Opinion Magazine
Number of visits: 9504391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રણમાં પહોંચ્યા બાદ વેડફાતું નર્મદાનું પાણી

નેહા શાહ|Opinion - Opinion|22 August 2024

નેહા શાહ

“ભર ઉનાળે, મે મહિનામાં સુરેન્દ્રનગરના ખારાઘોડા વિસ્તારમાં વગર વરસાદે પૂર આવ્યાં.” આવું કોઈ સાંભળે તો કહે કે કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના…. અને વાતને ફગાવી દે. આમ તો આ વાત તર્કહિન જ લાગે કારણ કે હંમેશાં પાણીની અછતને કારણે ચર્ચામાં રહેતા વિસ્તારમાં વગર વરસાદે પૂર કેવી રીતે આવે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ ટાઢાપોરની ગપ નથી – હકીકત છે. પૂરનાં પાણી કુદરતે નથી વરસાવ્યાં પણ નર્મદાના કચ્છ સુધી પહોંચેલા પાણીના ગેરવહીવટનો પ્રતાપ છે. તે પણ કોઈ એકાદ વખત બનેલી ઘટના નથી, પણ દસ વર્ષ કરતાં વધારે સમયથી વર્ષે બેથી ત્રણ વાર બનતી ઘટના છે. મીઠાં પાણીને ખારું બનાવી દેતા આ ગેરવહીવટનો ભોગ મીઠું પક્વતા અગરિયા વારંવાર બને છે.

પાણી કેટલી રીતે વેડફાય છે એ સમજવા જેવું છે. દિવાળી પછીના સમયમાં આ સૂકાભઠ્ઠ વિસ્તારમાં પાણીની અછત સર્જાય એટલે ખેડૂતો પાસેથી નર્મદાનાં પાણીની માંગ ઊભી થાય. જે માટે નહેરમાં પાણી છોડવામાં આવે. જરૂર કરતાં વધારે પાણી છોડાય એટલે પાણી ત્યાંની નાની નદીઓ અને વહોળામાં થઈ રણ સુધી પહોંચી જાય. કારણ કે, અહીંની બધી નાની નદીઓ રણમાં જ મળે છે. સુરેન્દ્રનગર અને બનાસકાંઠાનાં છેવાડાનાં ગામો સુધી નર્મદાની મુખ્ય નહેર પહોંચી છે, પણ નાની નહેરો બનવાની બાકી છે એટલે છોડેલું પાણી ખેતરમાં પહોંચવાને બદલે રણમાં ઘૂસી જાય છે. બીજું, મચ્છુ અને બામણી નદી પરના બંધમાં ભરેલું પાણી અવારનવાર બંધની સલામતીનાં કારણોસર છોડવું પડે છે. સવાલ થાય છે કે એટલું પાણી ભરવું જ શું કામ જોઈએ કે જેના કારણે બંધની સલામતી જોખમાય? જેને માણસના ઉપયોગ વગર વહાવી દેવું પડે ?

આ વર્ષે તો ગેરવહીવટની હદ થઈ. મચ્છુ નદીના બંધના દરવાજા પર સમારકામની જરૂર હતી જે અંગેની અરજી સિંચાઈ વિભાગે ડિસેમ્બર મહિનામાં કરી હતી. મંજૂરી આવતા આવતા એપ્રિલ થઈ ગયો. આ દરમ્યાન બંધમાં પૂરેપૂરું પાણી ભરી દેવામાં આવ્યું. સમારકામની મંજૂરી મળતાં જ કામ ચોમાસું શરૂ થાય એ પહેલાં પૂરું કરવું પડે, જે માટે બંધમાં ભરેલું પાણી ખાલી કરવું પડ્યું. લાખો ક્યુસેક પાણી નહેરો અને વહોળા થકી છોડી દેવામાં આવ્યું અને પાણીથી તરસતા વિસ્તારને પીવાનું મીઠું પાણી તો ન મળ્યું પણ રણના ખારાપટ પર ચાલીસેક કિલોમીટર અંદર ઘૂસી નર્મદાનું પાણી વેડફાઈ ગયું ! સાથે સાથે મીઠું પકવતા આશરે ૪૦૦ જેટલા પાટાને નુકસાન થયું, જેમાં પાટા દીઠ ગરીબ અગરિયાને લાખેક રૂપિયાનું નુકસાન થયું ! આ ગેરવહીવટ ના કહેવાય તો બીજું શું કહેવાય? એક અંદાજ પ્રમાણે સમગ્ર ઝાલાવાડ વિસ્તારની ખેતીને આખું વર્ષ જોઈએ એનાથી પણ વધારે નર્મદાનું મીઠું પાણી સરદાર સરોવરથી લગભગ ૩૫૦ કિલોમીટરનું અંતર કાપીને કચ્છના રણમાં ખારું થઈ વેડફાઈ જાય છે ! આ જ વિસ્તારમાં સૌથી વધુ મીઠું પાકે છે. અગરિયાઓ દિવાળી પછી મીઠું પકવવાનું કામ શરૂ કરે છે. જ્યારે આ પાણી રણમાં ફરી વળે ત્યારે તેમને માટે આવતાં પીવાનાં મીઠાં પાણીની  ટેન્કર પણ આવી શકતી નથી, જેથી પીવાનાં પાણીનો પ્રશ્ન સર્જાય છે. અગરિયાના પરિવારના આરોગ્ય માટે આવતી હેલ્થ વાન પણ આવી શકતી નથી. બાળકો શાળા સુધી પહોંચી શકતાં નથી. પરિણામે ઘણાં આર્થિક નુકસાન ઉપરાંત પાયાની સુવિધાઓ ખોરવાતી હોવાને કારણે અગરિયાઓને રણમાંથી હિજરત કરવાની જરૂર પડે છે.

નર્મદા યોજના એટલા માટે બનાવી હતી કે જેથી ઉત્તર ગુજરાત અને કચ્છના સૂકા વિસ્તાર સુધી પાણી પહોંચાડી ત્યાંના લોકોની તરસ છિપાવી શકીએ. આ માટે હજારો કરોડોનો ખર્ચ થયો છે અને લાખો આદિવાસી પોતાના ઘરથી વિસ્થાપિત થયા છે. ઉપરવાસમાંથી સ્થળાંતરિત થયેલા આદિવાસીઓએ ભોગવેલી અગવડની કિંમત પણ જો નર્મદા યોજના પાછળ થયેલા ખર્ચમાં ઉમેરીએ તો આંકડો ઘણો ઊંચો જાય. દુર્ભાગ્યની વાત જુઓ કે વર્ષોની મહેનત અને બેશુમાર ખર્ચ પછી પાણીના પ્રબંધમાં બેદરકારીને કારણે લાખો ક્યુસેક પાણી લોકોને રાહત નહીં પણ આફત પહોંચાડે છે. બોલો, આનાથી મોટી કમબખ્તી શું હોઇ શકે?

પાણીની અછતની ગંભીરતાને કારણે આપણે ઘર-વપરાશમાં પણ એક એક બુંદ બચાવીએ છીએ ત્યારે નર્મદાનું પાણી આયોજનના અભાવે વેડફાઈ જતું હોય તો તંત્ર અને સમાજે ભેગાં થઈને આચરેલું ગુનાહિત કૃત્ય લાગે છે. આ સાચા અર્થમાં કરદાતાના પૈસાનો વ્યય છે, જેનો વાંધો દરેક નાગરિકને પડવો જોઈએ. આ પ્રશ્ન તાત્કાલિક ઉપાય માંગી લે છે. ‘અગરિયા હિત રક્ષક સમિતિ’ નામક બિનસરકારી સંસ્થા આ વિસ્તારમાં કામ કરે છે. તેમના કાર્યકર્તાના કહેવા અનુસાર સરદાર સરોવર નિગમ અને ગુજરાત સરકારે તાજેતરમાં આ માટે એક સમિતિની રચના તૈયાર કરવાની મંજૂરી આપી છે, જે રાહતની વાત છે. આ સમિતિમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત હશે જેમાં બંધના પાણીના આયોજન, ખારાપટની જમીનની સંરચના સમજનાર ભૂસ્તર શાસ્ત્રી, સમાજશાસ્ત્રી, તેમ જ સામાજિક કાર્યકર હશે. સમિતિનાં સૂચનો આધારિત ઝડપથી નિર્ણય લેવાય જેથી ખેડૂતોને મહત્તમ પાણી મળે, અગરિયાને થતું નુકસાન અટકે અને રણમાં વેડફાઈ જતું પાણી બચે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 18

Loading

22 August 2024 Vipool Kalyani
← યુનૂસ અને વડા પ્રધાન મોદી : સંતુલિત અને વિધાયક અભિગમનો રૂડો સંકેત
કાઓરીને પત્ર →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved