અંગ્રેજી શબ્દ મૂનલાઈટનો અર્થ ચન્દ્રનો પ્રકાશ કે ચાંદની થાય. જે શીતળતા આપે પણ આજકાલ ચર્ચામાં છે તે મૂનલાઈટિંગ કે મૂનલાઈટર્સ શબ્દનો અર્થ ઉદ્યોગોને દઝાડનારો છે. મૂળે તો તેના હાલના અર્થમાં આ શબ્દો અમેરિકાથી આયાત થઈને પ્રચલિત થયા છે. અમેરિકનોમાં પૂરક આવક માટે બીજી નોકરીની તલાશ થઈ ત્યારે આ શબ્દ જાણીતો થયો. ભારતમાં અને કદાચ દુનિયાભરમાં ઉદ્યોગ-ધંધા કે કારખાનાં માત્ર ડેલાઈટિંગમાં એટલે કે સૂર્યપ્રકાશમાં જ કાર્યરત નથી હોતા. મૂનલાઈટિંગ એટલે રાત્રે પણ કામ જારી હોય છે. હાલમાં મૂનલાઈટિંગનો જે વિવાદ છે તે કોઈ કર્મચારી નિયમિત સમયની નોકરી પછીના સમયમાં કોઈ બીજું કામ કે નોકરી કરે છે તે અર્થાત્ બેવડી નોકરીનો છે.
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો નિયમિત કામના કલાકો ઉપરાંત બીજાં કામો કરતાં જ હોય છે. જે ઉજળી નોકરીઓ કહેવાય છે ત્યાં પણ કેટલાંક બીજા કામો કરતાં હોવાનું જોવા મળે છે. શિક્ષકો નિયમિત અધ્યાપન કાર્ય કરવા ઉપરાંત ટ્યૂશન કરતાં જ હોય છે. કોઈ વાણિજ્યના અધ્યાપક કંપની કે પેઢીનું એકાઉન્ટનું કામ કરે છે. કમ્પ્યૂટર ઓપરેટર નોકરી કરવા સાથે બીજા સમયમાં ડેટા એન્ટ્રીનું કામ કરે છે. વ્યાયામ શિક્ષક જિમમાં ટ્રેનર તરીકે કે સંગીત શિક્ષક ક્યાંક સંગીત વાધ્ય વગાડવા જતા હોય કે સરકારી કર્મચારી નોકરી પછીના સમયે પરિવારની દુકાન કે ધંધો સંભાળતો હોય તે સહજ મનાય છે. કોરોના મહામારી અને તાળાબંધી પછીના જે પદાર્થપાઠ મળ્યા તેના લીધે આઈ.ટી. અને ઈ.કોમર્સ ક્ષેત્રમાં બેવડી નોકરીનું ચલણ વધ્યું છે. તેને કારણે જ મૂનલાઈટિંગ શબ્દ અને તેના લાભાલાભની ચર્ચા ઉપડી છે.
મૂનલાઈટિંગ કે બેવડી નોકરી અંગે ભારતના ઉદ્યોગ જગતનું મંતવ્ય એક સમાન નથી. દેશની એક ટોચની આઈ.ટી. કંપનીએ તેના કર્મચારીઓને બેવડી નોકરી અંગે પહેલા સાવધાન કરતી નોટિસ આપી અને પછી તપાસ કરતાં બેવડી નોકરી કરતાં ત્રણસો કર્મચારીઓને એક ઝાટકે છૂટા કરી દીધા. બીજી તરફ ઓનલાઈન ફૂડ ડિલવરી કરતી એક કંપનીએ ઈન્ડસ્ટ્રી ફર્સ્ટના મંત્ર સાથે એના કર્મચારીઓને બીજે નોકરી કરવાની છૂટ આપી દીધી છે. આઈ.ટી. અને સ્કીલ ડેવલપમેન્ટ વિભાગના કેન્દ્રીય મંત્રી રાજીવ ચન્દ્રશેખરે પણ મૂનલાઈટિંગનું સમર્થન કર્યું છે. આમ આ વિષયે મતમતાંતર પ્રવર્તે છે.
ગુજરાતીમાં કહેવત છે કે વહેલી પરોઢનું દળેલું અને જુવાનીનું રળેલું કામ આવે છે. અર્થશાસ્ત્રનો નિયમ છે કે દરેક વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે. કોવિડ મહામારીને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓએ માનવીને વધુ રળવા અને માનવ મટી વસ્તુ બની પોતાનું ઉપયોગિતા મૂલ્ય વસૂલવા મજબૂર કર્યો છે. ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવી હતી. જેમને કમ્પ્યૂટર કે ઈન્ટરનેટ પર કામ કરવાનું છે તેવા આઈ.ટી. પ્રોફેશનલ્સ અને અન્ય માટે ફાજલ સમય ઊભો થયો તો જે આર્થિક તંગી ઊભી થયેલી તેના ઉકેલ માટે વધુ કમાવી લેવા લલચાવ્યા. તેને કારણે આઈ.ટી. સેકટરમાં મૂનલાઈટિંગ જોવા મળી રહ્યું છે.
બેવડી નોકરીના તરફદારોનો મત છે કે કોઈ કર્મચારી તેની મહેનત અને પ્રતિભાનું ઉચિત મૂલ્ય ઈચ્છે તો તેમાં ખોટું શું છે ? વળી તેનો આશય પૂરક આવક મેળવવાનો અને વધુ સારી જીવનશૈલી અપનાવવાનો છે. જો તે આર્થિક રીતે વધુ સંપન્ન હશે તો ચિંતામુક્ત થઈને કામ કરી શકશે. તેની અસર તેની કાર્યક્ષમતા પર જોઈ શકાશે. કેન્દ્રીય મંત્રી પણ દેશના આત્મવિશ્વાસસભર યુવાનોને સ્ટાર્ટ અપ માટે તક આપવા ઉદ્યોગોને મૂનલાઈટિંગ પર પ્રતિબંધ જેવા બંધનો ન મૂકવા જણાવે છે. વિદેશોમાં જ્યાં મૂનલાઈટિંગ પ્રવર્તે છે તે દેશો આવક વધતાં વધુ કર મેળવીને ખુશ છે. એક અમેરિકી રિપોર્ટમાં બેવડી નોકરીના ચલણને લાભદાયી દર્શાવવામાં આવ્યું છે.
તેના કરતાં સાવ સામા છેડાની દલીલો મૂનલાઈટિંગના વિરોધીઓની છે. ભારતના કોઈ કાયદામાં સીધી રીતે બેવડી નોકરીનો બાધ નથી. પણ જો સરખા પ્રકારની નોકરી કે કામ હોય તો ગોપનીયતાનો પ્રશ્ન ઉદ્દભવે છે. કંપનીની અનુમતી વિના આ પ્રકારની નોકરી વિશ્વાસઘાત કે કંપની પ્રત્યેની નિષ્ઠાનું ઉલ્લંઘન છે. કર્મચારી તેની શારીરિક ક્ષમતા કરતાં વધુ કલાક કામ કરે અને તેને પૂરતો આરામ ન મળે તો તેની અસર તેના આરોગ્ય પર પડે છે. તેને કારણે તે બંને કામને સરખો ન્યાય આપી શકે નહીં. તે કામચોરી કરે તો ઉત્પાદન અને તેની ગુણવત્તા પર અસર પડે છે. વળી આ અનુચિત, અનૈતિક તો છે જ નોકરીની શરતોનો ભંગ પણ છે.
કર્મચારી તેના કામના નિશ્ચિત કલાકો પછી કંઈ પણ કરવા સ્વતંત્ર છે. તે તેના ફાજલ સમયનો ઉપયોગ પરિવાર અને મિત્રો સાથે ગાળે, આરામ કરે કે કોઈ કામ કરે તેના પર કોઈ નિયંત્રણ લાદી શકાય નહીં. કર્મચારી કોઈ વેઠિયો મજૂર નથી કે તેના પર બીજી નોકરી નહીં કરવાની લક્ષ્મણ રેખા નોકરીદાતા મૂકી શકે. જ્યારે તેની આવક મર્યાદિત હોય અને ખર્ચ વધારે હોય તો તે બીજું કામ કરવા મુક્ત હોવો જોઈએ. ખરેખર તો નિયોક્તાએ એ વિચારવું જોઈએ કે તેના કર્મચારીને બીજા કામની આવશ્યકતા કેમ ઊભી થઈ ? શું તેને જીવનનિર્વાહ જેટલું વેતન મળતું નથી તેના કારણે તો તેને આવું કરવાની લાચારી ઊભી થઈ છે કે કેમ? તે વિચારીને મૂનલાઈટિંગના સવાલને આત્મખોજનો વિષય બનાવવો જોઈએ.
ફાજલ સમયમાં પૂરક આવક મેળવવા માટે કરવું પડતું કામ અને મૂનલાઈટિંગ કે બેવડી નોકરી વચ્ચેનો ભેદ પણ પારખવાની જરૂર છે. જો તેને મળતું વેતન જીવનનિર્વાહ માટે અપર્યાપ્ત હોય તો વેતન વૃદ્ધિ કેમ થઈ શકતી નથી ? વળી કરોડો હાથ રોજગારવિહોણા હોય અને દેશમાં બેરોજગારી ચરમસીમાએ હોય તો બેવડી નોકરીનું ઔચિત્ય કેટલું ? દીર્ઘ કામદાર-કર્મચારી લડતો પછી કામના નિશ્ચિત કલાકોનો અધિકાર મેળવી શકાયો છે. હવે ભલે કર્મચારીઓનો એક નાનકડો વર્ગ ખુદ જ તેનો ભંગ કરે પણ તેનાથી કામના આઠ કલાકના અધિકારની સાર્થકતા પર પણ સવાલો ઊઠી શકે છે. મધ્યમ વર્ગને એશોઆરામ માટે નહીં પણ ઘરના બે છેડા ભેગા કરવા જો બેવડી નોકરીનો ભાર વેઠવો પડતો હોય અને ઉદ્યોગપતિઓ તેને પોતાના પર માર તરીકે જોતા હોય તો સરકારે મૂનલાઈટિંગને અર્થવ્યવસ્થા માટે ઉપકારક કે સારી બાબત તરીકે મૂલવવાને બદલે તેના સઘળા પાસાંઓનો વિચાર કરવો ઘટે.
e.mail : maheriyachanu@gmail.com
![]()


પંચાયતીરાજ પ્રથાને ભારતનો પ્રાચીનતમ ભવ્ય વારસો ગણવામાં આવે છે. ‘મહાભારત’ના શાંતિપર્વમાં ગ્રામસભાનો અને કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં ગ્રામપંચાયતનો નિર્દેશ મળતો હોવાની ગવાહીઓ રજૂ કરાય છે. બ્રિટિશ શાસનકાળમાં ભારતનાં મોટાં શહેરોમાં મ્યુનિસિપલ તંત્ર દાખલ કરવામાં આવ્યું હોવાના કે આઝાદી પૂર્વે પંચાયતોની રચના સંબંધી કાનૂની પગલાં લેવાયાના દાખલા દેવાય છે.
સામાન્ય લોકોમાં તો ભગતસિંઘ (૧૯૦૭-૧૯૩૧) અંગ્રેજ અફસરની હત્યા કરનાર અને એસેમ્બલી પર બોંબ ફેંકનાર વીરલ લોકનાયક, ક્રાંતિવીર અને શહીદેઆઝમ તરીકે જ વધુ જાણીતા છે. પરંતુ તેઓ લેખક, વિચારક, ચિંતક અને અધ્યયનશીલ બૌદ્ધિક પણ હતા. માંડ સાડા ત્રેવીસ વરસની આવરદામાં એમણે જે બે વરસ જેલમાં ગાળ્યા ત્યાં ગહન અધ્યયન કર્યું હતું. સરકારી રેકર્ડ મુજબ જેલવાસ દરમિયાન તેમણે અંગ્રેજી. હિંદી, ઉર્દૂ, પંજાબી અને બંગાળી ભાષાનાં ૩૦૨ પુસ્તકો વાંચ્યા હતા. અગાઉ લાહોરની નેશનલ લૉ કોલેજ કહેતાં ‘તિલક સ્કૂલ ઓફ પોલિટિક્સ’ના વાચનસંસ્કાર તો હતા જ. ભગતસિંઘે જેલવાસમાં માર્ક્સથી ગાંધી અને ગોર્કીથી રવીન્દ્રનાથ સુધીના અગિયારેક લેખકોના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, નાસ્તિકતા, શોષણ જેવા વિષયો પર ગંભીર ચિંતન કર્યું હતું. ૭૧૬ દિવસોના જેલવાસ દરમિયાન તેમણે ૪૦૪ પૃષ્ઠોની જેલ ડાયરી, અસંખ્ય પત્રો અને લેખો તથા ‘મેં નાસ્તિક ક્યોં હું’ પુસ્તિકા લખી હતી.
અસહયોગ આંદોલનની નિષ્ફળતા અને કોમી રમખાણોને કારણે દેશમાં ફેલાયેલી નિરાશાના એ દિવસોમાં આધુનિક વિચારોના જે અનેક નવા નેતાઓ ઉભરી રહ્યા હતા તેમાં ભગતસિંઘને નેતાજી અને નહેરુજી સવિશેષ ઉલ્લેખનીય લાગ્યા હતા. ભગતસિંઘ નેતાજીને ‘બંગાલના પૂજનીય’ અને નહેરુજીને ‘માનનીય’ તરીકે ઓળખાવે છે. તેઓ આ બંને નેતાઓને સમજદાર, સાચા દેશભક્ત અને આઝાદીના કટ્ટર સમર્થક ગણાવે છે.