Opinion Magazine
Number of visits: 9484141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારને સત્તા અને શોષણ સિવાય બીજા કશામાં રસ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 July 2021

મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રીને માતાપિતાનાં એક ડેલિગેશને રજૂઆત કરી કે કોરોનામાં સ્કૂલો બંધ રહી છે તો પૂરી ફી વસૂલવાનું વાજબી નથી. હાઈકોર્ટે પણ આદેશ આપ્યો છે કે સ્કૂલો ચાલુ નહીં થાય ત્યાં સુધી ટ્યૂશન ફી નહીં વસૂલાય, છતાં ઘણી સ્કૂલો પૂરી ફી વસૂલે છે. આ રીતે ફી ભરી ભરીને તો અમે મરી જઈશું, એવું વાલીઓએ કહ્યું તો, શિક્ષણ મંત્રીએ કહ્યું કે મરી જાવ ! આ ડેલિગેશનમાં મહિલાઓ પણ હતી, પણ એની શરમ છોડીને શિક્ષણ મંત્રીએ કહ્યું કે મરી જાવ. આ એટલી ઉદ્ધતાઈથી કહેવાયું કેમ જાણે વાલીઓનું મંત્રીશ્રી પૂરું કરતાં હોય ! જો કે, ગુજરાતના શિક્ષણ મંત્રીએ માણસાઈ નથી છોડી. એમણે ફીમાં રાહત આપવાનું કહ્યું જ છે, તો સામે શાળા સંચાલકો દબડાવે છે કે રાહતનો વધુ પડતો આગ્રહ શિક્ષણ મંત્રી રાખશે તો તેઓ કોર્ટમાં જશે. અહીં બેશરમી સંચાલકોને પક્ષે છે. એટલે સરકાર કે લોકો કોઈ પણ, ખોટ ખાવા તૈયાર નથી. સંચાલકો જાણે છે કે તેઓ મફતનું શોધી રહ્યા છે. અગાઉ આ જ લોકોએ વાલીઓને લૂંટીને મોં માંગી ફી અનેક બહાને વસૂલી જ છે ને અત્યારે વાલીઓના ધંધાધાપા બંધ છે, નોકરીનાં ઠેકાણાં નથી ને રાહતની ખરેખર જરૂર છે ત્યારે થોડી ખોટ ખાવા સંચાલકો તૈયાર નથી. એમણે તો નફામાં જ ખોટ ખાવાની છે, પણ એટલી માણસાઈ પણ આ સંચાલકો દાખવતાં નથી એ રીતે તેઓ મધ્ય પ્રદેશના શિક્ષણ મંત્રી કરતાં કોઈ રીતે ઊતરતા નથી.

મંત્રી કક્ષાના માણસો કેટલા અવિવેકી ને ઉદ્ધત હોય છે એનો બીજો દાખલો ગઈ ચોથી જૂને છત્તીસગઢ સરકારમાં ત્રણ વખત મંત્રી રહી ચૂકેલા ભા.જ.પી. નેતાએ પૂરો પાડેલો. એમણે કહેલું કે જેમને મોંઘવારી નડતી હોય તેમણે ખાવા-પીવાનું અને પેટ્રોલ ભરાવવાનું છોડી દેવું જોઈએ. તેમનું કહેવાનું પણ આડકતરી રીતે તો એ જ હતું કે જેમનાથી મોંઘવારી સહન ન થતી હોય તેમણે ખાવાપીવાનું છોડી દેવું જોઈએ, બીજા શબ્દોમાં, મરી જવું જોઈએ. જે પ્રજાએ મત આપીને સત્તા આપી તે એ સાંભળવા કે મોંઘવારી સહન ન થતી હોય તો મરી જાવ ! આ સાચું હોય તો તાત્કાલિક અસરથી એ મંત્રીને પદ પરથી ઉતારી મૂકવા જોઈએ, પણ એવા ચમત્કારો તો થાય ત્યારે ખરા. મંત્રીઓનો આવો વાણીવિલાસ મિથ્યાભિમાનનું ને છીછરાપણાનું પરિણામ છે ને પ્રજા જો સભાન થઈ તો તેમણે ભોગવવું પડશે. ભા.જ.પ.નો સાધારણ કાર્યકર પણ નાક પર માખી બેસવા ન દેતો હોય તો મંત્રીઓ હવામાં ઊડે તેની નવાઈ નથી. ભા.જ.પી. શાસકો એવી ગ્રંથિથી પણ પીડાય છે કે જે પણ વિરુદ્ધ મતો આવે છે તે વિપક્ષના જ છે, પણ બધું જ વિરુદ્ધનું તે વિપક્ષનું નથી. જે ફરિયાદ કરે તે વિપક્ષી જ હોય એવી ગેરસમજમાંથી આજના સત્તાધીશોએ બહાર આવી જવાની જરૂર છે. વિપક્ષ સત્તા મેળવવા શાસકોનો મિથ્યા પ્રચાર કરે તે સમજી શકાય, પણ મોંઘવારીથી પીડાતી પ્રજા આ કે તે પક્ષની જ હોય એ જરૂરી નથી. તે સામાન્ય નાગરિક પણ હોય ને કોઈ પક્ષની દલાલી ન કરતો હોય એવું શક્ય છે. એ પણ જવા દઈએ, અડધો મહિનો રોજ પેટ્રોલના ભાવ વધે છે એ વિપક્ષ તો નથી વધારતો ને? એની અસર વિપક્ષને જ થાય છે એવું કઈ રીતે કહી શકાય? દૂધનાં લિટરે બે રૂપિયા વધ્યા એ તો સાચું છે ને? કાલે જ જાહેર થયું છે કે તેલ, ડિટરજન્ટ, ચા, સાબુ, શેમ્પૂ, જામ, નુડલ્સ, ટૂથપેસ્ટ, બેબીફૂડ વગેરેના ભાવ છેલ્લા ત્રણ મહિનામાં 40 ટકા સુધી વધ્યા છે. ત્રણ મહિનામાં કોઈ સરકારમાં આટલા ભાવ વધ્યા નથી, તો એનું નિયંત્રણ કરવાને બદલે મંત્રીઓ કહે છે – મરી જાવ ! આ યોગ્ય છે?

પ્રજા તો મરશે કે કેમ તે ખબર નથી, પણ મંત્રીઓએ ભાવિ વિચારી લેવું જોઈએ. અનેક સત્તાઓ આવી આ દેશમાં અને ગઈ, એટલે કોઈ અનંત કાળ રહેતું નથી, એ દરેક સરકારે સમજી લેવાનું રહે છે. એવું પણ નથી કે પ્રજા દૂધે ધોયેલી છે. એ પણ સરકારનું જોઈને જ શીખે છે. પ્રજાના પ્રતિનિધિઓ કઈ રીતે વર્તે છે એનો એક ઓર દાખલો જોઈએ. જિલ્લા પંચાયતની એક પ્રાથમિક શિક્ષિકાને ફરજ પર પાછી લેવા શિક્ષક સંઘના પ્રમુખે ઉપરી અધિકારીઓને નામે લાખો રૂપિયાની લાંચ માંગી. શિક્ષિકાએ કોઈક કારણસર રાજીનામું આપ્યું હતું ને તે પાછું ખેંચવાની કોશિશમાં તેની પાસેથી મોટી રકમ માંગવામાં આવી. એટલી રકમ ન હોવાનું કહેતાં પ્રમુખે શિક્ષિકાને લોન લઈને પણ ચોક્કસ રકમ ભરપાઈ કરવાનો આગ્રહ રાખ્યો. આ શરમજનક છે.

એમ લાગે છે કે આ દેશને શિક્ષિતોએ કર્યું છે એટલું નુકસાન અભણોએ નથી કર્યું. જો કે એમને તક ન મળી હોય એમ બને. ગુજરાતના રાજ્યપાલે બે દિવસ પર જ કહ્યું કે શિક્ષણની ફેક્ટરીઓ ચાલે છે ને શિક્ષકોને પગાર જોડે જ મતલબ હોય છે. આ સ્થિતિ રાજ્ય કે સમાજને ઉન્નતિ તરફ ન લઈ જઈ શકે એવું રાજ્યપાલને લાગે છે. કોરોના કાળમાં નકલી ઇન્જેકશનો કે દવાઓ વેચાયાં કે ઓક્સિજનની ચોરી થઈ એ કામ કોઈ અભણ ખેડૂતે કે મજૂરે નથી કર્યું. એ શિક્ષિતોએ કર્યું છે. આ વિધાન કોઈ સાધારણ માણસનું નથી, એ રાજ્યપાલનો સંતાપ છે ને તે સાવ ખોટો છે એમ કહી શકાય એમ નથી.

આ બધું બન્યું છે આત્મનિરીક્ષણના અભાવમાં. કોઈ સરકારને કશુંક ખોટું થઈ રહ્યું છે એવું લાગતું જ નથી. બધું ખોટું નહીં જ હોય, પણ બધું જ સાચું છે એવું ય ક્યાં છે? કોઈ મંત્રી વાલીઓને મરી જવાનું કહે કે કોઈ પૂર્વ મંત્રી મોંઘવારી નડતી હોય તો લોકોને ખાવાપીવાનું છોડી દેવાનું કહે તે યોગ્ય છે? જે પ્રજાના મતથી મંત્રી બનવાનું થયું હોય એ મંત્રી પ્રજાના મોતની કામના કરે એ શરમજનક છે. સવાલ એ છે કે આટલી ઉદ્ધતાઈ આવી કઈ રીતે? કોઈ મનોરોગી પણ ન વર્તે એ રીતે મંત્રીઓ વર્તે ને તેની સામે કોઈ પગલાં ન લેવાય તો બીજો મંત્રી વધુ ઉદ્ધત બને એમાં નવાઈ નથી. આમ જ ચાલતું આવ્યું છે ને ચાલશે, કારણ આવા લવારા કરનારને કોઈ શિક્ષાત્મક પગલાંનો સામનો કરવાનું ભાગ્યે જ બને છે. એને કારણે કેટલાકની હિંમત વધે છે.

રાષ્ટ્રીય સ્તરે જોઈશું તો પણ જણાશે કે પ્રજાહિતની વિચારણા ઓછામાં ઓછી થાય છે. પેકેજો જાહેર થતાં રહે છે ને લોકોની બેહાલીમાં ફરક પડતો નથી એ હકીકત છે. મોટે ભાગે તો સત્તા કઈ રીતે ટકી રહે, કયા રાજ્યમાં કોને તોડવાથી ભા.જ.પ.નું શાસન આવે એમ છે કે આવનારી ચૂંટણીઓમાં મત કઈ રીતે પોતાના પક્ષમાં આવે એમ છે એની ગણતરીઓમાં જ શાસકોનો ઘણો સમય જાય છે. એમ ન જ થવું જોઈએ એવું કહેવાનું નથી, પણ હવે કામથી નહીં, દામથી મત મેળવાય છે. એને માટે કૈં પણ કરવું પડે એની કોઈને છોછ નથી. સાધનશુદ્ધિ એ હવે આઉટડેટેડ શબ્દ છે. એક તરફ હિન્દુ રાષ્ટ્રનું સંકીર્તન ચાલે છે ને બીજી બાજુ ભાવિક ભક્તો લઘુમતી વિરુદ્ધ ઓકાય એટલું ઝેર ઓકે છે. એ બધાં સાવ ખોટાં છે એવું પણ નથી, પણ જે કોઈ આદર્શ નક્કી થાય એને વફાદાર તો રહેવું જોઈએ ને ! ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક છે. મુખ્ય મંત્રી કટ્ટર હિંદુવાદી વલણ ધરાવે છે તે જગજાહેર છે, પણ એ સમીકરણ આ વખતની ચૂંટણીમાં બહુ કામ લાગે એમ નથી, કારણ આંદોલન લંબાવાને કારણે ખેડૂતોના મત મળવાની શક્યતાઓ ઘટી છે, એ સ્થિતિમાં ચૂંટણી જીતવી હોય તો લઘુમતીના મત તરફ નજર નાખવા સિવાય છૂટકો નથી. આમ તો લઘુમતીના મત પણ બહુ મળે એમ નથી, પણ ટ્રિપલ તલાકને મુદ્દે મહિલાઓને તો લાભ જ થયો છે, તો થોડું જોર વધારે લગાવાય તો લઘુમતી મહિલાઓના મતો મળે એમ બને, પણ  વાત એ નથી. આમ ભક્તજનો લઘુમતીની વિરુદ્ધ પ્રચાર કરતાં ફરે છે, પણ જરૂર તો તેમની પણ છે જ એ ધ્યાને લેવા જેવું છે. લઘુમતી ના ખપે, પણ તેના મત ખપે એ તો બરાબર નથી. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને પણ લઘુમતીના કલ્યાણની યોજનાઓ તૈયાર કરવાનું કહી દેવાયું છે. આ થાય છે એનો જરા જેટલો ય વાંધો નથી, વાંધો એ છે કે ભૂતકાળમાં અનેક ઉપદ્રવો લઘુમતીએ કર્યા છે ને કરે છે, છતાં તે આ દેશમાં જ છે ને તેના મતનું પણ મૂલ્ય છે તો તે રીતે પણ વિચારવાનું રહે છે.

બીજું, માત્ર ચૂંટણીલક્ષી વિચારણા કરીને સરકાર અટકી જાય તે ચાલે એમ નથી, કારણ દેશનો સામાન્ય નાગરિક આરોગ્ય વિષયક પ્રશ્નોથી તો પીડાય જ છે, આર્થિક મુશ્કેલીઓનો સામનો પણ તે કરી રહ્યો હોય તો તેને મોંઘવારીથી મારવામાં માણસાઈ નથી. લઘુમતીના શંકાસ્પદ મતો માટે વિચારવું પડતું હોય તો આ તો સિક્યોર્ડ મતો છે, એનું અહિત કરીને તો સરકાર રચવાનું જ શક્ય નથી. ઇચ્છીએ કે સરકાર ચૂંટણી ઉપરાંત પણ પ્રજા હિતનું એવું પગલું ભારે જે પ્રજાને ખરેખર અનુભવાય. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 જુલાઈ 2021

Loading

2 July 2021 admin
← લઈ લો… લઈ લો… લક્ષદીપ લઈ લો
મ્હોરી શકું છું →

Search by

Opinion

  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved