Opinion Magazine
Number of visits: 9446700
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેઢિયાળ સત્તાધીશોને આંદોલનથી ઘર ભેગું કરનાર ગુજરાત હાલની પીડામાંથી બેઠું થશે ત્યારે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 April 2021

આંદોલનથી ઇતિહાસ બદલવા માટે જાણીતા ગુજરાતના સંજોગો સત્તાને ઓગાળનારા લાવા બનશે?

હો ગઇ હૈ પીર પર્વત સી – પિઘલની ચાહિએ,  ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિયે

ગુજરાતમાં અત્યારે જે પરિસ્થિતિ છે તેની ચર્ચા કરવાનો પણ થાક લાગે તેવું છે. ઓળખીતા પાળખીતા સાથે અમસ્તી વાત કરવી હોય, તો પણ જરા વિચારવું પડે કારણ કે એવું થવાની પૂરી શક્યતા છે કે તેમણે કોઇ સ્વજન ગુમાવ્યું હોય અથવા તો રેઢિયાળ તંત્રની લાપરવાહીને પગલે સતત હેરાન થયા હોય. વાઇરસ તો પોતાનું કામ કટિબદ્ધતાથી કરી જ રહ્યો છે, લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે પણ કમનસીબે તંત્રની વ્યવસ્થા ખાડે ગઇ છે. આમ તો આખા દેશમાં બધું હચમચી ગયું છે, પણ રાષ્ટ્રના વડા જે રાજ્યના હોય, જે રાજ્યને ‘મોડલ’ તરીકે કે આદર્શ રાજ્ય તરીકે સતત આગળ કરાયું હોય, ત્યાંની અરાજકતા આંખમાં કણાની જેમ નહીં પણ હ્રદયમાં ફાંસની જેમ ખૂંચે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. જે ગુજરાતના રસ્તાઓ બહુ જ સરસ છેના ગાણા ગાઇને સરકારને ટેકો આપનારા ખુશ થઇ જતા હતા તેઓ એ રસ્તા પર લાંબી કતારોમાં ઊભી રહેલી એમ્બ્યુલન્સ વિશે કંઇ કહી શકે તેમ નથી. પીડાનો અગ્નિ લાવા બની શકે છે ખરો? વાસ્તવિકતા એ પણ છે કે પીડાના બોજમાંથી અત્યારે તો કળ વળે એવી કોઇ વકી નથી પણ જ્યારે થશે ત્યારે સ્વજનોની ચિતાઓ જોઇને થાકેલી આંખો સત્તા સામે અંગારા ઓકતી થઇ શકે છે.

ગુજરાતના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો એવું વર્તાય ખરું કે જ્યારે જનાક્રોશ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે સત્તાપલટો થયો છે અથવા તો જે તે પક્ષની પકડ ઢીલી પડી ગઇ છે. ૧૯૭૩માં મોરબી એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓના ફૂડ બિલમાં અસાધારણ વધારો થયો, ત્યારે તેનો વિરોધ કરવાની શરૂઆત કરી. આમ તો આ વિદ્યાર્થી આંદોલન જ હતું પણ તેને વ્યાપક સહકાર મળ્યો. વિદ્યાર્થી આંદોલન જનઆંદોલન બન્યું. આ આંદોલન સ્વાભાવિક રીતે જ પૂર્વ આયોજિત ન હતું. ગુજરાત એ રાજ્ય છે જ્યાં પહેલીવાર એવું આંદોલન થયું જેને કારણે મુખ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. નવ નિર્માણ આંદોલનને કારણે જ ગુજરાતમાં વિધાનસભા વિસર્જિત કરવી પડી હતી. મોરબીની કૉલેજની હૉસ્ટેલના ફૂડ બિલમાં ૨૦ ટકા વધારો કરાયો અને ૨૦મી ડિસેમ્બર ૧૯૭૩ના વિદ્યાર્થીઓએ પહેલી હડતાળ પાડી. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ગુજરાત યુનિવર્સિટીની બધી કૉલેજીઝે સજ્જડ બંધ જાહેર કર્યો અને એક અઠવાડિયામાં તો આખું રાજ્ય આ આંદોલનમાં જોડાઇ ગયું હતું. દિલ્હીના ઇન્દ્રાસન સુધી આ બંધનો રણકો પહોંચ્યો અને ત્રણ મહિનાના આ આંદોલનને પહેલા તો સરકારે હળવાશથી લીધું પણ જ્યારે સાન આવી ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. નવ નિર્માણ આંદોલનને પગલે ચીમન પટેલને મુખ્ય મંત્રીપદેથી છ મહિનામાં રાજીનામું આપવું પડ્યું હતું. સ્વતંત્ર ભારતનું આ પહેલું આંદોલન હતું જેમાં જનાક્રોશના વિરોધે ચૂંટાયેલી સરકાર હટાવી દીધી હતી. ચીમન પટેલના ભ્રષ્ટ શાસન અને રાજ્યસરકાર સામેનું આ આંદોલન ભલે વિદ્યાર્થીઓએ શરૂ કર્યું હતું પણ અંતે તેમાં સમાજના જુદા જુદા વર્ગના અને વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા. ૧૯૭૪ની સાલમાં આ આંદોલન અને વિરોધને પગલે ૪૪ શહેરોમાં કર્ફ્યુ લદાયો હતો અને રાજ્યમાં કાયદો તથા વ્યવસ્થા લશ્કરને સોંપાયાં હતાં.

