Opinion Magazine
Number of visits: 9482482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્કૂલનું શિક્ષણ અખતરા અને અરાજકતાનો શિકાર છે..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 March 2023

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ સ્કૂલનું શિક્ષણ પાટે ચડતું નથી. રોજ જાતભાતના ફતવાઓ શિક્ષણખાતું બહાર પાડે છે ને જરા પણ વિચાર્યા વગર જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શિક્ષણ સમિતિઓ તેનાં અમલ માટે રઘવાયાં થઈ થઈને દોડે છે. આખું ખાતું પરિપત્રો અને ડેટા પર જ જીવે છે. આંકડાઓ ભરી ભરીને આચાર્યો, શિક્ષકો જવાબો લખે છે ને કાગળો પર બધું બરાબર ચાલે છે તેની આલબેલ પોકારતા રહે છે, બાકી, શિક્ષણ ડાયાલિસિસ પર હોય તેવું વધારે છે. સારી વાત એ થઈ કે માધ્યમ કોઈ પણ હોય, પણ ગુજરાતી, એક વિષય તરીકે ફરજિયાત ભણાવવાનો કાયદો થયો. ગુજરાતી માધ્યમમાં તો ગુજરાતી હોય જ, પણ અંગ્રેજી માધ્યમમાં પણ ગુજરાતી એક વિષય તરીકે પણ હોય એટલું નક્કી થયું. વર્ગમાં ગુજરાતી ભણાવાય છે કે નહીં, તે તો સમય કહેશે, પણ શિક્ષણ ખાતાને જંપ નથી. રોજ ઊઠીને તેને કોઈને કોઈ પ્રકારની ચૂંક ઊપડે છે ને કોઈને કોઈ પ્રકારના ફેરફારો તેના દ્વારા માથે મરાતા જ રહે છે. વિદ્યાર્થીઓની આ વિભાગ અને તેના સજ્જનો બહુ દયા ખાતાં હોય છે ને તેમને મુશ્કેલી ન પડે એમ માનીને મુશ્કેલીઓ વધારતા રહે છે.

સાદી વાત એટલી છે કે ગુજરાતી ફરજિયાત કરવામાં અંગ્રેજીની અવગણના તો નથી જ, પણ ગુજરાતી ફરજિયાત થવામાં અંગ્રેજીનો કાંકરો તો નહીં નીકળી જાયને એની કેટલાક ગુજ્જુઓને ફાળ પડે છે. સાચું તો એ છે કે અંગ્રેજીનો વાંધો તો કોઈને કદી હતો જ નહીં. સરકાર પોતે ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરીને અંગ્રેજી માધ્યમની સ્કૂલોનું લાયસન્સ આપતી હતી. વાલીઓને પોતાનાં સંતાનો અંગ્રેજ બનાવવા હતાં એટલે એ બધાં પણ મોંઘી ફી ભરીને અંગ્રેજીની આરતી ઉતારતાં હતાં ને સંતાનોને તો અંગ્રેજી હોય તો શું ને ગુજરાતી હોય તો શું, બધું સરખું હતું, એટલે અંગ્રેજીનો તો મૂળથી પાન સુધી કોઈને જ વાંધો ન હતો. વાંધો હતો તે ગુજરાતીનો. ગુજરાતમાં ગુજરાતીનો વાંધો બીજા કોઈને નહીં, પણ ગુજરાતીઓને હતો. તેમની દાનત ન હતી કે ગુજરાતી છોકરાં ગુજરાતી ભણે, એટલે નાછૂટકે સરકારે 1થી 8માં ગુજરાતી ફરજિયાત કરવું પડ્યું. જો કે, દાનત હજી ખોરી જ છે, એટલે દ્વિભાષી ફોર્મ્યુલા લાગુ કરવાનું તૂત ઊભું થયું છે. આ વાત આવી ત્યારે જે તે ટેક્સ્ટ બુક ગુજરાતી-અંગ્રેજીમાં તૈયાર કરવી એવું પણ વિચારાયું, પણ એક જ વિષયની બબ્બે બુકથી પુસ્તકોનું વજન વધે એમ હતું ને એમ થાય તો ભાર વગરનાં ભણતરની પથારી ફરી જાય એમ હતું, એટલે તે આઇડિયા હાલ તુરત તો પડતો મુકાયો, પણ શિક્ષણ વિભાગનો ઉપદ્રવ ઘટતો નથી. શૈક્ષણિક ઉપદ્રવ ન થાય ત્યાં સુધી તેને ચેન નથી પડતું, એટલે દ્વિભાષી ફોર્મ્યુલાનું ભૂત ફરી ધૂણ્યું છે. અંગ્રેજી, ગુજરાતી બંને પાનાં સામસામે ને પાસે પાસે રાખી ભણવું- ભણાવવું એવો વાવર ફેલાયો છે. આમાં ખરેખર તો ચાલતાને ઘોંચ પરોણો કરવા જેવું થાય છે. ગૂંચ વધારવાની જ વાત છે આ. આખી જમાતને એમ જ છે કે આગળ ઉપર અંગ્રેજીમાં છોકરું કાચું ન રહે, કારણ કે આ બધી પ્રજા પરદેશ નિકાસ થવાની છે ને એમને ત્યાં તકલીફ ન પડે એ મુખ્ય ચિંતા છે. એમને ગુજરાતીના વિષયમાં ગુજરાતમાં બે લાખ વિદ્યાર્થીઓ બોર્ડમાં નાપાસ થાય એનો વાંધો નથી, પણ વિદેશમાં અંગ્રેજીમાં છોકરાં પાછળ ન પડે એની ફિકર છે. આ છે, ‘જય જય ગરવી ગુજરાત’ ને આ છે આપણા ગુજ્જુઓ !

અહીં એ પણ વિચારવા જેવું છે કે ગુજરાતની કેટલા ટકા પ્રજા વિદેશ ભણવાની છે? એ પ્રજા અહીં રહેવાની છે એના કરતાં તો ઓછી જ હશે, તો જે અહીં રહેવાની છે એ પ્રજાને માથે અંગ્રેજી મારવાનો કોઈ અર્થ ખરો? અહીં અંગ્રેજી માધ્યમની વ્યવસ્થા ન હતી, ત્યારે પણ અહીંના લોકો વિદેશ ભણ્યા છે ને ડોક્ટર, વકીલ, વૈજ્ઞાનિક, એન્જિનિયર થયા જ છે ને તેમણે હાલ જે નામના મેળવાય છે, એવી જ નામના ત્યારે પણ મેળવી છે. જો એ અંગ્રેજી માધ્યમ વગર શક્ય હોય તો અત્યારે અંગ્રેજીનો અસહ્ય બોજ વધારવાની જરૂર ખરી? અંગ્રેજીનો જરા જેટલો પણ વાંધો નથી, એની અનિવાર્યતા પણ સમજાય છે, પણ ગુજરાતીને ભોગે અંગ્રેજી હાવિ થયું હતું, એટલે ગુજરાતી ફરજિયાત કરવું પડ્યું. અંગ્રેજી તો હતું જ, તે ફરજિયાત ન હતું, છતાં વર્ચસ્વ ભોગવતું હતું. સવાલ ગુજરાતી ભાષાનો હતો. દયનીય સ્થિતિ તો તેની હતી. તેને સરકાર સહિત સૌ કોઈ ભૂંસવા પર હતા એટલે ગુજરાતી ફરજિયાતની વાત આવી.

હવે એ થયું છે તો ગુજરાતી કેવી રીતે સરસ ભણાવી શકાય, તે વિચારવાને બદલે અંગ્રેજી કેવી રીતે ભણી-ભણાવી શકાય એની કાળજી વિશેષ લેવાય છે. દ્વિભાષી ફોર્મ્યુલાને એટલે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સત્તાવાર મંજૂરી આપી દીધી છે ને તેનું જોઈને રાજ્ય સરકારે ‘હા’માં ‘હા’ કરી છે. જો બંને ભાષા ભણાવવાની જ છે તો આ ‘બાઈ લિંગવલ’ યોજના આર્થિક, શૈક્ષણિક બોજ જ વધારશે કે બીજું કૈં? એટલું છે કે દ્વિભાષી ફોર્મ્યુલા ફરજિયાત નથી, પણ દાનત એ છે કે ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં ભણાવાય. ભલે, તેનો ય વાંધો નથી, પણ ગુજરાતીમાં પણ ભણાવાશે જ એવી સ્પષ્ટતા નથી, અંગ્રેજી મીડિયમનું જેટલું ધ્યાન રખાયું છે એટલું ગુજરાતીનું રખાયું નથી જ ! એવું શક્ય છે કે ગુજરાતીને નામે અંગ્રેજી ખપે. ભય એ રહે છે કે ગુજરાતી ફરજિયાત કરવાની વાત નાટક થઈને ન રહી જાય તો સારું.

શરમજનક એ છે કે અંગ્રેજી માધ્યમના શિક્ષકો છે, એટલા ગુજરાતી માધ્યમના નથી. એનો અર્થ એ થાય કે ગુજરાતમાં ગુજરાતીનો એટલો ઉપયોગ રહ્યો નથી કે તેનાં શિક્ષકો પૂરતી સંખ્યામાં મળી રહે. વારુ ગુજરાતી માધ્યમનો શિક્ષક દ્વિભાષીમાં અંગ્રેજી કેવી રીતે ભણાવશે એનો વિચાર પણ કરવાનો રહે જ છે ને કમાલ તો એ છે કે રાજ્યની 906 પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી કામ ચાલે છે. એક જ શિક્ષક 200-300 વિદ્યાર્થીઓની સ્કૂલ કઇ રીતે ચલાવી શકે એવો ખ્યાલ પણ શિક્ષણ વિભાગને નથી આવતો. જ્યાં શિક્ષક છે ત્યાં પણ કૈં બહુ સારી સ્થિતિ નથી. તેનાં પર પણ ખાસ નિયંત્રણ નથી. તાજેતરમાં જ રાજસ્થાનમાં એક શિક્ષકે, શિક્ષકનાં માટલામાંથી એક દલિત બાળકે પાણી પીધું તો એટલો માર માર્યો કે તેનું મોત નીપજ્યું. એ તો રાજસ્થાનની વાત છે એમ કહીને પડદો પાડી શકાય, પણ એ જ ગાળામાં ગરુડેશ્વરનાં  કોચારી ગામનો પ્રાથમિક શિક્ષક ચાલુ ક્લાસે પાટલી પર લંબાવીને ઘોરી જાય છે ને વિદ્યાર્થીઓ પોતાની રીતે ભણવા લાચાર બની જાય છે. બાળકોએ ‘6 વાગ્યા !’ કહીને કે વીડિયો ઉતારનારે પણ એમ કહીને સાહેબને ઉઠાડવાની કોશિશ કરી પણ તેમની ઊંઘ ઊડી નહીં. એમ પણ કહેવાય છે કે સાહેબ નશામાં હતા, સાચું ખોટું તો એ ને એમનો ભગવાન જાણે. એક તો પૂરતી સંખ્યામાં શિક્ષકો હોય નહીં, હોય તો ન હોય એવા ! મોટાભાગનો કારભાર પ્રવાસી અને વિદ્યાસહાયકોની ભરતી કરીને ચલાવાતો હોય ને શિક્ષણ વિભાગને તો શિક્ષકોના પગાર ને પેન્શન બચાવીને, ને એમ આંગળા ચાટીને પેટ ભરવું હોય તો એ તો આંખ આડા કાન કરીને જ ચલાવશે. આંખ આડા કાન તો આમ પણ થાય છે. સાતમાં ધોરણની ટેક્સ્ટ બુકમાં મનુબહેન ગાંધીનો પાઠ છે ને લેખિકાના પરિચયમાં ફોટો કસ્તૂરબાનો છપાયેલો છે. આવું 10 વર્ષથી ટેક્સ્ટ બુકમાં છે ને ભણાવાય છે, પણ પાઠ્યપુસ્તકમાં સુધારો થતો નથી. પાઠ્યપુસ્તકમાં છબરડા એવી રીતે ચાલે છે, જાણે એ જવાબદારી શિક્ષણ વિભાગની હોય જ નહીં ! હાલમાં જ સંસ્કૃત માધ્યમાની ધોરણ 12ની પરીક્ષા રદ કરવી પડી, કેમ? તો કે, પેપરમાં 90 ટકા પ્રશ્નો જૂનાં કોર્સમાંથી પુછાયા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. પેપરસેટર વિદ્યાર્થીઓ કરતાં વધુ અભણ હોય એનો આ નમૂનો છે. ગયાં અઠવાડિયામાં જ બનેલી આ ઘટનાઓ છે આ ને આવા તો બેચાર નમૂનાઓ જ અહીં આપ્યા છે, બાકી, સમસ્યાઓ જ સમાધાનની ગરજ સારતી હોય તો નવાઈ નહીં ! એકને બદલે બીજા વિષયનું પ્રશ્નપત્ર આપી દેવું કે જૂનું કે નવું પૂછવામાં દાટ વાળવાની શિક્ષણ ખાતાને જરા પણ નવાઈ નથી. આટલી ગરબડો હોય ને તેનો કોઈ ઉકેલ ન આવતો હોય ને બીજી તરફ દ્વિભાષી ફોર્મ્યુલા, ગુજરાતી ફરજિયાત ને એવા એવા તો કૈં કૈં અખતરાઓ રોજ જ થતા રહે, ત્યારે ઘરનાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો-ની નીતિ કોઈ રીતે શિક્ષણને ઉપકારક નીવડતી નથી તે સમજી લેવાનું રહે. શિક્ષણ વિભાગે થોડો સમય નવું કૈં કરવા કરતાં છે તેને પાટે ચડાવવાનું કામ કરવા જેવું છે. શિક્ષણ વિભાગને શિક્ષણ જોડે પણ લેવાદેવા છે એટલું હવે તેને યાદ આવે તો પણ શિક્ષણ ઉપર ઉપકાર જ થશે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 માર્ચ 2023

Loading

31 March 2023 Vipool Kalyani
← ગરીબોના ખોરાક બરછટ અનાજના અચ્છે દિન આવશે
ગાંધી, તેમના વિચારો અને જીવન હજુ 21મી સદીના ત્રીજા દાયકામાં પણ શા માટે મહત્ત્વ ધરાવે છે તેનાં દસ કારણો. →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved