
ઓમકારનાથ ઠાકુર
કેટલાંક પુસ્તકો પાસે અવારનવાર પહોંચું છું. એમાનું એક છે “વાગ્ગેયકાર પૂ.પં. ઓમકારનાથ ઠાકુર”, જેના લેખક-સંકલનકર્તા-પ્રકાશક ડૉ. પ્રદીપકુમાર દીક્ષિત ‘નેહરંગ’ છે, જેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંગીત વિભાગમાં કંઠ્ય સંગીતના પ્રાધ્યાપક હતા અને જેમને પંડિત ઓમકારનાથજીનું સાન્નિધ્ય સાંપડ્યું હતું ને એમની પાસે શીખવાનું સદ્ભાગ્ય પણ મળ્યું હતું. આ પુસ્તક મુખ્યત્વે હિંદીમાં છે. એમાં ઓમકારનાથજીનું જીવન ચરિત્ર તો છે જ પણ એમણે આપેલાં વ્યાખ્યાનો અને એમનાં લખાણો ઉપરાંત એમનાં પુસ્તકોની યાદી અને કલાકારો અને સહૃદયીઓએ એમને આપેલી અંજલિ પણ છે.
જેમને પ્રત્યક્ષ નહિ મળી કે નહીં સાંભળી શકવાનો મને અત્યંત રંજ છે એવા આ સંગીતકાર વિષે આજે થોડુંક કહેવું છે.
સારંગદેવના “સંગીત રત્નાકર”માં વાગ્ગેયકાર માટે આમ કહ્યું છે : ‘વાચં ગેયં ચ કુરુતે ય: વાગ્ગેયકારક:’
જે શબ્દ અને સંગીત બંને પ્રયોજે તે વાગ્ગેયકાર કહેવાય. એ રીતે પંડિત ઓમકારનાથ ઠાકુર આપણા મૂલ્યવાન વાગ્ગેયકાર છે.
1943માં ગુજરાત સાહિત્ય સભાએ પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપીને એમનું બહુમાન કર્યું ત્યારે એમણે આપેલા સ્વીકાર પ્રવચનમાં એમણે સાહિત્ય અને સંગીતના સંબંધ વિષે કેટલીક રસપ્રદ વાતો પણ કરેલી :
“સાહિત્ય અને સંગીતને હું તો સદૈવ સહોદર જ માનતો આવ્યો છું, કારણ ‘સંગીતમથ સાહિત્યં સરસ્વત્યા: કુચદ્વયમ્’…….
સાહિત્યકાર અને સંગીતકારને માટે માજણ્યા ભાઈ સિવાય અન્ય કયો સંબંધ યોગ્ય ગણાય?…..એક બીજી દૃષ્ટિ. સાહિત્યનું ઉન્નત અંગ એટલે કાવ્ય અને કાવ્યનો આત્મા એટલે સંગીત કારણ કાવ્યનું વૈશિષ્ટ્ય એની ગેયતામાં છે એમ વેદ પ્રતિપાદે છે.”
8મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 1962 દરમિયાન મુંબઈ યુનિવર્સિટીના પદવીદાન સમારંભખંડમાં એમણે “ગુજરાતકા સંગીતસત્વ” વિષય પર પાંચ વ્યાખ્યાનો આપ્યાં. ગુજરાતી લોકસંગીતમાં નિહિત ઝુમરા તાલ (14 માત્રાનો તાલ જે સાધારણ રીતે શાસ્ત્રીય ગાયનમાં વિલંબિત ખયાલમાં પ્રયોજાય છે), હંસકિંકિણી રાગ, નરસિંહનાં પ્રભાતિયાંમાં આપોઆપ બેસી ગયેલો રાગ શુક્લ બિલાવલ – આ બધું જ એમણે સદૃષ્ટાન્ત રજૂ કરેલું. (કહે છે કે “કાનુડો કામણગારો”, “કાળજ કોર્યું તે કોને કહીએ” જેવી દયારામની રચનાઓ અને ન્હાનાલાલનું “વિરાટનો હિંડોળો ” એમણે ત્યારે ગાયેલાં.)
એમણે પ્રણવરંજની, નીલાંબરી જેવા રાગો બનાવ્યા; બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સંગીત વિભાગનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું અને શાસ્ત્રીય સંગીતના શિક્ષક તરીકે પણ બહુમૂલ્ય પ્રદાન કર્યું અને શાસ્ત્રીય સંગીત ઉપર અનેક પુસ્તકો ને લેખો લખ્યાં. ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીનો અનિદ્રાનો રોગ એમની સમક્ષ એમણે રાગ પુરિયા રજૂ કરીને દૂર કર્યો હતો એમ કહેવાય છે.
અત્રે સુરતના કંચનલાલ મામાવાળાનો ઉલ્લેખ કરવો ઘટે, જે પંડિતજીના નિકટના મિત્ર હતા અને ખૂબ સારા સ્વરકાર હતા.(‘જય જય ગરવી ગુજરાત’નું સ્વરાંકન કંચનલાલ મામાવાળાનું છે.) મામાવાળાએ સ્વરબદ્ધ કરેલી બે રચનાઓ ઓમકારનાથજીએ ગાઈ અને તે બંને કાલાતીત બની ગઈ – એક તે કવિ ન્હાનાલાલનું ગીત “વિરાટનો હિંડોળો ઝાકમઝોળ” અને બીજી તે મીરાંબાઈની રચના “રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર”.
“રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર”ની રસસભર પ્રસ્તુતિ પંડિતજીના અવાજમાં જ માણો.
પછી સૂરદાસની કૃતિ “મૈંયા મૈં નહીં માખન ખાયો”નું ઓમકારનાથજીનું કાયદો અને અદાલતની પ્રક્રિયાનો આધાર લઈને કરેલું સંગીતસભર અર્થઘટન પણ પંડિતજીની સર્જનાત્મકતાનો પરિચય આપે છે.
. https://youtu.be/hElaD4xG_mY
ડિસેમ્બર 29, 1967ના દિવસે એ સ્વરલીન થયા.
ગુજરાતના સુખ્યાત શાયર ગની દહીંવાલાએ ઓમકારનાથજીની પ્રથમ પુણ્ય તિથિ પ્રસંગે એમની સ્મૃતિમાં રચેલી આ રચના કહીને અટકું? –
હતા સાધક, સ્વયં સ્મારક ગણાયા,
તમે સ્વરના પિરામિડે પૂરાયા.
ગહન કો અર્થ સમ ઊંડાણમાં રહી
સરળ કો શબ્દ પેઠે ઓળખાયા.
હતો સિદ્ધાંતનો સાચો અહંકાર
પરંતુ પ્રેમથી જીતી શકાયા.
મધુર તાનોં, નિજી નવલા પ્રયોગો,
ઋચા સમ સ્પષ્ટ ઉચ્ચારે સોહાયા.
‘ગનીં’ ગૂંજી રહી ઘૂમટે મધુરતા
નથી ‘ઓમ્ કાર’ના પડઘા વિલાયા”