ગુજરાતમાં જન આંદોલનને પગલે સરકાર બદલાઇ ગઇ હોય તેવો આ પહેલો કિસ્સો હતો પણ છેલ્લો નહીં. ૧૯૭૫માં કટોકટીના સમયે ડિસેમ્બર ૧૯૭૬માં માધવસિંહ સોલંકીને મુખ્ય મંત્રી બનાવાયા પણ કટોકટીનો અંત આવ્યો અને કેન્દ્રના સત્તા પલટાની અસર રાજ્યમાં પણ પડી અને જનતા મોરચાની સરકાર ૧૯૭૭માં સત્તા પર આવી. ગુજરાતનું કટોકટીમાં જે યોગદાન હતું તે વાત લાંબી છે એટલે અહીં તેની ચર્ચા ટાળીએ પણ ૧૯૮૦માં ઇંદિરા ગાંધી કેન્દ્રમાં ફરી આવ્યાં અને માધવસિંહ સોલંકી ફરી ગુજરાતમાં મુખ્ય મંત્રી બન્યા. આ વખતે તેઓ પાંચ વર્ષની આખી ટર્મ પૂરી કરી શક્યા અને ઇંદિરા ગાંધીની હત્યાને પગલે ૧૯૮૫ની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ગુજરાતે ખોબલે ખોબલે મત આપ્યા અને ફરી એકવાર માધવસિંહ સોલંકી સત્તા પર આવ્યા જો કે અનામત આંદોલનની ઝાળ તેમના રાજીનામાનું કારણ બની. ચાર જ મહિનામાં અનામત આંદોલનને પગલે માધવસિંહ સોલંકીને રાજીનામું આપવું પડ્યું. અને અમરસિંહ ચૌધરીને મુખ્ય મંત્રી બનાવાયા અને ૧૯૯૦માં હાર કોટે ન વળગે તે માટે કૉન્ગ્રેસે ફરી માધવસિંહ સોલંકીને સત્તા પર બેસાડ્યા પણ ત્યારે કૉન્ગ્રેસ ન જીતી અને જનતાદળની સત્તા આવી. આ વખતે અયોધ્યાનો મુદ્દો ઉઠ્યો અને ભા.જ.પ.ના પ્રધાનોએ રાજીનામા આપ્યા, જનતાદળમાંથી ચીમનભાઇ કૉન્ગ્રેસ તરફ દોડ્યા અને જનતાદળ-કૉન્ગ્રેસ એક થઇ ગયા. કૉન્ગ્રેસથી કંટાળેલી પ્રજાએ ૧૯૯૫માં ભા.જ.પ.ને ગુજરાતનું સુકાન સોંપ્યું.

ભા.જ.પ.ના અંદરના વાંધા વચકામાં મુખ્ય મંત્રીઓ બદલાતા રહ્યા પણ કેશુભાઇ પટેલને ૧૯૯૫ પછી ફરી એકવાર ૧૯૯૮માં ગુજરાતના મુખ્ય મંત્રી પદે બેસાડાયા. કેશુભાઇ પટેલની સત્તા સામે અનેક ફરિયાદો ઊઠી. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો અને ત્યારે ગુજરાતની તારાજી વચ્ચે કેશુભાઇનું ઇન્દ્રાસન પણ ડોલ્યું. તેમણે રાહત ભંડોળના દૂરઉપયોગ કર્યો હોવાના અવાજો ઉઠ્યા, ભ્રષ્ટાચારની ફરિયાદો થઇ અને રેઢિયાળ તંત્ર સામે પણ આંગળી ઊઠી. પેટા ચૂંટણીમાં પણ ભા.જ.પ.નો દેખાવ નબળો હતો. બે વાર મુખ્ય મંત્રી બન્યા પણ કેશુભાઇ પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા.

ગુજરાતમાં આંદોલનો મજબૂત રહ્યા છે, પ્રબળ રહ્યા છે. કોવિડ-૧૯ના ભરડામાં સરકારનું વ્યવસ્થા તંત્ર કેવું વગર ઑક્સિજનના વેન્ટિલેટર જેવું સાબિત થયું છે, તે વિશે વારે વારે અથવા તો વિસ્તારે લખવાની જરૂર નથી. ગુજરાતમાં જે રીતે પરિસ્થિતિ ખાડે ગઇ છે તે જોતા એવું ધારી શકાય ખરું કે એક દિવસ આવશે જ્યારે લોકો રાજકીય સત્તા સામે અવાજ ખડો કરશે? સત્તા સામે શાણપણ નકામું એ એક સત્ય છે તો બીજું સત્ય એ પણ છે કે જનાક્રોશ સામે સત્તાનું કાંઇ ચાલતુ નથી. પ્રજા ધૃતરાષ્ટ્ર બનીને લાંબો સમય નહીં જ રહી શકે એવું જો સત્તાધીશો સમજે તો સારું નહીંતર હાલાકીના માહોલમાં જનતાનો રોષ જો આસમાને પહોંચ્યો તો એક તબક્કે બધું હકાલી કાઢવા સજ્જ થઇ જ શકે છે. સરકાર કે સત્તાને માઇબાપ માનનારી જનતા પોતે ચૂંટી કાઢેલા પક્ષ પાસેથી આવા આકરા સંજોગોમાં સારા વહીવટની અપેક્ષા રાખે એમાં કંઇ ખોટું નથી અને સત્તાધીશો તેમાં નિષ્ફળ જાય તો પછી …

બાય ધી વેઃ 

ગુજરાતમાં જે હાલત છે તેના દર્દનું કોઇ બેરોમીટર નથી. દેશ ગુંગળાઇ રહ્યો છે, રુંધાઇ રહ્યો છે અને ‘સાહેબ’નું ગુજરાત દિવસે દિવસે બદતર સંજોગોમાં ધકેલાઇ રહ્યું છે ત્યારે દુષ્યંત કુમારની આ કવિતા ટાંકવી જ રહી.

“હો ગઇ હૈ પીર પર્વત સી – પિઘલની ચાહિએ,
ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહિએ.
આજ યહ દિવાર, પરદોં કી તરહ હિલને લગી,
શર્ત થી લેકિન કિ યે બુનિયાદ હિલની ચાહિએ.
હર સડક પર, હર ગલી મેં, હર નગર, હર ગાંવ મેં,
હાથ લહેરાતે હુએ હર લાશ ચલની ચાહિએ.
સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,
મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ
મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી
હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ.”

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  25 ઍપ્રિલ 2021 

Loading

25 April 2021 admin
← ગઝલ
ગમે એટલી પોઝિટિવ વ્યક્તિ પણ કોરોના તો નેગેટિવ જ ઇચ્છે છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved