Opinion Magazine
Number of visits: 9447590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શૂન્યાવકાશ ક્યારે ય ભરાયા વિના રહેતો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|16 January 2022

ચૂંટણીઓ માટે રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોર આજકાલ તેમની દરેક મુલાકાતમાં વારંવાર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પક્ષને પરાજીત કરવો હોય કે પછી બી.જે.પી.ને અન્ય પક્ષોનો ટેકો લઈને સરકાર રચવી પડે એ હદે લોકસભામાં લઘુમતીમાં ધકેલી દેવો હોય, તો વિપક્ષી એકતા કામમાં આવવાની નથી. વિપક્ષી એકતાનાં ગણિતની એક મર્યાદા હોય છે. જે તે પ્રદેશમાં જે તે પક્ષોના મતોનો સરવાળાઓ કરવાથી રાજકીય ચિત્ર નિર્ણાયક પ્રમાણમાં બદલી શકાતું નથી.

પ્રશાંત કિશોરની વાત સાચી છે અને એનાં મુખ્ય ત્રણ કારણ છે. એક તો એ કે જે તે રાજ્યમાં સૌથી પ્રભાવી વિરોધ પક્ષ હોય એની તરફેણમાં બીજા નાના પક્ષો પોતાનો રાજકીય સ્વાર્થ છોડીને કહેવાતા રાષ્ટ્રીય હિત માટે પોતાની દુકાન સંકેલી લે એમ બનવાનું નથી. આવી અપેક્ષા રાખવી એ ભોળપણ છે. બીજું કારણ એ છે કે સંસદીય લોકતંત્રમાં જે તે પક્ષના રાજકીય નેતાઓ પોતાના સંસદીય ક્ષેત્ર(કે વિધાનસભા ક્ષેત્ર)ને કેળવતા હોય છે, જે રીતે ખેડૂત પોતાના ભાગમાં આવેલી જમીનને કેળવતો હોય છે. વિપક્ષી એકતાના નામે પક્ષનો નેતા પોતે કેળવેલી જમીન કોઈ બીજા પક્ષના ઉમેદવારને ખેડવા માટે આપી દે તો એ સ્થાનિક દાવેદાર તેને દિલથી સ્વીકારવાનો નથી. પક્ષનું હિત અને દાવેદાર નેતાઓનું અંગત હિત ટકરાય છે. ત્રીજું કારણ એ છે કે જે તે પક્ષનો મતદાતા પોતાનાં ક્ષેત્રમાં આવેલા અન્ય પક્ષના આગંતુક ઉમેદવારને રાજકીય સમજૂતીના નામે સ્વીકારતો નથી અને તેને મત આપતો નથી. ઘણાં કિસ્સામાં એ મત એ પક્ષને જાય છે જેની વિરુદ્ધ રાજકીય સમજૂતી કરવામાં આવી હોય. આવું વખતોવખત જોવા મળ્યું છે.

પ્રશાંત કિશોર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે જો નિર્ણાયક રાજકીય પરિવર્તન કરવું હોય તો એને માટે વિરોધ પક્ષોના મતદાતાઓ ઉપર ભરોસો રાખવાની જગ્યાએ બી.જે.પી.નો વિરોધ કરનારા મતદાતાઓ ઉપર સીધો ભરોસો રાખીને એને જેવું જોઈએ છે, એવું રાજકારણ કરવું જોઈએ. એવા મતદાતાની સંખ્યા ઓછી નથી, લગભગ ૫૦ ટકા છે. અડધોઅડધ. બી.જે.પી.નો વિરોધ કરનારા નાગરિકોના મત હિમાલય જેટલા અચલ છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી, એમાં વધારો થઈ શકે છે. જે મતદાતા બી.જે.પી.નો વિરોધ કરે છે એ બી.જે.પી.ની વિરુદ્ધ મત આપતો રહે છે, જ્યારે કે તેને ખબર હોય છે કે તેનો મત નિર્ણાયક પરિવર્તન કરી શકવાનો નથી અને વેડફાવાનો છે.

વારંવાર ભારતના પચાસ ટકા મતદાતાઓ રૂઢ અર્થમાં પોતાનો મત વેડફે છે. તેને ખબર છે કે તે નિર્ણાયક પરિવર્તન કરી શકતો નથી અને તે વિરોધ પક્ષોથી નિરાશ અને અને નારાજ પણ છે; પણ એ છતાં ય તે બી.જે.પી.ને મત આપતો નથી, કારણ કે તેને બી.જે.પી.ની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. એ વારંવાર બી.જે.પી.ની કલ્પનાનું ભારત તેની વિરુદ્ધ મત આપીને નકારતો રહે છે, પછી ભલે એ વાંઝિયો પ્રયાસ હોય.

એને કંઈક જોઈએ છે. એવું કાંઈક જોઈએ છે જે બી.જે.પી. આપી શકે એમ નથી. ઊલટું તેને એમ લાગે છે કે બી.જે.પી.એ તેને જે જોઈએ છે એ ઝુંટવી લીધું છે. તેની પાસે અત્યાર સુધી જે હતું એ બી.જે.પી.એ ઝૂંટવી લીધું છે. એ એને પાછું જોઈએ છે. શું જોઈએ છે એને? સહિયારું ભારત. દરેક ધર્મોને સમાન આદર આપનારું સેક્યુલર ભારત. દરેક અવાજને વાચા આપનારું મુક્ત લોકતાંત્રિક ભારત. સ્ત્રીઓને અને શોષિત-વંચિતને ન્યાય તેમ જ માનવીય ગરિમા આપનારું સમાનતાયુક્ત ભારત. જ્યાં કાયદો અને વ્યવસ્થાનો લાભ દરેકને એક સરખો મળતો હોય એવું કાયદાના રાજવાળું બંધારણીય ભારત. સંખ્યાના જોરે કોઈ કોમવિશેષની દાદાગીરી ચલાવી લેવામાં ન આવતી હોય એવું સભ્ય ભારત. જ્યાં ખોટો ઇતિહાસ ભણાવવામાં ન આવતો હોય, જ્યાં ખોટા ગૃહિતો સ્થાપિત કરવામાં ન આવતા હોય, જેમાં લોકોને ભાવનાઓના પૂરમાં વહાવવામાં ન આવતા હોય, જ્યાં લોકોને ડર બતાવવામાં ન આવતો હોય, એવું બુદ્ધિપ્રધાન વિવેકી ભારત. જ્યાં વિજ્ઞાન અને વિકાસ કેન્દ્રમાં હોય એવું ઊર્ધ્વગામી ભારત. ભારતના ૫૦ મતદાતાઓને આવું ભારત જોઈએ છે. વિરોધ પક્ષોના મતદાતાઓને આવું ભારત અભિપ્રેત છે કે નહીં, એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે, પણ જેમને આવું ભારત જોઈએ છે એ બી.જે.પી.નો વિરોધ કરે છે. તેઓ બી.જે.પી.નો વિરોધ કરતા હતા, કરે છે અને કરવાના છે; કોઈ રાજકીય પક્ષ તેના મતને ઝીલવા સક્ષમ હોય કે ન હોય.

ભારતનો પ્રત્યેક બીજો નાગરિક બી.જે.પી.નો વિરોધી છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી. આવનારાં વરસોમાં એમાં વધારો થવાની શક્યતા ખરી, પણ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. ટકોરાબંધ પ્રતિબદ્ધ મતદાતાઓ ઉપલબ્ધ છે, પણ તેના સુધી પહોંચવું કેમ અને પહોંચશે કોણ? આ લાખ રૂપિયાનો સવાલ છે. વિપક્ષી જોડાણની કસરત કરવા તૈયાર છે, તેમાં ઓછી બેઠકો મેળવીને અપમાનિત થવા તૈયાર છે, પણ સહેજે ઉપલબ્ધ પ્રતિબદ્ધ મતદાતા પાસે રાજકીય વિકલ્પ બનીને પહોંચવાની કોઈ કોશિશ કરતું નથી.

કારણ? ૧. ભારતમાં કાઁગ્રેસને છોડીને અખિલ ભારતીય સ્તરે કોઈ પક્ષ હાજરી ધરાવતો નથી અને કાઁગ્રેસ દિશાહિન તેમ જ પુરુષાર્થહિન છે. ૨. બે-ચાર પક્ષોને છોડીને બાકીના બધા જ પક્ષો પારિવારિક પક્ષો છે. ૩. આમ આદમી પાર્ટીનો એક ધૂમકેતુની માફક ઉદય થયો હતો, પણ અત્યારે તેમાં તેના નેતા અરવિંદ કેજરીવાલ પોતે તાનાશાહ છે અને બી.જે.પી.ના આકરા હિન્દુત્વ સામે સોફ્ટ હિન્દુત્વની નકલ કરે છે. જે હિંદુઓથી ડરીને હિંદુઓને રીઝવવાનું રાજકારણ કરશે તે ક્યારે ય ફાવવાના નથી.

આમ સ્થિતિ નિરાશાજનક છે, પણ આશાનું કિરણ એ છે કે શૂન્યાવકાશ ક્યારે ય ભરાયા વિના રહેતો નથી. જ્યારે જેની જરૂરિયાત હોય તેનો ઉદય થતો હોય છે. કુદરતનો આ નિયમ છે અને તે અટલ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જાન્યુઆરી 2022

Loading

16 January 2022 admin
← ચલ મન મુંબઈ નગરી—128
અધર્મને ટકવા માટે ધર્મ સિવાય બીજું ઠેકાણું નથી … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved