Opinion Magazine
Number of visits: 9449459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીએ ખોંખારો ખાઈને કહેવું જોઈએ કે હા, હું સેક્યુલર ભારતીય છું અને મારો ધર્મ મારી અંગત બાબત છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 September 2018

‘હમ ભી ડીચ’ કહેવત સાંભળી હશે. અવદીચ બ્રાહ્મણોની નાતનું જમણ હતું. દરેક અવદીચ જમવા માટે વાડીમાં પ્રવેશતી વખતે પોતાની ઓળખ આપતા કહેતો હતો; ‘અવદીચ’. ત્યાં ઊભેલો એક ભૂખ્યો માણસ આ જોતો હતો અને તેને સમજાયું કે કોઈ એક શબ્દ બોલવાથી વાડીમાં પ્રવેશ મળે છે. તેણે બને એટલા ધ્યાનથી એ શબ્દ સમજી લીધો અને લાઈનમાં ઊભો રહી ગયો. તેનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું : ‘હમ ભી ડીચ’. કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી આજકાલ આવું કરતા નજરે પડી રહ્યા છે. દરેક જગ્યાએ હમ ભી હિન્દુ કહીને તેઓ હિન્દુ મતદારના દિલમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરે છે.

ગયા વરસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે તેમના માર્ગમાં આવતું એક પણ મંદિર નહોતું છોડ્યું. દરેક જગ્યાએ માથું ટેકવતા હતા, પરંતુ ભૂલમાં પણ કોઈ દરગાહમાં નહોતા જતા. દરગાહ કે મંદિરમાં જવાથી હિન્દુ નારાજ થઈ જશે એવો તેમને ભય લાગતો હતો. મને યાદ છે ત્યાં સુધી તેમણે કોઈ જગ્યાએ કહ્યું પણ હતું કે તેઓ શિવભક્ત છે. એ પછી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને ત્યાં પણ એ જ સિલસિલો. કર્ણાટકમાં જેટલાં મંદિરો છે એટલા મઠો છે જેમ પંજાબમાં ડેરાઓ છે. રાહુલ ગાંધીએ મઠોમાં જઇને મઠાધીશોના આશીર્વાદ લેવાનું શરૂ કર્યું. ભારત એવો દેશ છે જ્યાં કોઈ દુશ્મન સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદ મેળવી લે તો ચિંતા નહીં, પણ મઠાધીશના આશીર્વાદ લઈ જાય એ ન ચાલે. આ દેશમાં ભગવાનની વોટબેંક કરતાં ભગવાનના એજન્ટોની વોટબેંક મોટી છે. રાહુલ ગાંધીને જ્યારે મઠાધીશોના આશીર્વાદ મળવા લાગ્યા, ત્યારે પોતાને હિન્દુઓના બેતાજ બાદશાહ સમજનારા નરેન્દ્ર મોદી અને હિન્દુઓના ઈજારદાર આડતિયા અમિત શાહ ડરી ગયા અને તેઓ પણ મઠાધીશો પાસે જવા લાગ્યા હતા. ‘હમ ભી ડીચ’નો પ્રભાવ હતો.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીના વિમાનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. વિમાન એક બાજુએ નમી ગયું હતું એટલે તેને ઉતારવું કેમ એની સમસ્યા પેદા થઈ હતી.  શિવભકત રાહુલ ગાંધીએ કૈલાસ માનસરોવરની યાત્રા કરવાની માનતા માની અને વિમાન હેમખેમ ઊતરી ગયું. રાહુલ ગાંધી હમણાં માનસરોવર જઈ આવ્યા, અને ત્યાંથી સરોવરનું પાણી પણ લેતા આવ્યા હતા. એ પાણી તેમણે દિલ્હીમાં ગાંધીજીની સમાધિ પર ચડાવ્યું હતું. તેમણે માનસરોવરનાં પાણીના અર્ધ્ય વિષે ખુલાસો કરતા માનસરોવરનાં પાણીની અને ગાંધીજીની નિર્મળતાની સરખામણી કરી હતી. હવે તેમણે મધ્ય પ્રદેશમાં મંદિરમાં જઇને ભગવાનના આશીર્વાદ મેળવીને ચૂંટણીપ્રચાર શરૂ કર્યો છે.

આ બાજુ નરેન્દ્ર મોદી મુસલમાનની દરેક ઓળખના પ્રતિકોથી દૂર ભાગતા હતા. ટોપી, કુરાન, માળા, ચાદર એમ કોઈ ચીજને હાથ નહોતા લગાડતા. આપણા હિંદુહૃદયસમ્રાટનો મુસલમાન સાથે સીધો તો છોડો, બાદરાયણ સંબંધ પણ નથી, એની ખાતરી દરેક હિન્દુ ભક્તને થવી જોઈએ. જ્યારે હિન્દુઓના આંબાવાડિયાની શીતળ છાયા માથે હોય, ત્યારે મુસલમાનની બોરડી(બાદરાયણનો એક અર્થ બોરડી પણ થાય છે અને કહેવત પાછળ એક કથા છે.)ની જરૂર શું છે? દેશભક્ત હિન્દુને ખાતરી થવી જોઈએ કે સાહેબ મુસલમાનને તો ભાવ નથી આપતા, પણ તેના પ્રતીકોને પણ ભાવ નથી આપતા. સાહેબે મુસલમાની ટોપી પહેરવાની ના પાડી દીધી હોય એવી વીડિયો ક્લીપ તમે જોઈ હશે. ન જોઈ હોય તો યુ ટ્યુબ પર જોવા મળશે.

હવે રાહુલ ગાંધીએ હિંન્દુ ચહેરો ધારણ કર્યો છે અને દેશમાં રાજકીય મૂડ બદલાઈ રહ્યો છે, ત્યારે હિન્દુઓના બેતાજ બાદશાહ અને ઈજારદાર આડતિયાને પણ લાગવા માંડ્યું છે કે મુસલમાનો સુધી પહોંચવું જોઈએ. આંબાવાડિયું એટલું શીતળ નથી રહ્યું એટલે બોરડીનો થોડો છાંયો મળી જતો હોય તો પ્રયાસ કરવો જોઈએ. એમાં વળી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બી.જે.પી.ની હાલત ખરાબ છે. વ્હોરા મુસલમાનો અન્ય મુસલમાનોથી દૂર રહે છે. એમાં તેમનો સ્વાર્થ છે, પણ એ વાત જવા દઈએ. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વ્હોરાઓની વસ્તી છે એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન વ્હોરાઓના ધર્મગુરુના આશીર્વાદ લેવા ઇન્દોરમાં મસ્જિદમાં ગયા. ત્યાં શું બન્યું ખબર છે? ઉચ્ચાસને બેઠેલા ધર્મગુરએ નીચાસને બેઠેલા વડા પ્રધાનને ચાદર, માળા અને કુરાન આપ્યા હતા અને વડા પ્રધાને તેનો સ્વીકાર કર્યો હતો એટલું જ નહીં; સૈયદના સાથે વાઅજ (વોહરાઓની ધાર્મિક પ્રાર્થના) પણ પઢી હતી. સોશ્યલ મીડિયા પર મજાક થઈ રહી છે કે જો રાહુલ ગાંધી વધુને વધુ હિન્દુ બનતા જશે તો એક દિવસ નરેન્દ્ર મોદીએ હજ કરવા મક્કા જવું પડશે.

ખેર, બે મુદ્દા અહીં ઉપસ્થિત થાય છે. એક તો એ કે ગાંધીજીને આવી સંકુચિત ધાર્મિકતાથી દૂર રાખવામાં આવે. તેમણે પોતે જિંદગીમાં ક્યારે ય કર્મકાંડી સાંકડી ધાર્મિકતાને સ્વીકારી નહોતી. તેઓ હિન્દુ હોવા માટે ગર્વ લેનારા હિન્દુ હતા, પરંતુ આધ્યાત્મિક હિન્દુ હતા. ધાર્મિક હોવામાં અને આધ્યાત્મિક હોવામાં જમીન-આસમાનનો ફરક છે. ધાર્મિક માણસ ધર્મઝનૂની હોઈ શકે છે. અધાર્મિક-નાસ્તિક કોમવાદી હોઈ શકે છે. મહમ્મદઅલી જિન્નાહ અને વી.ડી. સાવરકર આના ઉદાહરણ છે. હિન્દુત્વવાદી હોવા માટે ઈશ્વર પરાયણ હોવાની જરૂર નથી.

બીજી બાજુ આધ્યાત્મિક માણસ કયારે ય ધર્મનું ટૂંકું તરભાણું હાથમાં લેતો નથી. એને એવા અવલંબનોની જરૂર જ નથી પડતી. ગાંધીજી પ્રાર્થના કરતા હોય એવી સેંકડો તસ્વીરો તમે જોઈ હશે, પરંતુ પ્રાર્થનાસ્થળે તમે કોઈ ભગવાનની તસ્વીર કે ધર્મગ્રન્થ નહીં જોયા હોય. કોઈ પ્રકારના ધાર્મિક કર્મકાંડ ગાંધીજીએ ક્યારે ય કર્યા નથી. કોઈ મંદિરમાં કે મસ્જિદમાં ગાંધીજી ગયા નથી. કોમીશાંતિ માટે મસ્જિદમાં જઇને ભાષણ કર્યા છે, પરંતુ કોઈ મૌલવીના આશીર્વાદ નથી લીધા. શંકરાચાર્યના કે કોઈ બીજા કોઈ ધર્મગુરુના આશીર્વાદ ગાંધીજીએ નથી લીધા. એક પ્રસંગ જાણીતો છે. પુરીમાં જગન્નાથના મંદિરમાં દલિતોને પ્રવેશ આપવામાં નહોતો આવતો. એકવાર ગાંધીજી કસ્તૂરબા સાથે જગન્નાથપુરીમાં હતા. કસ્તૂરબાની દર્શને જવાની ઈચ્છા હતી. તેમણે મહાદેવભાઈને કહ્યું અને મહાદેવભાઈ તેમને દર્શન કરાવવા મંદિર લઈ ગયા. ગાંધીજીને એ અપરાધ અક્ષમ્ય લાગ્યો હતો.

ગાંધીજી આધ્યાત્મિક હિન્દુ હતા, આપણા જેવા ‘અમે અને તમે’ કરનારા હિન્દુ નહોતા એ વાતનો તો વાંધો છે. એટલે તો તેમની હત્યા કરવામાં આવી અને એટલે તો તેમને ગાળો આપવામાં આવે છે. માટે, પ્લીઝ, ગાંધીજીને ધર્મના રાજકારણથી દૂર રાખવામાં આવે. માનસરોવરનાં પવિત્ર જળની ગાંધીજીને જરૂર નથી. તેમને સમજવાની કોશિશ કરો, તેમનું મૂલ્યાંકન કરો, જ્યાં તેઓ ખોટા હોય ત્યાં આકરી આલોચના કરો, સમયાનુસાર પુનર્મૂલ્યાંકન કરો, એ ગાંધીજીને આપવું જોઈતું અર્ધ્ય છે. ગાંધીજી એક માણસ હતા અને માનવી ધારે તો કેટલી ઉંચાઈ પ્રાપ્ત કરી શકે એની ગાંધીજી દીવાદાંડી છે. એટલે તો ગાંધીજીએ કહ્યું છે: મારું જીવન મારો સંદેશ છે. એક માનવી અદકેરું જીવન જીવી ગયો. પરવડતો હોય તો સ્વીકારો અને ન પરવડતો હોય તો ભૂલી જાઓ. 

તો રાહુલ ગાંધીને અને બીજાઓને બે હાથ જોડીને વિનંતી કે ગાંધીજીને ધર્મના રાજકારણથી દૂર રાખવામાં આવે. હિન્દુત્વવાદીઓ ગાંધીજીને કુપ્રચાર કરીને બદનામ કરી રહ્યા છે અને  ધર્મનું રાજકારણ કરે છે તો એનો ઉત્તર માનસરોવરનું પવિત્ર જળ નથી. કોમવાદી રાજકારણનો ઉત્તર ગાંધીજી પોતાની જિંદગીની કિમંત ચૂકવીને આપતા ગયા છે, જો રાહુલ ગાંધીમાં એ રસ્તે ચાલવાની હિંમત હોય તો. એ રસ્તો છે; સેક્યુલર ભારતીય હોવાનો. ખોંખારો ખાઈને કહેવું જોઈએ : હા, હું સેક્યુલર ભારતીય છું. મારો ધર્મ મારી અંગત બાબત છે. કોન્ગ્રેસ સેક્યુલર ભારતીયતામાં માને છે અને એમાં કોઈ સમાધાનો કરવામાં નહીં આવે. ભૂતકાળમાં અમે જે સમાધાનો કર્યાં એ અમારી ભૂલ હતી અને એ ભૂલની ગંભીરતા અમને સમજાઈ છે. આવો શુદ્ધ સેક્યુલર ભારતના નિર્માણમાં કોંગ્રેસને સાથ આપો.

હિન્દુરાષ્ટ્ર સામે ભારતીય રાષ્ટ્રના નિર્માણનો આ નેરેટિવ (વિચારદર્શન) છે જે ગાંધીજી આપતા ગયા છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 સપ્ટેમ્બર 2018

Loading

20 September 2018 admin
← વિજય માલ્યાને નાસી જવામાં કોણે મદદ કરી હતી? વધુ એક પુરાવો; ટકોરાબંધ નકારી ન શકાય એવો
મોહન ભાગવત મોહન ગાંધી કેમ બની ગયા? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved