Opinion Magazine
Number of visits: 9447124
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘રચનાર તેનો વર’

દીપક મહેતા|Opinion - Literature|15 July 2018

કાળચક્રની ફેરીએ

પુસ્તકના ટાઈટલ પેજ પર પુસ્તકના નામ પછી છાપ્યું છે: ‘રચનાર તેનો વર.’ લેખકનો પરિચય આ રીતે આપવામાં આવ્યો હોય, તેવું બીજું કોઈ પુસ્તક આપણી ભાષામાં તો છપાયું હોવાનું જાણ્યું નથી. અને આ પુસ્તકનો લેખક કોઈ અદકપાંસળી, વહુઘેલો, પ્રસિદ્ધિભૂખ્યો યુવાન નહોતો. બાવન વર્ષનો ઠરેલ પ્રૌઢ હતો. અને તે પણ સાહિત્ય, સમાજ સુધારો, કેળવણી, સરકારી નોકરી, વગેરે ક્ષેત્રે કરેલી ઉજળી કામગીરીને કારણે અમદાવાદમાં જ નહિ આખા ગુજરાતમાં પણ પાંચમાં પૂછાતો એવો, અંગ્રેજ સરકાર પાસેથી ‘રાવસાહેબ’ અને સી.આઈ.ઈ.નો ખિતાબ મેળવનાર જણ હતો. એનું નામ મહીપતરામ રૂપરામ નીલકંઠ (૧૮૨૯-૧૮૯૧). અને જે પુસ્તકના ટાઈટલ પેજ પર તેમણે પોતાની ઓળખાણ ‘રચનાર તેનો વર’ તરીકે આપી છે તે પુસ્તકનું નામ ‘પાર્વતીકુંવર આખ્યાન.’ કોણ હતી આ પાર્વતીકુંવર? નારીવિમુક્તિની વાત પણ આપણે ત્યાં શરૂ થઇ તે પહેલાં આપબળે અને પતિની સહાયથી ઘણાંબધાં રૂઢિ, વહેમ, અંધશ્રદધા, વગેરેમાંથી મૂંગે મોંએ મુક્તિ મેળવનાર એક સ્ત્રી, જે મહીપતરામની પત્ની હતી. પત્નીના વિયોગમાં કે વિરહમાં કાવ્યો કે લેખો લખનારા લેખકોની આપણે ત્યાં ખોટ નથી. પણ પારકી નહિ પણ પોતીકી પત્નીનું જીવનચરિત્ર લખનારા લેખકો કેટલા?

પોતાના લગ્નજીવનની કેટલીક વાતો મહીપતરામે અહીં નિખાલસતાથી લખી છે, પત્નીના સ્વભાવ, રહેણીકરણી, આચાર-વિચાર વગેરેની વિશિષ્ટતાઓની વાત ભલે મન્દ્ર સપ્તકમાં, પણ લખી છે. એ દૃષ્ટિએ તો આ પુસ્તક મહત્ત્વનું છે જ. પણ ૧૯મી સદીના કેટલાક દાયકાના કુટુંબજીવન અને સમાજજીવનનો આછો, પણ ઓછો નહિ, તેવો પરિચય પણ તેમાંથી મળી રહે છે, એટલે આપણાં સમાજ અને સંસ્કૃિત વિષે સમાજશાસ્ત્રીય અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને માટે પણ આ પુસ્તક ઉપયોગી થાય તેમ છે. અલબત્ત, અહીં જે વાત છે તે એ વખતના  સમાજમાં શિક્ષણ, સુધારો, વગેરે ક્ષેત્રે અગ્રણી રહેલી એક જ્ઞાતિના શહેરી કુટુંબની છે. એટલે અહીં જે ચિત્ર જોવા મળે છે તે એ વખતના ગુજરાતમાં સર્વવ્યાપી હતું એમ માનવાની ભૂલ કરવા જેવું નથી..

અહીં જે ચિત્ર જોવા મળે છે તે કેવું છે? પાર્વતીકુંવરનો જન્મ ૧૮૩૦માં. ચાર વર્ષનાં થયાં ત્યારે માતાનું અવસાન. મહીપતરામે દોઢ વર્ષની ઉંમરે માતા ગુમાવેલાં. મોટું સંયુક્ત કુટુંબ એટલે નાની (માતાની માતા) પાસે ઉછેર. પિતા વસંતરાય એ વખતના ઘણા નાગરોની જેમ ફારસી ભણેલા. ‘સાધારણ લોક જેવા વહેમી ન હતા.’ (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) મહીપતરામનું કુટુંબ પણ સમાજમાં અગ્રણી ગણાય તેવું. છતાં બંને કુટુંબોને બાળવિવાહ અંગે કશો વાંધો નહિ હોય એટલે પાર્વતીકુંવર પાંચ વર્ષનાં, અને મહીપતરામ છ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન થયાં. અલબત્ત, લેખક કહે છે કે ‘પરણવું એટલે શું તે હમે બહુ સમજતાં નહિ.’ સુરતમાં બંને કુટુંબનાં ઘર સામસામે આવેલાં, એટલે સુરતની મોટી આગમાં બંને ઘર બળી ગયાં. વસંતરાયને એક દીકરો અને ત્રણ દીકરી. દીકરો નાની વયે ગુજરી ગયો. પણ ત્રણ દીકરીઓ પર પિતાને અભાવ નહિ. લેખક કહે છે: “બાળા એટલી જ્વાળા એવું તે માનતા નહિ. દિકરા સમાન ગણી તેમના પર હેત કરતા.” એ જમાનામાં આવું વલણ અપવાદરૂપ ગણાય. પાર્વતીકુંવર નિશાળમાં ભણવા ગયાં નહોતાં, પણ વાંચી-લખી શકતાં. ઘણાં આખ્યાન વગેરે કંઠસ્થ. અઢાર વર્ષની ઉંમર સુધી સંતાનનો જન્મ ન થયો એટલે (અગ્રણી જ્ઞાતિના અગ્રણી કુટુંબમાં પણ) “એનું માન ઘટ્યું. અને સાસરિયાંની અપ્રીતિ વધી.”

મહીપતરામ ભણવા માટે મુંબઈ આવ્યા ત્યારે પાર્વતીકુંવર પણ તેમની સાથે. ત્યારે તેમની ઉંમર એકવીસ વર્ષની. “મુંબાઈમાં ઘર માંડ્યું ત્યારથી અમે બંને ખરેખર એકત્ર થઇ ગયાં.” સંતાનપ્રાપ્તિ માટે ધાગાદોરા, બાધાઆખડી પર વિશ્વાસ નહિ. મુંબઈની પડોશી સ્ત્રીઓએ એક ગોરનું મંત્રેલું પાણી પીવા કહ્યું. પતિ સાથે ચર્ચા કર્યા પછી પાર્વતીકુંવરે કહ્યું કે ડોક્ટર ભાઉ દાજી(મુંબઈના અગ્રણી ડોક્ટર અને સમાજ સુધારક)ને પાણી દેખાડીએ અને તેઓ હા પાડે તો જ હું પીઉં. આવી શરતે પાણી આપવાની ગોરે ના પાડી. પાર્વતીકુંવરે કશી અવઢવ વગર પાણી ન પીધું. શુકન-અપશુકનમાં પણ પાર્વતીકુંવર માનતાં નહિ. ૨૬ વર્ષની વયે પહેલી વાર સગર્ભા બન્યાં. સુવાવડ માટે સુરત જવા નીકળતાં હતાં ત્યારે ઘરની બહાર નીકળતાં બિલાડી આડી ઊતરી. પડોશીઓ કહે કે આ તો અપશુકન થયાં. આજે ન જવાય, કાલે જજો. પણ પાર્વતીકુંવરે કહ્યું કે હું એવાં શુકન-અપશુકનમાં માનતી નથી. અને તેઓ પિયર જવા નીકળી ગયાં.

પણ સામાજિક રૂઢિ-બંધનોની પરવા કર્યા વગર પાર્વતીકુંવર પતિની પડખે ઊભાં રહ્યાં તે તો મહીપતરામ વિલાયત ગયા ત્યારે. મહીપતરામ મુંબઈથી વિલાયત જવા નીકળ્યા ત્યાં સુધીમાં સમાજના અમુક વર્ગે તેમનો ઉગ્ર વિરોધ કરેલો. પણ પત્નીએ તેમને કહ્યું: “મારો વિચાર ફર્યો નથી; લોક અનેક પ્રકારની ઘણી ધાસ્તી બતાવે છે; આખો જન્મારો નાત બહાર રહેવું પડશે, છોકરાને કન્યા નહિ મળે, તેથી પાછળ વંશ રહેશે નહિ, દરિયામાં ડૂબવાની બીક બતાવે છે; એમ ઘણી રીતિ બીવડાવે છે પણ મારી હિંમત ઓછી થઇ નથી.” મુંબઈ રહેતાં ત્યારે ત્યાંની કેટલીક ગુજરાતી શાળાઓ તપાસવા માટે, છોકરીઓને ઇનામ આપવા માટે, પાર્વતીકુંવર જતાં. મહીપતરામ ઈન્ગલંડના પ્રવાસેથી પાછા ફર્યા પછી કેટલેક વખતે અમદાવાદ સ્થાયી થયા. ત્યારે અમદાવાદના કલેકટર મિસ્ટર ઓલિફન્ટની પત્નીની આગેવાની નીચે કેટલીક સ્ત્રીઓએ કન્યા કેળવણીનું કામ હાથમાં લીધું તેમાં પાર્વતીકુંવર સ્વેચ્છા અને હોંશથી જોડાયાં. તેને કારણે કેટલીક અંગ્રેજ સ્ત્રીઓ સાથે તેમણે કામ કર્યું. વખત જતાં તેમની સાથે પત્ર-વ્યવહાર પણ કર્યો. (અલબત્ત, અંગ્રેજીમાં લખાયેલા પત્રોનો અર્થ મહીપતરામ કરી સંભળાવાતા, અને પાર્વતીકુંવર ગુજરાતીમાં જે જવાબ બોલે તેનો અંગ્રેજીમાં તરજુમો કરી મહીપતરામ પત્ર લખતા. મુંબઈમાં હતાં ત્યારે પાર્વતીકુંવરે અંગ્રેજી ભાષા શીખવાનું શરૂ કરેલું, પણ પતિ તરફથી પ્રોત્સાહન ન મળતાં છોડી દીધેલું. લેખક કહે છે: “આ મારી ભૂલને માટે તે મને ઘણી વાર ઠપકો દેતી.” મહીપતરામની બદલી સુરત થતાં ત્યાંના કલેકટર સર હોપની પત્નીને મળવા જાય ત્યારે પાર્વતીકુંવર બૂટ-મોજાં પહેરતાં, જે ગાડીમાં જાય તેના પડદા પાડતા નહિ. આ અંગે તેમની ખૂબ ટીકા થયેલી.

મહીપતરામ અને પાર્વતીકુંવરના મોટા દીકરા અનુભાઈનાં લગ્ન થયાં ત્યારે સાથોસાથ વચલા દીકરાનાં લગ્ન પણ કરી લેવા કુટુંબના કેટલાક સભ્યોએ અને નાતીલાઓએ દબાણ કર્યું. પણ ત્યારે એ બંને બાળવયના હતા. પાર્વતીકુંવરે સૌને સાફ કહી દીધું: “મારે લાવો લેવાને માટે હું મારા દીકરાનો ભવ બગાડવાની નથી. જેથી છોકરાંને આગળ જતાં દુઃખ પડે કે નુકસાન થાય તેવું માબાપે કરવું ન જોઈએ. બાળલગ્ન નુકસાનકારી છે માટે તે હું નહિ કરૂં. વિવાહ ટળવાની બીકથી હું ડરવાની નથી.” મોટા દીકરા અનુભાઈની પત્ની શણગારવહુના અભ્યાસમાં રસ લઇ પાર્વતીકુંવરે તે અંગ્રેજી પણ સારું શીખે એવો આગ્રહ રાખ્યો. પાર્વતીકુંવરના અવસાન પછી થોડા જ વખતમાં તેમની પુત્રવધૂનું પણ અવસાન થયું, ચેમ્બર્સના અંગ્રેજી પુસ્તકનો પુત્રવધૂ  શણગાર વહુએ કરેલો અનુવાદ ‘ટૂંકી કહાણીઓ’ નામે પ્રગટ થયો હતો.

પાર્વતીકુંવરની તબિયત વર્ષોથી નરમગરમ રહેતી. ૧૮૭૯-૧૮૮૦ના અરસામાં તેમની તબિયત વધુ લથડી. કોઈ ડોક્ટરની દવા અસર કરતી નહોતી. એક દિવસ અંતકાળ નજીક આવ્યો છે એમ લાગતાં પાર્વતીકુંવરની બહેને ગૌદાન અપાવવા માંડ્યાં. તેની ખબર પડતાં પાર્વતીકુંવરે કહ્યું કે હું તેમાં માનતી નથી. પછી પતિને કહ્યું કે પ્રાર્થના સમાજને ચાર પ્રાર્થના માળા આપો. તે પછી થોડે દિવસે, ૧૮૮૦ના જુલાઈની ૧૪મી તારીખે ૪૯ વર્ષની ઉંમરે પાર્વતીકુંવરનું અવસાન થયું.

પણ આ પુસ્તક પ્રગટ ક્યારે થયેલું? આપણા ધરખમ સંશોધક અને વિવેચક ડો. રમેશ મ. શુક્લ પણ આ પુસ્તકની પહેલી આવૃત્તિની નકલ મેળવી શક્યા નહોતા. એટલે તેમના દ્વારા સંપાદિત અને ગુજરાત સાહિત્ય અકાદેમી દ્વારા પ્રકાશિત ‘મહીપતરામ ગ્રંથાવલી’ના પહેલા ખંડમાં તેમણે ૧૮૮૧માં પ્રગટ થયેલી બીજી આવૃત્તિ સમાવી છે. તેની પાંચ હજાર નકલ અમદાવાદના યુનાઈટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સીના છાપખાનામાં છપાઈ હતી. પણ કેટલાક આંતરિક સંદર્ભોને આધારે આપણે પહેલી આવૃત્તિની પ્રકાશન સાલ અંગે અનુમાન કરી શકીએ તેમ છે. અગાઉ જોયું તેમ પાર્વતીકુંવરનું અવસાન ૧૮૮૦ના જુલાઈમાં થયું એટલે તે પછી જ પહેલી આવૃત્તિ પ્રગટ થઇ હોઈ શકે. બીજી આવૃત્તિમાં લેખકે પહેલી આવૃત્તિનો પાઠ જેમનો તેમ રાખ્યો છે. તેઓ લખે છે: “પોતાની ઇન્ગ્રેજી વાચનની ચોપડીમાંથી વહુએ મનોરંજક વિષય બુદ્ધિપ્રકાશ નામે માસિક ગ્રંથને માટે ગૂજરાતીમાં તૈયાર કર્યો છે. એ મરણના થોડા દિવસ આગળ જાણી પાર્વતીકુંવરે આનંદ પામી મને કહ્યું કે તે છપાય ત્યારે મને બતાવજો. પણ અફસોસ! તે જોવાને તેનાથી જીવાયું નહિ.” એ પછી બીજી આવૃત્તિમાં ફૂટનોટ ઉમેરીને લેખક કહે છે: “અફસોસ! એ પ્રિય તરુણી તા. ૧૯ મે ૧૮૮૧ વૈસાખ વદ છઠને દિવસે અકાલ મૃત્યુ પામી. એ બાઈની ‘ટૂંકી કહાણીઓ’ નામે ચોપડી પ્રગટ કરવામાં આવી છે તેની બીજી આવૃત્તિ જુઓ.” એટલે કે ‘પાર્વતીકુંવર આખ્યાન’ની  પહેલી આવૃત્તિ ૧૮૮૦ના ઓગસ્ટ અને ૧૮૮૧ના મે મહિનાની વચમાં ક્યારેક પ્રગટ થઇ હોવી જોઈએ.

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

15 July 2018 admin
← મહાન છતાં ય છેતરામણો સર્જક !
પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભામાં ૩૪૨માંથી પંજાબની ૧૮૩ બેઠકો હોય ત્યારે જેલમાં રહીને પણ ચૂંટણી જીતી શકાય છે એ નવાઝ જાણે છે, પરંતુ છે મોટો જુગાર →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved