Opinion Magazine
Number of visits: 9482977
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યનો ક્ષય ને પાપનો જય

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 February 2023

રવીન્દ્ર પારેખ

મૂળ તો ‘સત્યનો જય, પાપનો ક્ષય’ છે, પણ હવે જમાનો બદલાયો છે. એવો સમય હતો જ્યારે મનુષ્ય પાપ ભીરુ હતો. ઈશ્વરથી ડરતો. ખોટું કરતાં ખચકાતો. હજી સત્યનો મહિમા ક્યાંક છે જ ! માણસાઈ, ભલમનસાઈ, સદ્દભાવનું મૂલ્ય હજી છે, પણ જે રીતે લુચ્ચાઈ, બદમાશી, છેતરપિંડી વધી રહી છે, સત્યને રહેવાની જગ્યા સાંકડી થતી આવે છે. ચારે બાજુ જે રીતે અસત્ય, જૂઠાણાં, વધતાં આવે છે તે જોતાં સચ્ચાઈ, અચ્છાઈ, માણસાઈને માટે જગ્યા ઓછી જ બચે છે. ખૂન, લૂંટફાટ, બળાત્કાર, છેડતીના કિસ્સાઓ જે રીતે વધતા આવે છે ને એ જ સાચું હોય તેમ પ્રચાર માધ્યમો તેનો મહિમા કરે છે, તે પરથી તો મૂલ્યોની વાત મજાક જેવી જ લાગે છે. પ્રચાર માધ્યમો જે રીતે પ્રજાને ડરાવી, ધમકાવીને કાબૂ કરે છે, તેમાં પોતે સર્વગુણ સંપન્ન હોવાનો વહેમ કેન્દ્રમાં છે. અમુક જ કરો, અમુક તો ન જ કરો જેવી સલાહો આપનારા પ્રજાને મેસ્મેરાઇઝ કે હિપ્નોટાઈઝ કરતાં હોય તેમ પૂરી બેશરમીથી ને દાદાગીરીથી વર્તે છે. આ બરાબર નથી. પ્રચાર માધ્યમો દ્વારા આવાં કામ માટે ખપમાં લેવાતી જગ્યાનું પ્રમાણ પણ તપાસવા જેવું છે. એમાં થાય છે એવું કે જે સમાચારને મહત્ત્વ અપાવું જોઈએ તે એવે ખૂણે નંખાય છે કે નજરે જ ન ચડે. તેને બદલે રાજકીય અપપ્રચાર, ધંધાકીય ગોલમાલ, આંતરરાષ્ટ્રીય રાજરમતોને એટલું મહત્ત્વ અપાય છે કે જગતમાં સારું તો કશું બનતું જ નહીં હોય એવો વહેમ પડે. એને કારણે મહત્ત્વની સમસ્યાઓ હાંસિયામાં ધકેલાતી હોવાનું પણ લાગે છે.

બીજી ઘણી સમસ્યાઓ છે જ ને તેને વિષે પણ વાત થઈ જ શકે, પણ બજેટ સંદર્ભે એક વાત તરફ નજર નાખવાનું હાલ જરૂરી લાગે છે. એક સમયે રેલવે બજેટ અલગથી પ્રસ્તુત થતું ને તેને પૂરતો સમય ફાળવાતો. નવી ટ્રેનો કે રેલવે સ્ટેશનોની સુવિધાઓ કે રેલવે ભાડાં અંગે વિગતે વાતો થતી, ચર્ચાતી. હવે મુખ્ય બજેટની સાથે જ રેલવે બજેટ પણ એવી રીતે પ્રસ્તુત થાય છે કે તે સાવ ગૌણ હોય. તેને સ્પર્શીને છોડી દેવાતું હોય તેવું વધારે લાગે છે. આવો સાવકો વ્યવહાર અટકવો જોઈએ. નથી પ્રજા એ અંગે કશું બોલતી કે નથી તો રેલવે મંત્રાલયને એમાં કૈં ખૂટતું લાગતું. રેલવે મંત્રી રાબેતા મુજબ ખોટની અને નથી પરવડતું-ની વાત કરતાં રહે છે. એમાં સચ્ચાઈ ઓછી ને ખંધાઈ વધારે છે. તેમાં વળી આ વખતના બજેટમાં નાણાં મંત્રી ઇન્કમટેક્સની રાહતો આપવામાં એવા ઉમંગી રહ્યાં કે સિનિયર્સને ટ્રેનમાં મળતી છૂટ અંગે કોઈ જાહેરાત જ ન કરી. એમને એમ હશે કે ઇન્કમટેક્સનું લોલીપોપ ધર્યું છે, તો સિનિયર્સ રેલવે કન્સેશનને યાદ નહીં કરે. રેલવે મંત્રીને તો ખોટ જ એટલી દેખાય છે કે રાહતની કોઈ વાત ભૂલમાં ય આવે એમ લાગતું નથી.

વડીલોને રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ અપાઈ, ત્યારે સિનિયર્સ, કર ભરવામાંથી મુક્તિ અપાઈ છે એમ માનીને હરખાયેલા, પણ કરની જવાબદારીઓ ઘટી ન હતી એ વાત તેમને મોડી પહોંચેલી. વાત ત્યારે એવી યુક્તિથી રજૂ થયેલી કે સિનિયર્સને છેતરાયાનું ભાન પણ મોડેથી થયેલું. એવું જ રેલવે કન્સેશન બાબતે પણ થયું હોવાનું લાગે છે. 2020 સુધી 58ની ઉપરની મહિલાઓને 50 ટકા અને ભાડામાં સિનિયર્સને 40 ટકા રાહત રેલવે ભાડાંમાં અપાતી હતી, તે આવક ઘટી છે – એ વાત આગળ કરીને, 2020થી બંધ કરી દેવાઈ. કમ સે કમ આ વખતના બજેટમાં એ રાહતની અપેક્ષા સિનિયર્સને હતી, પણ સરકારે મગનું નામ મરી ન જ પડ્યું. આ ઉપરાંત કોરોનાને નામે રેલવેએ ભાડાં તો વધાર્યાં જ, ઉપરથી પ્લેટફોર્મ ટિકિટનાં 10નાં સીધાં 30 કરી દીધા. શતાબ્દી કે રાજધાની જેવી ટ્રેનોમાં ધાબળા, ઓશીકાની સગવડો અપાતી હતી તે કોરોનાને નામે બંધ કરી દેવાઈ, આ સગવડો બંધ થઈ તો તે હિસાબે ભાડું ઘટવું જોઈએ, તેને બદલે વધ્યું. માની લઇએ કે ટ્રેન વ્યવહાર કોરોનામાં બંધ પડ્યો તો રેલવેને ખોટ ગઈ ને એ ભરપાઈ કરવા સિનિયર્સને અપાતું કન્સેશન બંધ થયું. હવે રેલવેને ખોટ ગઈ જ હોય તો સિનિયર્સને અપાતી રાહત બંધ થાય તે સમજી શકાય, તો  સાંસદોને અને પૂર્વ સાંસદોને એકનું કે એકથી વધુની મફત મુસાફરીની સવલત આપવાનું ય બંધ થવું  જોઈએને, પણ એ રાહતો તો ચાલુ જ છે. સિનિયર્સને અપાતી રાહત વખતે રેલવે પોતાને ખોટ કરતી લાગે છે, તો સાંસદોને એ.સી.ની મફત ટિકિટો આપતી વખતે રેલવે નફો કરતી થઈ જાય છે? વારુ, સિનિયર્સને અપાતી રેલવે રાહતો લોકોનાં ટેક્સમાંથી અપાય છે. એવી જ રીતે સાંસદોને અપાતી રાહત પણ લોકોના કરવેરામાંથી જ અપાય છે. તો એકને રાહત બંધ રહે ને એકને ચાલુ રહે એ યોગ્ય છે? રેલવે બીજી રાહતો બંધ કરતી હોય તો સાંસદોને ફર્સ્ટક્લાસ એ.સી.ની કે સેકન્ડ ક્લાસ એ.સી.ની એક કે તેથી વધુની અપાતી મફત ટિકિટો પણ બંધ થવી જોઈએ, એવું નહીં? કે પેલા સાંસદ છે એટલે ખોટ નથી જતી ને ખોટ સિનિયર્સથી જ જાય છે એમ માનવાનું છે? આવી બેવડી નીતિ યોગ્ય નથી.

આવું જ સાંસદોના પગાર, ભાડાંભથ્થાં ને અન્ય સવલતો બાબતે પણ થાય છે. આમ તો સાંસદોએ કેટલો પગાર ને ભથ્થાં કે સવલતો લેવાં તે અંગે કદી કોઈ વિવાદ થતો નથી. જો કે, સારી વાત એ છે કે કેન્ટિનની સબસિડી બંધ કરવાનો અવાજ પણ એક સાંસદે જ ઉઠાવ્યો હતો, પણ પગાર-ભથ્થાંને મામલે તો કોઈ અવાજ સંસદમાંથી નથી જ ઊઠયો તે દુ:ખદ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળતા તમામ સરકારી લાભો બંધ કરી દેવા જોઈએ એ મતલબની અરજી 2019માં થયેલી ને સુપ્રીમે તેનો સ્વીકાર પણ કરેલો, પણ પરિણામ અટકવામાં નહીં, પણ વધવામાં આવ્યું. કોઈ સાંસદનાં પગાર કે પેન્શનમાં વધારા સિવાય કોઈ ફેરફાર થયો નથી. થાય છે એવું કે બધું જ વધે છે તો ટેક્સ પણ વધે છે ને એનો બોજ સામાન્ય પ્રજા પર જ પડે છે. આ લાભ સાંસદો, ધારાસભ્યોથી માંડીને કોર્પોરેટરો સુધીના બધા જ લે છે. એમને પગાર, ભથ્થાં ઉપરાંત ઘણું મફતમાં જ મળે છે ને ઉપરથી તમામ પ્રકારના ટેક્સમાંથી મુક્તિ મળે છે તે નફામાં. સિનિયર્સને રેલવે કન્સેશનમાંથી મુક્તિ અપાઈ, પણ તેમની ટેક્સની જવાબદારીઓ ઘટી નથી. જ્યારે સાંસદને કન્સેશન તો અપાય જ છે, ઉપરથી ટેક્સની જવાબદારીમાંથી મુક્તિ પણ અપાઈ છે. એમનો પોસ્ટનો, મોબાઈલનો, પ્રવાસનો ખર્ચ સામાન્ય પ્રજા પર છે. એની એક ટર્મ પૂરી થાય ને ફરી ન ચૂંટાય કે ચૂંટણી ના લડે તો તે પેન્શનને પાત્ર ઠરે છે. લોકોને ગેસની સબસિડી છોડવાની અપીલ થાય ને લોકો સ્વેચ્છાએ એ લાભ જતો કરે, પણ સાંસદને તેનાં ગામમાં મળતી ગેસની સબસિડી છોડવાની ઈચ્છા નથી જ થતી તે હકીકત છે.

કશુંક મેળવવાને મામલે બધાં જ રાજકારણીઓ એક થઈ જાય છે. મહિને ત્રણેક લાખનો પગાર ને ઉપરથી ભથ્થાં ને સગવડો મેળવનાર સાંસદોને પેટ્રોલ, લિટરનાં હજાર રૂપિયા થાય તો ય મોંઘું ન લાગે એમ બને. સાંસદ હોવું નોકરીનો ભાગ નથી, તે સેવાકીય પ્રવૃત્તિ છે ને છતાં તેનો પગાર લાખોમાં બને છે. એટલું ઓછું હોય તેમ તેનું પેન્શન બંધાય છે. એ પણ એક નહીં, ત્રણ ત્રણ. તે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તેની ટર્મ પૂરી થાય કે ત્રણ ત્રણ પેન્શન એક જ જણને નામે ચડે છે. હવે તો પેન્શન લગભગ બધેથી ગયું છે. ત્રીસ-પાંત્રીસ વર્ષની નોકરી પછી પણ પેન્શન ન હોય ને રાજકારણમાં પાંચ વર્ષે પેન્શન લાગુ થઈ જાય છે ને તે ય કેટલાક કિસ્સાઓમાં તો ત્રણત્રણ ! આ બરાબર છે? આટલા સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો આખા દેશમાં છે, પણ કોઈ માઈના લાલને એ સવાલ નથી થતો કે આ રીતે પેન્શન, ભથ્થાં લઈ શકાય તો પેલા સિનિયર્સને ટ્રેનમાં કન્સેશન કેમ ન આપી શકાય? રેલવે શું માત્ર સિનિયર્સને કારણે ખોટમાં જાય છે? એને માટે સાંસદો જવાબદાર નથી, શું? વર્ષનાં પાંચ લાખ કમાનારો ઇન્કમટેક્સ ભરતો હોય અને મહિને પાંચ લાખ પાડનારો સાંસદ રૂપિયો ય ટેક્સ ન ભરતો હોય એ બરાબર છે? કોર્ટ આ મામલે સરકારને પોતાનાં ધોરણો સ્પષ્ટ કરવાનો આગ્રહ કરે છે તો સરકાર રોકડું પરખાવે છે કે ગૃહની વાતો ગૃહ જ નક્કી કરશે, એમાં ન્યાયતંત્રે માથું મારવાની જરૂર નથી. સાચું તો એ છે કે મૂળ કાયદામાં પેન્શનની વાત જ ન હતી, પણ 2004માં પેન્શનનો લાભ ઉમેરવામાં આવ્યો. એક વાર સભ્યો ગૃહમાં ટર્મ પૂરી કરે કે જિંદગીભરનું પેન્શન પાકું. આ હકીકત છે. પછી કઇ રીતે સત્ય પર ભરોસો રહે? સત્યનો ડગલે ને પગલે ક્ષય થતો જતો હોય ને આંખ સામે જ થતો જતો હોય, તો અ’સત્યમેવ જયતે’ જ કહેવાનું બાકી રહે કે બીજું કૈં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ફેબ્રુઆરી 2023

Loading

13 February 2023 Vipool Kalyani
← જગ કેરી જમાતમાં એની છેક અનોખી ભાત
છુપાવી બેઠો છે →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved