Opinion Magazine
Number of visits: 9449351
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાદેશિક ભાષાઓના શબ્દકોશ અને વ્યાકરણ બંને અંગ્રેજોએ આપ્યાં

રમેશ ઓઝા|Opinion - Opinion|23 February 2020

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન, સાતત્યપૂર્વકની અખંડ અને અતિ સમૃદ્ધ છે એ વાત ખરી; પરંતુ યુરોપિયનો અને અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમને પહેલી નજરે જ તેની પ્રતીતિ થાય એવી સ્થિતિ ભારતમાં નહોતી. ઊલટું ભારતની એવી અવદશા હતી કે કોઈ પણ વિદેશી મુલાકાતીને એમ જ લાગે કે ભારત સાંસ્કૃતિક રીતે પછાત દેશ છે. યુરોપિયનોને અને અંગ્રેજોને પણ એમ જ લાગ્યું હતું. એટલે તો ઝટ તેમને ખ્રિસ્તી બનાવો અને તેમનો ઉદ્ધાર કરો, અથવા ઝટ તેમને આપણા જેવો પાશ્ચત્ય બનાવીને તેનું કલ્યાણ કરો કે પછી જે અવસ્થામાં સડે છે એમ સડવા દો એવા યુરોપિયનોના ભારત પરત્વેના મુખ્યત્વે ત્રણ અભિગમ વિકસ્યા હતા. ભારતને સહાનુભૂતિપૂર્વક સમજવાનો અને ભારત પાસેથી શીખવાનો અભિગમ તો પાછળથી વિકસ્યો હતો, જ્યારે તેમને ભારતનો વધુ પરિચય થયો હતો.

એવું નહોતું કે ભારત પર અંગ્રેજોએ કબજો કર્યો એ પહેલાં કોઈ શિક્ષણ જ આપવામાં નહોતું આવતું. મહેતાઓની પાઠશાળાઓ હતી જેમાં લખતા-વાંચતા શીખવવામાં આવતું હતું. રોજિંદા જીવનવ્યવહાર માટે વિદ્યાર્થીઓને થોડુંક ગણિત શીખવવામાં આવતું હતું. બાકી ભારત વિશે જેટલી માહિતી તેઓ ધરાવતા હતા એટલી માસ્તરો આપતા હતા જેમાં પુરાણકલ્પિત વાતો વધારે હતી. ચાર યુગો અને એમાં અત્યારે ચાલી રહેલા કલિયુગની નિરાશાજનક વાતો શીખવવામાં આવતી હતી. આ યુગમાં સારાં જીવનની આશા રાખવા માટે જાણે કે કોઈ કારણ જ ન હોય. દરેક અનર્થને કલિયુગના નામે અનિવાર્ય સમજવામાં આવતો હતો, એટલે અર્થની ખોજ નિરર્થક હતી. બીજું, પાઠશાળાઓ પણ માત્ર બ્રાહ્મણ અને વાણિયા-કાયસ્થ જેવા કેટલાક સવર્ણો માટે જ ઉપલબ્ધ હતી. બહુજન સમાજને પાઠશાળાઓમાં પ્રવેશ નહોતો. સવર્ણોની સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર નહોતો. 

સાંપ્રદાયિક મઠોમાં સંસ્કૃત અને શાસ્ત્રો શીખવવામાં આવતાં હતાં, પરંતુ એ પોતાના મતના પ્રચાર-પ્રસાર માટે. આમ સંસ્કૃત શિક્ષણ કેવળ સાંપ્રદાયિક હતું. મઠોમાં શંકર, રામાનુજ, મધ્વ, વલ્લભ, નિમ્બાર્ક વગેરે આચાર્યોની વેદાંત શાખાઓ અને પ્રશાખાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું અને એમાં જય-પરાજય અને પોતાના મતની સર્વોપરિતાની જ વાત કહેવામાં આવતી હતી. તેમાં ન્યાય, વૈશેષિક, યોગ વગેરેનું શિક્ષણ પણ પોતાના મતની સ્થાપના માટેના હેતુને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવતું હતું. હા, કાવ્યશાસ્ત્રની ધારા ઉત્તરોત્તર વિકસતી રહી હતી એની નોંધ લેવી જોઈએ. આમ થવાનું કારણ કેટલીક વ્યક્તિઓમાં રહેલી અંગત સોંદર્યાનુભૂતિ હોવી જોઈએ.

આમ જે પંડિતાઈ હતી એ સાંપ્રદાયિક હતી. જે સેક્યુલર શિક્ષણ હતું એ નહીં જેવું વ્યવહાર પૂરતું હતું અને એમાં પુરાણકલ્પિત ડોળણ વધારે હતું અને ઉપરથી કલિયુગના નામે દરેક પ્રકારના અનર્થોને – અંધકારને અનિવાર્ય સમજવામાં આવતા હતા. અને સ્ત્રીઓ તેમ જ પછાત સમાજ તો આનાથી પણ વંચિત હતો. આને કારણે એ યુગમાં કેવો હિંદુ પેદા થતો હશે, વિદેશીઓ કેવા હિંદુના સંપર્કમાં આવ્યા હશે અને હિંદુ વિશેની તેમની કેવી છાપ પડી હશે તેનો વિચાર કરી જુઓ.

હિંદુઓની જેમ મુસ્લિમ છોકરાઓ મદરસામાં જતા હતા જ્યાં તેમને પર્શિયન અને અરેબિક ભાષા શીખવવામાં આવતી હતી. એ યુગમાં પર્શિયન ભાષા સરકારી સત્તાવાર ભાષા હતી અને અરેબિક ધાર્મિક ભાષા હતી. મદરસામાં પણ તમામ સ્તરના મુસલમાનોને પ્રવેશ નહોતો અને સ્ત્રીઓને તો બિલકુલ નહોતો, પછી તે ભલે ઉચ્ચ વર્ગની હોય. કુરાન કંઠસ્થ થઈ જાય અને હદીસનાં વ્યવહાર પૂરતાં ખપનાં વચનો મોઢે થઈ ગયા એટલે મુસલમાન દીક્ષિત થઈ જતો. હિંદુની જેમ વ્યવહાર પૂરતું ગણિત શીખવવામાં આવતું હતું.

તમને આશ્ચર્ય થશે કે પર્શિયન ભાષા ભદ્ર વર્ગના મુસલમાનો શીખતા હતા તેનાં કરતાં નાગર અને કાયસ્થ જેવા હિંદુઓ વધારે શીખતા હતા. આનું કારણ સરકારી નોકરી હતું. મુસ્લિમ શાસકોની સત્તાવાર ભાષા પર્શિયન હતી અને મુખ્યત્વે નાગરો અને કાયસ્થોના હાથમાં મુસલમાન શાસકોનું વહીવટીતંત્ર હતું. તેમાંના કેટલાકે વધારે મોટા હોદ્દા માટે ધર્મપરિવર્તન પણ કર્યું હતું. હિંદી કવિ અને પોતાને કાયસ્થકુલોત્પન્ન તરીકે ઓળખાવનારા હરિવંશરાય બચ્ચને પોતાની આત્મકથામાં લખ્યું છે કે બાદશાહોના દરબારમાં લાભ ખાતર કાયસ્થ નોકરો  મુસલમાન જેવાં કપડાં પહેરતા, તેમના જેવી ટોપી પહેરતા અને નામ પણ થોડાંક મુસ્લિમ ભાસે એવાં રાખતા હતા.

આમ ભારતમાં એ યુગમાં સૌથી વધુ દબદબો પર્શિયન ભાષાનો હતો. હિંદુ શાસકોની સત્તાવાર ભાષા પણ પર્શિયન જ રહેતી, તે ત્યાં સુધી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પણ કામકાજની ભાષા પર્શિયન હતી. એક તો પર્શિયન ભાષા સમૃદ્ધ છે. સેંકડો વરસથી ભારતમાં તે શાસનની ભાષા હોવાને કારણે પ્રશાસકીય ભાષા તરીકે તેનું ખેડાણ થયું હતું અને સૌથી વધુ તો અમલદારો મળતા હતા. આમ પર્શિયનને કારણે મુસલમાનો, પેશ્વાઓ અને અંગ્રેજો વચ્ચે સત્તાંતર થયું હોવા છતાં ભારતનું વહીવટીતંત્ર ખોરવાયું નહોતું. આખરે રોજી-રોટીની ભાષા જ પસંદગી પામે છે. ભારતમાં જો અંગ્રેજ નામનો અકસ્માત ન થયો હોત તો આજે ભારતમાં જે સ્થાન અંગ્રેજીનું છે તે પર્શિયનનું હોત. પાછી પર્શિયન ભાષા તો ખૂબ સમૃદ્ધ પણ છે.

સંસ્કૃત ભાષા તો ક્યાં ય પાછળ છૂટી ગઈ હતી. સંસ્કૃતમાંથી વિકસેલી પાલી અને પ્રાકૃત જેવી ભાષાઓ અપભ્રંશના માર્ગે પ્રાદેશિક ભાષા તરીકે વિકસવા લાગી હતી. પ્રજાનો વ્યવહાર આવી પ્રાદેશિક ભાષાઓમાં ચાલતો હતો, પછી તે હિંદુ હોય કે મુસલમાન હોય. જેમ હિંદુને કારકિર્દી ખાતર પર્શિયન ભાષાને અપનાવવામાં વાંધો નહોતો અને તેમ આમ મુસલમાનને રોજી રળવા પ્રાદેશિક ભાષા સામે વાંધો નહોતો. કોઈ ભાષાકીય ઝઘડો નહોતો. હકીકતમાં હિંદુ અને મુસલમાનનું ભાવવિશ્વ એક સમાન હતું, કારણ કે તે એક જ માટીના ફરજંદ હતા. પ્રાદેશિક ભાષાઓ અપનાવેલી ભાષા નહોતી, પણ હિંદુ અને મુસલમાનોને વારસામાં મળેલી પોતીકી ભાષા હતી.

વિધિની વિચિત્રતા જુઓ! ભારત પર અંગ્રેજી લાદનારા વિદેશીઓએ જ ભારતની પ્રાદેશિક ભાષાઓને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. મિશનરીઓને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો હતો અને કંપનીએ ભારતની પ્રજાનું શોષણ કરવું હતું. આ બંને માટે લોકો સુધી પહોંચવું જરૂરી હતું અને તે પર્શિયન દ્વારા શક્ય નહોતું; તે કેવળ પ્રાદેશિક ભાષા દ્વારા જ શક્ય હતું, પછી હિંદુસ્તાની હિંદુ હોય કે મુસલમાન હોય. જમીની સ્તરે (ગ્રાઉન્ડ લેવલે) માત્ર પ્રાદેશિક ભાષા જ લોકોને પટાવવા માટેનું, લોકોની અંદર અરમાન પેદા કરવા માટેનું, નફરત પેદા કરવા માટેનું, ઝઘડવા માટે કારણ આપવાનું, ડરાવવાનું, પ્રેમ કરતા શીખવાડવાનું, લલચાવવાનું પ્રબળ માધ્યમ હતું. જો લોકોના હ્રદય સુધી પહોંચવું હોય તો તે તેમની ભાષા દ્વારા જ પહોંચી શકાય, પછી એજન્ડા ધર્માન્તરણનો હોય, શોષણનો હોય કે કલ્યાણનો હોય.

મિશનરીઓને અને અંગ્રેજ શાસકોને સમજાઈ ગયું હતું કે જો લોકો સુધી પહોંચવું હોય અને પોતાના ગમે તેવા હેતુ માટે ગમે તે માર્ગે લોકોને વાત મનાવવી હોય તો લોકોની ભાષા અપનાવવી પડશે. મિશનરીઓએ સ્થાનિક લોકોની ભાષા શીખવા માંડી. તેઓ તેમની ભાષામાં બોલતા હતા અને સેવા કરતા હતા. તેમણે બાઈબલના અનુવાદ પ્રાદેશિક ભાષાઓમાં કરાવવા માંડ્યા. ચર્ચમાં પાદરીઓ સ્થાનિક ભાષામાં ઈશુના સંદેશ આપતા હતા. તેમણે ભારતની લગભગ તમામ સ્થાનિક ભાષાનું વ્યાકરણ તૈયાર કર્યું હતું. ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ રેવરન્ડ ટેલરે સૌ પહેલાં તૈયાર કર્યું હતું. આવું જ બાકીની ભાષાઓનું. ગીર્વાણ ભારતી સંસ્કૃતનું વ્યાકરણ પાણિનીનું છે, પણ ભારતની લગભગ તમામ પ્રાદેશિક ભાષાઓનાં વ્યાકરણ વિદેશીઓએ તૈયાર કર્યાં છે. ભારતની મોટાભાગની પ્રાદેશિક ભાષાઓના પહેલા અથવા શરૂઆતના શબ્દકોશ મિશનરીઓએ તૈયાર કરીને આપ્યા છે.

અને છેલ્લે છાપખાનાં. ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સાહિત્ય છપાવવું જરૂરી હતું એટલે પ્રિન્ટીંગ પ્રેસ તેમણે સ્થાપ્યાં હતાં. પ્રિન્ટીંગ માટે લિપિ તેમણે વિકસાવી હતી અને બીબાં તૈયાર કર્યાં હતાં. કલકત્તા નજીક શ્રીરામપોરમાં પહેલો પ્રેસ સ્થાપવામાં આવ્યો હતો અને જોતજોતામાં વીસ કરતાં વધુ ભાષામાં બાઈબલના અનુવાદ કરીને છાપવામાં આવ્યા હતા.

આને કહેવાય ખંત. ધ્યેયનિષ્ઠા અને ખંત માટે મિશન શબ્દ પ્રયોજવામાં આવે છે એ આ કારણે! પ્રજા સુધી પહોંચવા માટે અને પ્રજાને પોતાની કરવા માટે તેમણે શું નહોતું કર્યું? જો સવર્ણોએ દલિતો સુધી પહોંચવા માટે અને હિંદુઓ અને મુસલમાનોએ એકબીજા સુધી પહોંચવા માટે અને પહોંચીને પોતાનાં કરવા માટે આનાથી દસમાં ભાગની જહેમત લીધી હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત.

તમને આવું નથી લાગતું?

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 23 ફેબ્રુઆરી 2020

Loading

23 February 2020 admin
← ચલ મન મુંબઈ નગરી — 32
અદ્વિતીય નાટ્યકૃતિ ‘જળને પડદે’ : કવિ ‘કાન્ત’નું જીવન, લેખક સતીશ વ્યાસની કલમ, નટ કમલ જોશીનો પરિશ્રમ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved