Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકારણનો અર્થ માત્ર સત્તાનું રાજકારણ નથી થતો, પરંતુ એનાથી ઘણો વધુ થાય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 August 2017

પ્રજાકારણ કે સમાજકારણ એ રાજકારણ છે. આને માટે ઊહાપોહ કરવો જોઈએ, મોઢું ખોલવું જોઈએ, જરૂર પડે તો રસ્તા પર ઊતરવું જોઈએ અને પ્રજાકીય આંદોલનો પણ કરવાં જોઈએ. પાંચ વર્ષ પહેલાં અણ્ણા હઝારેએ કરેલું એવું આંદોલન નહીં

જનાઝોં પર ફૂલ તો બહુત દેખે થે હમને, આજ ફૂલોં કા જનાઝા દેખા.

ગોરખપુરમાં બાળકોનાં કમોત વિશેની ગુલઝારની આ બે પંક્તિ વૉટ્સઍપ પર ફરી રહી છે અને તમે પણ ખિન્ન મને એને આગળ ફૉર્વર્ડ કરી હશે. સવાલ એ છે કે આગળ શું? માત્ર પીડાનો અનુભવ કરવાથી કે હમદર્દી બતાવવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. ઘણા લોકો એવા પણ છે જેઓ બાળકોનાં મોતની પીડા કરતાં તેમને ગમતા શાસકોની બદનામીની પીડા વધુ અનુભવી રહ્યા છે એટલે તેઓ કૉન્ગ્રેસના શાસનમાં આવી કેટલી ઘટનાઓ બની હતી અને બાળકોનાં મૃત્યુ થયાં હતાં એના આંકડા આપે છે. મૃત્યુ એ તેમના માટે આંકડાની રમત માત્ર છે.

કોણ કહે છે કે દેશમાં કૉન્ગ્રેસનું કે બીજા રાજકીય પક્ષોનું શાસન હતું ત્યારે રામરાજ્ય હતું. અમે તો એમ પણ નથી કહેતા કે જે રાજ્યોમાં ગેરBJP પક્ષોની સરકાર છે ત્યાં રામરાજ્ય છે. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે દેશમાં BJPનું શાસન આવવાથી કે નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બનવા માત્રથી રામરાજ્ય આવવાનું નથી. રામરાજ્ય લાવવું હોય તો સમસ્યાનું નિરાકરણ કરવું પડે અને જો નિરાકરણ કરવું હોય તો સમસ્યા સમજવી પડે. સમસ્યા સમજતી વખતે નીરક્ષીર વિવેક કરવો પડે. કેટલીક ન ગમતી હકીકતો સ્વીકારવી પડે અને સમસ્યાનો શાસકો ઉકેલ લાવે એ માટે આગ્રહ કરવો પડે. સાહેબ કહે એ સાચું અને સાહેબ કરે એ ખરું એવો દાસત્વવાળો અભિગમ ન ચાલે. દુર્ભાગ્યે દાસત્વ એ ભારતીય પ્રજાના DNAમાં છે.

અમે જ્યારે યુવાન હતા અને વ્યવસ્થા-પરિવર્તન માટેના આંદોલનમાં લાગેલા હતા ત્યારે દાદા ધર્માધિકારી અમને કહેતા કે સમસ્યાની સમજ એ ઉકેલની શરૂઆત છે. જ્યાં સુધી તમે સમસ્યાને સાંગોપાંગ નહીં સમજો ત્યાં સુધી તમને ઉકેલ હાથ લાગવાનો નથી. બીજી બાજુ સમસ્યાઓ પેદા કરનારી વ્યવસ્થા અકબંધ ટકી રહે એમાં જેનું સ્થાપિત હિત છે એ લોકો સમસ્યાનું સરળીકરણ કરીને અને કામચલાઉ પાટાપિંડી કરીને તમને બેવકૂફ બનાવતા રહેશે. બીજા સમયે કોઈ બીજા શાસકો આવશે અને એ તમને બેવકૂફ બનાવશે.

તો સમસ્યાની સાંગોપાંગ સમજ એ સમસ્યાના ઉકેલની શરૂઆત છે એ દાદા ધર્માધિકારીએ અમને આપેલું તાવીજ હતું તો બીજું આવું જ મહત્ત્વનું તાવીજ ડૉ. રામ મનોહર લોહિયા પાસેથી અમને મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે વ્યવસ્થા સંબંધી દરેક પ્રશ્ન રાજકારણ છે. આસમાની સુલતાની એવા બે શબ્દો તમે સાંભળ્યા હશે. આ બે શબ્દોના અર્થ સમજવાની કોશિશ તમે ક્યારે ય કરી છે ખરી? આસમાની સમસ્યા એ છે જેને માટે ઈશ્વર કે કુદરતી પરિબળો કારણભૂત છે. ઍક્ટ ઑફ ગૉડના નામે વીમા-કંપનીઓ પણ વળતર ચૂકવવાથી પોતાને બચાવે છે. સુલતાની સમસ્યા એવી છે જેને માટે સુલતાન, અર્થાત્‌ શાસક, અર્થાત્‌ રાજ્ય, અર્થાત્‌ વ્યવસ્થા જવાબદાર છે. આપણા વડવાઓને પણ એટલી સમજ હતી કે જે સમસ્યા ઈશ્વરી નથી એ બધી જ માનવનિર્મિત છે એટલે કે વ્યવસ્થાજન્ય છે. માણસ પોતે અંગત સમસ્યા પેદા કરે છે અને સમાજ સામાજિક સમસ્યા પેદા કરે છે.

ઘણી વાર અંગત સમસ્યા પર પણ સામાજિક સમસ્યાનો પ્રભાવ હોય છે. આ કૉલમમાં થોડા દિવસ પહેલાં મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે મોટાપા અને એવા બીજા જીવનશૈલી સંબંધિત દર્દો માટે કોણ જવાબદાર? વ્યક્તિ કે સમાજ અર્થાત્‌ વ્યવસ્થા? અમેરિકામાં આ ચર્ચા મોટા પાયે ચાલી રહી છે, કારણ કે જવાબદારી કોણ ઉઠાવે એ સવાલ છે. આમ વ્યક્તિની અંગત સમસ્યા પણ સામાજિક સમસ્યા હોય છે અને હવે તો આસમાની સમસ્યા પણ સામાજિક બનવા લાગી છે. દેશમાં અનેક પ્રદેશોમાં પૂરનું તાંડવ નજરે પડી રહ્યું છે એ આજના યુગમાં આસમાની સમસ્યા નથી રહી પણ માનવનિર્મિત અર્થાત્‌ વ્યવસ્થાનિર્મિત બની ગઈ છે. તો મુદ્દો એ છે કે સદીઓ પહેલાં આપણા વડવાઓને પણ એટલી જાણ હતી કે સમાજમાં બનતી કોઈ દુર્ઘટના એ શુદ્ધ અર્થમાં દુર્ઘટના હોતી નથી, એ શાસકીય કે સામાજિક વ્યવસ્થાની નિષ્ફળતા હોય છે. એટલે તો આફતના બે પ્રકારમાં બીજા પ્રકારને સુલતાની કહેવામાં આવી છે.

એ જમાનામાં પણ સુલતાનો પોતાની ચામડી બચાવવા માટે ઈશ્વરનો, ધર્મનો, કર્મોનો, આગલા જનમમાં કરેલાં પાપ-પુણ્યોનો આશરો લેતા હતા. હાથ ખંખેરી નાખવા માટે આ હાથવગું બહાનું છે. અહીં સુલતાનનો અર્થ માત્ર રાજવી એવો કરવાનો નથી, કારણ કે શાસનસંસ્થાઓમાં માત્ર રાજ્યનો એકલાનો સમાવેશ નથી થતો. ધર્મસંસ્થા, જ્ઞાતિસંસ્થા અને ઈવન કુટુંબસંસ્થા પણ શાસનસંસ્થા છે અને એમાં જે મોભી હોય એ સુલતાન હોય છે. જેની વાત તમારે સાંભળવી પડે અને માનવી પડે એ શાસક અને જે સાંભળે અને સ્વીકારે એ શાસિત. એક ઉદાહરણ જોઈએ. એક કુટુંબના વડા રૂઢિચુસ્ત છે અને એ કુટુંબમાં જન્મેલા બાળકને પોલિયોનો ટીકો નથી આપવા દેતા. કેટલાંક વરસ પછી બાળક પોલિયોગ્રસ્ત થઈ જાય છે તો આને માટે જવાબદાર કોણ? દેખીતી રીતે કુટુંબના વડીલ જવાબદાર છે; પરંતુ વડીલ નસીબ, ઈશ્વરની યોજના અને આગલા જનમનાં કર્મોની દલીલનો આશરો લેશે.

તો વાત એમ છે કે દરેક સમસ્યા વ્યવસ્થાગત હોય છે એટલે સુલતાની હોય છે અને એટલે રાજકીય હોય છે. સમસ્યાની સમજ એ ઉકેલની શરૂઆત છે એમ દાદા ધર્માધિકારીએ કહ્યું હતું તો ડૉ. રામ મનોહર લોહિયાએ કહ્યું હતું કે સમસ્યા સંબંધિત દરેક પ્રશ્ન રાજકારણ હોય છે. રાજકારણનો અર્થ માત્ર સત્તાનું રાજકારણ નથી થતો, એનાથી ઘણો વધુ છે. પ્રજાકારણ કે સમાજકારણ એ રાજકારણ છે. આને માટે ઊહાપોહ કરવો જોઈએ, મોઢું ખોલવું જોઈએ, જરૂર પડે તો રસ્તા પર ઊતરવું જોઈએ અને પ્રજાકીય આંદોલનો કરવાં જોઈએ. પાંચ વર્ષ પહેલાં અણ્ણા હઝારેએ કરેલું એવું આંદોલન નહીં. એ આંદોલનમાં દાદા ધર્માધિકારી કહેતા હતા એમ સમસ્યાને સમજવાનો અભાવ હતો અને માત્ર સમસ્યાનું સરળીકરણ કરવામાં આવ્યું હતું. એ પણ અરવિંદ કેજરીવાલનો એજન્ડા હતો. એ પછી નરેન્દ્ર મોદી સમસ્યાનું સરળીકરણ કરીને અવતારપુરુષ તરીકે આવ્યા હતા. આજે બન્ને રાજ કરે છે અને અણ્ણા અને એ આંદોલનમાં ભાગ લેનારા માસૂમ લોકો બેવકૂફ બનીને ઘરે બેઠા છે.

હવે રાજકારણ અર્થાત પ્રજાકારણ શા માટે અને કેવું હોવું જોઈએ એની થોડી વધુ ચર્ચા હવે પછી.

સૌજન્ય : લેખકની ‘કારણ-તારણ’ નામક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 18 અૉગસ્ટ 2017

Loading

18 August 2017 admin
← મરાઠા મોરચા, નવ ઑગસ્ટ ને ગાંધીજી
સ્વરાજના નામે સત્તાકારણના આટાપાટા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved