Opinion Magazine
Number of visits: 9449349
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકીય દુશ્મની વિનાનું તે કાંઈ રાજકારણ હોતું હશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|8 November 2020

આપણે જોયું કે ગાંધીજીએ એક વરસ સુધી ભારતભ્રમણ કરવાનું અને રાજકીય નિવેદનો નહીં કરવાનું ગોપાલકૃષ્ણ ગોખલેને વચન આપ્યું હોવા છતાં ગણતરીના મહિનાઓમાં ભારતના પ્રસ્થાપિત નેતાઓને સમજાઈ ગયું હતું કે ‘આ માણસ છે દમદાર, પણ આપણા કામનો નથી.’ આ વાક્યને સમજવાની કોશિશ કરો. વળી ગાંધીજી વિશે અભિપ્રાય આપનારું આ વાક્ય મારું નથી, વાસ્તવમાં ગાંધીજી વિષે બોલાયેલું વાક્ય છે અને લગભગ આજ અર્થમાં એક કરતાં વધુ લોકોએ ગાંધીજી વિષે વાપરેલું વાક્ય છે. એક સરખી ભાષામાં નેતાઓનો સાર્વત્રિક અભિપ્રાય હતો.

દમદાર એટલે શું? એવો માણસ જેની ઉપેક્ષા ન થઈ શકે. કારણ? કારણ કે એ એવો માણસ છે જે આપણો કે આપણી તાકાતનો મોહતાજ નથી. તમે સાથે ચાલો તો પણ ઠીક અને ન ચાલો તો પણ ઠીક. અરે, એની વિરુદ્ધ ચાલો તો પણ એને કોઈ ફરક પડવાનો નથી. તો પછી એની તાકાત આવે છે ક્યાંથી? એના જીગરમાંથી. એકલા ચાલવાની જીગર. આખી દુનિયાની સામે પડીને એકલે પંડે લડવાની જીગર. ભય શું કહેવાય એની એને ખબર નથી એટલે એને કોઈના ય સંગાથની જરૂર નથી. આ એવો માણસ છે જેને નિષ્ફળ નીવડવાનો પણ ભય નથી. કોઈ પણ ભોગે સફળતા મેળવવાની લાલચ નથી. લાલચ પણ ભયનું કારણ હોય છે. આ એવો માણસ છે જે નથી ઓજસ્વી વક્તા કે નથી મોહક વ્યક્તિત્વ, પણ એનાથી પણ તેને કોઈ ફરક પડતો નથી. આ એવો માણસ છે જે સભા સંમેલનોમાં લોકમાન્ય તિલક કે મદનમોહન માલવિયાની એક સેવક તરીકે સેવા કરે, પણ તેમને ન ગમે એવો અભિપ્રાય આપવામાં કે જરૂર પડ્યે તેમની સામે પડવામાં સંકોચ ન અનુભવે.

દમદાર માણસના આ લક્ષણો છે જેની વાયકાઓ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી જ ભારતીય નેતાઓને કાને પડવા લાગી હતી અને હવે ગાંધીજીને જોઇને અને મળીને તેમને ખાતરી થવા લાગી. ધ્યાન રહે, હજુ ખરા અર્થમાં રાજકીય નિવેદન તો ગાંધીજીએ કર્યું જ નહોતું. અને આપણા કામનો નથી એટલે?

ભારતીય નેતાઓને બીજી વાત એ સમજાઈ ગઈ હતી કે આપણે જે પ્રકારનું રાજકારણ કરી રહ્યા છીએ તેને આ માણસ અપનાવવાની વાત તો બાજુએ રહી, પણ પુષ્ટિ પણ આપે એમ નથી. ભલા, રાજકીય દુશ્મની વિનાનું તે કાંઈ રાજકારણ હોતું હશે? હિંદુઓનું રાજકારણ કરો તો મુસલમાન દુશ્મન તરીકે જોઈએ, મુસલમાનોનું રાજકારણ કરો તો હિંદુ દુશ્મન તરીકે જોઈએ, દલિત કે બહુજન સમાજનું રાજકારણ કરો તો બ્રાહ્મણ કે સવર્ણ દુશ્મન તરીકે જોઈએ. કોઈક તો જોઈએ જ ને? એમનેમ રાજકારણ કેવી રીતે થઈ શકે? આ માણસ એવો છે જેને માટે અંગ્રેજો પણ દુશ્મન નથી.

ગાંધીજી કહેતા કે ગુલામી આપણી દુશ્મન છે અંગ્રેજો નથી. આપણે નિર્વીર્ય છીએ અને આપણી અંદર કુસંપ છે એટલે આપણે ગુલામ થયા, અંગ્રેજોએ ગુલામ નથી કર્યા. અંગ્રેજો અને પશ્ચિમની પ્રજા પુરુષાર્થી અને સાહસિક છે એટલે આપણને ગુલામ બનાવવામાં એ ગુણોએ મદદ કરી એટલું જ. આપણી ગુલામીનું કારણ આપણે પોતે છીએ. આવી જ રીતે હિંદુ માટે મુસલમાન અને મુસલમાન માટે હિંદુ દુશ્મન હોય તો એ આત્મવિશ્વાસના અભાવનું પરિણામ છે. વ્યક્તિમાં કે સમાજવિશેષમાં જ્યારે પોતાના ઉપર ભરોસો ન હોય ત્યારે તે બીજાને શંકાથી જોવા લાગે છે.  છે. પાછો આ મહાત્મા દલિતો અને સ્ત્રીઓને તેમનાં શોષણ કે ગુલામી માટે જવાબદાર નથી ઠેરવતો. એને માટે તો અનુક્રમે સવર્ણો અને પુરુષોને જવાબદાર ઠેરવે છે પણ જરા અલગ અર્થમાં. જે પોતાનો ધર્મ (દરેક અર્થમાં) સાચા અર્થમાં ન સમજતો હોય અને જે કાયર હોય એ જ બીજાને દબાવીને રાખે. ટૂંકમાં આ માણસના તો દુશ્મનો પણ અલગ છે. જો કોઈ ઓળખી શકાય એવો રાજકીય દુશ્મન ન હોય અને કોઈને મુર્દાબાદ કહી શકાય એમ ન હોય તો રાજકારણ કેવી રીતે શક્ય બને?

હવે ભારતમાં અપવાદ વિના દરેકનો અભિપ્રાય બન્યો કે માણસ છે દમદાર એટલે એને રોકી શકાય એમ તો નથી પણ વાત અવ્યવહારુ રાજકારણની કરે છે. કેટલોક સમય તો નેતાઓએ માન્યું કે ગાંધીનો અવ્યવહારુ આદર્શવાદ એક દિવસ એના દમને તોડી નાખશે, પછી ભલે એ ગમે એટલો હોય. થોડો સમય જવા દો, સાન ઠેકાણે આવી જશે અને પગ જમીન ઉપર આવી પડશે. આ દક્ષિણ આફ્રિકા નથી, ભારત છે વગેરે.

કેટલાક લોકોને એમ પણ લાગતું હતું કે આ માણસે દુશ્મનની ઓળખ તો સચોટ કરી છે. ભારતીય પ્રજાના દુશ્મન અંગ્રેજો નથી, પણ ભારતીય પ્રજાની અંદર રહેલ નિર્વિર્યતા અને કુસંપ છે એ ગાંધીજીની વાતને નકારી શકાય એમ નથી. આવું જ હિંદુ, મુસલમાન અને બીજા પ્રશ્ને. આ માણસે બાહ્ય દુશ્મનોને નહીં, પણ અસલી દુશ્મનો શોધી કાઢ્યા છે અને તેને લક્ષ્ય બનાવ્યા છે તો શું તે તેના દમદારપણાના જોરે તેને પડકારી શકશે? જો એવું બને તો તો માત્ર ભારતીય રાજકારણનો નહીં, દુનિયાના રાજકારણનો ચહેરો બદલાઈ જાય. અલબત્ત આવું માનનારા એ સમયે બહુ ઓછા હતા. મોટા ભાગના લોકોને તો એમ જ લાગતું હતું કે થોડા દિવસમાં અવ્યવહારુ આદર્શવાદ દમદાર ગાંધીના દમને તોડી નાખશે.

ગાંધીજી ભારતભ્રમણ કરતા હતા અને ભરતના પ્રસ્થાપિત નેતાઓ તેમના તરફ નજર રાખતા હતા. નજર રાખવી પડે એમ હતી કારણ માણસ દમદાર હતો અને બીજા પક્ષની ધારણા મુજબ જો તેમનું દમદારપણું બાહ્ય દુશ્મનની જગ્યાએ અસલી દુશ્મનને પડકારવામાં સફળ નીવડે તો રાજકારણનું સ્વરૂપ બદલાઈ જાય અને તેઓ બાજુએ ધકેલાઈ જાય. આનો થોડો થોડો અણસાર પ્રજાને પણ આવવા લાગ્યો હતો. અરે, સૌથી કચડાયેલા ગણાતા દલિતોને પણ આવી ગયો હતો. ૧૯૧૫ના મે મહિનામાં ગાંધીજી તામિલનાડુના માયાવરમ નામના કસબમાં દલિતોની સભામાં ગયા હતા. ત્યાં દલિત આગેવાને ગાંધીજીને પૂછ્યું હતું કે, ‘અમારા સાંભળવામાં આવ્યું છે કે તમારી અને ભારતીય નેતાઓ વચ્ચે મૂળભૂત મતભેદો છે.’

ગાંધીજીએ કબૂલ કર્યું હતું કે છે અને ત્રણ વાર બોલ્યા હતા કે છે, છે, છે. મારો દૃષ્ટિકોણ બધાથી જુદો છે. યાદ રહે, હજુ તેમણે કોઈ પોતીકું રાજકીય નિવેદન તો કર્યું જ નહોતું. આ તો માત્ર અણસાર હતો. દમદારપણાનો અને નવા અભિગમનો. અવ્યવહારુ આદર્શવાદ દમદારપણાને ધરાશયી કરશે કે પછી દમદારપણું આદર્શવાદને વ્યવહારુ બનાવીને રાજકારણને નવા આયામ આપશે? એક આગંતુકને લઈને દેશમાં તર્કવિતર્ક ચાલતા હતા.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 નવેમ્બર 2020

Loading

8 November 2020 admin
← કુળ ઈકોતેર બાળ્યા રે
ગૃહિણી દિને: →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved