Opinion Magazine
Number of visits: 9446900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રશાન્ત ભૂષણ કેસમાં ઉચ્ચ અદાલત અને જજની કસોટી થશે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 August 2020

લોકતાંત્રિક ભારત દેશની સર્વોચ્ચ અદાલત આજે પોતે પોતાના વિષે ચુકાદો આપશે. સર્વોચ્ચ અદાલતમાં અત્યારે જે જજો બેઠા છે તેઓ આજે તેમના પોતાના વિષે ચુકાદો આપશે. ચુકાદાને વધાવનારાઓ કે તેની નિંદા કરનારાઓ ભારતના ભવિષ્ય વિષે ચુકાદો આપશે. આમ તો સર્વોચ્ચ અદાલતના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ સામેના અદાલતનો તિરસ્કાર કરવાના કેસમાં આ બધાએ ચુકાદો આપી જ દીધો છે હવે માત્ર ‘સજા’ની ઔપચારિકતા બાકી છે. ભારતના મુક્ત અવાજને, ભારતના ખુલ્લા સમાજને અને ભારતના લોકતંત્રને દંડવાં કે જવા દેવાં એ નક્કી કરવાનું છે.

કોઈ પણ દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં આવી ક્ષણો આવતી હોય છે. ૧૯૭૦ના દાયકામાં સર્વોચ્ચ અદાલત અને તેના એ સમયના જજો ભીંસમાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીની આપખુદશાહી હતી અને કોઈ પણ આપખુદ શાસકને અદાલતોની સ્વતંત્રતા આંખના કણાની માફક ખૂંચતી હોય છે. માત્ર અદાલત જ નહીં, ચૂંટણીપંચ સહિતની તમામ લોકશાહી સંસ્થાઓ તેમના માર્ગમાં અવરોધ પેદા કરતી હોય છે. એમાં અત્યારના શાસકો માત્ર આપખુદ નથી, તેમની તો હિંદુ રાષ્ટ્ર વિશેની એક કલ્પના પણ છે જે તેઓ લાગુ કરવા માગે છે. હિંદુ રાષ્ટ્ર અને સેક્યુલર રાષ્ટ્ર પરસ્પર વિરોધી છે. તેનું સહઅસ્તિત્વ શક્ય નથી.

જો હિંદુ રાષ્ટ્ર સાકાર કરવું હોય તો બે વિકલ્પ છે; એક છે ભારતના બંધારણમાં પરિવર્તન. હવે બંધારણનો ઢાંચો આમૂલાગ્ર બદલવો અઘરો છે અને જગત પાછું ટીકા કરે. તો એના વિકલ્પે બીજો માર્ગ છે બંધારણની એટલે બંધારણપુરસ્કૃત લોકતંત્રની અને લોકતાંત્રિક મૂલ્યોની રખેવાળી કરનારી અદાલતની કમર તોડી નાખવાની. ન્યાયતંત્ર સિવાયની બીજી લોકશાહી સંસ્થાઓની પણ કમર તોડી નાખવાની. લાલચ, ખરીદી-વેચાણ અને ભય આ ત્રણ માર્ગ અપનાવવામાં આવે છે. આ ઉપરાંત ન્યાયતંત્રની બાબતે એક ચોથો વિકલ્પ પણ છે. છેક નીચેથી વૈચારિક રીતે અનુકૂળ હોય એવા જજોને ન્યાયતંત્રમાં દાખલ કરતા જવાના. એ જજ પછી એક દહાડો સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ન્યાયમૂર્તિ બને, ત્યારે અનુકૂળ ન્યાયતંત્રનું વર્તુળ પૂરું થઈ જાય. એ પછી દેશમાં જે લોકશાહી બચે એ માત્ર કલેવરરૂપે હોય, એમાંથી પ્રાણ જતા રહ્યા હોય.

બીજા વિશ્વયુદ્ધ પછી ભારતની જેમ બીજા અનેક દેશો સંસ્થાનવાદી ગુલામીથી આઝાદ થયા હતા. એ બધા દેશો માટે ભારત દેશ દીવાદાંડીરૂપ હતો. જગતમાં જોટો જડે નહીં એટલી બહુવિધ પ્રજાએ સાથે મળીને લડીને આઝાદી મેળવી. લડીને આઝાદી મેળવી, તાસકમાં નહોતી મળી. બહુવિધ પ્રજાએ આઝાદી માટે લડતા લડતા વિમર્શ કર્યો અને સેક્યુલર લોકતાંત્રિક દેશની રચના કરવાનો સંકલ્પ કર્યો. દેશના ભાગલા પડ્યા અને કોમી લોહી વહેતું હતું ત્યારે બંધારણસભાના સભ્યોએ વિચલિત થયા વિના શાંત ચિત્તે જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડ્યું હતું. જો તેમની અંદરનો હિંદુ જાગ્યો હોત અથવા જાગવા દીધો હોત અને વિચલિત થયા હોત તો ત્યારે જ જગત માટે દીવાદાંડીરૂપ નીવડેલા ભારતીય રાજ્યનું કાસળ નીકળી ગયું હોત.

એ સમયે બીજા દેશોએ પણ ભારતનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આધુનિક વિશ્વમાં સભ્ય તેમ જ સંસ્કારી બની રહીને આધુનિક બનવાનો અને વિકાસ સાધવાનો મનસૂબો બીજા તાજા આઝાદ થયેલા દેશો પણ ધરાવતા હતા. ભારત જેવો ગરીબ અને વિપુલ વિવિધતા ધરાવતો દેશ જગતનું શ્રેષ્ઠ બંધારણ ઘડી શકે અને દરેક અર્થમાં આધુનિક વિશ્વમાં જગ્યા મેળવી શકે તો આપણે કેમ નહીં! એ યુગમાં ભારત સાચે જ અધિકારપૂર્વકનું વિશ્વગુરુ હતું. જવાહરલાલ નેહરુનો જગતમાં જે દબદબો હતો એનું કારણ તેમનું વ્યક્તિત્વ તો હતું જ, પણ એનાથી વધારે મોટું કારણ એ નિર્ણાયક યુગમાં ભારતનું વિશ્વગુરુનું સ્થાન હતું. પાકિસ્તાનની બંધારણસભાના સભ્યોની અંદરનો મુસલમાન જાગ્યો અથવા પરાણે જગાડવામાં આવ્યો અથવા અંદરના માણસને ધરાર મારીને મુસલમાનને બંધારણસભામાં બેસાડવો પડ્યો એવું જો ભારતની બંધારણસભાના સભ્યોની બાબતમાં બન્યું હોત તો ભારત વિશ્વગુરુ ન બન્યું હોત. નેહરુનો કોઈએ ભાવ ન પૂછ્યો હોત. એ તો ઠીક છે, ભારતની હાલત આજે પાકિસ્તાન જેવી હોત.

પણ કેટલાક લોકોને ત્યારથી જ ભારત રાજ્યના અપનાવવામાં આવેલા સ્વરૂપ સામે વાંધો હતો. બહુમતીમાં હોઈએ અને માથાભારે ન હોઈએ તો બહુમતીનો શો અર્થ? કમસે કમ અમે બહુમતીમાં છીએ એની ખાતરી તો કરાવવી જ જોઈએ ને! આવું બંધારણ ન ચાલે જેમાં બહુમતી પ્રજાની શિરજોરી ન હોય. માથાભારે થવામાં શક્તિ શોધવી અને શક્તિનો અહેસાસ મેળવવો એ લઘુતાગ્રંથિનાં લક્ષણો છે. આવા લઘુતાગ્રંથિથી પીડાતા હિન્દુત્વવાદીઓને ભારત રાજ્યનું લોકતાંત્રિક સેક્યુલર સ્વરૂપ સ્વીકાર્ય નહોતું. તેમણે સત્તા સુધી પહોંચવા માટે તેનો જ ઉપયોગ કર્યો હતો, પણ હવે જે સીડી વાપરી હતી એ સીડી ફગાવી દેવી છે. કારણ એ છે કે બંધારણપુસ્કૃત સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક સ્ટેટ માથાભારે થવામાં આડે આવે છે અને ઉપરથી ન્યાયતંત્ર, મુખ્યત્વે સર્વોચ્ચ અદાલત તેની રખેવાળી કરે છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતની સર્વોચ્ચ અદાલતે બંધારણની અને બંધારણીય મૂલ્યોની રખેવાળી કરવાનું એક ખાસ અને પવિત્ર કામ સર્વોચ્ચ અદાલતને સોંપ્યું છે.

તેઓ તો બંધારણનો ઢાંચો જ બદલવા માગે છે, પણ એ પહેલાં અત્યારે તેઓ રખેવાળોની કરોડરજ્જુ ઉપર આઘાત કરી રહ્યા છે. લાલચ, ભય અને ભરતી એમ ત્રણ માર્ગ અપનાવવામાં આવી રહ્યા છે. છેલ્લાં કેટલાંક વરસોથી સર્વોચ્ચ અદાલતના જજો કસોટીમાં નાપાસ થઈ રહ્યા છે જે રીતે ૧૯૭૦ના દાયકામાં સર્વોચ્ચ અદાલતના કેટલાક જજો નાપાસ થયા હતા. ત્યારે કેટલાક જજો નાપાસ થયા હતા, સમૂળગી સર્વોચ્ચ અદાલત નાપાસ નહોતી થઈ. ન્યાયમૂર્તિ કૃષ્ણા ઐયર, ન્યાયમૂર્તિ ખન્ના અને ન્યાયમૂર્તિ હેગડે જેવા પ્રાત:સ્મરણીય જજો ત્યારે સર્વોચ્ચ અદાલતમાં હતા જેમણે સર્વોચ્ચ અદાલતને નાપાસ નહોતી થવા દીધી. બીજી બાજુ ન્યાયમૂર્તિ રે, ન્યાયમૂર્તિ બેગ, ન્યાયમૂર્તિ બહારુલ ઇસ્લામ જેવા હતા જેમણે ભય અથવા લાલચમાં આવીને પોતાનું, સર્વોચ્ચ અદાલતનું અને ન્યાયતંત્રનું નાક કપાવ્યું હતું. ૧૯૭૦ના દાયકાથી ઊલટું આજે જજો સાથે સમૂળગી સર્વોચ્ચ અદાલત નાપાસ થતી નજરે પડી રહી છે.

પ્રારંભમાં જ કહ્યું એમ આજે સર્વોચ્ચ અદાલત અને તેમાં બિરાજમાન જજો પોતે પોતાના વિષે ચુકાદો આપવાના છે. ચુકાદો પ્રશાંત ભૂષણ વિષે નહીં હોય, તેમના પોતાના વિશે હશે. બંધારણની, બંધારણીય મૂલ્યોની અને બંધારણપુસ્કૃત સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક સ્ટેટની રક્ષા કરવાની તાકાત તે ધરાવે છે કે નહીં એનો ચુકાદો આવવાનો છે. આગળ કહ્યું એમ તેઓ તેમના વિષે ચુકાદો તો આપી જ ચુક્યા છે, માત્ર દંડવાનું બાકી છે. જોઈએ, આજે અદાલતો અને જજો પોતે જ પોતાને દંડે છે કે નહીં!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 ઑગસ્ટ 2020

Loading

20 August 2020 admin
← Can Ram temple Bhumi Pujan be compared to Freedom of India?
ગુજરાતમાં ૭૦ માળની ઇમારતો સંદર્ભે ચિંતન અને ચિંતા … →

Search by

Opinion

  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved