થોડા મહિનાઓ પહેલાં દિલ્હીમાં સામૂહિક બળાત્કારના અતિ ક્રૂર અને ઘૃણાસ્પદ ગુનાહિત કૃત્યને સમાચાર સંસાધનોએ ઘણું મહત્ત્વ આપ્યું, જેને પરિણામે સમગ્ર ભારતમાં અને વિદેશ વસતા ભારતીયોએ આવા પ્રશ્નોના અટકાવ માટે તત્કાલ પગલાં લેવાં જોઈએ, એવી પ્રબળ માગણી કરી. સામાન્ય જનતાએ રાજકાણીઓને પોતાની માગણીઓ કોઈ જાતના ડર વિના જણાવી.
આવી ઘટનાઓ બને ત્યારે ગૃહમંત્રી તથા બીજા લાગતા વળગતા પદાધિકારીઓ તુર્ત કામે લાગી જાય. ઉપરની ઘટનાના સંદર્ભમાં જોઈએ તો બસ સેવાની કંપનીઓને બસના કાચ પારદર્શક રાખવા, તેના પર પડદા ન રાખવા, અને ડ્રાઇવર્સ જે તે કંપની દ્વારા જ નોકરી પર નીમવામાં આવે એવા નિયમોનું પાલન કરવાની સૂચના અપાઈ. આવાં ત્વરિત પગલાં જરૂર સ્વીકાર્ય છે. લોકસભાએ સ્ત્રીઓ પ્રત્યે આચરવામાં આવતા ગુન્હાઓની તીવ્રતા અને ગંભીરતાના પ્રમાણમાં સજાનું ક્રમિક ચડતું પ્રમાણ રહે અને એવા કેઈસીસનો વિના વિલંબ નિકાલ થાય એવો ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે તત્કાલ મોકલી આપ્યો, એ પગલું પણ સરાહનીય છે. જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આવા બનાવો બને ત્યારે આ બધા નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે પછી સ્મશાન વૈરાગ્યની માફક નિયમો-કાયદા ઘડીને સંતોષ માની લેવાય છે. એ ઘટનાના ગુન્હેગારો પકડાયા અને ૨૦ વર્ષની સજા ફટકારાઈ. ભારતીય ન્યાયતંત્રની કેઈસની ત્વરિત સુનાવણી અને ચુકાદા આપવા માટે આ એક અભિનંદનીય સિદ્ધિ હતી.
જરા ઊંડાણથી વિચારતા પ્રશ્ન ઊઠે છે કે આવી દુર્ઘટનાઓથી સરકાર અને પોલિસ વિભાગની નાલેશી થતી હોય છે. તો શું એ બદનામીનો ડાઘ ધોવા માટે અને દેશના યુવક-યુવતીઓની છંછેડાયેલી લાગણીઓને શાંત કરવા માટે લીધેલાં આવાં પગલાંઓથી નારી સુરક્ષાનો પ્રશ્ન કાયમ માટે હલ થઇ જશે ? આમ જુઓ તો ભ્રુણ હત્યા, છેડતી, દહેજ આપીને પરણાવવી, સાસરા દ્વારા અપાતો શારીરિક-માનસિક ત્રાસ અને બળાત્કાર જેવા વિવિધ પ્રકારના દુષ્કૃત્યો બાળકીનાં જન્મ પહેલાંથી માંડીને પુખ્ત વયની થતાં સુધીમાં આચરવામાં આવે છે. દિલ્હીમાં બનેલી ઘટના પહેલી નથી, અને છેલ્લી પણ નહીં હોય, તે અત્યંત દુ:ખદ છતાં સત્ય હકીકત છે.
આથી જ સવાલ એ ઊભો જ રહે છે કે આવા પ્રશ્નોનું નિરાકરણ માત્ર બે-ચાર કાયદાઓ ઘડવાથી આવી જશે? તો તો અત્યાર સુધીમાં સમાજ સુધારણાને લગતા અનેક કાયદાઓ ઘડાયા છે, છતાં હજુ એ પરિસ્થિતિ કેમ સદંતર સુધરી નથી? પુખ્ત વયની સ્ત્રીઓ પ્રત્યે થતા ગુન્હાઓના મૂળ તપાસવાથી ખ્યાલ આવશે કે તેને માટે યુવાનો જ નહીં, ખુદ યુવતીઓ અને કેટલાંક કૌટુંબિક – સામાજિક વલણો પણ જવાબદાર છે. ઊગતા કિશોર-કિશોરીઓ યુવાવસ્થાના ઉંબરે પહોંચે ત્યાં સુધીમાં એમની વચ્ચે સ્વચ્છ-સ્વસ્થ મૈત્રી પાંગરે એ શક્યતા આપણો સમાજ ભાગ્યે જ સ્વીકારે છે. આથી જ બાળ લગ્ન જેવી પ્રથાને પ્રોત્સાહન મળ્યું હશે. હજુ પણ યુવાનોના વિજાતીય સંબંધોને મૈત્રી પૂર્ણ પરિમાણ આપવાને બદલે કામુક દ્રષ્ટિએ જ જોવામાં આવે છે, જેથી કુટુંબ અને સમાજ એમના પર પારાવાર અંકુશ રાખે છે, જે કેટલાક કિસ્સાઓમાં યુવાનોની વિજાતીય વ્યક્તિ પ્રત્યેની વિકૃતિમાં પરિણામે છે.
ગ્રામ્ય સમાજમાં સ્ત્રીઓનું અપૂરતું શિક્ષણ અને સામાજિક કુરિવાજોને કારણે એક પ્રકારે શોષણ થતું રહે છે, તો શહેરોમાં કહેવાતા પશ્ચિમી વાયરાને કારણે વિદ્યાર્થી જગત અને નવોદિત યુવક-યુવતીઓ નૈતિક મૂલ્યોના આચરણમાં શિથિલતા ધરાવતા થયા હોવાને પરિણામે સ્ત્રીઓનું બીજા પ્રકારે શોષણ થાય છે.
આજની યુવતીઓ ચીલા ચાલુ ઢબે વસ્ત્ર પરિધાન કરે કે ઘરની ચાર દીવાલો વચ્ચે જ રહે તેવું લગીરે ન ઇચ્છીએ. પણ યુવકોની જાતીય વૃત્તિઓને ઉત્તેજિત કરે તેવા પોષક પહેરી, તેમની સાથે નાચ-ગાન અને ખાણી-પીણી(નશીલા-માદક પીણા સહિત)ના જ્શ્મમાં શામેલ થવું, એ તો છેડતી અને બળાત્કારને જાણી જોઈને નોતરવા જેવું છે. જો કે ઘણા કિસ્સાઓ આમાં અપવાદ રૂપ હોય છે એ નોંધવું રહ્યું. પણ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ વિષયાસકત થતો જાય છે, એ હકીકત છે. પાછલી રાત સુધી ચાલતા જલસાઓમાં જવા સ્ત્રીઓનો સાથ ન હોય તો એમાં જનારા પુરુષોની સંખ્યા પણ ઘટવાની જ છે. આમ બહેનો પણ સ્ત્રી જાત પ્રત્યે થતા ગુન્હાઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા થોડી જવાબદાર ગણાય.
રહી વાત યુવકો-પુરુષોના સ્ત્રીઓ પ્રત્યેના અત્યાચારની. દરેક પરિવાર અને શાળા-કોલેજોની ફરજ બની રહે છે કે નાનપણથી પુત્ર અને વિદ્યાર્થીઓને સ્ત્રીના જુદા જુદા સંબંધોને તેના સાચા સ્વરૂપમાં સમજાવવામાં આવે અને યુવાનો આદર સહિત સ્ત્રીઓના વ્યક્તિત્વનું ગૌરવથી જતન કરે. આ વર્ષે સ્વામી વિવેકાનંદની સાર્ધશતિ ઉજવાઈ રહી છે ત્યારે એમના એક કથનનું સ્મરણ થાય છે. તેઓએ કહેલું કે, ‘સાચું શિક્ષણ એ કહેવાય કે જે બાળકોના, યુવાનોના ચારિત્ર્યનું ઘડતર કરે.’ આજે કેટલાં માતા-પિતા, શિક્ષકો અને પ્રોફેસરો પોતાના સંતાનો અને વિદ્યાર્થીઓના સાચા રાહબર બનીને એમના જીવનનું ખરું ઘડતર કરે છે? શહેરોમાં પ્રદૂષિત હવાથી બચવા સ્ત્રી-પુરુષો આંખ સિવાયનો ચહેરો ઢાંકતા થયા છે, હવે અન્યની પ્રદૂષિત નજરથી બચવા સ્ત્રીઓ બુરખાધારી બને તેવું આપણે ઇચ્છીશું? સમાજનું નૈતિક અધ:પતન નાગરિકોના નબળા ચારિત્ર્યને કારણે જ સંભવે.
જો છુટ્ટી છવાઈ બળાત્કારની ઘટનાઓથી દેશના તમામ માતા-પિતા, રાજકારણીઓ, યુવકો અને કાર્યશીલોને ખરેખર ગ્લાનિ થઈ હોય તો આ પ્રશ્નના મૂળ કારણો વિષે વિચાર કરીને માત્ર સરકારી કાયદાઓ પર આધાર રાખવાને બદલે, સમાજના બધા એકમોએ, પોતાનું ઉત્તરદાયિત્વ સમજી-સ્વીકારીને, સાથે મળીને, આવી પરિસ્થિતિ ફરી કદી ઊભી ન થાય, એ માટે કાયમી પગલાં ભરવાની પ્રતિજ્ઞા લે તો જ આવી ઘટનાઓથી ત્રસ્ત યુવતીઓ કે જેને આત્મહત્યા જેવાં આત્યંતિક પગલાં લેવાની ફરજ પડી છે, તેમનું સાચું તર્પણ થશે. ભાવિ પેઢીની સુરક્ષા કરવાનું આપણું સહુનું કર્તવ્ય છે, એ રખે ચૂકીએ.
e.mail : ten_men@hotmail.com
 


 ‘ક્વેકર પીસ મૂવમેન્ટ’[Quaker Peace movement]ની ઉત્તર ઇંગ્લેન્ડમાં સ્થાપના થયાને આ વર્ષે ૧૦૦ વરસ પૂરાં થયાં. બીજા વિશ્વયુધ્ધના નગારાં વાગતાં હતાં, તે સમયે વિલિયમ પેન[William Penn]નું વિધાન : ‘PEACE can only be secured by JUSTICE; never by force of arms.’ મારા મનમાં વિચારોનો વંટોળ પેદા કરી ગયું. વળી ૧૯૩૨-’૩૪ દરમ્યાન, જીનિવામાં વિશ્વ નિ:શસ્ત્રીકરણ સંમેલન મળેલું જેમાં લીગ ઓફ નેશન્સના સભ્ય દેશોએ શસ્ત્રો બનાવવા/વેચવા પર પ્રતિબંધ લાવવાનો અને સંઘર્ષો નિવારવા વૈકલ્પિક માર્ગ લેવા માટે દુનિયાના સભ્ય દેશોને પ્રોત્સાહિત કરેલા. કરુણતા તો એ છે કે તેમ છતાં ય બે વિશ્વયુધ્ધો ખેલાયા અને હજુ હિંસાના ખપ્પરમાં લાખો નિર્દોષના જાન હોમાય છે, એવે સમયે ઉપરોક્ત પ્રશ્ન મનમાં ઉદ્દભવ્યો.
‘ક્વેકર પીસ મૂવમેન્ટ’[Quaker Peace movement]ની ઉત્તર ઇંગ્લેન્ડમાં સ્થાપના થયાને આ વર્ષે ૧૦૦ વરસ પૂરાં થયાં. બીજા વિશ્વયુધ્ધના નગારાં વાગતાં હતાં, તે સમયે વિલિયમ પેન[William Penn]નું વિધાન : ‘PEACE can only be secured by JUSTICE; never by force of arms.’ મારા મનમાં વિચારોનો વંટોળ પેદા કરી ગયું. વળી ૧૯૩૨-’૩૪ દરમ્યાન, જીનિવામાં વિશ્વ નિ:શસ્ત્રીકરણ સંમેલન મળેલું જેમાં લીગ ઓફ નેશન્સના સભ્ય દેશોએ શસ્ત્રો બનાવવા/વેચવા પર પ્રતિબંધ લાવવાનો અને સંઘર્ષો નિવારવા વૈકલ્પિક માર્ગ લેવા માટે દુનિયાના સભ્ય દેશોને પ્રોત્સાહિત કરેલા. કરુણતા તો એ છે કે તેમ છતાં ય બે વિશ્વયુધ્ધો ખેલાયા અને હજુ હિંસાના ખપ્પરમાં લાખો નિર્દોષના જાન હોમાય છે, એવે સમયે ઉપરોક્ત પ્રશ્ન મનમાં ઉદ્દભવ્યો.