Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાધ્ય સાથે શાસકોને સંબંધ છે અને સાધન સાથે ન્યાયતંત્રને

રમેશ ઓઝા|Opinion - Opinion|17 December 2023

રમેશ ઓઝા

સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચે સર્વાનુમતે જમ્મુ અને ક્સ્શ્મીરને વિશેષ દરજ્જો આપનારા બંધારણના આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાના કેન્દ્ર સરકારનાં પગલાંને માન્યતા આપી છે. પાંચ જજોની બેન્ચમાં ત્રણ જજો માટેનો ચુકાદો મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે લખ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે મૂળમાં આર્ટીકલ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરના વિલિનીકરણ પૂરતો વચગાળાની જરૂરિયાતના ભાગરૂપે ઘડવામાં આવ્યો હતો અને તેનું સ્વરૂપ તાત્કાલિક જરૂરિયાતનું હતું. માટે જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલને આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાનો બંધારણીય અધિકાર છે.

અહીં એક સાદો સવાલ ઉપસ્થિત થાય છે. આટલાં વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન શું ૨૦૧૯માં પહેલીવાર નહોતું આવ્યું હતું? રાષ્ટ્રપતિ શાસન અનેકવાર લાદવામાં આવ્યું છે. હકીકત તો એ છે કે જમ્મુ અને કાશ્મીરે ચૂંટાયેલી સરકાર ઓછી જોઈ છે, રાષ્ટ્રપતિ શાસન જ વધારે જોયું છે. એવું તે બને કે આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાનો આવો સાવ સરળ ઉપાય અત્યાર સુધી કોઈ કેન્દ્ર સરકારને, કોઈ કાયદા પ્રધાનને, કોઈ સોલિસિટર જનરલને, કોઈ એટર્ની જનરલને, કોઈ બંધારણવિદ્દને, કોઈ રાજકીય પક્ષને ન સૂઝ્યો? ખૂદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અને જન સંઘ તેમ જ ભારતીય જનતા પક્ષે આ સાવ સરળ ઉપાય હાથવગો છે એમ કહ્યું નથી. અટલ બિહારી વાજપેયીની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે તે આ ઉપાય વાપરી શકી હોત. ત્યારે પણ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હતું. આજથી ઊલટું જે જમાનમાં મેધાવી લોકો દરેક જગ્યાએ બિરાજમાન હતા ત્યારે કોઈને ય વિચાર ન આવ્યો કે આર્ટીકલ ૩૭૦ રદ્દ કરવાનો ઉપાય તો બસ ખિસ્સામાં છે. કહો રાજ્યપાલને અને કરો રદ્દ!

૭૫ વરસથી ભારત સરકાર ઈચ્છે છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનાં અન્ય રાજ્યોની માફક ભારતીય સંઘરાજ્યનો સંપૂર્ણ હિસ્સો બની જાય. જો જમ્મુ અને કાશ્મીરના મહારાજ હરિ સિંહે તેમનાં રાજ્યનાં ભારતમાં જોડાણ કરવામાં વિલંબ ન કર્યો હોત તો આર્ટીકલ ૩૭૦ની જરૂર પણ ન પડત. દુર્ભાગ્યે જોડાણ સંપૂર્ણ ન થઈ શક્યું એટલે આર્ટીકલ ૩૭૦નો આશરો લેવો પડ્યો. એ વચગાળાનો ખરો, પણ એમાં એક પક્ષકાર જમ્મુ અને કાશ્મીરની પ્રજા પણ છે. આપણે કોઈ સાથે લેવડદેવદ કરવા માટે જેમ પાકો કરાર કરતાં પહેલાં કાચી સમજૂતીનો મુસદ્દો (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ) બનાવીએ છીએ એમ. એ તો દેખીતું છે કે જ્યાં સુધી બીજો પક્ષકાર સંમતિ ન આપે ત્યાં સુધી એમ.ઓ.યુ. એગ્રીમેન્ટમાં ન ફેરવાઈ શકે.

આર્ટીકલ ૩૭૦ને રદ્દ કરવાનો ઉપાય આટલો સરળ હોત તો અત્યાર સુધીના શાસકો શું ગાંડા હતા? અને એમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીનો પણ સમાવેશ થાય છે. કોઈને ન સુઝ્યો એ તોટકો અત્યારની સરકારને સુઝ્યો?

આને કહેવાય શીર્ષાસન. ભારત રાષ્ટ્રનું અને બંધારણ ઘડનારાઓનું અંતિમ લક્ષ આર્ટીકલ ૩૭૦નો એક દિવસ અંત લાવવાનું હતું? જવાબ છે હા. અંતિમ લક્ષ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલિનીકરણનું હતું? જવાબ છે હા. તેમનું અંતિમ લક્ષ જમ્મુ અને કાશ્મીર ભારતનાં બીજાં રાજ્યોની માફક સમાન સ્તરે ભારતીય સંઘનો હિસ્સો બને એ હતું? જવાબ છે હા. તો પછી જમ્મુ અને કાશ્મીર માટે આર્ટીકલ ૩૭૦ વચગાળાનો અને તાત્કાલિક જરૂરિયાતના ભાગરૂપે હતો? જવાબ છે હા. બસ આટલું પૂરતું છે. આર્ટીકલ ૩૭૦ વચગાળાની વ્યવસ્થા હતી અને અંતિમ લક્ષ તેનો અંત લાવવાનો હતો તો પછી એ ગમે તે માર્ગે લાવવામાં આવ્યો હોય એનાથી શું ફરક પડે છે?

આ માર્ગ આગલા શાસકોએ નહોતો અપનાવ્યો કારણ કે તેમને જયપ્રકાશ નારાયણ જેવા અંતરાત્માના રખેવાળોનો ડર લાગતો હતો. તેમને નાગરિક સમાજનો ડર લાગતો હતો. તેમને સ્વતંત્ર મીડિયાનો ડર લાગતો હતો અને સૌથી વધુ તેમને સ્વતંત્ર ન્યાયતંત્રનો ડર લાગતો હતો. આપણું કર્યું ઊંધું વાળે તો? સાદી સમજ કહે છે કે સાધ્ય સાથે શાસકોને સંબંધ છે અને સાધન સાથે ન્યાયતંત્રને. ન્યાયતંત્રનું કામ જ સાધન પર નજર રાખવાનું છે. શાસકો તો ઘણું બધું સાધ્ય કરવા ઈચ્છે છે અને એમાં તેમને શોર્ટકટ પણ જોઈએ છે, પરંતુ ન્યાયતંત્ર તેમને તેમ કરવા દેતું નથી. કોઈ માર્ગ ગેરકાનૂની અને ગેરબંધારણીય ન હોવો જોઈએ એ એક વાત અને કાનૂની તેમ જ બંધારણીય હોય તો પણ કોઈને અન્યાય કરનાર ન હોવો જોઈએ એ બીજી વાત. આ જોવાનું કામ અદાલતનું છે. ટૂંકમાં સાધન પર નજર રાખવાનું કામ ન્યાયતંત્રનું છે, મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતનું છે. આગલા શાસકો બેવકૂફ નહોતા કે તેમને આવો નાનકડો તોટકો ન સૂઝે.

તો વાતનો સાર એ છે કે સર્વોચ્ચ અદાલતે સાધ્યનો આશરો લઈને સાધનને ચકાસવાની તેની જે ફરજ છે એ તરફ આંખ આડા કાન કર્યાં છે. આ ફરક છે વીતેલાં વર્ષોનાં સમાજકારણમાં અને આજનાં સમાજકારણમાં. આજે પારકી છઠ્ઠીનાં જાગતલો નથી. આજે નાગરિક સમાજ દુર્બળ છે. આજે મીડિયા ગોદમાં છે અને ન્યાયતંત્રની કરોડરજ્જુ મેરુદંડનું સ્વરૂપ ધરાવતી નથી. અને સર્વોચ્ચ અદાલતે આવું પહેલીવાર નથી કર્યું. અયોધ્યાના મામલામાં અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારને તોડવામાં આવી ત્યારે પણ આવું જ શીર્ષાસન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ગેરબંધારણીય રીતે તોડી હતી, રાજ્યપાલ અને સ્પીકરે પક્ષપાત કર્યો હતો એ બધી વાત સાચી પણ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું એટલે અમે શું કરીએ? જો રાજીનામું ન આપ્યું હોત તો અમે તેમને પાછા ગાદીએ બેસાડી શકત. અરે સાહેબ, તમારા કહેવા મુજબ જે ગેરબંધારણીય માર્ગે અને પક્ષપાત દ્વારા સત્તા છીનવીને બેઠા છે તેમને હટાવવાના ખરા કે નહીં? બીજું મહિનાઓથી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર સર્વોચ્ચ અદાલતના આદેશને ગણકારતા નથી એ બાબતે સર્વોચ્ચ અદાલતે શું કર્યું? સાધનની બાબતમાં આંખ આડા કાન કરવામાં આવ્યા. આવું જ અયોધ્યાની બાબતે. કોઈ મુસ્લિમ શાસકે અયોધ્યામાં રામમદિર તોડ્યું હોવાનાં પૂરાવા નથી એમ સર્વોચ્ચ અદાલતે સ્વીકાર્યું છે, પણ મસ્જીદ અન્યત્ર બંધાશે. ફરી સાધનની બાબતે આંખ આડા કાન. વળી આ ત્રણેય ખટલામાં ચુકાદાઓ અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે લખ્યા હતા. અદાલતની બહાર મહાન વાતો કરો અને અદાલતમાં શીર્ષાસન કરો!

દરમ્યાન આર્ટીકલ ૩૭૦ આ પહેલાં જ આગલા શાસકોએ ક્રમશઃ અને સિફતપૂર્વક નિસ્તેજ કરી નાખ્યો હતો એટલે એ બંધારણમાં લગભગ નિષ્પ્રાણ અવસ્થામાં જ પડ્યો હતો. માત્ર હવે તેનાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ડિસેમ્બર 2023

Loading

17 December 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—227
COP28: પુનઃપ્રાપ્ય ઊર્જાથી ચાલતી દુનિયાનો દાવો સહેલો, અમલીકરણ અઘરું →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved