Opinion Magazine
Number of visits: 9449459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સવાલ તો એ છે કે, મુખ્ય ન્યાયમૂર્તિએ આવી ભૂલ કેમ કરી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 April 2019

સર્વોચ્ચ અદાલતમાં નોકરી કરી કરી ચૂકેલી એક ૩૫ વરસની મહિલાએ આરોપ કર્યો છે કે છ મહિના પહેલાં તે જ્યારે સર્વોચ્ચ અદાલતમાં નોકરી કરતી હતી, ત્યારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ તેમની સાથે જાતીય છૂટ લેવાની કોશિશ કરી હતી. તેણે એવો પણ આરોપ કર્યો હતો કે મુખ્ય ન્યાયમૂર્તિએ છૂટછાટ લેવા દેવા માટે કેટલીક લાલચો પણ આપી હતી. હંમેશાં બને છે એમ મુખ્ય ન્યાયમૂર્તિએ આરોપની ઇન્કાર કરતા કહ્યું છે કે તેમને ફસાવવામાં આવ્યા છે.

જો પાંચ વરસ પહેલાંનો સમય હોત તો મુખ્ય ન્યાયમૂર્તિને કોઈએ શંકાનો લાભ ન આપ્યો હોત, અને એક અવાજમાં માગણી કરવામાં આવી હોત કે મુખ્ય ન્યાયમૂર્તિએ તપાસ યોજવા દેવી જોઈએ અને તપાસનો અહેવાલ ન આવે અને તેમાં તેઓ નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેમણે કોઈ ખટલા ન સાંભળવા જોઈએ. પણ આ યુગ મર્યાદાલોપનો યુગ છે, એટલે કોઈ પણ સંસ્થા સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ સાથે કાંઈ પણ બની શકે છે. ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતના સિનિયર મોસ્ટ ચાર ન્યાયમૂર્તિઓએ પત્રકાર પરિષદ બોલાવનારા અને સર્વોચ્ચ અદાલતમાં બધું બરોબર નથી એમ જાહેરમાં કહેનારા ચાર ન્યાયમૂર્તિઓમાંના એક હતા. એ પછીથી તેમને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવશે કે કેમ એ વિષે શંકા સેવવામાં આવતી હતી. તેમને મુખ્ય ન્યાયમૂર્તિ તો બનાવવામાં આવ્યા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલતને જે રીતે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ જાણીતી હકીકત છે.

ન્યાયમૂર્તિ ગોગોઈએ બે મહિના પહેલાં સર્વોચ્ચ અદાલતોના બોર્ડ પરથી ગાયબ કરવામાં આવતી મેટરોનું કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું. રિવાજ એવો છે કે જે તે અદાલતમાં દરવાજા નજીક મૂકવામાં આવતા બોર્ડ પર દિવસ દરમ્યાન ચાલનારા ખટલાઓની યાદી મૂકવામાં આવે છે. જે અદાલતમાં જે દિવસે જેટલા વાગે ખટલો બતાવવામાં આવ્યો હોય એ સમયે અસીલોના વકીલોએ હાજર રહેવું પડતું હોય છે. મુંબઈના એક ઊઠી ગયેલા ઉદ્યોગપતિના મામલામાં ખટલો બોર્ડ પર બતાવવામાં જ નહોતો આવતો ઉદ્યોગપતિના વકીલો ગેરહાજર રહેતા હતા અને એ રીતે કેસ આગળ વધતો જ નહોતો. જો કારણ પૂછવામાં આવે તો ખુલાસો કરવામાં આવતો હતો કે બોર્ડ પર મેટર જ નહોતી એટલે અમને જાણ જ નહોતી. આમાં ફાયદો એ કે વકીલને તારીખ માગ્યા વિના તારીખ મળી જાય અને કોઈ વઢે પણ નહીં. ‘અમે શું કરીએ અમે તો તૈયારી સાથે આવ્યા હતા, પણ બોર્ડ પર મેટર જ નહોતી.’ આ ઉપરાંત છેલ્લા એક મહિના દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિએ રાફેલ અને બીજા ખટલાઓમાં આકરું વલણ અપનાવ્યું હતું અને ચૂંટણીપંચનો પણ કાન આમળ્યો હતો.

આમ જો પાંચ વરસ પહેલાંનો સમય હોત તો કોઈએ મુખ્ય ન્યાયમૂર્તિની નિર્દોષ હોવાની અને ફસાવવામાં આવ્યા હોવાની વાત પર ભરોસો ન મૂક્યો હોત અને તેમને નિર્દોષ સાબિત થવાની સલાહ આપવામાં આવી હોત. અત્યારે ઘણી મોટો સંખ્યામાં લોકો ન્યાયમૂર્તિને શંકાનો લાભ આપી રહ્યા છે.

સવાલ એ છે કે ન્યાયમૂર્તિ ગોગોઈએ શું કરવું જોઈતું હતું અને એ પણ ત્યારે જ્યારે તેઓ મુખ્ય ન્યાયમૂર્તિ છે? પહેલો સવાલ આવે છે સ્વાભાવિક ન્યાયનો અને કાયદાકીય તેમ જ ન્યાયની પ્રક્રિયાનો. અંગ્રેજીમાં આને નેચરલ જસ્ટીસ અને ડ્યુ પ્રોસેસ ઑફ લૉ કહેવામાં આવે છે. તેઓ મુખ્ય ન્યાયમૂર્તિ જેવો મહત્ત્વનો હોદ્દો ધરાવે છે, નીડર છે, સત્યના પક્ષે ઊભા રહે છે, વ્યવસ્થાકીય ક્ષતિઓમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે તો બીજી બાજુ આક્ષેપ કરનારી યુવતીના વ્યવહાર વિષે ગંભીર પ્રશ્નો છે, એટલે શું મુખ્ય ન્યાયમૂર્તિ આપોઆપ નિર્દોષ ઠરે? ન્યાય વિશેના પેલા જાણીતા કથન મુજબ ન્યાય થવો પણ જોઈએ અને થતો નજરે પડવો પણ જોઈએ. એ સ્ત્રી જો જુઠ્ઠી હોય તો તેને સજા કરવાની જોગવાઈ કાયદામાં છે.

સ્વાભાવિકપણે ન્યાયમૂર્તિ ગોગોઈએ સર્વોચ્ચ અદાલતના સિનિયર મોસ્ટ જજ કે જજોને તપાસ કરવાનું કહેવું જોઈએ અને તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ. જે ખટલાઓ અત્યારે તેઓ સાંભળી રહ્યા છે તેમાંથી નહીં હટવાની સંમતિ તેમણે સાથી જજો (બ્રધર જજીઝ) પાસેથી મેળવવી જોઈએ. આ બધું કરવાની જગ્યાએ ન્યાયમૂર્તિ ગોગોઈએ વિક્ટીમ હોવાની વાતને નિર્દોષ સાબિત થવા માટે પર્યાપ્ત માની હતી જે એક ભૂલ હતી. મુખ્ય ન્યાયમૂર્તિ કાવતરાનો શિકાર છે એ વાત જ્યાં સાબિત થવાની બાકી છે ત્યાં પોતાને નિર્દોષ સાબિત કરવા તેનો આશરો કઈ રીતે લઈ શકાય? તેમણે રજાના દિવસે શનિવારે અદાલત બોલાવી હતી. બેંચની રચના તેમણે પોતે કરી હતી જેમાં સિનિયર જજોને લેવામાં આવ્યા નહોતા. તેઓ પોતે બેંચમાં એક સભ્ય તરીકે હતા, એટલું જ નહીં તેનું નેતૃત્વ કરતા હતા. તેમણે પોતે પોતાનો બચાવ કર્યો હતો અને આક્ષેપ કરનારી મહિલાના વ્યવહાર વિષે આક્ષેપ કર્યા હતા. ટૂંકમાં જજ પણ તેઓ, આરોપી પણ તેઓ અને વકીલ પણ તેઓ જ.

જેમની પાસેથી દેશની ખૂબ મોટી અપેક્ષા હતી અને છે એ મુખ્ય ન્યાયમૂર્તિએ આવી ભૂલ કેમ કરી? તેમના માટે સહાનુભુતિ ધરાવનારા લોકો પણ કહે છે આ કોઈ યોગ્ય માર્ગ નથી. પેલી સ્ત્રીના ન્યાયના અધિકારનું શું? આરોપ કરનાર વ્યક્તિ ખોટી છે એ ખટલો ચલાવ્યા વિના માની લેવાનું તો જગતનું કોઈ બંધારણ કહેતું નથી. જ્યારે કાયદાનું રાજ આજ જેવું વિકસ્યું નહોતું અને ન્યાયપ્રક્રિયા આજ જેવી ચુસ્ત લેખિત તેમ જ વસ્તુનિષ્ઠ નહોતી એ યુગમાં પણ બન્ને પક્ષને સાંભળ્યા વિના ચુકાદા નહોતા અપાતા.

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ ‘કદાચ’ નિર્દોષ વિક્ટીમ હોઈ શકે છે, પણ આ ‘કદાચ’ શબ્દ તો ત્યારે જ હટશે જ્યારે તેમની અનુપસ્થિતિ વિના તપાસ થશે કે ખટલો ચાલશે અને તેઓ નિર્દોષ તેમ જ વિક્ટીમ સાબિત થશે. આ માટેની જે કાયદાકીય પ્રકિયા છે એનાથી કોઈ બચી ન શકે, મુખ્ય ન્યાયમૂર્તિ પણ નહીં. વાસ્તવમાં મુખ્ય ન્યાયમૂર્તિ તો આ પ્રક્રિયા માટે વધારે પ્રતિબદ્ધ હોવા જોઈએ.

પોતાને વિક્ટીમ સાબિત કરવાની આટલી બધી ઉતાવળ શા માટે? જો કે આમાં આશ્ચર્ય ન થવું જોઈએ. રાફેલ કૌભાંડમાં તેમણે સરકારના પરબીડિયાને આધરે જે પહેલો ચુકાદો આપ્યો હતો ત્યારે પહેલીવાર તેમના ઉતાવળિયા અને કાચા વલણનો અનુભવ થયો હતો. વાદીઓને એ પરબીડિયામાંની વિગતો ચકાસવા દેવા માટે આપવામાં નહોતી આવી જે તેમનો અધિકાર હતો. એની જગ્યાએ સરકારે જે કોઈ ખોટા દાવાઓ કર્યા હતા તેને ફેસ વેલ્યુ પર સ્વીકારીને કૌભાંડની તપાસ કરવાની જરૂરત જ નથી એવો ચુકાદો આપ્યો હતો.

સારું થયું કે મુખ્ય ન્યાયમૂર્તિને પોતાની ભૂલ સમજાઈ છે અને તેમણે બીજા ક્રમના સિનિયર મોસ્ટ ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેને આમાં કાયદાકીય રીતે યથાયોગ્ય કરવાની વિનંતી કરી છે. ન્યાયમૂર્તિ બોબડેએ ત્રણ ન્યાયમૂર્તિઓની સમિતિ રચી છે જે ડિપાર્ટમેન્ટલ ઇન્વેસ્ટીગેશન કરશે. ત્રણ ન્યાયમૂર્તિઓમાં એક મહિલા ન્યાયમૂર્તિ પણ છે. આ બાજુ ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, રોહીગ્ટન નરિમાન અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા કાવતરાની તપાસ કરી રહ્યા છે. બન્ને બાબતો એક સરખી ગંભીર છે. જો કાવતરું હોય તો એ પણ ગંભીર છે અને મુખ્ય ન્યામૂર્તિએ વિનયભંગ કર્યો હોય તો એ પણ ગંભીર છે.

24 ઍપ્રિલ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 ઍપ્રિલ 2019

Loading

25 April 2019 admin
← જલિયાંવાલા બાગની શતાબ્દીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું
‘દર્શક’નું ‘જલિયાંવાલા’ નાટક દેશભક્તિ ઉપરાંત નાગરિક અધિકાર અને કોમી એખલાસને પણ આલેખે છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved