Opinion Magazine
Number of visits: 9451825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રચારક ફિલ્મોઃ સિનેમેટિક સ્વતંત્રતાને બદલે પૂર્વગ્રહો ઘડવા માટે લેવાતી છૂટ સમાજ માટે જોખમી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 March 2022

ફિલ્મોનો ઉપયોગ પ્રચાર માધ્યમ તરીકે પહેલેથી થતો આવ્યો છે, સ્ટોરી ટેલિંગથી જેટલો પ્રભાવ માનસ પર પાડી શકાય છે તેટલો બીજા કશાયથી નથી પડતો

સૌથી પહેલી વાત તો એ કે કાશ્મીરી પંડિતોએ જે પણ વેઠ્યું, જે હિંસાનો તે ભોગ બન્યાં, જે રીતે તેમણે પોતાનાં મૂળિયાંથી દૂર થવું પડ્યું તેની પીડાને વર્ણવવી આસાન નથી. વિસ્થાપન ક્યારે ય પણ આરામદાયક નથી હોતું. કાશ્મીરી પંડિતોની વેદનાને અવગણવાનો કોઇ પ્રયાસ નથી થઇ રહ્યો. આ ડિસ્ક્લેમર – ચોખવટ એટલા ખાતર કારણ કે આજકાલ લોકોને ધુંધવાઇ જતા વાર નથી લગતી. અહીં વાત થઇ રહી છે માત્ર ને માત્ર સિનેમાની, ફિલ્મના પડદે જોવા મળતી વાર્તાઓની, તેમાં લેવાતી સિનેમેટિક સ્વતંત્રતા – સર્જનાત્મક સ્વતંત્રતાની, પૂર્વગ્રહો નહીંવત્ હોય તેવી ફિલ્મો પણ તેમાં ય રાજકીય વિચારધારાની છાંટ હોય તેવી ફિલ્મોની.

ભારત કુમારના નામથી જાણીતા એક્ટર મનોજ કુમારની ફિલ્મ ‘ઉપકાર’નું બીજ તેમને પૂર્વ પ્રધાન મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી સાથેની વાતચીતમાંથી મળ્યું હતું. ‘જય જવાન, જય કિસાન’ના નારાને કેન્દ્રમાં રાખી કંઇક થવું જોઇએની વાતચીત મનોજ કુમાર અને લાલ બહાદુર શાસ્ત્રી વચ્ચે થઇ અને ‘ઉપકાર’ ફિલ્મ બની. ૬ ફિલ્મફેર અને ૩ નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ ઉપકાર પછી મનોજ કુમારે દેશભક્તિ, દેશની સંસ્કૃતિ, સમસ્યાઓ વગેરેને આવરી લેતી ફિલ્મો બનાવી.  ‘રોટી, કપડાં ઔર મકાન’ ફિલ્મની પ્રેરણા હતી ઇંદિરા ગાંધીનું ગરીબી હટાઓ સૂત્ર. કમનસીબે તે ફિલ્મમાં દર્શાવાયેલો બેરોજગારીનો પ્રશ્ન આજે પણ એટલો જ પ્રસ્તુત છે વળી તે ફિલ્મમાં ગવાયેલું ગીત ‘મહેંગાઇ માર ગઇ’ આજે પણ ગાઇએ તો કોઇને જરાક પણ માઠું નહીં લાગે. આ ફિલ્મોમાં રાજકીય-સામાજિક પરિસ્થિતિનો ચિતાર ચોક્કસ હતો પણ તેમાં પૂર્વગ્રહો નહોતા, કોઇ પણ વિચારધારા એ હદે ધૂંટવામાં નહોતી આવી કે ફિલ્મ જોઇને દર્શકોનું લોહી ઉકળી ઊઠે અથવા તો ઇતિહાસના અધકચરા જ્ઞાનને સાચું માની લે. ફિલ્મો જો વૈમનસ્ય ફેલાવે, ઝનૂની બનાવે, ધ્રુવીકરણના વિચારને તીવ્ર કરે તો તે સિનેમાના માધ્યમને જે કામ કરવાનુ હોય છે તેના સિવાયનું કામ કરી બેસે છે. છેલ્લા દસ વર્ષોમાં પ્રોપેગેન્ડા ફિલ્મોનું પ્રમાણ વધ્યું છે. વળી જે પક્ષની સરકાર હોય તેના તરફી વિચારધારાની ફિલ્મો સરળતાથી બને. પરંતુ તેમાં તેનાથી વિરોધી વાત દર્શાવાઇ હોય તો ફિલ્મનો ગજ ન વાગે. રાહુલ ધોળકિયાની પરઝાનિયા કે નંદિતા દાસની ફિલ્મ ફિરાકને લઇને હોબાળા-વાહવાહી નથી થઇ. ફિલ્મોમાં બધું હોય છે સાચું જ હોય છે તે જરૂરી નથી કારણ કે ફિલ્મ મેકર્સ ડૉક્યુમેન્ટરી ફિલ્મ નથી બનાવી રહ્યા તેમણે સિનેમેટિક લિબર્ટી તો લેવી જ પડે કારણ કે આમ જનતાને મૂળે વાર્તા કહેવાની છે. ઠાકરે, તાન્હાજી, ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, ઉરીઃ ધી સર્જિકલ સ્ટ્રાઇક, મણિકર્ણિકા, પાણીપત, પૅડમેન, ગોલ્ડ, ટોઇલેટ એક પ્રેમ કથા, સત્યમેવ જયતે જેવી ફિલ્મો છેલ્લા એક

દાયકામાં આવી છે.  એટલું ઓછું હોય તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ફિલ્મ બની. આ બધી જ ફિલ્મો કોઇ પ્રચાર માટે હતી એવું ‘બ્લેન્કેટ સ્ટેટમેન્ટ’ ન કરીએ છતાં ય રાજકારણ સાથેના તાણાવાણા જોડવા સહેલા તો થઇ જ જાય છે.

ઇતિહાસ કે વર્તમાનની ઘટનાઓથી-સમસ્યાઓથી બનેલી ફિલ્મો નવી નથી. આવી ફિલ્મો પહેલાં પણ બની છે. વળી પ્રોપેગેન્ડા ફિલ્મ્સ અન્ય દેશોમાં પણ બની છે. પહેલા વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશરોને ખ્યાલ આવ્યો કે જનતાનો અભિપ્રાય બદલવો હોય – તેમાં કોઇ ચોક્કસ વળાંક લાવવો હોય તો ફિલ્મો બહુ શક્તિશાળી માધ્યમ ગણાય. વીસના દાયકામાં સોવિયેટ્સને સમજાયું કે ફિલ્મોનો પ્રભાવ ધાર્યા કરતાં ઘણો વધારે હોય છે. નાઝી જર્મનીની શક્તિ અને સત્તા દર્શાવતી ફિલ્મો પણ બનતી જેમાં હિટલરને મહાન દર્શાવાયો છે. અમુક ફિલ્મો એવી બની જેમાં નાઝીઓને મહાન ન બતાવાયા પણ યહૂદીઓ જેવી લઘુમતીને ગુનાઇત, ખેપાની, જોખમી બતાડવામાં આવી. જર્મનીમાં બનેલી એન્ટિસેમિટિક ફિલ્મ – ધી ઇટર્નલ જ્યુ – ડૉક્યુમેન્ટરી જેવી ફિલ્મ હતી, તેમાં પારાવાર જૂઠાણાં બતાડાયાં હતાં અને માટે જ જર્મનીની બહાર જ્યારે ફિલ્મ દર્શાવાઇ ત્યારે તેમાંથી અમુક હિસ્સાઓ એડિટ કરી લેવાયા.

ફિલ્મોનો ઉપયોગ પ્રચાર માધ્યમ તરીકે પહેલેથી થતો આવ્યો છે, સ્ટોરી ટેલિંગથી જેટલો પ્રભાવ માનસ પર પાડી શકાય છે તેટલો બીજા કશાયથી નથી પડતો. વધતા જતા ક્રાઇમ રેટની પાછળ પણ ફિલ્મો અને ટેલિવિઝનના ક્રાઇમ શો કારણભૂત બને છે તે આપણે જાણીએ છીએ. ફિલ્મોનું રાજકારણ પેચીદું છે. ગુલઝારની ફિલ્મ આંધી સામે ઇંદિરા ગાંધીની સરકારને વાંધો હતો પણ તે ફિલ્મ કાલ્પનિક હતી, તેનાં પાત્રો ક્યાંક કોઇને મળતા આવતા હોય તે બને. કિસ્સા કુર્સી કા ફિલ્મને પણ રાજકારણ નડ્યું હતું. ફિલ્મો કોઇપણ દૃશ્યને સંચાર આપે છે, જીવંત બનાવે છે, ઊંડાણ બક્ષે છે અને લોકોના વિચારો પર તેની અસર પડે છે. ફિલ્મ કેમરાની આંખે બની છે તે ભૂલી જઇને દર્શકો જે દેખાય છે જ સાચું છે માની લેતા હોય છે. નાઝીવાદીઓ માનતા કે હકીકતો અથવા કોઇ પણ નેરેટિવને રજૂ કરવામાં જો સફળતા પૂર્વક ખેલ કરાશે તો લોકોને આપણે એ મનાવી શકીશું જે મનાવવા માગીએ છીએ. વિએટનામ વૉર પર બનેલી બે જાણીતી ફિલ્મો ફુલ મેટર જેકેટ અને પ્લેટૂનમાં અમેરિકન મિશનની ટીકા કરાઇ હતી. આ એન્ટી – પ્રોપેગેન્ડા ફિલ્મો બની જેમાં યુદ્ધ નહીં પણ તે પ્રત્યેનો પ્રતિભાવ દર્શાવાયો.

સત્ય દરેકનું જુદું હોય છે. વળી કોઇ પણ હકીકતને મુલવવાના એક કરતાં વધારે રસ્તા હોય છે, દૃષ્ટિકોણ હોય છે. સંદર્ભને કારણે સમજ અને સત્ય એકબીજાથી જોડાય કાં તો છૂટા પડે. કાશ્મીર ફાઇલ્સ હોય કે તાશ્કંત ફાઇલ – ફિલ્મમાં જો કશું અધૂરું રહી જાય તો કાચું કપાય તે યોગ્ય નથી. જે દર્શાવાયું છે એ ખોટું છે એમ કોઇ નથી કહી રહ્યું પણ ૩૬૦ ડિગ્રીમાં સત્ય ફરતે આંટો મારવો પડે. માત્ર કાશ્મીરી મુસલમાનો, સેક્યુલર રાજકારણીઓ અને ડાબેરી બૌદ્ધિકો વિશે કોઇ ડાયરેક્ટર શું મનાવવા માગે છે તેનો પ્રયાસ કાશ્મીરી પંડિતોના પ્રશ્નનો જવાબ નથી આપી શકવાનો. શીખ રમખાણો, ૨૦૦૨ના રમખાણો, ગોધરા કાંડ, એંશીના દયાકામાં થયેલા રમખાણો, બાબરી ધ્વંસ જેવી ઘણી બધી ઘટનાઓ છે જેની પર ફિલ્મો બની શકે છે.

લોકો આ ફિલ્મને ‘શિન્ડલર્સ લિસ્ટ’ સાથે સરખાવે છે. આ સરખામણી સાવ ખોટી છે. શિન્ડલર્સ લિસ્ટ જોઇને કોઇ સામાન્ય માણસને એવો જ વિચાર આવે કે ભગવાન કરે કે આવું ફરી ક્યારે ય ન થાય. પણ આપણે ત્યાંની આ પ્રકારની ફિલ્મો જોઇને બીજા ધર્મના લોકો પર કે બિનસાંપ્રદાયિક લોકો પર કે ડાબેરી વિચારધારા ધરાવનારાઓ પર ક્યારે ય વિશ્વાસ ન કરવો જોઇએની લાગણી દર્શકોમાં જન્મે છે. સિનેમાના માધ્યમનો બેફામ ઉપયોગ થશે તો આપણું આવી બનશે, આપણને શાંતિપ્રિય સમાજની જરૂર છે ઝનૂની અને ધ્રુવીકરણમાં રાચનારા સમાજની નહીં.

બાય ધી વેઃ

ભારે ઝનૂનથી ‘કાશ્મીરી પંડિતોનું શું?’ એવું પૂછનારા રાજકારણીઓએ આટલાં વર્ષોમાં તેમના ઉધ્ધાર માટે કંઇ કર્યું નથી. લેખ પૂરો કરતાં ફરી એકવાર ડિસક્લેમર કે કાશ્મીરી પંડિતોએ જે વેઠ્યું તેની અવગણના કરવાની વાત છે જ નહીં, પરંતુ આ લેખ સિનેમાના માધ્યમના ઉપયોગ અંગે છે. સિનેમા સાક્ષી ભાવે જોવાની બાબત છે. તમારી સામે જે થાય છે તે જુઓ, તેના પ્રભાવમાં એ હદે ન આવી જાવ કે સત્ય, ઇતિહાસ કે પેચીદા રાજકીય કોકડાં ઉકેલવાની જાણકારી મેળવવાની તમે તસ્દી પણ ન લો. ધ્રુવીકરણનું રાજકારણ તો વેઠ્યું હવે ફિલ્મોનો ઉપયોગ પણ તેને માટે થાય તો ન ચાલે. એક પત્રકાર તરીકે મને હંમેશાં એ વાત કઠી છે જ્યારે મેં અખબારોમાં મોતના આંકડાઓમાં હિંદુ કેટલા મર્યા અને મુસલમાન કેટલા મર્યા એમ વાંચ્યું છે. મરનાર તો અંતે માણસ હોય છે, આ વહી જતાં લોહીમાં બીજાઓની હોળી થઇ જાય છે એ વાત સમાન્ય નાગરિકોએ યાદ રાખવી જોઇએ, પછી ભલે તે કોઇપણ ધર્મના હોય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  20 માર્ચ 2022

Loading

20 March 2022 admin
← મંડળી મળવાથી થતા લાભ
માબાપ જોઈતા નથી, પણ તેમની મિલકત તો જોઈએ જ છે … →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved