Opinion Magazine
Number of visits: 9504098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરમુખત્યાર શાસકોની મહત્ત્વાકાંક્ષાને પગલે લોકશાહીની પીછેહઠ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 October 2022

સરમુખત્યાર રાષ્ટ્રો લોકશાહીનું પોતાનું ‘વર્ઝન’ ચલાવે છે, પોતાની સત્તાનું આયુષ્ય લંબાય તેવો માહોલ ખડો કરે છે

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આખા વિશ્વમાં સરકારો – ખાસ કરીને જ્યાં લોકશાહી હતી તેવા રાષ્ટ્રોની સરકારોનો ઝૂકાવ સરમુખત્યારશાહી તરફી થયો છે. એટલું જ નહીં પણ લોકશાહીનું દોરડું ઝાલી સત્તા પર પહોંચેલા નેતાઓ જે સરમુખત્યારી વલણ અપનાવી રહ્યા છે, તેમનું શાસન પણ લાંબુ ચાલી રહ્યું છે. બળાપા છતાં ય બધું એ જ રીતે ચાલ્યા કરે છે. આમ તો ઘણાં રાષ્ટ્રોમાં રાજકીય અસ્થિરતા છે જ પણ સરમુખત્યારી વલણનું એક ગજબ કહી શકાય તેવું ઉદાહરણ છે બ્રાઝિલનું. ૨૦૧૮માં જ્યારે જેર બોલસોનારો બ્રાઝિલના પ્રમુખ તરીકે ચૂંટાયા તે પહેલાં તેમને મતદારોએ સાત ટર્મ સુધી કોંગ્રેસમાં મોકો આપ્યો હતો. ૨૦૧૮માં પહેલીવાર હારે તેવી શક્યતાઓ દેખાઇ ત્યારે બોલસોનારોએ એકથી વધારે વાર એમ કહ્યું હતું કે, “ભગવાન પણ મને પ્રમુખની ખુરશી પરથી નહીં હટાવી શકે.” જે લોકશાહીને કારણે તેને સત્તા મળી હતી તેનાથી સાવ વિરુદ્ધ આ વાત હતી. લોકશાહી પર જોખમ આખી દુનિયામાં વધી રહ્યું છે. ૧૨ દેશો એવા છે જ્યાં સ્થાનિક લોકશાહીનો ઝુકાવ સરમુખત્યારશાહી તરફ પલટાયો છે. વેરાયટીઝ ઑફ ડેમોક્રસીના ડેટા અનુસાર પોલેન્ડ, નાઇજર, ઇન્ડોનેશિયા, બોત્સ્વાના, ગ્વ્આતેમાલા, ટ્યુનિશિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ગુયાના, મોરેશિયસ અને સ્લોવેનિયા – બ્રાઝિલ સિવાયના ૧૧ દેશ છે. ટર્કી, ફિલિપિન્સ અને હંગેરી જેવા દેશો લોકશાહીને બચાવવાની લડાઈમાં હથિયાર હેઠા મુકી ચૂક્યાં છે. લાંબા સમયથી જ્યાં લોકશાહી હતી તે દેશોમાં સરમુખત્યારી વલણનું મોજું ફરી વળ્યું છે તે તો ખરું પણ સરમુખત્યાર લીડર્સ વિશ્વ આખામાં સત્તાની બેઠકો પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. રશિયા અને વેનેઝુએલા જેવા દેશોમાં સરમુખત્યારશાહી ઘર કરી ગઇ છે અને નાગરિકોની સ્વતંત્રતા પર કાતર ફરી વળી છે. ૨૦૦૦-ના દાયકાના પૂર્વાર્ધથી જ વૈશ્વિક સ્તરે લોકશાહીકરણની પ્રક્રિયા જાણે ખોટકાઇ ગઇ છે.

ચીન અને કતાર જેવા દેશોમાં સજ્જડ સરમુખત્યારશાહી છે – અહીં એકથી વધુ પક્ષોની વચ્ચે ચૂંટણી થાય એવી કોઇ વ્યવસ્થા જ નથી, એ પ્રથા તંત્રનો ભાગ જ નથી. જ્યાં ચૂંટણી લક્ષી સરમુખત્યારશાહી છે તેવા ટર્કી અને વેનેઝુએલા જેવા દેશોમાં ચૂંટણી થાય ખરી પણ નામ માત્રની – તેમાં પારદર્શિતા નહીં.  તેની સામે ચૂંટણીલક્ષી લોકશાહી હોય જેમ કે બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં ચૂંટણી પારદર્શી અને વાજબી રીતે થાય પણ અમુક લઘુમતીને ત્યાં અધિકાર જ નથી અને નકરી અસમાનતા છે. ઉદારમતવાદી લોકશાહી જેમ કે જર્મની અને સ્વીડનમાં ચૂંટણીઓ સારી પેઠે થાય, લઘુમતીના અધિકારોની ખાતરી સાથે અને સત્તા વચ્ચે સંતુલન જળવાય.

ગયા અઠવાડિયે ઇટાલીમાં મતદારોએ બેનિટો મુસોલિનીની ફાસીવાદી સરમુખત્યારશાહીથી ઘડાયેલા પક્ષની ગઠબંધનની સરકારને સત્તાએ બેસાડી. ઇટાલીની સેન્ટર-લેફ્ટ પાર્ટી નેતાએ આ બદલાવ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને લોકશાહીને બચાવવાની પોતાની લડત નિષ્ફળ રહી તેવી લાગણી દર્શાવી હતી. વર્તમાન સંજોગોની વાત કરીએ તો આ શબ્દો વિશ્વના ઘણા રાષ્ટ્રો માટે પરિચિત છે. વિશેષજ્ઞોના મતે વિશ્વ આખામાં લોકશાહી પાછળ ધકેલાઇ રહી છે.  સ્વીડનમાં પણ થોડા વખત પહેલા નાઝીવાદી અને જમણેરી પક્ષને મતદારોનો જંગી ટેકો મળ્યો. ગમે કે ન ગમે, ફરીવાર કહેવાઇ રહ્યું હોય એવું પણ ભલે લાગે પણ વાસ્તવિકતા છે કે લોકશાહીનું પોત પાતળું પડી રહ્યું છે અને સરમુખત્યારશાહીની પકડ મજબૂત થઇ રહી છે.

લોકશાહીનો વિકાસ ત્રણ તબક્કે થયો છે. પહેલાં તો ૧૯મી સદીની શરૂઆતમાં, ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધ પછીના સમયમાં અને છેલ્લે સિત્તેરના દાયકામાં – જ્યારે ૪૨ ઉદારમતવાદી લોકશાહી હતી. આજે આ આંકડો ૩૪નો છે. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વી-ડેમના રિપોર્ટ અનુસાર ઉદારમતવાદી લોકશાહીમાં રહેનારી વસ્તીની સંખ્યાની ટકાવારી પણ ૧૮ ટકાથી ૧૩ ટકા પર આવી ગઇ છે.

જે રીતે લોકશાહીના તબક્કા છે તે જ રીતે સરમુખત્યારશાહીના તબક્કા પણ વિશેષજ્ઞોએ આપ્યા છે – પહેલો તબક્કો હતો ૧૯૨૦ના દાયકામાં પછી, સાંઇઠના દાયકામાં અને હાલમાં ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આ પરિવર્તન હંમેશાં બળવા મારફતે નથી આવતા પણ કાયદેસર ચૂંટાયેલા નેતાઓને દ્વારા લવાય છે. એકવાર સત્તા પર આવ્યા પછી દરેક રાજકીય નેતા પોતાના હિત મુજબ રાજકીય માહોલ બદલે છે, જેથી ભવિષ્યમાં જ્યારે પણ ચૂંટાવાનો વખત આવે ત્યારે માહોલ તેમની તરફેણનો હોય અને તેમને જ જીત મળે. આમ થાય એટલે તેમને દરેક ચૂંટણીમાં સત્તા મળે જેની પર લોકશાહીની મહોર હોય – પછી ભલે તેમની કામગીરી અને અભિગમ લોકશાહીના નિયમોને નેવે મૂકી દે તેવી હોય.

યુરોપમાં આવી હળવી સરમુખત્યારશાહી ચલાવનારા છે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓબ્રાન. ૨૦૧૦માં સત્તા પર આવ્યા પછી તેમણે માનવ અધિકારોને દૂર કર્યા, મીડિયાની સ્વતંત્રતા પર કામ મૂક્યો, ન્યાયતંત્રને વશમાં લીધું અને દેશમાં ચૂંટણી વ્યવસ્થાનું પણ નવેસરથી ઘડતર કર્યું. આ બધું કરવામાં આખી દુનિયાની નજરમાં તે જમણેરી વિચારધારાનું મૉડલ બની ચૂક્યા છે.

ફિલિપાઇન્સ જેવા દેશમાં પૂર્વ સરમુખત્યારના દીકરાને ચૂંટીને લોકોએ સત્તા પર બેસાડ્યો જેણે પ્રમુખ તરીકેના છ વર્ષમાં ન્યૂઝ મીડિયાને અસ્તવ્યસ્ત કરી દીધું અને ‘વૉર ઓન ડ્રગ્ઝ’ની લડતને પગલે હજારો લોકો મોતને ભેટ્યા. એલ સલ્વાડોરમાં પ્રમુખ નાયિબ બુકેલે 2019માં ચૂંટાયા અને ધારાસભા પર દબાણ લાવવા તેમણે કોંગ્રેસમાં સૈન્યને કામે લગાડ્યું તો સુપ્રિમ કોર્ટે જ્યારે તેમના સૈન્યને વાપરવાના ઇરાદાઓને રોકવાનો પ્રયત્ન કર્યો તો સુપ્રિમ કોર્ટનું પણ ઉલ્લંઘન કર્યું. પ્રમુખના કહ્યે હજારો લોકો આડેધડ કોઇપણ પ્રક્રિયા વગર જેલમાં પૂરી દેવાયા અને આખરે કટોકટી સર્જાઇ જેનું પરિણામ હિંસામાં ફરેવાયું.

વળી યુ.એસ.એ.ની વાત તો બાકી રહી. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાકાળ દરમિયાન જે વલણ શરૂ થયું તેમાં રિપબ્લિકન પાર્ટીએ ઉદારમતવાદી લોકશાહી નીતિઓને વખારે નખાઇ છે અને માહોલ સરમુખત્યાર બન્યો છે. યુ.એસ.એ.માં રિપબ્લિક પાર્ટીની બહુમતી નથી છતાં પણ સરકાર પર અમુક પ્રકારનો કાબૂ તેઓ કરી શક્યા છે. ભૌગોલિક વિભાજનના વલણ અને કોંગ્રેસ તથા ઇલેક્ટોરલ કૉલેજના નાના રાજ્યો પ્રત્યેના પૂર્વગ્રહોને કારણે અમેરિકન સરકારની દરેક શાખા એક પક્ષ કરતાં બીજા પક્ષની વધુ તરફેણ કરે છે.

કોઇ પણ બે રાષ્ટ્રોમાં એક સરખાં કારણોસર લોકશાહી નબળી નથી પડતી પણ છતાં ય દરેક રાષ્ટ્રમાં અમુક થીમ એકસરખાં હોય છે. જેમ કે લોકશાહી માટે જે જોખમ ગણાય તેવી ઘટનાઓને અપાતી પ્રતિક્રિયા જેની સીધી અસર રાષ્ટ્રીય ઓળખ પર પડે છે. પહેલાં તો સમાજમાં ધ્રુવીકરણ થાય – આની પાછળ કાં તો કોઇ સામાજિક બદલાવ હોય અથવા તો રંગભેદ, જાતિભેદ અને ધાર્મિક લઘુમતિનો ઉપયોગ કરી સરકારને મજબૂત કરવાનો પ્રયાસ થયો હોય. સમાજના આંતરિક જોખમો પર પોતે કામ કરશેની વાત કરી નેતાઓ પોતાનું પદ મજબૂત કરે – આમ કરવામાં તે લોકશાહીનું પોતાનું વર્ઝન ચલાવે જેમાં ભેદભાવ હોય અને ઉદારમતવાદી લોકશાહીના મોકળાશ ભર્યા, સમભાવી વિચારોને પાંગળા બનાવે.

આ સંજોગો જટિલ છે, ધીમી ગતિએ ઘણું બદલાઇ રહ્યું છે. નાના રાષ્ટ્રો પણ મહાસત્તા ગણાતા રાષ્ટ્રોની નીતિ અપનાવશે. સરમુખત્યારશાહી નેતાઓ સામાજિક ધ્રુવીકરણ અને અર્થતંત્રમાં અમુક વર્ગોને અગત્યતા આપી પોતાની સત્તાને પોષે તેવો માહોલ સર્જી રહ્યા છે.

તમે અહીં જે વાંચ્યું એ બધું આપણી આસપાસ પણ થઈ રહ્યું છે તેમ તમને નથી લાગતું?

બાય ધી વેઃ

આપણે ત્યાં છેલ્લા એક દાયકામાં હિંદુ ધર્મ મટીને વાદ બની ચૂક્યો છે – કારણ કે રાજકીય મેનેજમેન્ટ માટે એ ઝુકાવ અને તેવો જુવાળ જરૂરી છે. ભા.જ.પા.ને લાંબી રેસનો ઘોડો સાબિત કરવા માટે જે માહોલની જરૂર છે તે તબક્કાવાર ઘડાયો છે. જો કે ઇતિહાસ પુરાવો છે કે એવા રાષ્ટ્રો છે જે સરમુખત્યાર થવામાં હતા અને છતાં ય બળપૂર્વક ત્યાં લોકશાહીની પુનઃસ્થાપના થઇ. નાગરિકોમાં જાગૃતિ હશે તો સરમુખત્યારોને પણ જવાબ આપવા પડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઑક્ટોબર 2022

Loading

2 October 2022 Vipool Kalyani
← “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૧૦) 
પહેલવહેલું ગાંધીકાવ્ય: મનમોહન ગાંધીજીને →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved