦૧૯માં અમદાવાદના હેરીટેજના લિસ્ટમાં આવેલી ઇમારતો પર ડિમોલીશનનું જોખમ હતું. આધુનિક વારસાની વાત કરીએ તો આઇ.આઇ.એમ. અમદાવાદમાં જ લેજેન્ડરી અમેરિકન આર્કિટેક્ટ લુઇ કાને કરેલા પ્રતિષ્ઠિત બાંધકામને તોડી પાડવાની ચર્ચા પણ ચાલી હતી જે વિરોધને પગલે અટકી ગઇ.
સુરતની વાત કરીએ તો તે હંમેશાંથી આર્થિક કેન્દ્ર જ રહ્યું છે જ્યાં ૮૪ બંદરના વાવટા ફરક્યા છે તેવું શહેર, જ્યાંથી અકબર બાદશાહ હજ પર ગયા છે, તેવું શહેર જ્યાં અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ઇ.સ. ૧૬૦૦માં સ્થાપી, તેવું શહેર. આ શહેરનો ઇતિહાસ પૈસા સાથે જોડાયેલો રહ્યો છે, અનેકવાર લૂંટાયેલું સુરત સમૃદ્ધિ ચાહનારાઓનું ચહિતું રહ્યું છે. દરિયા કાંઠો અને નદીને કારણે વારંવાર પૂરમાં તણાતાં આ શહેરમાંથી અંગ્રેજો મુંબઇ તરફ વળ્યા. એક સમયે અહીં કોટ પણ હતો અને બાર દરવાજા પણ હતા, આજે દરવાજાનાં નામ રહ્યા છે અને કતારગામ વિસ્તારમાં એક સમયના કોટની દિવાલના અવશેષ નજરે ચઢે છે પણ ધંધા-પાણીને પગલે મુંબઇની નજીક હોવાને કારણે સુરત અમુક મામલે હાંસિયામાં ધકેલાયું. આધુનિક સુરતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પબ્લિક આર્ટ ક્ષેત્રે કામ થયું છે, અહીં ઉદ્યોગો છે, અમદાવાદમાં મહાજન સંસ્કૃતિનો વારસો છે, મુગલ કાળની ધરોહરો છે વળી એક માત્ર વિક્રમ સારાભાઇએ ખડાં કરેલા સંસ્થાનો પણ કોઇ સમૃદ્ધ વારસાથી કમ નથી, ત્યારે સયાજીરાવ ત્રીજાના વડોદરામાં જો રાજવી વારસાનો છેદ ઊડી જાય તો પછી શહેર પાસે ‘કલા નગરી’ના નામનો ખોંખારો ખાવા જેવું કશું બચે નહીં તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.
વિકાસ અને ધર્મની દોડમાં ઇતિહાસનાં પાનાં ગાયબ ન થઇ જાય તે બહુ જરૂરી છે. બુલડોઝરો અને બુલેટ ટ્રેન્સ આ કામ સિફતથી કરી રહ્યા છે જે ચોક્કસ ચિંતા જનક છે.
બાય ધી વેઃ
સાંસ્કૃતિક ધરોહર એ માત્ર ટુરિઝમ નથી પણ ભવિષ્યની યોજનાઓને પાર પાડવાનો પાયો છે. પૂર્વગ્રહો વગરનો ઇતિહાસ, વાસ્તવિકતા રજૂ કરતો ઇતિહાસ એ ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપનારો હોય તે સ્વીકારીને તેની જાળવણી યોગ્ય રીતે થાય તે જરૂરી છે. બદલાતી સરકારો સાથે ઇતિહાસને રજૂ કરવાની પદ્ધતિઓ અને ઇરાદા પણ બદલાયા કરે છે પછી તે પાઠ્યપુસ્તકો હોય કે ઇમારતો. એમાં પાછું આપણને વિકાસનું વળગણ છે એટલે શું રહેશે અને શું જશે તેની કોઇ ગેરંટી મળી શકે તેમ નથી. મંદિરો માત્ર આપણો વારસો નથી, ધ્વંસ કરાયેલી મસ્જીદ પણ ઇતિહાસનો પુરાવો હતો એ સત્ય આવનારી પેઢીઓને કોઇપણ પ્રકારના પૂર્વગ્રહો વિના જણાવી શકાશે તો જ આપણે જવાબદારીપૂર્વક ફરજ પૂરી કરી તેમ માની શકાશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2021
![]()


તાજેતરમાં જ યુનાઇટેડ કિંગ્ડમની જાહેરાતને પગલે હોબાળો થઇ ગયો. યુ.કે.એ પોતાના દેશમાં આવનારા બીજા રાષ્ટ્રના નાગરિકો માટે ગાઇડલાઇનની જાહેરાત કરી. યુ.કે. દ્વારા ટ્રાફિક લાઇટ એટલે કે લાલ, લીલી અને પીળી એમ ત્રણ કેટેગરીમાં કયા રાષ્ટ્રોને પ્રવેશ આપવો અને ન આપવોની નીતિ નક્કી કરાઇ હતી, અને ઑક્ટોબરમાં, આ નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી થયું. આ નિયમો અનુસાર પીળી એટલે કે એમ્બર સિગ્નલ મળેલા દેશોની લિસ્ટને ગ્રીન સિગ્નલ મળેલા દેશોના લિસ્ટ સાથે ભેળવી દેવાની વાત હતી અને રેડ સિગ્નલ મળ્યું હોય તેવા દેશોને અલગ રાખવાના. આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવાના હેતુથી યુ.કે. સરકાર આ ગડમથલમાં હતી. નવા નિયમો અનુસાર રાષ્ટ્રોના વેક્સિનેશન સ્ટેટસને આધારે ત્યાંના નાગરિકોને વિઝા આપવો કે નહીં તે નક્કી કરવામાં આવશે તેમ અનુસરવાનું નક્કી થયું. પણ વેક્સિનને મામલે યુ.કે.એ જે જાહેરાત કરી તેનાથી હોબાળો થઇ ગયો અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર અણધાર્યું દબાણ આવી ગયું.
કોવિશીલ્ડ વળી યુ.કે.ના ઑક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાનું જ ભારતીય વર્ઝન છે પણ છતાં ય આ ભેદભાવની નીતિને કારણે સરકારથી માંડીને આમ જનતામાં રોષ ભભૂકી ઊઠ્યો. ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂણે પ્લાન્ટમાં એસ્ટ્રાઝેનેકાના ભારતીય વર્ઝનનું ઉત્પાદન થયું છે છતાં ય ભારતને યુ.કે.એ વેક્સિનનું બહાનું કરી માન્ય રાષ્ટ્રોની યાદીમાંથી બહાર રાખ્યો. આ વર્ષની શરૂઆતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી યુ.કે.ને મોકલવાના ૧૦ મિલિયન એસ્ટ્રાઝેનેકાના ડોઝમાંથી પાંચ મિલિયન તો મોકલવામાં પણ આવ્યા. (આ લખાઇ રહ્યું છે ત્યારે જાહેરાત બદલાઇ ચૂકી છે, તેની વાત આગળ ઉપર કરીએ, પણ મુદ્દો પહેલેથી સમજવો રહ્યો.)
ગરજવાન પોતાનો સ્વાર્થ સાધવા કોઇ પણ સ્તરે જઇ શકે અને તેનું મોટામાં મોટું ઉદાહરણ છે અમેરિકા. યુનાઇટે સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિશ્વની મહાસત્તા, લોકશાહી રાષ્ટ્રના ઇન્ટેલિજન્સ અધિકારીઓએ દિલ્હીના આંટા ફેરા શરૂ કરી દીધા છે. અફઘાનિસ્તાનમાંથી બિસ્તરાં પોટલાં ઉપાડીને નિકળી ગયેલા યુ.એસ.એ.એ અત્યાર સુધી પોતાના સ્વાર્થ ખાતર મિડલ ઇસ્ટર્ન દેશોનો કચ્ચરઘાણ વાળ્યો. હવે અફઘાનિસ્તાન સાથે બદલેલા સમીકરણમાં તેમને ભારતની સોબત કરવી છે. યુ.એસ.એ.એ બહુ સિફતથી, હળવાશથી એવા સંકેત આપ્યા છે કે તેમને ભારતના એર ફિલ્ડ્ઝની જરૂર છે જેથી તે અફઘાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશોમાં આતંકીઓ પર એરિયલ સર્વેઇલન્સ રાખી શકે અને જરૂર પડે તો હુમલા પણ કરી શકે. વિશ્વની મહાસત્તા ગણાતા આ રાષ્ટ્રને જાતની રક્ષા કરવી છે અને એ માટે તે કોઇ પણ હદે કોઇનો પણ ઉપયોગ કરી શકે છે.