Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંકટ ઘણું વિકટ છે ને દુનિયાભરના શાસકો ગાફેલ પુરવાર થયા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 May 2020

ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની ૧૮મી તારીખે (તારીખ અને વરસ પર ફરી એકવાર નજર કરો. આજથી સાત મહિના પહેલાં અને ચીનમાં કોરોના વાઈરસ જોવા મળ્યો એના બે મહિના પહેલાં) ‘ઇવેન્ટ ૨૦૧ : અ ગોલ્બ્લ પેન્ડેમિક એક્સરસાઈઝ’ નામની એક પરિષદ મળી હતી. પરિષદનું આયોજન ‘જૉહ્ન્સ હોપકિન્સ સેન્ટર ફૉર હેલ્થ સિક્યૉરિટી’એ ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ સાથે મળીને કર્યું હતું. એ એકસરસાઈઝ માટેની પરિષદમાં જગતભરના વિખ્યાત વિષાણુ-વિજ્ઞાનીઓ ભેગા મળ્યા હતા. જગત જે રીતે નજીક આવી રહ્યું છે, જે રીતે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, જે રીતે પર્યાવરણના પ્રશ્નો પેદા થઈ રહ્યા છે એ જોતાં નવા યુગમાં આરોગ્યને લગતા નવા પ્રશ્નો પેદા થઈ શકે છે અને એનું કારણ સમયાંતરે પેદા થતા નવા નવા વાઈરસ હશે.

ઇવેન્ટ ૨૦૧ : અ ગોલ્બ્લ પેન્ડેમિક એક્સરસાઈઝમાં કહેવામાં આવ્યું હતું કે હવે પછી વાઈરસોના કારણે આરોગ્યની જે સમસ્યા પેદા થશે એ દરેક અર્થમાં વૈશ્વિક હશે અને કોઈ એક દેશ પૂરતી સીમિત નહીં હોય. ઉપદ્રવ ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે હશે, કારણ કે જગત ખૂબ નજીક આવી ગયું છે. આ સ્થિતિમાં જગતની સરકારો, કોર્પોરેટ કંપનીઓ, આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી જાગતિક સંસ્થાઓ અને મીડિયા વચ્ચે પરસ્પર સહયોગનું નેટવર્ક વિકસાવવું જરૂરી છે. જો આ રીતનો સહિયારો પ્રયત્ન નહીં કરવામાં આવે તો જગત ઉપર સહિયારી આફત આવી શકે એમ છે. અર્થતંત્ર, શાસનનું સ્વરૂપ અને ગુણવત્તા તેમ જ આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેની સૌથી વધુ અસર થશે.

આ ક્યારે કહેવામાં આવ્યું હતું? સાત મહિના પહેલાં ૧૮મી ઓક્ટોબરે. માત્ર ચર્ચા કરવામાં નહોતી આવી. ‘પબ્લિક-પ્રાઇવેટ કૉઓપરેશન ફૉર પેન્ડેમિક પ્રીપેડનેસ ઍન્ડ રિસ્પોન્સ: અ કોલ ફૉર એક્શન’ નામની ચાર પાનાંની સમરી તૈયાર કરવામાં આવી હતી અને તેને જગતભરની સરકારોને મોકલવામાં આવી હતી. એ સમરીમાં સાત મુદ્દાનો એક્શન પ્લાન પણ સૂચવવામાં આવ્યો છે. જે વાચકોને રસ હોય તેમને અહીં  http://www.centerforhealthsecurity.org/event201/event201-resources/200117-PublicPrivatePandemicCalltoAction.pdf જોવા મળશે. 

કહેવાની જરૂર નથી કે ચર્ચાને અંતે કાઢવામાં આવેલા સારની અને સલાહની જગતની તમામ સરકારોએ અવગણના કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેની અવગણના કરી હતી. આશ્ચર્ય એ વાતનું છે કે ચીનમાં કોરોનાએ દેખા દીધી એ પછી પણ તેની અવગણના કરવામાં આવી હતી. હજુ આજે પણ એના વિશે વાત કરવામાં નથી આવતી કારણ કે જગતનો કોઈ શાસક આયનામાં પોતાનું મોઢું જોવા તૈયાર નથી.

આ તો થઈ બેદરકારીની વાત. હવે વાત આવે છે કોરોનાની મહામારીના સ્વરૂપની અને પ્રતિસાદની.

વિશ્વપ્રસિદ્ધ સાપ્તાહિક ‘ધ ઇકોનોમિસ્ટ’ કોવિડના સંકટે જાગતિક સ્વરૂપ પકડ્યું છે ત્યારથી રોજ વેબ-બુલેટીન બહાર પાડે છે. એના ગયા ગુરુવારના અંકમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં જગતભરના જીવાણું અને રોગચાળાના નિષ્ણાતોના સાત હજાર કરતાં વધુ રિસર્ચ પેપર્સ બહાર પાડ્યા છે અને તેના ઉપર જો એક સામટે નજર કરવામાં આવે તો મહામારી વિશે ખાસ કોઈ ઘડ બેસતી નથી. ત્રણ મહિનામાં સાત હજાર રિસર્ચ પેપર્સ એ કોઈ નાનો આંકડો નથી. આના ઉપરથી ખ્યાલ આવશે કે સંકટ કેવડું મોટું છે અને વિકટ છે. વિકટ કહેતાં અટપટું છે. કઈ રીતે અટપટું છે?

વાઇરસ તો જગતમાં સમયાંતરે આવ્યા જ કરે છે, પણ આ પહેલો એવો વાયરસ છે જે માનવશરીરમાં દાખલ થયા પછી દસ, બાર કે પંદર દિવસે બીમારીરૂપે પ્રગટ થાય છે. આનો અર્થ એ થયો કે દરેક જીવતો માણસ દસથી પંદર દિવસ માટે જીવતો બોંબ હોય છે. તમે વાઈરસ સાથે એક પથારીમાં સૂતા હો એ શક્ય છે. વળી સંક્રમણના પહેલા દિવસની જાણ હોતી નથી એટલે છેલ્લા દિવસની પણ જાણ હોતી નથી, એટલે વાઈરસની રસી અને દવા ન શોધાય ત્યાં લગી દરેક માણસ તમારા માટે જોખમી નીવડી શકે છે. આને કારણે સાજા માણસને પણ તમે શંકાથી જુઓ છો. સતત શંકા સાથે અને સતત ભય સાથે જીવવું એનાં માનસિક પરિણામો તમે સમજી શકો છો. પાછું આ તો હજી શરૂઆત છે, આગળ જતા શું થશે એ કોઈ જાણતું નથી. ઈસ રાત કી સુબહ કબ હોગી એ કોઈ જાણતું નથી.

એક સીધો સાદો ઈલાજ શોધી કાઢ્યો હતો, લોકડાઉનનો. અજાણ્યા લોકોથી દૂર રહો, અંતર રાખો. બને ત્યાં સુધી ઘરમાંથી બહાર જ ન નીકળો. પણ આ ઈલાજ અકસીર હોય તો પણ ક્યાં સુધી તમે કોઈને પૂરી રાખો અને ક્યાં સુધી તમે પોતે પૂરાઈને રહો! કાયમ માટે આ શક્ય નથી, મન બળવો કરવા લાગે છે. ગુનાશાસ્ત્રમાં અપહરણના ગુના માટે એમ કહેવાય છે કે એક હદ પછી જેનું અપહરણ કરવામાં આવ્યું હોય એ ધીરજ ગુમાવી દે છે અને જીવ ફગાવીને અપહરણકર્તા ઊપર હુમલો કરે છે. જો મોટી સંખ્યામાં લોકોનું અપહરણ કરવામાં આવ્યું હોય તો માનવસ્વભાવના આ અંગનો લાભ ત્રાસવાદીઓ લેતા હોય છે. તેમને ખબર હોય છે કે જે દેશના લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે એ દેશની સરકાર એવી પળથી ડરશે જ્યારે અપહ્રત વ્યક્તિ કંટાળીને જાન ફગાવી દે અને પરિણામે સ્થિતિ હાથમાંથી વણસી જાય. સરકારને ફાળ હોય છે જેનો ત્રાસવાદીઓ લાભ લે છે અને માગણીઓ વધારતા જાય છે અને મનાવતા પણ જાય છે, સિવાય કે સરકાર અપહ્રતોના જાન હોમી દેવાનો નિર્ણય કરે.

આજે કોરોના વાઈરસ પણ આ જ કરી રહ્યો છે. ઘરમાં પૂરાયેલા માણસનું મન બળવો કરે એ પહેલાં આ લોક ડાઉનનો કોઈ વ્યવહારુ ઈલાજ કરવો જોઈએ. ઈલાજનો પણ ઈલાજ શોધવો પડે એમ છે. એમાં કોઈ શંકા નથી કે લોક ડાઉન એક ઈલાજ છે અને જો પાકી ચરી પાળવામાં આવે તો અકસીર ઈલાજ છે, પણ કાયમી ઈલાજ નથી. અત્યારે લોકો લોક ડાઉનનાં પરિણામે પેદા થનારી આર્થિક અસરો વિશે ચર્ચા કરી રહ્યા છે, પણ માનસિક અને આરોગ્યકીય ચર્ચા થતી નથી. સાહસ પણ ટોળાંમાં સંક્રમિત થતું હોય છે. એક સાહસ કરે, પછી બીજો કરે અને એ પછી ટોળું કરે. મર્યાદાલોપના સાહસનો પણ ચેપ લાગે છે. એટલે તો રાજકારણીઓ ટોળાંનો ઉપયોગ કરતા હોય. તો વાતનો સાર એટલો કે મગજ બળવો કરે અને માણસ આંધળું સાહસ કરે એ પહેલાં લોક ડાઉનનો ઈલાજ કરવો જોઈએ. હમણાં કેટલીક જગ્યાએ લોક ડાઉનને થોડો હળવો કરવામાં આવ્યો અને જે અરાજકતા પેદા થઈ એ બળવો કરતા માનસનું પરિણામ હતું.

બીજું, કોરોનાની અસરની અને તેના ઈલાજની કોઈ એક સરખી પેટર્ન પણ નજરે પડતી નથી. કોઈ પેટર્ન હાથ લાગે તો બચવાનો એક સરખો રસ્તો મળે. જ્યાં ન મરવા જોઈએ ત્યાં લોકો મરે છે, જ્યાં મૃત્યુનું પ્રમાણ વધારે હોવાનું અનુમાન હતું ત્યાં ઓછા મરે છે. વિકાસની એરણે એક સરખું સ્થાન ધરાવતા બે દેશોમાં કોરોનાનો પ્રભાવ અને ઈલાજનાં પરિણામ અલગ અલગ જોવા મળે છે. એક જ દેશમાં વિકાસની એરણે લગભગ એક સરખી સ્થિતિ ધરાવતાં બે પ્રદેશોમાં પેટર્ન અલગ છે. જ્યાં સૌથી વધુ કેસ છે એ મુંબઈ શહેરમાં કોરોનાની પેટર્ન એક સરખી જોવા મળતી નથી. 

તો બે મુદ્દા સામે છે. એક તો એ કે વિશ્વભરના શાસકો ગાફેલ પુરવાર થયા છે. પહેલો આવો અનુભવ છે એટલે એ થોડુંક સ્વાભાવિક પણ છે. અને બીજું, કોરોનાના પ્રસાર અને પ્રભાવની કોઈ પેટર્ન હાથ લાગતી નથી એટલે ઈલાજની પેટર્ન હાથ લાગતી નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 મે 2020

Loading

21 May 2020 admin
← ગિરીશ કર્નાડ : વૈશ્વિક કક્ષાના સર્જક અને કલાકાર
મળતર →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved