Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેના-ભા.જ.પ. વચ્ચેની ખાઈ એવી પહોળી થઈ ગઈ છે કે હવે સાથે થવું હોય તો પણ શરમ આવે

રમેશ ઓઝા|Opinion - Opinion|14 November 2019

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્યપાલ બી.જે.પી.ના છે અને બી.જે.પી.નું અત્યાર સુધીનું લોકતંત્ર પ્રત્યેનું વલણ જોતાં તેઓ કોઈ બીજાને સરકાર રચવા દે એ શક્ય નહોતું. બાકી શિવસેનાને વધારે સમય આપવો જોઈતો હતો. બંધારણમાં એવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે સરકાર રચી શકવાનો દાવો કરનારને એક દિવસ પણ વધારાનો ન આપવો. બંધારણ ઘડનારાઓએ સરકાર રચવા દેવાનો અધિકાર રાજ્યપાલોના વિવેક પર છોડ્યો છે તેનો દાયકાઓથી દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ભૂતકાળમાં કૉંગ્રેસે છીંડાં પાડ્યાં હતાં, પણ બી.જે.પી.એ તો સત્તામાં આવ્યા પછી આખી વાડ જ કાપી નાખી છે.

મણિપુરમાં કૉંગ્રેસને ૨૮ બેઠકો મળી હતી અને બી.જે.પી.ને ૨૧ બેઠકો મળી હતી, પરંતુ સરકાર બી.જે.પી.ની રચાઈ હતી. ગોવામાં કૉંગ્રેસને ૧૭ બેઠકો મળી હતી અને બી.જે.પી.ને માત્ર ૧૩ બેઠકો મળી હતી અને છતાં સરકાર બી.જે.પી.ની રચાઈ હતી. મેઘાલયમાં કૉંગ્રેસને ૨૧ બેઠકો મળી હતી અને બી.જે.પી.ને માત્ર બે જ બેઠકો મળી હતી, છતાં સરકાર બી.જે.પી.ની ભાગીદારીવાળી રચાઈ હતી. કર્ણાટકમાં કૉંગ્રેસ અને જનતા દળ(સેક્યુલર)ની સરકાર તોડીને બી.જે.પી.ની સરકાર રચવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર તોડવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં સરકાર તોડવામાં આવી હતી અને ત્યાં રાષ્ટ્રપતિશાસન હેઠળ મૂકવામાં આવ્યું હતું. એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. આમ બંધારણ અને લોકતંત્ર માટે બી.જે.પી.ને કેટલી ખેવના છે એ તો એક કરતાં વધુ વખત સાબિત થઈ ગયું છે. 

મહારાષ્ટ્રમાં જો રાજ્યપાલે શિવસેનાને પૂરતો સમય આપ્યો હોત અને સેનાને કૉંગ્રેસના સમર્થનના અભાવમાં સરકાર રચવાની અસમર્થતા બતાવી હોત અને એ પછી નિરુપાયે રાષ્ટ્રપતિશાસન લાદ્યું હોત તો એ બંધારણ સુસંગત ઘટના ગણાત, પણ કેન્દ્ર સરકારને ડર લાગ્યો હતો કે કૉંગ્રેસ કદાચ સમર્થન આપી દેશે તો? ભારતમાં રાજ કરવાનો માત્ર અમારો જ અબાધિત અધિકાર છે એમ બી.જે.પી. માને છે.

આ આખા પ્રકરણનો એક હિસ્સો થયો. બીજો હિસ્સો એ છે કે શિવસેનાની સરકારને કૉંગ્રેસ ટેકો આપત તો એ હાસ્યાસ્પદ તો ખરી જ પણ સાથે દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાત. શિવસેના અને કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં દાયકાઓ જૂના રાજકીય દુશ્મનો છે. સેના કૉંગ્રેસને મુસ્લિમતરફી અને મહારાષ્ટ્રવિરોધી કહીને ગાળો આપતી રહી છે. બી.જે.પી.નો તો હજુ મહારાષ્ટ્રમાં એક પ્રભાવી પક્ષ તરીકે ઉદય પણ નહોતો થયો ત્યારથી સેના-કૉંગ્રેસ વચ્ચે દુશ્મનીનો ઇતિહાસ રહ્યો છે. હજુ હમણાં સુધી, એટલે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સુધી સેનાએ તેના ચૂંટણીપ્રચારમાં કૉંગ્રેસને ઉપર કહી એવી નિંદા કરી હતી. સેના મરાઠી પ્રાંતવાદી અને હિન્દુત્વવાદી સંકુચિત રાજકારણ કરે છે, જેનો સ્વીકાર કૉંગ્રેસ ન કરી શકે અને ન કરવો જોઈએ.

