Opinion Magazine
Number of visits: 9638371
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સામાજિક-બૌદ્ધિક લડવૈયાની વિદાય

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|9 February 2017

યુવાનો અને બાળકોને વૈજ્ઞાનિક અભિગમ તથા સામાજિક નિસબત ચીંધવામાં તેમનો મહત્ત્વનો ફાળો હતો.

જાણીતા રેશનલિસ્ટ-કર્મશીલ અને બૌદ્ધિક બાબુભાઈ દેસાઈએ 2015ના ઓગસ્ટની 26મી તારીખે પંચોતેરમાં વરસમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે સુરતમાં રંગેચંગે એમનો અમૃત મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે સહુએ બાબુભાઈના વયસહજ સારા સ્વાસ્થ્યની જીકર કરી હતી. ત્યાં જ લિવર કેન્સરની અચાનક આવી પડેલી જીવલેણ બીમારીથી 27મી ડિસેમ્બર, 2016ના રોજ બાબુભાઈની જીવનલીલા સંકેલાઈ ગઈ. ઊર્જા અને ઉષ્માસભર, તરવરાટ અને ઉત્સાહથી છલકાતું એક વ્યક્તિત્વ વિલાઈ ગયું. 

સુરતની ‘સત્યશોધક સભા’ના સ્થાપક મંત્રી એવા બાબુભાઈ દેસાઈનું ગુજરાતના, ખાસ કરીને સુરતના જાહેર જીવનમાં મોટું પ્રદાન છે. યુવા વયથી વિદ્રોહી રહેલા બાબુભાઈએ અનાવિલ જ્ઞાતિના કુરિવાજ વાંકડાના વિરોધી મંડળના સભ્ય બની પોતાની સામાજિક સક્રિયતાનો આરંભ કર્યો હતો. આ બંડખોરી તેમના સ્વભાવનું સ્થાયી લક્ષણ બની રહી. પદ અને પ્રતિષ્ઠાની લાલચમાં સપડાયા વિના તે કાયમ પોતાના ધ્યેયને વળગી રહ્યા.

અંગ્રેજીના અનુસ્નાતક બાબુભાઈ દેસાઈ સુરતની સર કે.પી. કોમર્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતા, પરંતુ સામાજિક-રાજકીય વિષયો પરનું તેમનું લેખન,વાચન, ચિંતન વિશેષ રહ્યું. એમણે અનુદિત-સંપાદિત કરેલાં પુસ્તકો કે સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ સાથે મળીને કરેલાં સંશોધનો આ વાતની ગવાહી છે. અધ્યાપક બાબુભાઈએ પોતાના વિદ્યાર્થીઓના મૂલ્યઘડતરમાં કચાશ ન રાખી, જેનું આજે ય ઘણા વિદ્યાર્થીઓને સ્મરણ છે.

કૉલેજકાળથી જ તેઓ સમાજવાદ-સામ્યવાદથી આકર્ષાયેલા હતા. ગ્રાહક પ્રવૃત્તિ-કામદાર પ્રવૃત્તિની સાથે જ તે કૉલેજ અધ્યાપક મંડળમાં પણ સક્રિય હતા. 1972-73થી તેઓ સુરતમાં સમાજવાદના પદ્ધતિસરના અભ્યાસ અને પ્રચારને વરેલું ‘સોશ્યાલિસ્ટ સ્ટડી સેન્ટર’ ચલાવતા હતા. તેની સાપ્તાહિક ચર્ચા બેઠકો ઉપરાંત મહત્ત્વના વિષયો પર પુસ્તિકા પ્રકાશન કરીને તેઓ યુવાનોને સમાજવાદના પાઠ શીખવતા હતા. જાણીતા સમાજશાસ્ત્રીઓ જાન બ્રેમન અને ડૉ. અક્ષયકુમાર દેસાઈની પુસ્તિકાઓ તો ખરી જ, ખુદ બાબુભાઈએ લખેલી ‘ભારતની સમસ્યાઓ અને સાચો સમાજવાદ’ તથા ‘ભારતની સંસદીય લોકશાહીની ભીતરમાં’ સેન્ટરનાં મુખ્ય પ્રકાશનો હતાં.

1979-80ના વરસમાં સુરતમાં લાખોના ખર્ચે એક યજ્ઞ થવાનો હતો. એક તરફ ગરીબી અને અભાવોમાં જીવતા લોકો અને બીજી તરફ આ લાખો રૂપિયાનો ધુમાડો. બાબુભાઈ તેના વિરોધમાં મચી પડ્યા. આ ગાળામાં યજ્ઞનો વિરોધ કરી રહેલા ડૉ. બી.એ. પરીખનો તેમને ઘનિષ્ટ પરિચય થયો. યજ્ઞવિરોધી વાતાવરણને કાયમ કરવા, તેને અંધશ્રદ્ધાવિરોધી અને વૈજ્ઞાનિક વિચારના પ્રચારપ્રસાર માટેનું બનાવવા સત્યશોધક સભાની રચનાનું બીજ રોપાયું. 1979-80માં સ્થાપાયેલી સત્યશોધક સભાને અગ્રણી રેશનલિસ્ટ રમણ પાઠકનું સમર્થન અને સહયોગ મળ્યા.

બી.એ. પરીખનું ખાતર અને બાબુભાઈનાં પાણીથી સિંચાયેલી આ રેશનલિસ્ટ સંસ્થાએ આજે જે સ્વરૂપ ધારણ કર્યું છે, તેમાં ‘બાપા-બાબુની જોડી’નો સિંહફાળો છે. બાબુભાઈની વૈજ્ઞાનિક વિચારોના પ્રસારની પ્રતિબદ્ધતા અને અણથક ધગશને કારણે દક્ષિણ ગુજરાતમાં અંધશ્રદ્ધા અને ચમત્કારોનો પર્દાફાશ કરતાં જાહેર નિદર્શનો દ્વારા સારું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું.

રેશનલિસ્ટ તરીકે બાબુભાઈ ‘નિરીક્ષણ કરો, સવાલ કરો અને તારણ કાઢો’ની પદ્ધતિમાં માનતા હતા. રેશનલ વિચારોના આ બોદ્ધિક કર્મશીલ પોતાના વિચારો થોપવામાં નહીં પણ તર્કબદ્ધ દલીલોથી સામેની વ્યક્તિને સમજાવવામાં માનતા હતા. તેમના દોહિત્ર માલવ લખે છે, ‘વિજ્ઞાનના અટપટા સિદ્ધાંત સાવ સહજ રીતે તેઓ સમજાવી દેતા. એક દડાની મદદથી ચંદ્રની કળાઓ સમજાવતા. લોકોને કહેવાતા ચમત્કારો બતાવી તેની પાછળનું વિજ્ઞાન બતાવવામાં એમને ખૂબ મઝા પડતી.’ પ્રો. યશપાલના નેતૃત્વ હેઠળની જનવિજ્ઞાન જાથા અને નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં બાબુભાઈનું મહત્ત્વનું પ્રદાન છે. બાળકોને તેના દ્વારા તેમણે વૈજ્ઞાનિક અભિગમ તરફ અભિમુખ કર્યા હતા.

બાબુભાઈ દેસાઈ એક અનોખા રેશનલિસ્ટ હતા. અન્ય રેશનલિસ્ટની જેમ તેમના રેશનલિઝમનો પાયો પણ ઈશ્વરનો ઇન્કાર હતો. પણ તે એટલેથી અટકી જતા નહોતા. તેઓ દેશની સામાજિક-આર્થિક સમસ્યાઓ, ખાસ કરીને વર્ણવ્યવસ્થા અને જાતિપ્રથા, સામાજિક આર્થિક અસમાનતા, કોમી વિસંવાદ, સ્ત્રી સશક્તિકરણ, સેક્યુલરિઝમ, લોકશાહી અને સ્વતંત્રતા જેવા મુદ્દે સ્પષ્ટ ભૂમિકા લેનારા હતા. 1981 અને 1985નાં અનામતવિરોધી રમખાણો વખતે તેઓ ખૂલીને અનામતની તરફેણમાં બહાર આવેલા. દલિત-આદિવાસી અત્યાચારો કે સુરત સહિત ગુજરાતનાં કોમી રમખાણોના તે કાયમ વિરોધી અને કોમી એકતા માટે મથનારા રહ્યા.

પોતાની બંને દીકરીઓના અને પોતાના વિદ્યાર્થીઓનાં આંતરજ્ઞાતીય-આંતરધર્મિય લગ્નોના તે હંમેશાં પુરસ્કર્તા રહ્યા હતા. અમૃત મહોત્સવ સમારંભમાં બાબુભાઈએ, પોતે ડાબેરી જ થવા માંગતા હતા, પણ સુરતમાં તે માટેનું યોગ્ય વાતાવરણ ન હોઈ તે દિશામાં સક્રિય ન થઈ શક્યાનો રંજ વ્યક્ત કરી, રેશનલિઝમ અને તેની પ્રવૃત્તિ કરતી સત્યશોધક સભાને પોતાનો વિસામો ગણી તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ આ રંજ અને સંતોષની પછવાડે રહેલો બાબુભાઈનો અસંતોષ અને મંથન પરખાય છે.

જાણીતા કૉંગ્રેસી આગેવાન ઝીણાભાઈ દરજી સાથે પણ બાબુભાઈનો પરિચય હતો. દલિત-આદિવાસી-ગરીબોના સવાલો ઉકેલવા માટે તેમની સક્રિયતા રહેતી. તે માટે તે કશા છોછ સિવાય ઘણી બધી વ્યક્તિ-સંસ્થાઓ સાથે જોડાતા રહેતા. એટલે 1974થી 1979ના પાંચ વરસ માર્ક્સવાદી ટ્રોટસ્કીવાદી વિચારધારામાં સક્રિય રહેલા બાબુભાઈ ગાંધીવિચારને વરેલા હરિજન સેવક સંઘ, સુરતના પણ પ્રમુખ થયેલા.

2001માં સંયુક્ત રાષ્ટ્રસંઘની વંશવાદ વિરોધી વિશ્વ પરિષદ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાઈ હતી. આ પરિષદમાં દલિતોનો સવાલ રજૂ કરવા ડરબન ગયેલા ગુજરાતના દલિત પ્રતિનિધિ મંડળના એકમાત્ર બિનદલિત સભ્ય બાબુભાઈ દેસાઈ હતા. છેક 1981માં ભાનુભાઈ અધ્વર્યુની પુસ્તિકા ‘અગ્નિગર્ભ વાલિયા’ પ્રગટ કરી, આદિવાસીઓ પરના અત્યાચારને વાચા આપી બાબુભાઈએ તેમની આદિવાસીઓ પ્રત્યેની નિસબત, સમજ અને પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

કોમી રમખાણો વખતે તેઓ ભારે ચિંતિત રહેતા. 2014માં કેન્દ્રમાં સત્તા પલટા પછીની સ્થિતિ અંગે બાબુભાઈએ જાહેર પત્ર દ્વારા પોતાની ચિંતા અને હતાશા વ્યક્ત કરી હતી. તે પછી જ તેમણે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસની ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત થવાનું શાણપણ દાખવ્યું હતું. પત્ની ઉર્મિલાબહેનના અવસાન પછી ખુરશીદ પંથકી સાથે મૈત્રીકરારથી જોડાઈને સાથે રહેવાની હિંમત દાખવી હતી. સતત પ્રવૃત્તિશીલ, આનંદી અને ઉતાવળા એવા આ કર્મશીલ બૌદ્ધિકનું આમ ચાલ્યા જવાનું દુ:ખ અને ખોટ ઘણાં મોટાં છે.

સૌજન્ય : ‘બાબુભાઈ દેસાઈ’, “દિવ્ય ભાસ્કર”, 09 ફેબ્રુઆરી 2017  

Loading

9 February 2017 admin
← મોદીના ભાઈબંધ જાદુગરે કંપની વધારવાની જગ્યાએ મૂંઝવણમાં વધારો કર્યો છે
છત્તીસગઢ : જાણે નક્સલી સિતમ, પોલીસ જુલમ, સરકારી સિતમનો ગઢ − સામે લડે કર્મશીલો ભડ →

Search by

Opinion

  • મૂન આઈલેન્ડ
  • બજેટ : પહેલાં અને પછી : આશા અને નિરાશા –
  • જમી લીધું?
  • મધર ઑફ ઓલ ડીલ્સ : ટ્રમ્પને હાથનાં કર્યાં હૈયે વાગ્યાં, ભારતે અમેરિકાની દાદાગીરી અવગણી યુરોપનો રસ્તો લીધો
  • ચલ મન મુંબઈ નગરી—326

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved