Opinion Magazine
Number of visits: 9448925
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શુધા મઝુમદારની આત્મકથાઃ ‘અ પેટર્ન ઓફ લાઈફ’

રંજના હરીશ|Opinion - Opinion|16 January 2019

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-6

'ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધી' લેખમાળાના ગયા વખતના પાંચમા મણકામાં શુધા મઝુમદારની વર્ષ 1930 આસપાસ લખાયેલ તથા 1977માં પ્રકાશિત આત્મકથા 'અ પેટર્ન ઓફ લાઈફ'ના સંપાદક અમેરિકન ઇતિહાસકાર જેરાલ્ડીન એચ. ફોર્બના પ્રાક્કથનની ચર્ચા કરી. જેરાલ્ડીન આ આત્મકથાને ગાંધીએ ભારતીય સ્ત્રીજીવનના ઉત્કર્ષમાં કરેલ પ્રદાનની એક 'કેસ સ્ટડી' તરીકે બિરદાવી છે. પ્રકાશનના કોઈ જ હેતુ વગર લખાયેલ શુધા મઝુમદારની આ આત્મકથાનું સો ટચના સોના સમું મૂલ્ય પારખીને જેરાલ્ડિન ફોર્બે ચાળીસ વર્ષથી લેખિકા પાસે પડી રહેલ આ આત્મકથાની હસ્તપ્રતને જહેમતપૂર્વક સંપાદિત કરીને પ્રકાશિત કરી તે વાત આ પુસ્તકનું મૂલ્ય સાબિત કરવા માટે પૂરતી છે.

આજે મૂળ પુસ્તકનાં લેખિકાની કલમે કંડારાયેલ સ્વતંત્રતા આંદોલન તેમ જ ગાંધીજીના સંદર્ભની સ્મૃતિઓની વાત આપણે કરીશું. વર્ષ 1899માં જન્મેલ શુધા મઝુમદારની આ આત્મકથા એક અનુઠી આત્મકથા છે. કેમ કે તે 20મી સદીના પ્રારંભકાળના દસકામાં ભારતમાં જીવાયેલ સ્ત્રી જીવનનું સાચું ચિત્ર લઈને આવે છે. આ લેખનો હાલનો સંદર્ભ અન્ય હોવા છતાં એટલું તો લખવું જ જોઈએ કે પરંપરાવાદી સ્ત્રીજીવનમાં તે વખતના રીતરિવાજ, પડદાપ્રથા, વ્રત, ઉપવાસ, સ્ત્રી માટે અગણિત નિષેધ જેવી કેટકેટલી સામાજિક બાબતોનું દસ્તાવેજીકરણ લેખિકા પોતાની આત્મકથામાં કરે છે.

પ્રસ્તુત પુસ્તકની એક વિશેષતા તેના રમૂજપ્રેરક કિસ્સાઓ પણ છે. જેમાંનો એક કિસ્સો અહીં પ્રસ્તૂત છે. પાશ્ચાત્ય રંગે રંગાયેલ, જમીનદાર પિતા તારાપદ ઘોષ અને પરદાનશીન પરંપરાવાદી માતા ગિરિબાલાની સંતાન શુધાનું બાળપણ સૂડી વચ્ચે સોપારીસમું હતું. પિતા જમવાના ટેબલ પર પોતાના મુસ્લિમ બાવરચીએ રાંધેલ માંસાહારી ભોજન જમતા. જમતા જમતા દીકરીના મોંમાં પિતા માંસાહારી ભોજનનો ટુકડો મૂકી દેતા. પેલી નાનકડી દીકરી તરત ના પાડી ઊઠતી. 'કેમ ?' પિતા પૂછતા. બાળકી ગોખીલો જવાબ આપતી, 'પૂજારીજીએ સમજાવ્યું છે કે છોકરી માંસાહાર કરે તો તેનો થનાર પતિ મરી જાય.' પોતાના પતિને ખુશ રાખવા માતા દીકરીને સમજાવતી, 'બેટા પૂજારીજીની વાત સાચી છે કે છોકરીઓએ માંસ ન ખવાય. એમ કરે તો દેવ રિસાય, અને પતિ મરી જાય. પણ પિતાને દુ:ખી કરવા જેટલું મોટું પાપ બીજું કોઈ નથી. હું તને એક મંત્ર શીખવું છું. એ બોલ્યા બાદ માંસ ખાય તો પાપ નહીં લાગે.' એ રામબાણ મંત્ર નીચે પ્રમાણે હતો.

પિતા બ્રહ્મા, પિતા વિષ્ણુ, પિતા જ પરમેશ્વર
પિતાને પ્રસન્ન કરવાથી સર્વ પાપ થાય મુક્ત. (પૃ.75)]

વિધિની વિચિત્રતા જુઓ કે આજ્ઞાકારી દીકરી શુધાએ આ મંત્ર ભણતા ભણતા અંગ્રેજી સ્કૂલમાં બે-પાંચ વર્ષ અભ્યાસ કર્યો ! ચર્ચમાં ગઈ ! લગ્ન પછી સાસરે આવ્યા બાદ મંત્રમાં 'પિતા'ની જગ્યાએ તેણે 'પતિ' શબ્દ મૂકી દીધો અને તે જમાનામાં સ્ત્રીજાત માટે જે કાંઈ નિશિદ્ધ હતું તેણે તે બધું કર્યું. એટલું જ નહીં બ્રિટિશ સરકારમાં સિવિલ સર્વન્ટ એવા પતિના નોકરીના નિયમ વિરુદ્ધ સ્વતંત્રતા આંદોલન તથા ગાંધી વિચારને પણ તેણે મનોમન અપનાવી લીધા. અલબત્ત પોતે કરેલ આવા અતિક્રમણનું પાપ પિતા કે પતિને ન લાગે માટે શુધા પોતાની માતાએ શીખવેલ મંત્ર ભણતી રહી. અને એમ કરતાં કરતાં એ મંત્રની જગ્યાએ ગાંધીજીના ચરખાના ગુણગાન કરતું તત્કાલીન લોકપ્રિય ગીત ગાવાનું પણ ના ચૂકી.

'ચરખો મારો પતિ ને પુત્ર 
ને ચરખો મારો પૌત્ર,
મારો ચરખો ZULAVE આંગણે સમૃદ્ધિ ના KUNJAR' (પૃ.183-184).

એક સિવિલ સર્વન્ટ પતિની પત્ની તરીકે શુધા સ્વતંત્રતા આંદોલન, કે ગાંધીવિચારનું સમર્થન આપે તે TENE TENE MATE બરાબર નહોતું, પરંતુ આ હિંમતબાજ નવોઢા પતિની નોકરીની શરતો મંજૂર રાખીને દેશદ્રોહ કરે તેવી બિકણ નહોતી. પોતાની આત્મકથામાં તે સ્મરે છે કે 1922ના અંતિમ મહિનાઓ દરમિયાન ગાંધીજીએ વિદેશી વસ્ત્રોના બહિષ્કારની જાહેરાત કરેલી. પરદેશી કાપડની હોળી નજર પડે ત્યાં જોવા મળતી. માન્ચેસ્ટરમાં વણાયેલ કાપડનો બહિષ્કાર જાણે ચોરેચૌટે થતી ચર્ચાનો વિષય બની ગયો હતો. સામા પક્ષવાળા એવો તર્ક પણ કરતા કે ભારત જેવા દેશને કાપડની આવી હોળી ક્યાંથી પાલવે ?

ગાંધીજીએ ચરખાને પ્રોત્સાહન આપ્યું તે દરમિયાન સુધારાવાદીઓએ તેમનો વિરોધ કરીને એમ પણ કહેલું કે ગાંધી પ્રગતિના ચક્રને ઊંધી દિશામાં ફેરવી રહ્યા હતા. તેમ છતાં ચરખો અને તકલી જાણે ફેશન બની ગયા હતા. આખું ગામ અરસપરસ પૂછતું, 'તમારે ત્યાં ચરખો ખરો ?' 'હા છે ને.' ગૌરવભર્યો જવાબ મળતો. અને જેની પાસે ચરખો ન હોય તેની પાસે કશું ય નથી તેવો ભાવ તેને થતો. દરેકને પોતાનો હાથ ચરખા પર અજમાવવો હતો. રસ્તે કોઈ પણ મળે તો કાંતણની જ વાત થાય. 'કાંતવાનું કેમ ચાલે છે ? કાંતું તો છું પણ તાંતણો તૂટી જાય છે. મારે ય એવું થાય છે. તાર લાંબો થતો નથી. મારી તકલી પર તાર લપેટવામાં તકલીફ પડે છે.' આ પ્રકારના વાર્તાલાપો સંભળાતા. (પૃ. 100) યુવા પેઢીમાં ચરખા પ્રત્યે અગમ્ય ઉત્સાહ હતો. હાથે વણેલ સૂતરમાંથી બરછટ ખાદી વણીને પહેરવી તે જાણે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બની ગયેલું. આ બધો ગાંધીજીનો પ્રભાવ હતો. લેખિકા લખે છે, 'ગાંધીજીના સમર્થન સાથે ખાદી જાણે સઘળા દેશનો 'ડ્રેસકોડ' બની ગયેલી. ભલભલાઓ પોતાના ફેશનેબલ કપડાં છોડીને બરછટ ખાદી પહેરતા થઈ ગયેલા. ખાદીની ધોતી અને ગાંધીટોપી હવે મોસ્ટ ફેશનેબલ ગણાતા. પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં ખાદી અને ચરખાની ચર્ચાઓએ મોટું જોર પકડેલું. મને એક મેગેઝિનની જેકેટ આજે ય પણ યાદ છે. આ જેકેટ પર એક સુંદર ફેશનેબલ યુવતી લાલચટક બનારસી સાડી પહેરીને ચરખો ચલાવતી બતાવેલી ! તેના અંગ પરના સોનાના આભૂષણોની ચમક મને આજે પણ યાદ છે … ખાદીના પ્રચારમાં આ તે કેવો વિરોધાભાસ ! આજે ય મને તે સમજાતું નથી. અને લાલચટક બનારસી સાડીવાળી એ સ્ત્રીના ફોટાની નીચે 'ચરખો મારો પતિ ને પ્રેમી' ગીત લખેલ હતું.' (પૃ.184) જે શુધા જેવી અનેક સ્ત્રીઓ ઉમળકાથી ગાતી, જેની વાત આગળ થઈ ગઈ છે

'અ પેટર્ન ઓફ લાઈફ'  પુસ્તકમાંથી ગાંધીજી સાથે સંકળાયેલ નીચેના સંસ્મરણ વાંચવા લાયક છે.

'અમારા ઘરથી થોડે દૂર રોડ પરથી આવતા વંદેમાતરમ્‌ના સામૂહિક ઘોષ સાંભળવાની અમને ટેવ પડી ગયેલી. હવે અમારા માટે એ રોજબરોજની ઘટનાસમાન હતું. એક વખતની વાત છે. મારો નાનકડો પુત્ર રોમુ ઉત્સાહપૂર્વક દોડતો આવીને મારી સોડમાં લપાયો અને રડમસ સ્વરે મને કહે 'મા વંદેમાતરમ્‌ એટલે શું ? બધા આ ગાયન કેમ ગાય છે ? અને તું મને કહે આ ગાંધી કોણ છે ? શું એ કોઈ સંત છે ? મને કોઈએ કહ્યું કે બ્રિટિશ સરકારે ગાંધીને જેલમાં મોકલ્યા છે ! ધોળી પોલીસ તેને ભાલા ભોંકીને મારી નાખવાની છે ! જો ગાંધી સંત હોય તો ધોળિયાઓ તેને પજવે છે કેમ ? મા, મને બહુ ચિંતા થાય છે. હવે શું થશે ? અને મા મને ભૂખ પણ સખત લાગી છે.' એક જ શ્વાસમાં મારો નાનકડો રોમુ આ બધી વાત બોલી ગયો. (પૃ. 185) સ્વતંત્રતા આંદોલનના એ જમાનામાં ગાંધીજીના નામની બોલબાલા હતી. મારા પતિ બ્રિટિશ સરકાર માટે કામ કરતા હતા. તેમના હોદ્દાની રૂએ સ્વતંત્રતાસેનાનીઓની ગતિવિધિનો રિપોર્ટ તેમણે ટાઈપ કરીને સરકારને મોકલવાનો રહેતો. પરંતુ એ જમાનાના ગાંધીમય માહોલમાં તેમનો એ સરકારી રિપોર્ટ ગુપ્ત રાખી શકે તેવો ટાઈપિસ્ટ ક્યાંથી મળે ? છેવટે હું ટાઈપ કરતાં શીખી. મારા દેશબાંધવોની ગતિવિધિને લગતો બ્રિટિશ સરકાર માટેનો રિપોર્ટ મારે બે આંગળીથી ટાઈપ કરવાનો આવ્યો. મારા આંગળા રિપોર્ટ ટાઈપ કરતા અને મારું મન આંદોલનકારીઓ માટે કકળતું. (પૃ.195)

તે જમાનામાં સ્વતંત્રતા માટે હિંસાનો છોછ ન રાખનાર સુભાષચંદ્ર બોઝ તથા તેમના અનુયાયીઓને લોકો 'સ્વદેશી ડાકુઓ' નામે બોલાવતા. (પૃ. 199) … વળી પ્રત્યેક સ્વતંત્રતાસેનાની માટે એક જ નામ હતું 'ગાંધી'. એકવાર અમારા ઘરની સામે થોડા જુવાનિયાઓએ ભેગા થઈને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. જાણ થતાંની સાથે જ બ્રિટિશ પોલીસ ઓફિસરે આવીને એ ધ્વજને નાનકડા ડંડા પરથી ફૂલને ચૂંટી લે તેમ ચૂંટી લઈને ગડી કરીને પોતાના ગજવામાં મૂકી દીધો ! ધ્વજ લહેરાવનાર જુવાનિયાઓને પોલીસ પકડી ગઈ. આ ઘટનાના બીજે જ દિવસે કંઈક બન્યું અને પોલીસ ફરીવાર જુવાનિયાઓને પકડી ગઈ. મેં કામવાળીને પૂછ્યું, 'શું થયું ?' પેલી બોલી, 'પેલા ગાંધીઓને ધોળિયા પકડી ગયા.' (પૃ. 226)

કેવો એ જમાનો હશે ? કે જ્યારે પ્રત્યેક સ્વતંત્રતાસેનાની 'ગાંધી' કહેવાતો હશે ? અને દરેકને ચરખો કાંતવાની હોંશ હશે ? દેશ માટે ફના થવાની તૈયારી હશે ? લેખિકા પોતાના પુસ્તકના અંતિમ ભાગમાં જણાવે છે કે વર્ષ 1926ના જૂન મહિનાના 'ઇલસ્ટ્રેટેડ વિકલી' મેગેઝિનમાં તેમની ટૂંકી વાર્તા પ્રકાશિત થયેલી અને તે જ અંકમાં ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદનું અગિયારમું પ્રકરણ પણ પ્રકાશિત થયેલું. સિવિલ સર્વન્ટ એવા પતિની દેશપ્રેમી પત્ની લખે છે, 'કેવા ગૌરવની વાત ! મારું કેવું ધનભાગ્ય કે એક જ અંકમાં મારું અને ગાંધીજીનું લેખન પ્રકાશિત થયેલું !' (પૃ.200) આવા નાનામોટા અત્યંત સૂચક પ્રસંગો દ્વારા ગાંધીજી તથા તેમના સમયને સુપેરે વ્યક્ત કરતી શુધા મઝુમદારની આત્મકથા વ્યક્તિગત જીવનનાં સંભારણાં ઉપરાંત સ્વતંત્રતા આંદોલન તેમ જ ગાંધીના નેતૃત્વનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરે છે. બાપુના પ્રભાવ તળે ભારતીય સ્ત્રીજીવનની ઉઘડતી જતી ક્ષિતિજોનો દસ્તાવેજ પણ આ પુસ્તક રચે છે. પરંતુ આ સઘળું લેખિકા એક 'આઉટસાઈડર-ઈનસાઈડર'ની ભૂમિકામાં લખે છે. પોતે બ્રિટિશ સરકારના એક વફાદાર ઓફિસરની પત્ની છે તે વાત તેઓ ક્યારે વિસરતા નથી.

તા.ક. ગાંધી સ્મૃતિના આ રમૂજભર્યા અમૂલ્ય દસ્તાવેજને વાંચ્યા વગર સુયોગ્યપણે બિરદાવી શકાય તેમ નથી.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની કોલમ, “નવગુજરાત સમય”, 16 જાન્યુઆરી 2019

Loading

16 January 2019 admin
← અલવિદા મૃણાલ સેન
સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ જોઇને અસંતોષ થાય, પ્રશ્નો થાય, શંકા થાય એ લોકશાહી માટે શુભ સંકેત નથી, પણ દુર્ભાગ્યે આજની એ વાસ્તવિકતા છે →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved