Opinion Magazine
Number of visits: 9446702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્પેશ્યલ મેરેજ એક્ટ મુજબના અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને આપવા જોઈતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|22 October 2023

રમેશ ઓઝા

વેપાર જેટલી સેક્યુલર પ્રવૃત્તિ બીજી એકે ય નથી. તમારે કોઈ ચીજ વેચવી હોય અને સામેવાળો ખરીદવા માગતો હોય અને જો તેની પાસે પૈસા હોય તો તમે એ કોણ છે એની ચિંતા કરતા નથી. અને જો એ ખરીદનાર કોઈ ખાસ પ્રકારની કોમનો સભ્ય હોય અને એ કોમની ખાસ પ્રકારની જરૂરિયાત હોય તો એને માટે જરૂરિયાતની ચીજનું ખાસ ઉત્પાદન કરીને માર્કેટ વિકસાવામાં આવે છે. આને માટે કેટલીક એજન્સીઓ અસ્તિત્વમાં આવી છે જે સમાજનું બારીકાઇથી નિરીક્ષણ કરે છે અને માર્કેટની સંભાવના શોધી આપે છે. આવી એજન્સીઓને છેલ્લા બે ત્રણ દાયકાથી ધ્યાનમાં આવવા માંડ્યું કે વધુને વધુ સંખ્યામાં લોકો પોતાની જાતીય સંવેદના અને જાતીય પસંદગી (sexual orientation) શરમાયા વિના અને સમાજની ઐસીતૈસી કરીને ગભરાયા વિના વ્યક્ત કરી રહ્યા છે. ઊઘાડી રીતે આની કબૂલાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. ભારત જેવા પ્રમાણમાં રૂઢિચુસ્ત દેશમાં પણ તેમનું પ્રમાણ વધી રહ્યું છે.

જે લોકો સ્ત્રી-પુરુષ વચ્ચેના જાતીય સંબંધો(heterosexual)ની વ્યાખ્યામાં બેસતા નથી અને તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની છે એવા કેટલા લોકો હશે અને તેમની જો કોઈ ખાસ જરૂરિયાત હશે તો એ કઈ રીતની હશે, એનું માર્કેટ નક્કી કરવા એજન્સીઓ સર્વે કરવા માંડી. તમે શું માનો છો? આવા કેટલા લોકો હશે? વિવિધ એજન્સીઓએ કરેલા સર્વેનું સર્વસાધારણી કરો તો લગભગ દસ ટકા લોકો ખુલ્લેઆમ કબૂલ કરે છે કે તેઓ સમલિંગી છે અથવા બન્ને પ્રકાના સંબંધો (bisexual) ધરાવે છે અથવા ટ્રાન્સ જેન્ડર છે. બીજા દસ ટકા લોકો સ્પષ્ટ જવાબ આપતા નથી એનો અર્થ એ થયો કે તેઓ ભલે બહાર ન આવ્યા હોય, પણ તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની હોઈ શકે છે. પણ દસ ટકાનો આંકડો નિશ્ચિત છે, કદાચ વધુ પણ હોય.

માર્કેટ જેનો સ્વીકાર કરે છે એનો સમાજને સ્વીકાર કરવામાં મુશ્કેલી પડે છે. દસ ટકા લોકોની જાતીય પસંદગી માન્યતાપ્રાપ્ત જાતીય પસંદગી કરતાં જૂદી હોય તો પણ તેનો સ્વીકાર કરવામાં બળ પડે છે. દસ ટકા એ કોઈ નાની સંખ્યા નથી. વાસ્તવિકતા કાને અથડાઈ રહી હોવા છતાં તેનો સ્વીકાર નથી કરવો.

સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓએ ચાર અલગ અલગ ચુકાદાઓમાં હાથ ઊંચા કરવાનું કામ કર્યું છે. કાયદો ઘડવાનું કામ અમારું નથી, અમારું કામ તો કાયદાનું અર્થઘટન કરવાનું છે. માટે ન્યાય જોઈતો હોય તો લોકો પાસે જાવ જેઓ કાયદાઓ ઘડે છે. કાયદો ઘડાયા પછી અમે તેનું અર્થઘટન કરીને કહેશું કે કાયદો ભેદભાવ વિનાનો ન્યાયી છે કે અન્યાયી. કાયદો બંધારણ સુસંગત છે કે વિસંગત. આનો અર્થ એ થયો કે પહેલાં કાયદો ઘડનારાઓને અન્યાય કરવા દો પછી અમે ન્યાય આપીશું. પણ કાયદો ઘડનારાઓ કાયદો ઘડે જ નહીં તો? તો શું ન્યાય માગનારાઓએ ન્યાયના શૂન્યાવકાશમાં જીવન વ્યતીત કરવાનું? આ ચુકાદો બેહુદો છે અને એ કઈ રીતે બેહુદો છે એ જોઈએ.

દેશમાં આધુનિક શિક્ષણના પરિણામે આધુનિક જીવનમૂલ્યો વિકસ્યાં એ પછી પારંપારિક લગ્નસંસ્થા સામે પ્રશ્નો થવા લાગ્યા. જો હિંદુ યુવક કે યુવતી મુસ્લિમ કે બીજા વિધર્મી યુવક કે યુવતી સાથે લગ્ન કરવા માગતો હોય તો તેણે કયા ધર્મની લગ્નવિધિ કરવી? એમાં તો કોઈ એકે ધર્માન્તરણ કરવું પડે અને લગ્ન માટે પોતાનો ધર્મ છોડવો પડે એ તો અન્યાય કહેવાય. ટૂંકમાં આંતરધર્મીય લગ્નોત્સુકોની સંખ્યા વધવા લાગી. કેટલાક નાસ્તિક હતા અને તેઓ લગ્નમાં ધર્મને વચ્ચે લાવવા માગતા નહોતા. આ સિવાય આનાથી પણ મહત્ત્વનો સવાલ હતો. દરેક ધર્મના પારિવારિક કાયદાઓ (Personal Laws) સ્ત્રીઓને અન્યાય કરનારા છે અને કોઈ સ્ત્રીએ તેનો શિકાર ન બનવું હોય તો? પછી ભલે યુવક અને યુવતી એક જ ધર્મના હોય અને કદાચ ધાર્મિક પણ હોય. અન્યાય કરનારા ધાર્મિક-સામાજિક રિવાજોને નકારવાનો અને તેનાથી બચવાનો અધિકાર મળવો જોઈએ કે નહીં?

આઝાદી પછી આ સવાલ ઉપસ્થિત થવા લાગ્યો. ત્યારના શાસકો બહેરા અને અસંવેદનશીલ નહોતા. સ્ત્રીઓને અને બીજાઓને ભલે અન્યાય થાય પણ આપણો ધર્મ મહાન એવો નશો કરાવતા નહોતા. પરિણામે ૧૯૫૪માં સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડવામાં આવ્યો જેમાં ધર્મ અને ધર્મ આધારિત સામાજિક રીવાજો ક્યાં ય આડા આવતા નથી. સ્પેશિયલ મેરેજ એક્ટ ધર્મ આધારિત રિવાજોને નકારવા માટે નથી, પણ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્નના અધિકાર માટે છે. એવી જ રીતે સ્પેશિયલ મેરેજ એક્ટ લગ્નોત્સુકોની લૈંગિકતાને સ્વીકારવા કે નકારવા માટે નથી, પણ હમણાં કહ્યું એમ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકાર માટે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ નાગરિકને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો જે અધિકાર આપે છે એ અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને પણ આપવો જોઈતો હતો. આમાં નવો કાયદો ઘડવાનો સવાલ ક્યાં આવ્યો?

ટૂંકમાં મને એમ લાગે છે કે સર્વોચ્ચ અદાલત સમલિંગીઓને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ન્યાય આપી શકતી હતી. સમાજના દસ ટકા લોકોને (અને કદાચ તેનાથી પણ વધુ) ક્યાં સુધી અન્યાય કરવાનો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2023

Loading

22 October 2023 Vipool Kalyani
← ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખનાર : અવંતિકાબાઈ ગોખલે
કથળેલી વૈશ્વિક વ્યવસ્થા અને સશસ્ત્ર રાજ્યોની અસલામતીનું પરિણામ ત્રીજું વિશ્વયુદ્ધ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved