“Migratory species connect the planet and together we welcome them home.”
જાહેરાતમાં
ઉષ્માભર્યું આ વાક્ય વાંચી થયું
નસીબદાર છો,
નાગરિકતાનો પ્રશ્ન તમને નડતો નથી.
વિહરવાની આઝાદી
તમે ઠાઠથી માણો છો.
શિયાળુ વતન છોડી
ઉનાળુ વતન ભણી
સીધા નીકળી પડો છો.
જ્યારે જ્યાં હોવ એ તમારું વતન
ના પાસપોર્ટ ના વિઝાની ઝંઝટ
ના NRC કે CAAનું સંકટ,
એક દેશથી બીજા દેશ તરફની ઉડાનમાં
કોઈ દેશની ઍર-સ્પેસનો ઇનકાર નહીં.
આપણા ગ્રહની કડી માની
તમને ઘરમાં આવકાર
વિના કોઈ ભેદભાવ
ને અમારા હિજરતી વિશ્વબંધુઓ સાથે
જાતપાતના ભેદભાવ
તમને વૈશ્વિક નાગરિકતા
ને અમને નહીં
આ તે ક્યાંનો ન્યાય ?
[ગુજરાત રાજ્ય જંગલખાતા અને પર્યાવરણ, વન અને ઋતુ પરિવર્તન મંત્રાલય દ્વારા ગાંધીનગરમાં 17થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત COPB(Conference of the Parties to the Convention on Migratory Species)ની દૈનિકમાં પ્રકાશિત જાહેરાત પરથી પ્રેરિત.]
e.mail : rupaleeburke@yahoo.co.in
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 14
![]()


યુવા કવિ ઉમેશ સોલંકી નવલકથાકાર અને કવિ છે. આ અવલોકન લખાઈ રહ્યું છે ત્યારે રેખાચિત્રોનું એમનું પુસ્તક ‘માટી’ પ્રકાશિત થઈ ચૂક્યું છે. ‘ફેરફાર’ નવલકથા બાદ ‘૨૮ પ્રેમકાવ્યો’ એમનું બીજું પુસ્તક છે. પારંપરિક રીતે લખાતાં આવતાં અને એવા નામાભિધાનથી અપેક્ષિત પ્રેમકાવ્યોનો છેદ ઊડાડી દઈને શીર્ષક જેટલું ચોંકાવનારું પુરવાર થાય છે એટલાં જ કાવ્યો ચોંકાવનારાં પુરવાર થાય છે. નથી અહીં પ્રેમની સુંવાળપનું સ્થૂળ આલેખન કે એને વર્ણવતી પુષ્પિતા વાણી. કાવ્યોમાં કવિએ ’ઑબજૅક્ટિવ કૉરીલેટિવ’નો જાણતા-અજાણતા વધતા-ઓછા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. સઘળું કહી દેવાને બદલે ઇંગિત કરે છે અને ભાવકો પર છોડી દે છે. ક્યારેક, એથી ‘કોઠી’ જેવું કાવ્ય કોયડો બની રહે છે.
સૌપ્રથમ તો ફળીભૂત થતા અટકી જતાં પ્રેમના મૂળમાં વર્ણભેદ બતાવી દલિત કવિઓની આગલી પેઢી કરતાં સાવ નોખો અને નવો ચીલો ચાતર્યો છે ઉમેશ સોલંકીએ. આ અગાઉ લખાયેલી દલિત કવિતામાં અને ગદ્યમાં ભારતીય સમાજની જ્ઞાતિપ્રથાના પરિણામે ઉદ્ભવતા બિનદલિત સમાજ દ્વારા થતાં દમન અને શોષણ, તિરસ્કાર અને આભડછેટને જેટલા વણી લેવાયાં છે એટલી હદે દલિત સમુદાયમાં પ્રવર્તતા જાતિભેદને આલેખવામાં આવ્યો નથી. દલિત ગદ્યમાં જ્ઞાતિપ્રથાના પરિણામે દલિત મહિલા પર આચરવામાં આવતાં યૌન શોષણનું પણ આલેખન થયેલું છે પરંતુ આંતરજાતીય અને આંતરપેટાજાતીય પ્રેમ કે લગ્નના મુદ્દાને સ્પર્ષવામાં આવ્યો નથી.
દલિત સાહિત્ય સમાજ અને સામાજિક વ્યવસ્થા સાથે ગાઢ નિસ્બત ધરાવે છે. અશ્વેત સાહિત્યની માફક દલિત સાહિત્યને એટલે જ સાંસ્કૃતિક ચળવળ કહેવામાં આવે છે. ભેદભાવથી ખદબદતો સમાજ બીમાર હોય છે. બીમાર સમાજની નાડી તપાસી, નિદાન કરી, સામાજિક વ્યાધિઓનો ઉપચાર કરવા માટે, એટલે કે સમાજમાં પ્રવર્તતા જ્ઞાતિ-જાતિ (જાતિ-પેટાજાતિ) આધારિત ભેદભાવને નેસ્તનાબૂદ કરવાનો દલિત યુવા કવિનો નિર્ધાર આ કાવ્યસંગ્રહમાં પ્રબળ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે એ ખૂબ આવકારદાયક છે. કવિ ઉમેશને આ બદલ અભિનંદન!