ઇરાન-ઇઝરાયલ ફરી સામસામે આવીને મરણિયા થયા છે. ઇઝરાયલ સાથે અમેરિકા છે અને તેથી હવે ઇરાન સાથે કોઈ દેખાઈ રહ્યું નથી. છેલ્લે જે ખબર આવ્યા તે પ્રમાણે ઇઝરાયલ-અમેરિકાના હૂમલાથી ઇરાનના શહેરો તહસનહસ થઈ રહ્યા છે. આ યુદ્ધ થવાનાં અનેક કારણો છે; પરંતુ મૂળે તો આ ગજગ્રાહ સામ્રાજ્યવાદ, કુદરતી સંપદા મેળવવાનો અને અહંકારનો છે. વિશ્વમાં આ સ્થિતિ આજે ડોનાલ્ડ ટ્રમ્પ, બ્લાદિમિર પુતિન કે નેતન્યાહૂના શાસનમાં નથી આવી; તે અગાઉ પણ વિશ્વ આવી દોજખભરી સ્થિતિમાં આવ્યું છે અને તેનો ઉલ્લેખ વિગતે આપણા દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના પુસ્તક ‘જગતના ઇતિહાસના રેખાદર્શન’માં કર્યો છે. મૂળે આ પુસ્તક અંગ્રેજીમાં ‘ગ્લીમ્પ્સિસ ઑફ વર્લ્ડ હિસ્ટરી’ નામે લખાયું છે અને તે પછી તેનો અનુવાદ મણિભાઈ ભ. દેસાઈએ કર્યો છે. આ પુસ્તકમાં અનેક એવાં પ્રકરણ છે- જે વાંચીએ તો ખ્યાલ આવે કે આજે ય પા-સદી-સદી પહેલાંની સ્થિતિ છે. માણસ તેના ભૂલથી કશું ય શીખ્યો નથી તેવું જવાહરલાલ નેહરુના કલમે વાંચીને આપણે કહી શકીએ. ‘યુદ્ધની છાયા’ના પ્રકરણ અંતર્ગત તેઓ લખે છે : ‘રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની આ હરીફાઈ એ ખરેખર મૂડીવાદી ઉદ્યોગોનું અનિવાર્ય પરિણામ હતું. બજારોની તેમ જ કાચા માલની દિનપ્રતિદિન વધતી જતી માગણીએ મૂડીવાદી સત્તાઓ પાસે સામ્રાજ્ય માટે દુનિયાની ફરતે દોડાદોડની કેવી હરીફાઈ કરાવી તે આપણે જોયું. એ સત્તાઓ એશિયા તથા આફ્રિકામાં જ્યાં-ત્યાં દોડી વળી અને તેમનું શોષણ કરવાને હાથમાં આવે એટલો બધો મુલક પચાવી પાડ્યો. આ રીતે આખી દુનિયા ખૂંદી વળ્યા પછી પગ પસારવાનું એકે સ્થાન બાકી ન રહ્યું એટલે સામ્રાજ્યવાદી સત્તાઓ એકબીજાની સામે ઘુરકિયાં કરવા તથા એકબીજાના તાબાના મુલકો તરફ લોભી નજરે જોવા લાગતી. એશિયા, આફ્રિકા તથા યુરોપમાં આ મહાન સત્તાઓ વચ્ચે વારંવાર અથડામણો થવા પામી અને ક્રોધની લાગણી ભભૂકી ઊઠી તથા યુદ્ધ ફાટી નીકળશે કે શું, એમ ભાસવા લાગ્યું.’ જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે છે ત્યારે કોઈ દેશ માનવતાવાદી વલણ લેતું નથી તે હાલમાં ઇરાન પર થયેલાં હૂમલામાં જોઈ શકાય છે. યુરોપ અને પશ્ચિમી દુનિયા હંમેશાં માનવતાવાદી અને ઉદાર વલણ દેખાય તે રીતે નિવેદન આપે છે; પરંતુ ઇરાનના વડા આયતુલ્લાહ અલી ખામેનીની હૂમલામાં થયેલા હૂમલા બાદ યુરોપના દેશોએ કોઈ નિંદા ન કરી. એ ચોક્કસ છે કે ખામેનીનું શાસન ઇરાનમાં સરમુખત્યારશાહીભર્યું હતું, પરંતુ તેનો ન્યાય અમેરિકા કે ઇઝરાયલ ન તોળી શકે.

યુદ્ધનું પરિણામ શું આવી શકે તે પણ નેહરુએ લખ્યું છે. તેઓ લખે છે : ‘યુદ્ધ કેવળ ખર્ચાળ વસ્તુ છે, ભયંકર ખર્ચાળ વસ્તુ છે. કીમતી વસ્તુઓના ડુંગરોના ડુંગરો એ હોઈયાં કરી જાય છે અને કેવળ ભીષણ સંહાર જ એમાંથી નીપજે છે. સંપત્તિ ઉત્પન્ન કરનારી ઘણીખરી પ્રવૃત્તિઓ તે અટકાવાં દે છે અને પ્રજાની શક્તિ વિના કરવામાં કેન્દ્રિત કરે છે. આ બધાં નાણાં ક્યાંથી આવવાના હતા?’ હવે નેહરુ જે પ્રશ્ન પૂછે છે કે નાણાં આવે છે ક્યાંથી? તે પ્રશ્ન આજે ય ઊભો છે. અમેરિકા પોતે દેવામાં ડૂબેલું છે, તેમ છતાં તેનું ડિફેન્સ બજેટ દર વર્ષે વધી રહ્યું છે. અમેરિકા કોઈ પણ ભોગે પોતાની સત્તા દુનિયામાં ટકાવી રાખવા માંગે છે. એ જ પ્રમાણે રશિયાએ પણ પોતાનું ડિફેન્સ નબળું થવા દીધું નથી. ડિફેન્સ સાથે મસમોટું શસ્ત્રોનું માર્કેટ જોડાયેલું છે અને તે માર્કેટમાં સૈન્યના સાધનો સૌથી વધુ એક્સ્પોર્ટ કરનારા દેશોમાં પ્રથમ ક્રમ અમેરિકાનો આવે છે. કુલ એક્સ્પોર્ટ થનારા સૈન્ય સાધનોમાં અમેરિકાનો હિસ્સો 43 ટકા છે. મતલબ કે દુનિયાના કોઈ પણ હિસ્સામાં યુદ્ધ થતું રહે તેનો પરોક્ષ કે પ્રત્યક્ષ લાભ અમેરિકાને થઈ રહ્યો છે! એ પછી ફ્રાન્સનો હિસ્સો એક્સ્પોર્ટમાં દસ ટકાની આસપાસ છે. રશિયા જે રીતે પોતાનું સામ્રાજ્ય વ્યાપક બનાવવા માંગે છે તેના પ્રમાણમાં તેનો એક્સ્પોર્ટમાં હિસ્સો ઘણો ઓછો છે. પછીના સ્થાને ચીન આવે છે, જેનો હિસ્સો પાંચ ટકાની આસપાસ છે. એકથી દસમાં અન્ય દેશોમાં મહદંશે યુરોપના છે. માત્ર બે દેશો બીજા છે તેમાં એક નામ ઇઝરાયલ છે અને બીજું કોરિયા. શસ્ત્રોનો આ બિઝનેસ થાય છે તે ખરીદનારાઓમાં કોણ છે તો તેમાં સૌથી પહેલું નામ યુક્રેનનું છે. યુક્રેન અત્યારે પોતાના સૈન્ય સાધનો અમેરિકા અને યુરોપથી લેતું હોવું જોઈએ. બીજો ક્રમ ભારતનો છે. તે પછી કતાર અને સાઉદી અરેબિયા છે. પાંચમા ક્રમે પાકિસ્તાન છે. એકથી દસ ક્રમમાં સૈન્ય સાધનોનું આયાત કરનારાં દેશોમાં આર્થિક રીતે સૌથી નબળા કોઈ દેશ હોય તો તે ભારત અને પાકિસ્તાન છે. આ બંને દેશોએ સુરક્ષાનો સવાલ સર્વોપરી રાખીને જંગી નાણાંનું રોકાણ સૈન્ય સાધનોમાં કર્યું છે. આ બંને દેશના દાખલાથી યુદ્ધ કે યુદ્ધની તૈયારી કેટલી ખુંવારી કરી શકે તે સ્પષ્ટ રીતે જાણી શકાય.

શસ્ત્રોની હરીફાઈ વિશે પણ જે નોંધ્યું છે તેથી જાણી શકાય કે આ હરીફાઈ કેવી રીતે આગળ વધે છે. નેહરુ શસ્ત્રની હરીફાઈ વિશે લખે છે : ‘ભય એ તો ભીષણ વસ્તુ છે. દરેક દેશે યુદ્ધ માટેની તૈયારી કરવા માંડી અને બની શકે એટલા પ્રમાણમાં તે શસ્ત્રસજ્જ થવા લાગ્યો. શસ્ત્રસરંજામની હરીફાઈ શરૂ થઈ અને એ હરીફાઈની વિચિત્રતા એ હતી કે, એક દેશ પોતાનો શસ્ત્રસરંજામ વધારે તો બીજા દેશોને તેમ કરવાની પરાણે પણ ફરજ પડે છે. શસ્ત્રસરંજામ, એટલે કે, તોપો, યુદ્ધજહાજો, દારૂગોળો તથા લડાઈમાં વપરાતી બીજી બધી વસ્તુઓ ઉત્પન્ન કરનાર ખાનગી પેઢીઓને સ્વાભાવિક રીતે જ એથી ભારે નફો થયો અને તે માતબર બની. એ પેઢીઓ એથીયે આગળ વધી અને દેશો તેમની પાસેથી વધારે શસ્ત્રો ખરીદવાને પ્રેરાય એટલા ખાતર ખરેખાત તેમણે યુદ્ધની ભયજનક અફવાઓ ફેલાવવા માંડી. શસ્ત્રસરંજામ ઉત્પન્ન કરનાર આ પેઢીઓ ભારે ધનાઢ્ય અને બળવાન હતી તથા ઇંગ્લન્ડ, ફ્રાંસ અને જર્મનીના તથા અન્ય દેશોના મોટા મોટા અમલદારો તથા પ્રધાનમંડળના સભ્યો એના શૅરો ધરાવતા હતા અને એ રીતે તેની સમૃદ્ધિમાં તેમનો સ્વાર્થ રહેલો હતો. યુદ્ધની ભયજનક અફવાઓ દ્વારા કે યુદ્ધ દ્વારા જ શસ્ત્ર સરંજામની પેઢીઓ સમૃદ્ધ થઈ શકે. ઘણી સરકારોના પ્રધાનો તથા મોટા મોટા અમલદારોનું આ રીતે યુદ્ધમાં આર્થિક હિત સમાયેલું હતું. જુદા જુદા દેશોને યુદ્ધ અંગેના ખરચમાં વધારો કરવાને પ્રેરવાના બીજા ઉપાયો પણ આ પેઢીઓએ અજમાવ્યા. લોકમત ઉપર અસર પહોંચાડવાને તેમણે છાંપાઓ ખરીદી લીધા, ઘણી વાર સરકારી અમલદારોને લાંચ આપી તથા પ્રજાને ઉશ્કેરવાને માટે ખોટી વાતો પણ ફેલાવી.’

યુદ્ધની આ વરવી વાસ્તવિકતા છે અને તેનાથી ગુમરાહ કરવાનું કામ રાજકીય નેતાઓ કરે છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે અમેરિકા જેવા દેશના વડા તો છે જ, પણ માર્કેટમાં તેમનો હિસ્સો પણ ઘણો મોટો છે. વિશ્વભરમાં ‘ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન’ નામ અંતર્ગત ચાલતાં ધંધા-વ્યવસાય પ્રસરેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ ઓર્ગેનાઇઝેશન કન્સ્ટ્રક્શન, એન્ટરટેઇનમેન્ટ, ઓનલાઇન શોપિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને ટેલિકોમ્યુનિકેશનમાં પોતાનો વેપાર ધરાવે છે. 2024ના વર્ષમાં ટ્રમ્પના ઓર્ગેનાઇઝેશનનું રેવન્યૂ છસ્સો મિલિયન ડોલર હતી. એ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અનેક બિઝનેસ ધરાવે છે. હવે જ્યારે કોઈ દેશનો વડો આવાં બિઝનેસમાં હોય ત્યારે તેની પ્રાથમિકતામાં પ્રજા કેવી રીતે આવી શકે?
યુદ્ધના નામે લોકોને કેવી રીતે છેતરવામાં આવે છે તે પણ નેહરુએ 1945ના અરસામાં પ્રથમ વિશ્વયુદ્ધના સંદર્ભે લખ્યું છે. તેઓ લખે છે : ‘ચાર વરસ સુધી યુરોપને તથા એશિયા અને આફ્રિકાના કેટલાક ભાગોને ખેદાન-મેદાન કરી નાખનાર, ભરયુવાનીમાં કરોડો તરુણોનો ભોગ લેનાર તથા જેને મહાયુદ્ધ કે વિશ્વયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે, તે યુદ્ધ વિશે હું તને શું લખીશ વારુ? વિગ્રહ એ વિચાર કરવા જેવો મજાનો વિષય નથી. એ તો કદરૂપી ચીજ છે. પરંતુ ઘણી વાર એનાં વખાણ કરવામાં આવે છે તથા એને ભભકાદાર રંગોમાં ચીતરવામાં આવે છે. વળી એમ પણ કહેવામાં આવે છે કે, અગ્નિ જેમ કીમતી ધાતુઓને શુદ્ધ કરે છે તેમ વધારેપડતા એશઆરામ તથા જિજીવિષાને કારણે કોમળ અને દૂષિત થઈ ગયેલી સુસ્ત પ્રજાઓને તે શક્તિશાળી બનાવે છે. જાણે કે વિગ્રહ જ એ સદગુણો પેદા કરતો હોય તેમ અપૂર્વ ધૈર્ય અને હૃદયને હલમલાવનારાં બલિદાનોનાં દૃષ્ટાંતો આપણી આગળ ટાંકવામાં આવે છે.’ યુદ્ધની નિરર્થકતા માટે તો ઘણું સાહિત્ય છે જે ટાંકી શકાય.
e.mail : kirankapure@gmail.com
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”
![]()



હવે ‘જીવનનું પરોઢ’ વિશે. આ પુસ્તક પ્રથમ વાર 1948માં નવજીવન દ્વારા પ્રકાશિત થયું હતું. જો કે પુસ્તક પ્રકાશિત થયું તે અગાઉ 25 વર્ષ અગાઉ સાબરમતી આશ્રમ અંતર્ગત ચાલતી રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓનું ‘મધપૂડો’ નામનું એક હસ્તલિખિત માસિક ચાલતું હતું – તેમાં સૌથી પહેલાં ‘જીવનનું પરોઢ’ના પ્રકરણ પ્રકાશિત થયા હતા. તે વખતે તેના વાચકોમાં મહદંશે સાબરમતી આશ્રમના નિવાસીઓ હતા; પરંતુ આ પ્રકરણો એટલાં રસાળ શૈલીમાં લખાયા કે તે પછી તેને પુસ્તક તરીકે પ્રકાશિત કરવાનો વિચાર સાકાર થયો. પ્રભુદાસ ગાંધીએ જ્યારે આ પ્રકરણો લખ્યાં ત્યારે તેમની ઉંમર 12 વર્ષની હતી. તેમણે આમાં દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમના અનુભવો અને આફ્રિકામાં સત્યાગ્રહ ચાલતાં ત્યારે તેની ચહલપહલ આશ્રમમાં કેવી હતી તે પણ આલેખ્યું છે. આ પ્રકરણો ‘મધપૂડો’માં લખાયા ત્યારે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ લખ્યો નહોતો, તેથી સાબરમતી આશ્રમના નિવાસીઓ અને દક્ષિણ આફ્રિકાથી ગાંધી સાથે પાછા ફરનારા ફિનિક્સવાસીઓને પણ પ્રભુદાસ ગાંધીનું આ લખાણ વાંચવું ખૂબ ગમ્યું.
કાકાસાહેબે પ્રભુદાસ ગાંધીના વ્યક્તિત્વ વિશે પ્રસ્તાવનામાં ઘણી વાતો લખી છે. સાહિત્યની દૃષ્ટિએ આટલું ઉત્તમ પુસ્તક લખનારા પ્રભુદાસ ગાંધી વિશે કાકા લખે છે : ‘છેક નાનપણથી પ્રભુદાસને કહેવામાં આવ્યું હતું કે ‘એ ઠોઠ છે. જરા ય કશી હોશિયારી એનામાં નથી? દેવદાસ જેટલી હોશિયારી પ્રભુદાસમાં, ભલે ન હોય, નાના કચા (કૃષ્ણદાસ) [પ્રભુદાસના ભાઈ] જેટલી ચતુરાઈ પણ એનામાં ન હોય, પણ મેં તો એને બુદ્ધિ વગરનો જોયો કે માન્યો નથી. પણ ઘરના મુરબ્બીઓએ, ભલે અત્યંત સદ્બુદ્ધિથી પણ એનામાં જે आत्मनि अप्रत्यय ઠોકી બેસાડ્યો તે એના સ્વભાવનું એક અંગ જ બની ગયું અને વિદ્યાનિષ્ઠા, કર્મનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા ઇ. સમર્થ સદ્દગુણો એની પાસે હોવા છતાં એક આત્મવિશ્વાસને અભાવે એની આખી કારકિર્દી જાણે કરમાઈ ગઈ.’
‘જીવનનું પરોઢ’ ચાર ભાગમાં લખાયેલું છે. તેના ત્રણ ભાગમાં 21 પ્રકરણ છે અને આખરના ભાગમાં 20 પ્રકરણ છે. પુસ્તકના પરિશિષ્ટોમાં ગાંધીજીના પોરબંદરના ઘરનું આલેખન છે. સંભવત્ ગાંધીજીના પોરબંદરના ઘરનું આવું શબ્દચિત્ર ક્યાં ય મળતું નથી. પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આફ્રિકાનો એ હિસ્સો જ્યાં ગાંધીજીનો ફિનિક્સ આશ્રમ હતો તે ધીરે ધીરે પ્રભુદાસ ગાંધીના શબ્દ થકી આપણી આંખ સમક્ષ ખડો થાય છે. ફિનિક્સની અસંખ્ય ઘટનાઓ એવી છે – જેની નોંધ આ પુસ્તકમાં જ મળે છે. ગાંધીજીએ પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને લોકોનું વર્ણન બખૂબી કર્યું છે, પરંતુ પ્રભુદાસ ગાંધીએ તે વર્ણન વધુ વિસ્તારથી અને રસપૂર્વક કર્યું છે. અહીં પ્રભુદાસ ગાંધીના થોડાંક શબ્દો ન મૂકીએ તો આ લેખની અધૂરપ છતિ થશે. ‘કુદરતના ખોળે’ પ્રકરણમાં પ્રભુદાસ લખે છે : ‘કુદરત અને માતાનો એ સ્વભાવ જ છે કે તમે ભલે એની કિંમત ન સમજતા હો પણ એ તો તમને પોતાના અમીરસથી નવડાવ્યે જ રાખે. ફીનિક્સમાં જ્યારે અમે એકલા પડ્યા. અમારાં માબાપ ને બાપુજી જેલ ગયાં અને મગનકાકા છાપખાનામાં ગોંધાઈ ગયા ત્યારે એ સૂના જંગલમાં કુદરત સાથેની અમારી દોસ્તી વધી ગઈ. કોઈ કોઈ વાર તો એ અમને ખૂબ રમાડતી. અનેરાં પંખીઓના ટહુકા ભેગો સાદ પુરવવામાં ને તેમની સાથે એકલાં એકલાં ગપ્પાં મારવામાં મને એટલી બધી મજા આવતી કે કલાકોના કલાકો સુધી હું પંખીગીત સાંભળતો અને કોઈક વાર એમાં ઝીણો સાદ પુરાવતો બેસી રહેતો.’
સરદાર-નેહરુને આમનેસામને મૂકવાનો વાયરો એટલો ચાલ્યો છે કે આ બંનેની જોડીએ લાંબા સમય સુધી ખભેખભા મિલાવીને કરેલાં કાર્યોને અવગણી દેવાય છે. આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન રહેનારા આ બંને આગેવાનો વચ્ચે મતભેદ હતા; પરંતુ તેમના માટે સર્વોપરીતા દેશની હતી. સરદાર-નેહરુના સંબંધો વિશે લખાયેલા ઇતિહાસમાં થોડા ઊંડા જઈએ તો તેમની વહીવટી જુગલબંદીના અજોડ દાખલા મળે છે. એકસાથે આ પ્રકારના દાખલા જોવા હોય તો તેમના વચ્ચેનો પત્રવ્યવહાર સહજ-સરળ માર્ગ છે. સરદાર-નેહરુના સંબંધોમાં સૌથી કટોકટીનો સમય દેશની આઝાદી કાળનો હતો; જેમાં દેશનું વિભાજન થયું, ઠેરઠેર રમખાણો થયાં, દેશ-નિર્માણની જવાબદારી આવી અને તે દરમિયાન ગાંધીજીની હત્યાથી વાત ઓર વણસી હતી. આ બંને આગેવાનોનો રાજકીય કાળ સાથે-સાથે આરંભાયો અને ચાલ્યો. એક પાક્કા કર્મવીર બન્યા અને બીજા સ્વપ્નદૃષ્ટા. બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. બંનેની વિચારવાની ઢબ જુદી હતી. વિવિધ મુદ્દા વિશે તેમનો દૃષ્ટિકોણ વેગળો હતો. આ કારણે તેમના ભેદ વિશે ખૂબ ચર્ચાઓ તે વખતે પણ થઈ અને આજે પણ તે દોર અટક્યો નથી.