આમ કૉંગ્રેસની નૈતિક ફરજ અને તેનું લાંબા ગાળાનું રાજકીય હિત સેનાની સાથે ન જવામાં હતું. શરદ પવારનો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ મહારાષ્ટ્રની બહાર કોઈ અસ્તિત્વ નથી ધરાવતો એટલે પવાર સેનાને ટેકો આપે અને કૉંગ્રેસ ટેકો આપે એવો આગ્રહ રાખે એ સમજી શકાય એમ છે, પરંતુ કૉંગ્રેસે જો ટેકો આપ્યો હોત તો તેને મહારાષ્ટ્રની બહાર રાજકીય નુકસાન જ થયું હોત. કૉંગ્રેસે પહેલા દિવસે જ સેના સાથે જવાના પ્રસ્તાવને નકારી કાઢવો જોઈતો હતો, પણ કૉંગ્રેસે તેમ કર્યું નહોતું.

અહીં પણ રાજકારણ રમાયું છે. શરદ પવાર અને કૉંગ્રેસે મળીને સેનાને ટેકો આપવાના સંકેત આપ્યા હતા કે જેથી સેના બી.જે.પી. સાથે છેડો ફાડે. જો પહેલા દિવસે જ કૉંગ્રેસે સેનાને ટેકો આપવાની ના પાડી હોત તો સેનાએ બી.જે.પી. સાથે સંબંધવિચ્છેદ ન કર્યો હોત. આ રમતના સૂત્રધાર શરદ પવાર હતા. તેમણે બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહને પડકાર ફેંક્યો હતો કે બહુમતી નહીં હોવા છતાં રાજ્યોમાં બી.જે.પી.ની સરકારો રચવામાં પ્રાવીણ્ય ધરાવનારા અમિત શાહ મહારાષ્ટ્રમાં એ કરી બતાવે. સ્થિતિ એવી બની કે અમિત શાહ અને બી.જે.પી. વિપુલ નાણાકીય સાધન અને યેનકેન પ્રકારેણ સરકાર રચવાનું પ્રાવીણ્ય હોવા છતાં નાછૂટકે સંયમ રાખવો પડ્યો હતો. આમ એમ લાગે છે કે મહારાષ્ટ્રમાં શરદ પવારે પહેલાં ચૂંટણીમાં અને એ પછી સરકાર રચવાની બાબતે બી.જે.પી.ને ચિત્ત કરી છે.

સવાલ એ છે કે બી.જે.પી. અને સેના વચ્ચે સરકાર રચવાની સમજૂતી કેમ ન થઈ શકી? સેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહે છે કે બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસની હાજરીમાં ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલા માન્ય રાખી હતી અને તેમાં અડધી-અડધી મુદતના મુખ્ય પ્રધાનપદનો સમાવેશ પણ થતો હતો. દેવેન્દ્ર ફડનવીસ કહે છે કે એવી કોઈ સમજૂતી થઈ જ નહોતી અને ઉદ્ધવ ઠાકરે ફરી જઇને જુઠ્ઠું બોલી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેને ફરી જવાનો અને જૂઠ્ઠું બોલવાનો આરોપ અસહ્ય લાગ્યો હતો.

આ એક ખૂલાસો થયો, પરંતુ એ ખૂલાસો ઉદ્ધવ ઠાકરેને વિફરવા માટેનું મુખ્ય કારણ નથી. રાજકારણમાં કોઈ સત્યવાદી હરિશ્ચન્દ્ર નથી અને સ્વમાન તેમ જ મૂલ્યો તો આજકાલનાં રાજકારણમાં સાવ અજાણ્યાં તત્ત્વો છે. મુખ્ય કારણ છે, બી.જે.પી.ની દાદાગીરી. બી.જે.પી.એ જો મહારાષ્ટ્રમાં જેદીતેદી બહુમતી મેળવવી હોય તો તેણે શિવસેનાને જ નબળી પાડવી પડે એમ છે. માત્ર સેનાનો જનાધાર જ બી.જે.પી.નો બની શકે એમ છે અને પ્રમાણમાં આસાનીથી બની શકે એમ છે. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ અને એન.સી.પી.(જે આમ તો એક જ રાજકીય પરીબળ છે)નો જનાધાર તોડવો હજુ આસાન નથી એ આ વખતની ચૂંટણીએ ફરીવાર બતાવી આપ્યું છે. એટલે આવતા એક દાયકામાં સેનાને હાંસિયામાં ધકેલતા જઈને તેને ખતમ કરી નાખવી એ બી.જે.પી.નો એજન્ડા છે.

સેના આ વાત જાણે છે. એટલે તેણે ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં તેણે બી.જે.પી. સાથે ચૂંટણી સમજૂતી કરી નહોતી. એ પછીનાં પૂરાં પાંચ વર્ષ સેના એન.ડી.એ.નો હિસ્સો હોવા છતાં અને કેન્દ્ર તેમ જ રાજ્યમાં સરકારમાં ભાગીદાર હોવા છતાં વિરોધ પક્ષનું કામ કર્યું હતું. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ભવ્ય વિજય મળ્યો એ જોઈને સેના ગભરાઈ ગઈ હતી. બી.જે.પી.નો વિજય અને કાશ્મીર અંગેનો ઐતિહાસિક નિર્ણય જોઈને ઉદ્ધવ ઠાકરેને એમ લાગ્યું હતું કે બી.જે.પી.ની વિરુદ્ધ જવામાં કદાચ મોટો ગેરફાયદો થઈ શકે એમ છે. તેમને શિવસેનામાં વિભાજનની અથવા તો મોટા પ્રમાણમાં વિધાનસભ્યો બી.જે.પી.માં જતા રહેશે એવો ડર લાગ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ના ભવ્ય વિજય છતાં અને કાશ્મીર અંગેના ઐતિહાસિક  નિર્ણય છતાં જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ની સંખ્યામાં વધારો થવાની જગ્યાએ ઘટાડો થયો ત્યારે ઉદ્ધવ ઠાકરે ગેલમાં આવી ગયા હતા. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં સેના-બી.જે.પી. અલગ અલગ લડ્યા હોવા છતાં બી.જે.પી.ને જેટલી બેઠકો મળી હતી એટલી આ વખતે સાથે ચૂંટણી લડવા છતાં મળી નહોતી.

હવે સેના અને બી.જે.પી.નો સંબંધવિચ્છેદ થઈ ગયો છે એટલે હવે પછી મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આ બંને પક્ષો એકબીજાની સામે હશે. મુંબઈ અને બીજાં શહેરોની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં પણ સામસામે ચૂંટણી લડશે. આવું અત્યારે નજરે પડી રહ્યું છે, પરંતુ અહીં અમિત શાહનું પ્રાવીણ્ય કામમાં આવી શકે એમ છે. વિધાનસભ્યો તોડવા અને ખરીદવા માટે બી.જે.પી.ને હવે પૂરતો સમય મળી રહેશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણી યોજાય એવી ઘણી ઓછી શક્યતા છે. એ પહેલાં બી.જે.પી. કમાલ બતાવશે અને પછી સરકાર રચવાનો દાવો કરીને રાષ્ટ્રપતિશાસન ઉઠાવી લેવાશે.

સરવાળે કોણ છેતરાશે? કોણ હારશે? બી.જે.પી. કે સેના? અત્યારે કહેવું મુશ્કેલ છે. સેના અને બી.જે.પી. વચ્ચેની ખાઈ એટલી પહોળી થઈ ગઈ છે હવે સાથે થવું હોય તો પણ શરમ આવે. રાજકારણમાં પાછા ફરવાનો દરવાજો ખુલ્લો રાખાવામાં આવે છે, પણ ઉદ્ધવ ઠાકરેએ તે બંધ કરી દીધો. શરદ પવાર મૂછમાં હસતા હશે. સેના માટે રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન છે એટલે ઉદ્ધવ ઠાકરેએ આકરું વલણ લીધું હતું.

હવે નજીકના ભવિષ્યમાં ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ પછી આવતા વરસના પ્રારંભમાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોઈએ રામમદિર બી.જે.પી.ને કેટલી યારી આપે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી મેં લખ્યું હતું કે શાસકો સામેનો વિરોધ નાગરિકોના ચિત્તમાં પેદા થતો હોય છે અને એવી સ્થિતિમાં મતદાતાઓ કાળા ચોરને મત આપતા હોય છે. જમીનદોસ્ત કરવામાં આવેલા પ્રતિસ્પર્ધી પક્ષોને પ્રજા બેઠી કરી આપતી હોય છે.

જો આનાથી બચવું હોય તો ખાડે જઈ રહેલા અર્થતંત્રને બચાવવાની જરૂર છે. અહીં તો શાસકો આર્થિક સંકટનો સ્વીકાર કરવા પણ તૈયાર નથી એ નાગરિકોના ગિન્નાવાનું મુખ્ય કારણ છે. ડુંગળીનો ભાવ સો રૂપિયે કિલો છે, પણ ખેડૂતને તે આઠ રૂપિયે કિલો વેચવી પડી છે. જો ધોરણસરનું શાસન કરવું હોય તો પ્રજાને કવરાવનારા આવા અનેક પ્રશ્નો છે. આવા પચાસ પ્રશ્નો હું એકશ્વાસે ગણાવી શકું એમ છું.

બાકી તો બહુ ડાહ્યો બહુ ખરડાય એવું ન બને એ માટે હજુ હાથમાં સમય છે.

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 નવેમ્બર 2019

Loading

14 November 2019 admin
← ગુજરાત માટે ગૌરવવંતી ઘટના એટલે હેલ્લારો !
આલિયા બકર : તોપમારાની વચ્ચે પણ બસરાના જાહેર ગ્રંથાલયનાં પુસ્તકોને બચાવનાર લાઇબ્રેરિયન →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved