Opinion Magazine
Number of visits: 9447226
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રશિયાનો યુક્રેન પર હુમલોઃ પુતિનની મહત્ત્વાકાંક્ષાઓની લોહિયાળ ભૂલ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 March 2022

રશિયાએ જે યુદ્ધ હાલમાં છેડ્યું છે તે જેટલું લાંબુ ચાલશે તેટલું વિશ્વના બીજા રાષ્ટ્રો માટે પરિસ્થિત કપરી થશે કારણ કે એક વખત પછી દરેક રાષ્ટ્રએ તટસ્થતા નેવે મૂકીને પોતે કોના તરફ છે તે જાહેર કરવું પડશે

૨જી માર્ચે મિખાઇલ ગોર્બાચોવનો જન્મદિવસ ગયો. રશિયાના સમાચારોથી આપણા દિવસો ભરેલા હોય ત્યારે ગોર્બાચોવ, તેનું રાજકારણ, તેમના માથે પેલું મોટું નિશાન, યુ.એસ.એસ.આર.ને તોડનાર રાજકરાણી તરીકે બધું યાદ આવે તે સ્વાભાવિક છે.  ગોર્બાચોવના શાસનકાળ પછી પહેલીવાર એક રાષ્ટ્ર તરીકે રશિયાએ આક્રમકતા દર્શાવી છે. રશિયાની આ આક્રમકતા માત્ર યુક્રેનને તાબામાં કરવા જેટલી હશે? રશિયાની બીજી શું મહત્ત્વાકાંક્ષા હોઇ શકે?

છેલ્લા ચાર દાયકામાં રશિયા આંતરરાષ્ટ્રિય સંબંધોને મામલે શાંતિપૂર્ણ બદલવાનું કેન્દ્ર રહ્યું છે. ગોર્બાચોવના સમાધાનકારી New Thinking (NT)ને કારણે શીત યુદ્ધના સંઘર્ષનો અંત આવ્યો સાથે યુ.એસ.એસ.આર.નું વિભાજન થયું – અનેક રશિયન દેશો અલગ થયા અને તે સાથે વૈશ્વિક સ્તરે સામ્યવાદી ચળવળનો પણ અંત આવ્યો. આધુનિક રશિયા અમેરિકન એકધ્રુવીયતાથી દૂર અને બહુધ્રુવીય તંત્રની દિશામાં આગળ વધી રહેલો દેશ છે. સમાંયતરે રશિયા ગોર્બાચોવના NTના આદર્શવાદથી અંતર કરતો આવ્યો છે અને વધુ સંઘર્ષાત્મક – સાદી ભાષામાં સામો થવાનો અભિગમ અપનાવતો આવ્યો છે. બધું શાંતિથી ધીમે ગતિએ બદલાય તે આધુનિક રશિયાને બહુ પચતું નથી, પણ આ પહેલાં રશિયાએ આક્રમક થવાનું ટાળ્યું. રશિયાએ જે યુદ્ધ હાલમાં છેડ્યું છે તે જેટલું લાંબુ ચાલશે તેટલું વિશ્વાના બીજા રાષ્ટ્રો માટે પરિસ્થિત કપરી થશે કારણ કે એક વખત પછી દરેક રાષ્ટ્રએ તટસ્થતા નેવે મૂકીને પોતે કોના તરફ છે તે જાહેર કરવું પડશે. યુ.એસ.એ. અને રશિયા વચ્ચે મહાસત્તા બનવાની રેસ ક્યારે ય અટકી નથી, એ ઘેલછાને કારણે યુદ્ધો પણ થતાં રહ્યાં છે.

રશિયાએ યુક્રેન પર કરેલો હુમલો, જાહેર કરેલું આ યુદ્ધ લાંબુ ચાલશે તો શું થઇ શકે છે? પુતિને જે કર્યું તે શા માટે કર્યું? આ સવાલોના જવાબને સમજતા પહેલાં ગોર્બાચોવના સમય પર નજર નાખીએ. ગોર્બાચોવનો મુખ્ય ઉદ્દેશ હતો આર્થિક દૃષ્ટિએ રશિયાને પશ્ચિમી દેશોની સમાંતરે મુકવો. અર્થતંત્ર પણ પૂરેપૂરું નહીં પણ અમુક અંશે ઉદારમતવાદી થયું – આ મિશ્ર અર્થતંત્રની ખીચડીને કારણે અરાજકતા ફેલાઇ જેને કારણે ગોર્બાચોવની નાલેશી થઇ. કમાન્ડ ઇકોનોમી – એટલે કે ઉત્પાદન જાહેર માલિકીની હોય પણ ઉત્પાદનનું લક્ષ્ય, રોકાણ, વેચાણ વગેરે બધું પણ કેન્દ્રિય સત્તાના હાથમાં હોય – માંથી મિશ્ર અર્થતંત્રનો ફેરફાર ગોર્બાચોવ ન લાવી શક્યા. રાજકારણમાં લોકશાહી લાવવા માટે ગોર્બાચોવે ગ્લાન્સ્નોત નીતિ લૉન્ચ કરી. આ નિર્ણય ગોર્બોચેવ માટે પગે કૂહાડી મારવા જેવો થયો કારણ કે સરકારની અસક્ષમતાની વાતો જોરશોરથી થવા માંડી. આ સંજોગોમાં પોતાની સત્તા મજબૂત કરવા મથતા ગોર્બોચોવ બંધારણીય સરમુખત્યાર બન્યા તો ખરા પણ તેમની નીતિઓ અમલમાં ન મૂકાતી. સેન્ટ્રલ કમિટી સેક્રેટેરિયટનું જોર વધ્યું પણ ગોર્બાચોવે બમણું જોર કરી પક્ષને રોજિંદા અર્થતંત્રમાં માથાકૂટ કરતા રોક્યો. સત્તા સોવિયેટ્સ પાસે ગઇ. બધા રિપબ્લિક્સને પોતાનું પ્રમુખપદ ખડું કરવાનો મોકો મળ્યો. આ તરફ શીત યુદ્ધને કારણે ખડો થયો આર્થિક બોજ ગાર્બાચોવને સમજાયો. ગોર્બાચોવે યુ.એસ.એસ.આર. હવે આંતરરાષ્ટ્રીય જોખમ નથી તેવું વિશ્વભરના દેશોને ગળે ઉતાર્યું. બદલાયેલી નીતિને કારણે શીત યુદ્ધ અટક્યું અને પૂર્વીય યુરોપનું લોકશાહીકરણ થયું. બીજી તરફ સોવિયેત યુનિયનની સ્થિતિ નબળી પડી, આર્થિક પ્રશ્નો ગંભીર બન્યા – સોવિયેત સામ્રાજ્યના નેતા તરીકે ગોર્બાચોવનું સ્થાન જોખમાયું. બોરિસ યેલ્તસીનની એન્ટ્રી-એક્ઝિટ અને રિ એન્ટ્રી થઇ. ગોર્બાચેવને માથે માછલાં ધોવાયા અને યેલ્તસીનના રાજકારણે રશિયન રાષ્ટ્રવાદની લાગણી તીવ્ર કરી. રશિયન્સને સોવેયતનું તંત્ર કઠ્યું. ઘણી ઊંચ – નીચ પછી અંતે સામ્યવાદી પક્ષનો અંત આવ્યો. સમયાંતરે સોવિયેત યુનિયનનું ખંડન થયું. યેલ્તસીને મોકાનો લાભ લઇ પોતાની છબી મજબૂત કરી, જો કે તેના શાસનમાં પણ સમસ્યાઓનો પાર નહોતો.

વર્તમાન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના મતે ગોર્બાચોવે અને યેલ્તસિને રશિયાને સૌથી વધુ નુકસાન કર્યું છે. આજે રશિયાનું અર્થતંત્ર રેઢિયાળ હાલતમાં છે. પુતિનને તેની કોઇ પરવા નથી. લોકશાહી તરફી વાત પુતિનને CIAનું કાવતરું લાગે છે.  પુતિને આ પહેલા તો હંમેશાં એ વાતની ના જ પાડી છે કે તે પોતાના પાડોશી દેશ યુક્રેઇન પર હુમલો કરશે. યુરોપિયન લોકશાહી ધરાવતા યુક્રેન પર હુમલો કરવાનું કારણ આપતા પુતિને કહ્યું કે રશિયાને હંમેશાં આધુનિક યુક્રેનથી બહુ જ જોખમ રહ્યું છે. પુતિન હાલમાં જે ચાલી રહ્યું છે તેને યુદ્ધ કે ચઢાઈ તરીકે સ્વીકારવા તૈયાર નથી. તે પોતે યુક્રેનની સફાઇ કરે છે – સૈન્યને ત્યાંથી કાઢી તેમાંથી નાઝીવાદ દૂર કરે છે તેવો તેનો દાવો છે. પુતિનની માંગ છે કે યુક્રેનને નાટોમાં જોડાવું નહીં, ભૌગોલિક દૃષ્ટિએ પૂર્વીય વિસ્તરણ કરવું નહીં અને જેમ 1997માં નક્કી થયું હતું તેમ કરવું. પુતિનના મતે આધુનિક યુક્રેન સામ્યવાદી રશિયાથી બન્યું હતું પણ હવે તે એક પપેટ સ્ટેટથી વધારે કંઇ નથી જેનો દોરી સંચાર પશ્ચિમી રાષ્ટ્રના હાથમાં છે. નાટોની મનમાની સામે પુતિનને વાંધો છે. પુતિનનું સૈન્ય યુક્રેન પર બધી તરફથી ફરી વળ્યું છે અને યુરોપને હચમચાવી દેવાની તેની ધમકી રશિયનો માટે જ બહુ મોટી ખોટ સાબિત થશે. પુતિનને કોઇ પરવા નથી, તેને પોતાની પ્રજાના ભલામાં રસ નથી. યુરોપની સૌથી મોટી આર્મીની લગામ તેના હાથમાં છે, તેણે આખા વિશ્વને યાદ કરાવ્યું છે કે તેની પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે. યુક્રેનિયન જેનોસાઇડ – નરસંહારને રોકવા માટે પોતે જે કરી રહ્યો છે તે યોગ્ય છે તેમ પુતિનની માન્યતા છે. પુતિનને યુક્રેનની સ્વતંત્રતાનો અને પશ્ચિમી ઝુકાવનો ડર છે, શસ્ત્રોનો નહીં.

આ યુદ્ધ લાંબુ ચાલશે તો અન્ય રાષ્ટ્રોએ પોતે કોની તરફ છે તે જાહેર કરવું પડશે. પશ્ચિમી દેશોએ આ યુદ્ધથી થતું નુકસાન જેટલું ઓછું થાય તે માટે સાબદા રહેવું પડશે. પશ્ચિમી દેશોએ ફુલ સેન્ક્શન પેકેજીઝના જે વાયદા કર્યા હતા, તે પૂરાં કરવા પડશે. વગર કારણ રશિયન્સ નાગરિકોને દંડાવું પડે તેવાં પગલાં ટાળવાં પડશે જેમ કે રશિયન્સ માટે વિઝાનો પ્રતિબંધ જેવા પગલાં તેઓ નહીં લઇ શકે. રેફ્યુજી ક્રાઇસિસ પણ નવા સ્તરે પહોંચશે. નાટો અને તેના સભ્ય દેશોએ યુક્રેનને શસ્ત્ર સંરજામ સહિતની તમામ સહાય પૂરી પાડવી પડશે. બિન પશ્ચિમી દેશોએ પોતાનો મત સ્પષ્ટ કરવો પડશે. જેમ કે કેન્યાના યુ.એન. પ્રતિનિધિએ રશિયાનો વાંક છે તેમ કહેવામાં કોઇ સંકોચ ન રાખ્યો. ચીનને રશિયા-પુતિન સાથેની યારી દોસ્તી આર્થિક અને રાજકીય દૃષ્ટિએ ભારે પડી શકે છે અને માટે સાચા દોસ્તની માફક તેણે પુતિનને પીછેહઠ કરવા સમજાવવો રહ્યો. યુ.એન. અને અન્યોએ યુક્રેનમાં યુદ્ધને કારણે થનારા માનવતાવાદી નુકસાનને પહોંચી વળવામાં મદદ કરવી જોઇએ. આપણા દેશની વાત કરીએ તો ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારી સંબંધોને પગલે હાલના સંજોગોને કારણે સુરક્ષા, ઊર્જા, ધાનની ડિલીવરી અને કિંમતો પર ઘેરો પ્રભાવ પડવાની શક્યતાઓ છે. રશિયન ક્રાઇસિસને કારણે UNSCમાં ભારતનો ફાળો ઘટી રહ્યો છે. ભારતને યુરોપિયન દેશોની માફક રશિયા સાથે ડીલ કરવાનું માફક આવે તેમ છે નહીં કે યુ.એસ.ની માફક.

બાય ધી વેઃ

પુતિને રશિયા માટે જોખમી અને અચોક્કસ સંજોગોનો માર્ગ પસંદ કર્યો છે. યુદ્ધ કોણ જીતશે તે જરૂરી નથી. ઇરાક અને અફઘાનિસ્તાનના દૃષ્ટાંત પરથી યુ.એસ.એ.ને સમજાયું હશે કે સરકાર ઉથલાવવી અને તેને બદલે કંઇક સ્થિર સ્થાપિત કરવું બન્ને અલગ બાબતો છે. પુતિને જે સૈન્યોના વિસ્તરણનો ડર બતાડી યુક્રેન પર હુમલો કર્યો છે, તે લાવ-લશ્કર નાટોએ સરહદે સજ્જ કરી દીધાં છે. રશિયન ઇતિહાસ સરમુખત્યારોના હાથમાં રહ્યો છે, તે ઝાર નિકોલસ હોય કે જોસેફ સ્ટાલિન હોય. રશિયા યુક્રેનનો સંઘર્ષ છેલ્લા દાયકાઓમાંનો સૌથી મોટો યુરોપિયન સંઘર્ષ બની શકે તેવું જોખમ છે. રશિયાના ઇતિહાસમાં આ એક શરમજનક પડાવ ગણાશે તેવું ઉદારમતવાદી રશિયન્સનું માનવું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  06 માર્ચ 2022

Loading

6 March 2022 admin
← ચલ મન મુંબઈ નગરી—135
નારી 8મી માર્ચે જ મુક્ત થાય? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved