Opinion Magazine
Number of visits: 9446175
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરદાર કેવી રીતે ‘ચક્રમ’ મહાત્માના અનુયાયી બની ગયા …

રાજ ગોસ્વામી|Gandhiana|14 June 2021

ગયા શનિવારે, ૫મી જૂને ખેડા સત્યાગ્રહને ૧૦૩ વર્ષ પૂર્ણ થયાં, તે નિમિત્તે મિત્ર સાથે વાત થતી હતી, તેમાં એક વાત જાણવા મળી કે ખેડા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલને મહાત્મા ગાંધીનો ‘અસલી’ પરિચય થયો અને તેમણે ગાંધીથી પ્રભાવિત થઇને અમદાવાદમાં બેરિસ્ટરનો વ્યવસાય છોડી દીધો. ખેડા સત્યાગ્રહ દરમ્યાન જ તેમણે બેરિસ્ટરનાં યુરોપિયન કોટ-પેન્ટ ત્યજીને કોટનનું ધોતિયું અને ઝબ્બો પહેરવાનું શરૂ કર્યું હતું. એક રીતે, ખેડા સત્યાગ્રહ વલ્લભભાઈની અગ્નિપરીક્ષા હતો. એમાંથી તે એવા અણીશુદ્ધ તૈયાર થયા કે દસ વર્ષ પછી બારડોલી સત્યાગ્રહમાં ‘સરદાર’ બનીને રાષ્ટ્રીય સ્તરે ઉભર્યા. ખેડા દસમાની બોર્ડ પરીક્ષા હતી, તો બારડોલી ગ્રેજ્યુએશન હતું.

મહાત્મા અને સરદારની જોડી બની ખેડા સત્યગ્રહથી. તે પહેલાં, સરદારે ગાંધી વિશે સાંભળ્યું હતું ખરું, પરંતુ તેમને ગાંધીજીમાં દમ લાગ્યો ન હતો. ઊલટાના, તેમણે ગાંધીને હસી કાઢ્યા હતા. ઇન ફેક્ટ, એવા બે સંદર્ભ મળે છે, જે પ્રમાણે વલ્લભભાઈ ગાંધીજીને ‘ચક્રમ’ ગણતા હતા. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ ચાલતી નેશનલ વર્ચુઅલ લાઈબ્રેરીમાં, સરદાર પટેલના જીવનચરિત્ર્યમાં અમદાવાદની ગુજરાત ક્લબનો એક પ્રસંગ છે. આ ક્લબમાં ગાંધીજી અને પટેલ સહિત ઘણા બેરિસ્ટરો સભ્ય હતા. એવું કહેવાય છે કે ૧૯૧૬માં બંને પહેલીવાર અહીં એકબીજાને મળ્યા હતા.

પ્રસંગ ૧૯૧૬ કે ૧૭નો છે. ખેડા સત્યાગ્રહ શરૂ થવાના એક વર્ષ પહેલાંનો. આફ્રિકામાં ગાંધીજીએ ગોરી હુકુમતના અન્યાય સામે ભારતીયોને અહિંસક રીતે સંગઠિત કરીને ગાંધીજી ૧૯૧૫માં ભારત પરત ફર્યા હતા, અને તેમની ચર્ચા દેશભરમાં હતી. અમદાવાદના નામી આગેવાનો તેમનાથી બહુ પ્રભાવિત હતા. એક દિવસ તેમને પ્રતિષ્ઠિત ગુજરાત ક્લબમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમને જોવા/સાંભળવા માટે મોટું ટોળું ભેગું થઇ ગયું.

વલ્લભભાઈને ગાંધીજીને જોવા/સાંભળવામાં રસ ન હતો. ઊલટાના, તેમના ટેબલ પાસે લોકો જે રીતે ધક્કા-મુક્કી કરતા હતા તેનાથી તે અકળાતા હતા. કોઈક મિત્રએ તેમને કહ્યું કે ગાંધીને સાંભળવા જેવા છે, તો વલ્લભભાઈ દાઢમાં બોલ્યા, “હું તમને કહી દઉં એ શું બોલવાના છે. એ તમને પૂછશે કે ઘઉંમાંથી કાંકરા અલગ કેમ કરવા તે આવડે છે. બહુ મોટા આઝાદી મેળવવા નીકળ્યા છે.”

વલ્લભભાઈને ગાંધીજીના અહિંસા અને સત્યાગ્રહના આદર્શોમાં રસ ન હતો. મહાત્મા ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન અને બોમ્બે સર્વોદય મંડળ સંચાલિત ગાંધી વેબસાઈટમાં બાપુ અને સરદાર પરના એક પ્રકરણમાં આ જ પ્રસંગમાં થોડો ઉમેરો છે. કોટ-પેન્ટમાં સજ્જ અને સિગાર ફૂંકતા વલ્લભભાઈએ મિત્રના સૂચનને ફગાવતાં કહ્યું હતું, “મને કોઈએ કહ્યું છે કે તે સાઉથ આફ્રિકાથી આવ્યા છે. સાચું કહું તો મને એ ચક્રમ લાગે છે, અને તમને ખબર છે કે મને આવા લોકોમાં રસ નથી. આપણે ત્યાં આમ પણ બહુ મહાત્માઓ છે."

બે જ વર્ષ પછી, ૧૯૧૭માં ગોધરામાં યોજાયેલી ગુજરાત પોલિટીકલ કોન્ફરન્સમાં સરદાર પટેલ પહેલી વાર મહાત્મા ગાંધીને સીધા મળ્યા, ત્યાં સુધીમાં તેમનો અભિપ્રાય બદલાઈ ચુક્યો હતો, અને ગાંધીજીની ચળવળમાં જોડાવાનો નિર્ણય કરીને તે બોલ્યા હતા, "મને એવું લાગ્યું હતું કે મહાત્માથી છેટા રહેવું એ અપરાધ છે."

ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ત્રણ આંદોલનોની મહત્ત્વની ભૂમિકા છે; ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મિલ હડતાળ અને ખેડા સત્યાગ્રહ. આમાં ખેડા સત્યાગ્રહે એક તરફ અંગ્રેજ શાસન સામેના આક્રોશમાં લોકોને સંગઠિત કર્યા, તો બીજી તરફ તેમાંથી ગાંધીજી અને સરદાર પટેલની જુગલજોડીની શરૂઆત થઇ. પટેલે તેમની ધીખતી બેરિસ્ટરી છોડી જ ગાંધીજી અને ખેડા આંદોલન સાથે જોડાવા માટે.

વકીલાત છોડીને સત્યાગ્રહમાં જોડાવાના સરદારના નિર્ણય અંગે ગાંધીજીએ કહ્યું હતું, “વલ્લભભાઈએ મને કહ્યું કે – મારી પ્રેકટીસ ધમધોકાર ચાલી રહી છે તેમાં કોઈ શંકા નથી. મ્યુનિસિપાલટીમાં પણ હું મોટું કામ કરી રહ્યો છું, પરંતુ ખેડામાં ખેડૂતોનો સંઘર્ષ તેના કરતાં મોટો છે. મારી પ્રેક્ટીસ આજે છે અને કાલે નહીં હોય. મારા પૈસા તો કાલે ઊડી જશે, મારા વારસદારો એને ફૂંકી મારશે એટલે મારે પૈસા કરતાં મોટો વારસો મૂકીને જવું છે.” સરદારે તેમના નિર્ણય વિશે કહ્યું હતું, “મેં ક્ષણિક આવેગમાં આવીને નહીં, પણ બહુ મંથન કરીને આ જીવન પસંદ કર્યું છે.” એ નિર્ણય માત્ર એમની જિંદગી જ નહીં, રાષ્ટ્રની નિયતિને બદલી નાખવાનો હતો.

ગોધરામાં ગુજરાત પોલિટિકલ કોન્ફરન્સમાં ગાંધીજીએ સૌથી પહેલું કામ બ્રિટિશ રાજ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો ખરડો ફાડી નાખવાનું કર્યું હતું. તે વખતે એવો નિયમ હતો કે દરેક રાજકીય કોન્ફરન્સની શરૂઆત આવા ખરડાથી થતી હતી. ગાંધીજીએ ત્યાં ઉપસ્થિત નેતાઓને ભારતીય ભાષામાં બોલવા માટે સૂચન કર્યું હતું. વલ્લભભાઈને ગુજરાતીમાં બોલતાં ફાવ્યું ન હતું, પરંતુ માતૃભાષામાં કોન્ફરન્સ યોજવાનો ગાંધીજીનો વિચાર તેમનું દિલ જીતી ગયો હતો. એ મિટીંગ પછી, ગાંધીજીની વિનંતીથી પટેલ ગુજરાત સભાની કારોબારી કમિટીના સચિવ બન્યા હતા. ગાંધીજી તેના ચેરમેન હતા.

વલ્લભભાઇએ પાછળથી ખેડા સત્યાગ્રહના દિવસો યાદ કરીને કહ્યું હતું, “તે વખતના શરૂઆતના દિવસોમાં મને તેમના સિદ્ધાંતો અને હિંસા – અહિંસાના વિચારોની પડી ન હતી. મને એટલી ખબર હતી કે તેઓ પ્રતિબદ્ધ હતા અને તેમણે તેમનું સમગ્ર જીવન, તેમની પાસે જે કઈ હતું તે એક ઉચિત ન્યાય માટે સમર્પિત કરી દીધું હતું. તેઓ રાષ્ટ્રને ગુલામીમાંથી છોડાવા માંગતા હતા અને તેમને એ ખબર હતી કે તે કેવી રીતે સિદ્ધ થાય. મારા માટે આટલું પૂરતું હતું.”

૫મી જૂને ખેડા સત્યાગ્રહની પૂર્ણાહુતિનો સમારંભ યોજ્યો ત્યારે ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ માટે કહ્યું “ખેડા જિલ્લાની પ્રજાની છ માસની બહાદુરી ભરી લોકલડતમાં સેનાપતિની ચતુરાઈ પોતાનું કારભારી મંડળ પસંદ કરવામાં હતી. સેનાપતિ હું હતો, પરંતુ ઉપસેનાપતિ માટે મારી નજર વલ્લભભાઈ ઉપર પડેલી. વલ્લભભાઈની મારી પહેલી મુલાકાત થઈ ત્યારે મને લાગેલું કે, આ અક્કડ પુરુષ કોણ હશે ? એ શું કામ આવશે ? પણ હું જેમ જેમ વધારે સંપર્કમાં આવ્યો તેમ તેમ લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ ખેડા સત્યાગ્રહ માટે ના મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 જૂન 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

14 June 2021 admin
← નિવેદન
શબ્દ જ્યારે ઝાલ્યો રહેતો નથી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved