ગુજરાતી સાહિત્ય પરિષદમાં મારી પાંત્રીસેક વરસની સક્રિય કામગીરી ધ્યાનમાં લઈને મારા સ્નેહીમિત્રો-વડીલો-શુભેચ્છકો અને પરિષદના પ્રમુખપદ માટે મારા નામની દરખાસ્ત કરનાર સહુ કોઈનો આભાર માનવા સાથે ક્ષમા યાચું છું. પ્રમુખપદની ચૂંટણીમાં સફળતાની પૂરી શક્યતા હોવા છતાં મારા સ્વાસ્થ્યના પ્રશ્ન ઉપરાંત બીજી કેટલીક બાબતો ધ્યાને લઈ મેં ઉમેદવારી પાછી ખેંચી છે.
જે પ્રમુખ કારણ છે, તે એ કે આજ સુધી પરિષદથી અંતર રાખનાર ને ક્યારેક ટીકાકાર પણ ખરા એવા આપણા પ્રતિષ્ઠિત સર્જક સિતાંશુ યશશ્ચંદ્ર સામે ચાલીને પરિષદમાં સકારાત્મક ભૂમિકાએ આમેજ થવા માગતા હોય, તો એ બાબત આવકાર્ય ગણાય.
વળી, બીજી વધુ મહત્ત્વની બાબત એ કે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના પ્રશ્ને તેમણે અપનાવેલ અભિગમ પણ પરિષદ સાથે મેળમાં રહ્યો છે અને તે અંગે જરૂર પડ્યે બોલતા-લખતા રહ્યા છે. આવા સર્જકની શક્તિ, સંપર્કો અને સક્રિયતાનો લાભ પરિષદને પણ મળશે, તેવી સહજ અપેક્ષા રાખી શકાય. સિતાંશુભાઈના પ્રગટ અને પ્રચ્છન્ન સમર્થકો પણ આ બાબતે યથાર્થ રીતે સમજશે, તેવી અપેક્ષા છે.
હું આ સર્જકને શુભેચ્છા પાઠવું છું.
ગાંધીનગર
સૌજન્ય “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2017; પૃ. 04