Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિસ્ટમ જજોની જ બનેલી હતી અને જજોએ જ તેને નિષ્ફળ બનાવી

રમેશ ઓઝા|Opinion - Opinion|12 February 2023

રમેશ ઓઝા

બંધારણ દ્વારા નિર્મિત ભારતીય રાષ્ટ્રને જો બચાવી રાખવું હોય તો બંધારણનું રક્ષણ જરૂરી છે અને બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતની છે. ઇન્દિરા ગાંધીની સરકારે જ્યારે બંધારણના મૂળભૂત માળખા પર કુઠારાઘાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળભૂત માળખાને હાથ લગાડવાનો સરકારને કે લોકપ્રતિનિધિઓને અધિકાર નથી એમ કહીને બંધારણને અને બંધારણીય રાષ્ટ્રને બચાવી લીધું હતું. પણ એ શકવર્તી ચુકાદો ત્યારે, એટલે કે આઝાદીનાં આંદોલનનાં મૂલ્યો હજુ જાહેરજીવનમાં અસ્તિત્વ અને પ્રભાવ ધરાવતાં હતાં, સ્વાતંત્ર્ય સૈનિકો હજુ હયાત હતા, નાગરિક સમાજ સાબદો હતો ત્યારે ૧૯૭૩ની સાલમાં પણ માત્ર એક જજની જ બહુમતી ધરાવતો હતો. ૧૩ ન્યાયમૂર્તિઓની બેંચમાંથી સાત ન્યાયમૂર્તિઓએ બહુમતી ચુકાદો આપીને બંધારણને અને બંધારણીય રાષ્ટ્રને બચાવી લીધાં હતાં. આનો અર્થ એ થયો કે એકની બહુમતી બેની લઘુમતીમાં ફેરવી શકાય છે એ હકીકત શાસકોને સમજાઈ ગઈ. જરૂરિયાત માત્ર એટલી જ છે કે અનુકૂળ જજોને સર્વોચ્ચ અદાલતમાં બેસાડવામાં આવે. જો ૧૯૭૦ના દાયકામાં અનુકૂળ જજો મળતા હોય તો અત્યારે તો એ સાવ સહેલું છે. જો પત્રકારો, વિદ્વાનો, માસ્તરો બજારમાં પોતાની જાતને વેચતા હોય તો જજ કેમ વેચાતા ન મળે?

જો ૧૯૭૩નો કેશવાનંદ ભારતી કેસમાં આપવામાં આવેલો ચુકાદો સર્વાનુમતનો કે પછી દસ સામે ત્રણ જજોનો પ્રચંડ બહુમતીવાળો હોત તો? તો કદાચ આજનો દિવસ જોવાનો ન આવ્યો હોત. પણ જો અને તો નો કોઈ મતલબ નથી. વાસ્તવિકતા એ છે કે ૧૯૭૩થી સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે જજોની નિયુક્તિને લઈને અથડામણ ચાલે છે. સરકારને સમજાઈ ગયું કે ન્યાયતંત્ર એટલું સાબદું નથી જેટલું હોવું જોઈએ અને જજો એટલા પવિત્ર નથી જેટલા હોવા જોઈએ. ન્યાયતંત્રને પણ આ વાત સમજાઈ ગઈ કે આપણું ઘર એટલું ચોખ્ખું નથી જેટલું હોવું જોઈએ અને સર્વોચ્ચ અદાલત સુધી જે જજો પહોંચે છે એમાંના મોટી સંખ્યામાં જજો ઊંડી બંધારણીય સમજ, નિસ્બત, કુવત અને પ્રામાણિકતાની એરણે ચકાસો તો નબળા છે. ૧૯૮૯ પછીથી કેન્દ્રમાં મિશ્ર સરકારો આવવા માંડી અને કેન્દ્ર નબળું પડ્યું. સર્વોચ્ચ અદાલતે તક જોઇને સરકાર સામે આક્રમક વલણ અપનાવવા લાગ્યું અને એક પછી એક બે ચુકાદા આપીને જજોની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે એટલે કે ન્યાયતંત્ર દ્વારા રચવામાં આવનારા કોલેજિયમ દ્વારા લઈ લીધો.

હવે બન્યું એવું કે કેટલાક જજો સરકારની લાચારી જોઇને પોતાની તાકાત બતાવવા ગમે તેવા, સરકારને અડચણમાં મૂકે એવા અને કેટલીકવાર તો અવ્યવહારુ ચુકાદાઓ આપવા માંડ્યા. માસ્તર જેમ વિદ્યાર્થીને ઠમઠોરે એમ જજો શાસકોને ઠમઠોરતા હતા. કેટલાક જજો સરકારની લાચારીનો લાભ લેતા હતા. રસ્તો કરી આપે અને નિવૃત્તિ પછીની પવૃત્તિઓના લાભ લઈ લે. શાસકોએ પણ નિવૃત્તિ પછીના લાભો આપવાનું પ્રમાણ અનેકગણું વધાર્યું. અદાલતોમાં ધીંગાણું અને ધમાલ બન્ને બેશુમાર પ્રમાણમાં ચાલતા હતા. એની વચ્ચે સર્વોચ્ચ અદાલતે જજોની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે લઈ લીધો. એ અધિકાર બંધારણ બક્ષ્યો નહોતો, પોતે આપેલા ચુકાદા દ્વારા પોતે લઈ લીધેલો અધિકાર હતો.

જ્યારે કોઈ અધિકાર છીનવી લીધેલો હોય, અથવા શૂન્યાવકાશનો લાભ લઈને કે શૂન્યાવકાશને પરિણામે હાથમાં આવ્યો હોય, અથવા દેશહિતમાં સદહેતુથી પ્રેરાઈને કાયદાનું થોડુંક પહોળું અર્થઘટન કરીને અધિકાર હાથમાં લઈ લીધો હોય ત્યારે અધિકાર હાથમાં લેનારાની જવાબદારી વધી જાય છે. અહીં સર્વોચ્ચ અદાલતે કોલેજિયમ રચીને જજોની નિયુક્તિ કરવાનો અધિકાર હાથમાં લઈ લીધો ત્યારે કોલેજિયમની ફરજ બનતી હતી કે તે તેની ઉપયોગિતા સાબિત કરી આપે. એવા જજો નિયુક્ત થવા જોઈતા હતા જેની ક્ષમતા અને પ્રામાણિકતા સામે કોઈ શંકા ન કરે. ટકોરાબંધ જજો વડી અદાલતોમાં અને વડી અદાલતોમાંથી સર્વોચ્ચ અદાલતમાં જવા જોઈતા હતા. નિવૃત્તિ પછીના લાભોથી મન લલચાઈ જાય અને શાસકોને અનુકૂળ ચુકાદાઓ આપે એવા જજો નિયુક્તિ ન પામે એવું બનવું જોઈતું હતું. પણ આપણા દુર્ભાગ્યે એવું બન્યું નહીં. અહીં એ હકીકત કબૂલ કરવી જોઈએ કે કોલેજિયમ સિસ્ટમ જજોની જ બનેલી હતી અને જજોએ જ તેને નિષ્ફળ બનાવી. આપણે જાણીએ છીએ કે ભ્રષ્ટ જજો દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચ્યા છે. નીચલી અદાલતમાં પ્રેક્ટીસ કરતો વકીલ જેટલું કાયદાનું જ્ઞાન ધરાવતો હોય એનાં કરતાં પણ ઓછું કાયદાનું જ્ઞાન ધરાવનાર અને છેલછોગાળા જેવી હરકત કરતા જજ દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચી શક્યા. કોલેજિયમના સભ્ય જજોએ પોતાનાં કે મિત્રોનાં સગલાંઓને આવડત જોયા વિના ન્યાયતંત્રમાં ઘુસાડ્યા હતા. આના વિશે વ્યાપક ઊહાપોહ પણ થતો હતો, પરંતુ કોલેજિયમ સિસ્ટમમાંની મર્યાદાઓને દૂર કરવાનો કોઈ પ્રયાસ કરવામાં નહોતો આવ્યો. માટે આજે જે લોકો કોલેજિયમનો બચાવ કરે છે તેઓ એમ નથી કહેતા કે કોલેજિયમે તેની કમાલ બતાવી આપી છે, પણ એમ કહીને દલીલ કરે છે કે શાસકો દ્વારા જજોની નિયુક્તિ થાય એનાં કરતાં જજો જ જજોની નિયુક્તિ કરે એ વધારે સારું રહેશે, કારણ કે શાસકોની તુલનામાં જજોનાં સ્થાપિત હિતો ઓછા અને પ્રમાણમાં નાના હોય છે.

જેમ કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો પ્રચંડ બહુમતીવાળો હોત તો આજે સ્થિતિ જુદી હોત એમ કોલેજિયમ સિસ્ટમે તેની પાછળનો હેતુ સિદ્ધ કરી આપ્યો હોત તો આજે સ્થિતિ જુદી હોત. એમ ન બન્યું એટલે સરકાર નિયુક્તિનો અધિકાર જજો પાસેથી છીનવી લેવા માગે છે. આવો પહેલો પ્રયાસ ૨૦૧૫માં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનની રચના કરવાનો કર્યો હતો જેને ૨૦૧૬માં સર્વોચ્ચ અદાલતે રદ્દ કરી નાખ્યો હતો. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં શાસક પક્ષને પહેલાં કરતાં પણ વધુ બેઠકો મળી એટલે ન્યાયતંત્ર ઉપર દબાણ હજુ વધારવામાં આવી રહ્યું છે. અઢીસો વરસ પહેલાં મહારાષ્ટ્રના બ્રાહ્મણોને મુસ્લિમ શાસકોના અનુગામી બનીને દેશ ઉપર રાજ કરવાની તક મળી હતી, પણ તેમને રાજ કરતાં આવડ્યું નહોતું. હિન્દવી રાષ્ટ્ર ઘાસીરામ કોટવાલોનું માથાભારે રાષ્ટ્ર સાબિત થયું. અત્યારના હિન્દુત્વવાદી શાસકોની પણ એવી જ સ્થિતિ છે. હિંદુરાષ્ટ્ર હિંદુઓના માથાભારેવાળા રાષ્ટ્ર તરીકે આકાર લઈ રહ્યું છે. દુર્ભાગ્યે ન્યાયતંત્રને ન્યાયતંત્રના હિતમાં કોલેજિયમનો લાભ લેતા આવડ્યું નહીં.

આમ છતાં ય કોલેજિયમ સિસ્ટમ શ્રેષ્ઠ છે એમ આ લખનાર માને છે. એમાં રહેલી ખામીઓ દૂર કરવી જોઈએ અને કરી શકાય એમ છે. એ કેવી હોવી જોઈએ એનો એક ચિતાર દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. વર્માએ ૧૯૯૩માં કોલેજિયમની તરફેણમાં બહુમતી ચુકાદો આપતા આપ્યો હતો. અહીં એને ઉદ્ધૃત કરું તો લેખ લાંબો થાય. ગૂગલમાં જઇને ‘સેકન્ડ જજીઝ કેસ’ લખીને સર્ચ કરશો તો એ મળી જશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ફેબ્રુઆરી 2023

Loading

12 February 2023 Vipool Kalyani
← એકલતાનું ટોળું
માનવી શ્રેષ્ઠ બની શકે, પણ પૂર્ણ તો ઈશ્વર જ છે : પ્રમુખસ્વામી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved