Opinion Magazine
Number of visits: 9448733
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક રદ થયા પછી

નેહા શાહ|Opinion - Opinion|25 August 2017

કાયદા કે નિયમો મનસ્વી હોય તો એને બદલીને નાગરિક હકોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજમાં આવે છે

ત્રણ વખત ‘તલાક’ બોલી તાત્કાલિક લગ્ન તોડવાની પ્રથા તલાક-એ-બિદ્દત એટલે કે ટ્રિપલ તલાકને સુપીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી છે. આધુનિક અને બિનસાંપ્રદાયિક ભારતમાં આ ઘણો અગત્યનો ચુકાદો છે. દેશની સર્વોચ્ચ અદાલત એક ધર્મની સામાજિક પ્રથાને સ્ત્રીના મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને ગેરબંધારણીય ઠેરવે એનું ઐતિહાસિક મહત્ત્વ છે. ચારે તરફથી એને આવકાર મળી રહ્યો છે.

ભારતીય મુસ્લિમ સમાજમાં મુખ્યત્વે તલાકની બે પ્રથા પ્રચલિત છે. સુપ્રીમે કોર્ટે જે અંગે ચુકાદો આપ્યો છે એ તલાક-એ-બિદ્દત પ્રથા અનુસાર જો પતિ ત્રણ વાર ‘તલાક’ બોલી જાય તો એ તલાક અફર થઈ જાય છે. એમાં ફેરબદલી કે સમાધાનને અવકાશ નથી રહેતો. આ હક માત્ર પુરુષો પાસે જ છે. સ્ત્રીને છૂટાછેડા જોઈતા હોય તો ‘ખુલા’ કરવા પડે જેની પ્રક્રિયા અલગ અને લાંબી હોય છે. બીજી પ્રથા તલાક-હસન અને તલાક-અહસન તરીકે ઓળખાય છે, જેમાં સમાધાન દ્વારા તલાકના નિર્ણયને બદલવાની શક્યતા છે. આ પ્રથા અંગે સુપ્રીમ કોર્ટે કોઈ ટિપ્પણી કરી નથી. એટલે આ ચુકાદાની એની પર કોઈ અસર પડશે નહિ.

ટ્રિપલ તલાક સામેનો સંઘર્ષ લાંબો છે. 1984માં શાહબાનોના કેસથી લઈને આજ સુધી ટ્રિપલ તલાક ચર્ચાનો વિષય રહ્યો છે. હાલના કેસમાં સુપ્રીમ કોર્ટના બે સભ્યોની બેન્ચની સામે ટ્રિપલ તલાકનો કિસ્સો આવ્યો એ સંદર્ભે કોર્ટે સુઓ મોટો (સામે ચાલીને) નોંધ લીધી કે તલાકના કારણે શું મુસ્લિમ સ્ત્રીઓ લિંગભેદનો શિકાર બને છે? વિષયની નાજુકતા સમજીને કોર્ટે આ કેસ પાંચ સભ્યોની બેન્ચને સોંપ્યો અને છ મહિના આ વિષય પર સંશોધન કરવા માટે આપ્યા. છેલ્લાં દસેક વર્ષ દરમિયાન સમાજમાં પણ સારી એવી જાગૃતિ આવી. સેંકડો મુસ્લિમ બહેનોએ પોતાની આપવીતી કહી અને તલાક-એ-બિદ્દત બંધ કરવાના માગણીપત્ર પર સહી કરી. ઇસ્લામના વિદ્વાનોએ પણ કહ્યું કે આ પ્રથાને મહમ્મદ પયગમ્બરે પણ ઉચિત માની ન હતી. ઇસ્લામના ઉદયની એકાદ સદી પછી આ પ્રથા ઊભી થયાનું અનુમાન છે. માત્ર સુન્ની મુસલમાનોમાં જ એનું ચલણ છે. શિયા તલાક-એ-બિદ્દતને માન્યતા આપતા નથી. દેખીતી રીતે અન્યાયી એવી આ પ્રથા પર ઘણાં ઇસ્લામિક રાષ્ટ્રો પ્રતિબંધ મૂકી ચૂક્યાં છે. પણ ભારતમાં એ અત્યાર સુધી ચાલુ રહી અને ઘણા રાજકીય રોટલા એના પર શેકાયા.

આ નિર્ણય 3 વિરુદ્ધ 2ની બહુમતીથી આવ્યો છે. પાંચ જજની બેન્ચમાં બે જજ – ચીફ જસ્ટિસ ખેહર અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરે સમાનતાના મૂળભૂત અધિકારની સામે ધાર્મિક પ્રણાલીઓને મહત્ત્વ આપ્યું. તેમના ચુકાદા અનુસાર આ પ્રથા મુસ્લિમ પર્સનલ લૉનો હિસ્સો હોવાથી અને ધર્મસ્વાતંત્ર્ય બંધારણનો મૂળભૂત અધિકાર હોવાથી અદાલતના ચુકાદા દ્વારા તેને રદબાદલ ન કરી શકાય. તેમણે સરકારને સૂચન કર્યું કે આગામી છ મહિનામાં રાજકીય પક્ષો આ મુદ્દે યોગ્ય ચર્ચા વિચારણા કરી સર્વસંમતિથી નવો કાયદો ઘડે.

આ સૂચવે છે કે જ્યારે સમાનતા અને ધર્મ સ્વાતંત્ર્યતાના સિદ્ધાંતો પરસ્પર સામસામે આવે ત્યારે ધાર્મિક લાગણીઓ સામે સમાનતાનો સિદ્ધાંત હજુ પણ ઝૂકી જઈ શકે છે. મુદ્દો એ છે કે કોને વધુ મહત્ત્વ અપાય છે – બંધારણે આપેલા મૂળભૂત નાગરિક અધિકારને કે પછી ધર્મના વૈયક્તિક કાયદાને? આ કિસ્સામાં મોટું આશ્વાસન એ છેકે બાકીના ત્રણ જજ – જસ્ટિસ જોસેફ, જસ્ટિસ નરિમાન અને જસ્ટિસ લલિતે ટ્રિપલ તલાકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ સાથે અસંમતી દર્શાવી અને ટ્રિપલ તલાકની પ્રથામાં બંધારણની કલમ 14નું ઉલ્લંઘન થતું હોવાથી તેને ગેરબંધારણીય ઠેરવી છે. તેમણે કહ્યું કે આ પ્રથા કુરાનના હાર્દની પણ વિરુદ્ધ છે. આ ઉપરાંત જસ્ટિસ નરિમાને એમ પણ કહ્યું કે જો કાયદા કે નિયમો મનસ્વી હોય તો એને બદલીને નાગરિક હકોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ફરજમાં આવે છે.

વિશ્વભરના આજના માહોલમાં જ્યારે પરંપરાના ગુણગાન ગાવાનો અને તેના પર ગર્વ લેવાનો જુવાળ ચાલ્યો છે ત્યારે ટ્રિપલ તલાક સામે ચાલેલી સમગ્ર ઝુંબેશ તેમ જ આ ચુકાદામાંથી એ બોધપાઠ લેવાનો છે કે જે પ્રથાઓ માનવ અધિકારો સામે વિસંગતી ઊભી કરે છે અને બંધારણીય અધિકારોનું હનન કરે છે તેને પાછળ મૂકી, બંધારણીય હકોને પ્રાથમિકતા આપવાની દૃષ્ટિ કેળવવી પડે. આ પ્રથાઓ લઘુમતી સમાજની હોય કે પછી બહુમતી સમાજની. એનો ભોગ સ્ત્રીઓ પણ બનતી હોઈ શકે કે પછી દલિત કે આદિવાસી.

કોર્ટના ચુકાદાથી સ્ત્રીઓની પરિસ્થિતિ રાતોરાત બદલાવાની નથી. ખરો પડકાર કાયદાનો યોગ્ય અમલ થાય એ પરિસ્થિતિ ઊભી કરવામાં છે. સામાજિક સુધારણાની પ્રક્રિયા ધીમી જ હોય છે. આજે મુસ્લિમ સમાજમાં છૂટાછેડાના ગણ્યાગાંઠ્યા કેસ જ ફેમિલી કોર્ટ સમક્ષ આવે છે, જ્યારે 90 ટકાથી પણ વધારે કેસ શરિયત કોર્ટમાં જાય છે. ત્યાં રૂઢિવાદી ધાર્મિક નેતાઓનું જ વર્ચસ્વ રહેવાનું છે. તેમાંના ઘણા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરબંધારણીય ગણાવી ચૂક્યા છે. જ્યાં સુધી પીડિતાનો સવાલ છે ત્યાં સુધી મોટા ભાગે સમાજના કવચમાંથી બહાર નીકળવાનો એની પાસે ખાસ કોઈ વિકલ્પ નથી હોતો. ભલેને એ અન્યાયી હોય, છતાં ય સુરક્ષાનો ભાવ એને પોતાના સમાજમાં જ મળશે. એટલે સમાજના અગ્રણીઓ જે ફેંસલો આપશે એને માનવા સિવાય કોર્ટના દરવાજા ખખડાવવાની હિંમત કેટલી સ્ત્રીઓ કરી શકશે? આવા સમયે એન.જી.ઓ. તેમ જ સમાજના પ્રગતિશીલ વરિષ્ઠોની ભૂમિકા અગત્યની થઈ રહેશે, જે યોગ્ય સમયે દખલગીરી કરી પીડિતાને ન્યાય અપાવવામાં મદદ કરે અને કાયદાના યોગ્ય અમલમાં મદદ કરે.

સ્ત્રીઓની મારપીટ, હેરાનગતિ, અપમાનજનક વર્તન, લડાઈ ઝઘડા વગેરેનો અંત આ કાયદાથી નથી આવવાનો. જો લગ્ન તૂટે તો તલાકશૂદા સ્ત્રીને ન્યાયપૂર્ણ યોગ્ય વળતર મળી રહે એ માટે પણ એક અલગ જ સંઘર્ષ છે. આ દુર્દશા માત્ર મુસ્લિમ સ્ત્રીઓની જ નથી. એ બધા ધર્મમાં વ્યાપક છે. એને કોઈ વર્ગના વાડા પણ નથી નડતા. ગરીબ હોય કે તવંગર દરેક ધર્મની, દરેક વર્ગની સ્ત્રીઓની દુર્દશાનાં અનેક ઉદાહરણ મળી રહેશે.

હવે પછીનું પગલું દેશમાં લગ્ન સંબંધે નાગરિક કાયદો બનાવવાનું હોવું જોઈએ, જે કાયદા અનુસાર લગ્ન કોઈ પણ ધાર્મિક વિધિથી થયાં હોય, પણ લગ્નજીવનમાં સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર મળે. એવો કાયદો જે લગ્નવિચ્છેદન થાય તો લગ્નજીવન દરમ્યાન ભેગી થયેલી સંપત્તિ પર સ્ત્રી અને પુરુષ બંનેનો સમાન અધિકાર સ્વીકારે. વળતર નક્કી કરતી વખતે કુટુંબ માટે સ્ત્રીએ આપેલા સમય, શક્તિ અને લાગણીની કદર કરી શકે. આ કાયદો બધી ધાર્મિક પરંપરાઓથી ઉપર ઊઠીને માત્ર મૂળભૂત માનવ અધિકારોને ધ્યાનમાં રાખતો હોવો જોઈએ.

સૌજન્ય : ‘અપેક્ષા’, “દિવ્ય ભાસ્કર”, 25 અૉગસ્ટ 2017

Loading

25 August 2017 admin
← કરવા જેવું હોય તો ગાંધીમૂલ્યોનું પુનઃસ્થાપન
ઓશિંગણ ખરાં, ઓશિયાળાં નહીં →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved