Opinion Magazine
Number of visits: 9448903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સવર્ણ-અવર્ણની વાસ્તવિક્તા તરફ કોઈ આંગળી ચીંધે તો દેશની એકતા જોખમાય !

રમેશ ઓઝા|Opinion - Opinion|15 October 2023

રમેશ ઓઝા

બિહાર સરકારે બિહારમાં કરાવેલી જાતિ-જનગણના પછી જે આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે એ ચોંકાવનારા છે. બિહારની કુલ વસ્તીમાં અન્ય પછાત કોમ(ઓ.બી.સી.)નું પ્રમાણ ૬૩.૧૪ ટકા છે અને તેની અંતર્ગત અતિ પછાત કોમનું પ્રમાણ ૩૬.૦૧ ટકા છે. આનો અર્થ એ થયો કે બિહારમાં અન્ય પછાત જાતિઓમાં અતિ પછાત જાતિઓનું પ્રમાણ ૬૦ ટકા જેટલું છે. યાદ રહે, પછાત અને અતિ પછાત જાતિઓમાં મુસલમાનોનો પણ સમાવેશ થાય છે. ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે મુસલમાનો પણ જ્ઞાતિગ્રસ્ત છે. જેમ ઉજળિયાત હિંદુઓ હિંદુઓમાં અસ્તિત્વ ધરાવતો ભેદભાવ સ્વીકારવા તૈયાર નથી અને જો તમે એ વાત કાઢો તો હિંદુ મહાનતાનાં ગાણાં ગાવા માંડશે એમ ભદ્ર મુસલમાનો પણ તેમની અંદર પ્રવર્તતો ભેદભાવ સ્વીકારવા તૈયાર નથી અને ગાણાં ગાશે કે ઇસ્લામ તો જગતનો એક માત્ર ધર્મ છે જે સમાનતામાં માને છે. ભારતમાં એક માત્ર પારસીઓને છોડીને દરેક ધર્મીય જ્ઞાતિગ્રસ્ત છે. પારસીઓ નથી કારણ કે પારસીઓ પોતાના ધર્મમાં અન્ય ધર્મીઓને પ્રવેશ આપતા નથી. જ્યાં જ્યાં હિંદુઓ ગયા છે ત્યાં પોતાની જ્ઞાતિ લેતા ગયા છે અને અમારા ધર્મમાં ભેદભાવ નથી એવો દાવો કરનારાઓએ પ્રવેશ આપીને ભેદભાવ કાયમ રાખ્યા છે.

માટે બિહાર સરકારે જાતિ જનગણના ધર્મોને વચ્ચે લાવ્યા વિના સાર્વત્રિક કરાવી છે અને એ માટે આપણે બિહાર સરકારના ઋણી છીએ. હશે, દરેક ધર્મ મહાન હશે, દરેક ધર્મના અનુયાયીઓ મહાન હશે, એમનો ઇતિહાસ ઉજ્વળ હશે, પણ એ મહાન લોકોની જમાતમાં કેટલાક લોકો વિકાસની સીડી પર નીચે છે અથવા કતારમાં પાછળ છે અને માટે તેમને પછાત તરીકે ઓળખવામાં આવે છે. આ એરણે જોઈએ તો બિહાર સરકારે કરાવેલી જાતિ જનગણના વિકાસલક્ષી છે, કોમી નથી.

જેને અનમાતનો લાભ નથી મળતો એવા જનરલ કેટેગરીના લોકોની સંખ્યા બિહારની કુલ વસ્તીમાં ૧૫.૫૨ ટકા છે. યાદ રહે, અહીં પણ ઉચ્ચ કુળના મુસલમાનોનો સમાવેશ થાય છે. પણ તો પછી ૧૫.૫૨ ટકા સવર્ણોમાં હિંદુ સવર્ણોનું પ્રમાણ કેટલું અને તેમાં કોનો સમાવેશ થાય છે? બિહારમાં ચાર જ્ઞાતિઓ સવર્ણ જ્ઞાતિઓ છે જેમાં બ્રાહ્મણો, ભૂમિહારો, કાયસ્થો અને રાજપૂતોનો સમાવેશ થાય છે. બિહાર સરકારે જેમ અન્ય પછાત કોમમાં અતિ પછાત કોમની જનગણના કરવી છે એમ સમાજમાં તગડા તરીકે ઓળખાતા અગડા(અગ્રેસર)ની પણ જ્ઞાતિવાર ગણના કરાવી છે. અને તેનું પરિણામ આ મુજબ છે: બ્રાહ્મણ ૩.૬૭ ટકા, રાજપૂત ૩.૪૫ ટકા, ભૂમિહાર ૨.૮૯ ટકા અને કાયસ્થ ૦.૬૦ ટકા. કુલ ૧૦.૬૧ ટકા.

હવે, ઘડીભર વિચારો કે તમે તમારે ઘરે ભોજન સમારંભ રાખ્યો છે. એને માટે તમે રસોયાને બોલાવીને સીધો – સામાનની યાદી બનાવવા બેઠા છો. રસોયો તમને પહેલો સવાલ પૂછશે કે  જમનારા કેટલા હશે? સંખ્યા બતાવો તો હું તમને કહી શકું કે કઈ ચીજની કેટલી જરૂર પડશે. સંખ્યાની જાણકારી વિના રસોયો રસોઈ પણ નથી બનાવી શકતો ત્યાં ભારત સરકાર લાભાર્થીઓની સંખ્યાની જાણકારી વિના લાભ આપે છે. અને આવો જગતમાં માત્ર એક જ દેશ છે જે પાછો પોતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવે છે. આપણી જેમ જ, પણ પોતાની જરૂરિયાત મુજબ અને પ્રમાણમાં અનામતનો લાભ જગતમાં અનેક દેશોમાં આપવામાં આવે છે. લગભગ બધા દેશોમાં. અંગ્રેજીમાં તેને affirmative actions કહેવામાં આવે છે. કોઈ દેશમાં રામરાજ્ય નથી અને કોઈ ધર્મ અને એ ધર્મની પ્રજા સર્વગુણસંપન્ન નથી. દરેક જગ્યાએ એક પ્રજા બીજી પ્રજાને અન્યાય કરતી આવી છે અને કરે છે. પેઢી દર પેઢી અન્યાયનો શિકાર બનતા આવ્યા હોય એવા પ્રજાસમૂહોને ત્યાંની સરકાર ખાસ સવલત આપે છે કે જેથી તે અગડા અને તગડા સાથે બરાબરી કરી શકે.

પણ ફરક એ છે કે આવા દરેક દેશમાં કોણ ક્યાં છે, કોના સ્તરમાં કેટલો સુધારો થયો, કોને એમાંથી બાદ કરવા જોઈએ, કોને હજુ વધુ લક્ષ આપવાની જરૂર છે એની ગણતરી કરવામાં આવે છે. માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં જમનારાઓની સંખ્યાની ગણતરી માંડ્યા વિના ભોજન બનાવવામાં આવે છે તેમ જ પીરસવામાં આવે છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીની સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને દસ ટકાની અનામતની જોગવાઈ કરી એ તો યાદ જ હશે. જેની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા કરતાં ઓછી હોય અને જે શહેરમાં હજાર ફૂટ કરતાં નાનાં ઘરમાં રહેતો હોય તેને દસ ટકા અનામતનો લાભ મળશે. બિહાર સરકારે કરાવેલ જનગણનાનાં આંકડા મુજબ બ્રાહ્મણ, ભૂમિહાર, રાજપૂત અને કાયસ્થોની દસ ટકાની (૧૦.૬૧ ટકા) વસ્તીને દસ ટકા.

અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે ભારતમાં ઉજળિયાત કોમનું પ્રમાણ ૧૫ ટકા કે તેનાથી થોડું વધારે હોવું જોઈએ અને અન્ય પછાત જાતિઓનું પ્રમાણ બાવન ટકાની આસપાસ હોવું જોઈએ. આ બન્ને આંકડા ક્યાંથી આવ્યા એનો કોઈ ખુલાસો મળતો નથી. કદાચ જનરલ કેટેગરી માટે પચાસ ટકા બેઠકો ઓપન કેટેગરીમાં રાખી શકાય એવી કોઈક ગણતરી હશે. પણ હવે બિહાર પૂરતો તો ખુલાસો થયો છે કે સવર્ણો દસ ટકાની આસપાસ છે અને જેને અન્ય પછાત કોમ તરીકે ઓળખાવવામાં આવે છે એ બહુજન સમાજનું પ્રમાણ બાવન ટકા નથી, પણ તેનાથી ક્યાં ય વધુ ૬૩.૪૦ ટકા છે.

૬૩ ટકા પછાતોને આપવામાં આવતું ૨૭ ટકા અનામત ખટકે છે અને તેમાં અન્યાય નજરે પડે છે અને દસ ટકા સવર્ણોને આપવામાં આવેલ ૧૦ ટકાનો બચાવ કરવામાં આવે છે અને તેમાં ન્યાય નજરે પડે છે. આ નર્યો ઢોંગ છે. જો ન્યાય કરવો હોય તો સમાજનો એક્સરે લેવો જોઈએ અને એ એક્સરે સર્વાંગીણ વસ્તીગણતરી દ્વારા જ થઈ શકે. એમાં માત્ર આપવાનો જ ચિતાર નથી મળવાનો, કોને કેટલું ઘટાડવું અને કોને સાવ બાહર કરવા તેનો પણ અંદાજ આવશે. ન્યાય તો આ રીતે જ થાય. જેને જેટલા પોષણની જરૂર હોય એટલું આપવાનું અને પોષણની જરૂર ન હોય તો તેને આત્મનિર્ભર કરી દેવાના.

પણ સંઘ પરિવારને જ્ઞાતિ સામે વાંધો છે. જ્ઞાતિ હિંદુ કોમવાદનું વારણ છે એ તેઓ જાણે છે અને એટેલે દેશની એકતાના નામે તેનો વિરોધ કરે છે. હિંદુ મુસ્લિમ વિખવાદ પેદા કરવાથી દેશની એકતા જળવાઈ રહે અને દેશ આબાદ થઈ જાય અને સર્વણ અવર્ણની વાસ્તવિકતા તરફ કોઈ આંગળી ચીંધે તો દેશની એકતા જોખમાય!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ઑક્ટોબર 2023

Loading

15 October 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—218
ઈઝરાયલ પેલેસ્ટાઈન સંઘર્ષઃ  સત્તાની હોડ, ધર્મનો દુરુપયોગ અને પશ્ચિમી દેશોની રાજ રમત →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved