Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પથિક તારે વિસામાના દૂર દૂર આરા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 April 2019

અગિયારમી એપ્રિલ. આજે મતદાનનો પહેલો તબક્કો. આ લખતે લખતે ફેસબુક પોસ્ટ્‌સ જોઉં છું તો વિસ્તાસ્પ હોડીવાલાએ મૂકેલી ગૌરી લંકેશની છબી સામે આવે છે : તમે જ્યારે મત આપો ત્યારે મને યાદ કરશો. બહુ જ સમુચિતપણે વિસ્તાસ્પે શીર્ષપંક્તિ બાંધી છે કે ભારતની આરપારની (ફાઈનલ) પરીક્ષા આજે શરૂ થાય છે.

મતદાનની નાજુક નિર્ણાયક ક્ષણે કોને યાદ કરવા મારે, એની આ કંઈ પહેલી નસીહત તો નથી. પહેલા તબક્કા માટેની પ્રચારછૂટ પૂરી થવામાં હતી એ કલાકોમાં વડા પ્રધાને પણ આવી જ એક અપીલ ‘ને-યાદ-કરજો’ની તરજ પર આપી તો હતી. એમણે અપીલ કરી હતી, જિંદગીનું પહેલ પ્રથમ મતદાન કરનાર યુવજન જોગ કે પુલવામાના શહીદ સૈનિકો અને બાલાકોટની ઍરસ્ટ્રાઈકના સુભટોને નામ આપનો મત પડજો.

કદાચ, આ બે અપીલોની સહોપસ્થિતિ આપણને એક વૈકલ્પિક પશોપેશની પકડમાં એવી તો મૂકી આપે છે કે તે પૈકી આખરી (અને આકરી) પસંદગી સાથે આપણું પણ એક માપ આવી રહે. રાજીવ ગાંધીના કાળમાં અઢારમે મતાધિકારનો જે સિલસિલો શરૂ થયો, તે મુજબનો એક નિર્ણાયક પ્રમાણમાં હોઈ શકતો યુવા મતદાર જથ્થો ઓણ હોવાનો છે. યુ.પી.એ.-ર અને એન.ડી.એ.-રનાં આઠદસ વરસ એના કિશોર અને પૌગંડ તબક્કાનાં હશે. એને સામાન્યપણે એવી અપીલ શા વાસ્તે ન ગમે કે તું પુલવામાને અને બાલાકોટને યાદ કરીને મત આપજે. કુરબાની અને જાનફેસાની પોતે કરીને આર્ત અપીલકારી બીના નથી એમ તો કહી શકાતું નથી. અને આવી ભાવનાત્મક તાણ વખતે પુલવામા-બાલાકોટની દુહાઈ કમલના બટન પર દાબ મૂકવા સારુ છે એવા પેંતરાને સમજવાની સોઈ પણ બધાને બધો વખત નયે હોય.

પ્રશ્ન આ છે, તમે જેને સુરક્ષા કહો છો તે શું છે. આપણે ચોમેરચોફેરથી ઘેરાયેલ છીએ અને સૈનિકી સુરક્ષાને કારણે જ જીવિત છીએ, એવું વાયુમંડળ જો એક વાત છે તો સુરક્ષિત જિંદગી ઘરઆંગણે બસર કરવી તે શું એ બીજી વાત છે. દેશજનતા ચેનનો શ્વાસ લેવા જરૂર ઇચ્છે છે. પણ, જો એને પોતાની વાત કહેવા-સમજવાની આસાએશ અને ગુંજાશ-મોકળાશ ન હોય તો એ શ્વાસ એક વિચારશીલ લોકતંત્રમાં હોય તો પણ શું અને ન હોય તો પણ શું.

ગૌરી લંકેશનો ગુનો એ હતો કે તે એક ભિન્નમત ધરાવતી શખ્સિયત હતાં. અહીં ભિન્નમતનો જે વિશેષ સંદર્ભ અભિપ્રેત છે તે સમજી લેવો જોઈએ. વડી રાજ્યસત્તાને સારુ સંમાન્ય એવી પહેલા ખોળાની જે વિચારધારા, એનાથી જુદા પાડતો ભિન્નમત. આ ભિન્નમત, કેમ કે તે પ્રસ્થાપિત સત્તામતથી જુદો છે, સ્વાભાવિક જ એમાં રાજદ્રોહ (બલકે દેશદ્રોહ) સમાયેલો છે. આ સંજોગોમાં રમતના નિયમો સાફ છે. લોકમતની કેળવણી કરતી ખુલ્લી બહસ નહીં પણ આતતાયી વધ, એ આ નિયમોની બુનિયાદમાં પડેલી વાત છે.

ગૌરી લંકેશ આતતાયી હતાં, જેમ દાભોલકર અને પાનસરે પણ હતા. બેસતે સ્વરાજે ગાંધીથી આતતાયીવધનો આ સિલસિલો જારી છે. જેમણે ગૌરીને હણ્યાં એમને પોતાનું વીરકર્મ પુલવામાનો બદલો લેતા બાલાકોટ સુભટોની હેડીનું લાગે છે. સમાજમાં જુદા અને નવા વિચારોને નહીં સાંખી લેવાની આ અસહિષ્ણુ મનોવૃત્તિમાં એમને કશુંક વીરવ્રત શું અનુભવાય છે. પ્રજાસત્તાક સ્વરાજમાં આ રસ્તે અને આ રીતે જે આવે તેમાં બરકત ન હોય (બલકે તે વિપરીત-પરિણામી જ હોય) એવો એક સીધોસાદો મુદ્દો, પછી, એમને પકડાતો જ નથી.

૧૯૭પ-૭૭ જેમ એક જળથાળ સમયગાળો હતો, કટોકટીવાદને મુદ્દે; તેમ આ પણ એક જળથાળ કાળ છે, અને તે ખાસો લાંબો અને લંબાતો હોવાનો છે. વ્યક્તિગત સત્તાના એકાધિકારનો વિરોધ જો લાજિમ હતો તો એકાધિકાર ઉપર વિચારધારાકીય વળ અને આમળા ચઢાવતી સત્તાધારાનો વિરોધ એથીયે કંઈકેટલો વધુ લાજિમ છે.

વિચારધારાકીય આમળાથી માંડીને અફીણ લગીની જે સગવડ હાલની સત્તામંડળી કને છે એ હમણાં ભા.જ.પ.ના સંકલ્પપત્રમાં ખાસું ઊહાપોહભેર કહેવાયું તેમ ‘નૅશન ફર્સ્ટ’ છે. અહીં અભિપ્રેત વિગત, રાષ્ટ્ર એ પક્ષથી ઉપર છે એટલી સરળસપાટ નથી. રાષ્ટ્ર એ સર્વોચ્ચ બલકે એકમાત્ર, કહો કે ધ મૂલ્ય છે. ઈશ્વરની અનેક વિભૂતિઓ પૈકી રાષ્ટ્ર પણ એક હોઈ શકે એમ નહીં, એકમાત્ર – ધ વિભૂતિ તે ધ વિભૂતિ. અને એમાં પણ, આ તો ‘ખાસ’ અર્થમાં.

લોકશાહી જો મનુષ્યજાતિની એક મુક્તિયાત્રા હોય તો રાષ્ટ્રની આવી સર્વોપરિતા, આવી એકમાત્રતા અને અફીણી અપીલ એ આ યાત્રામાં અવરોધક છે. સહજ દેશપ્રેમ એક વાત છે અને દેશભક્તિનો સંપ્રદાય તે બીજી વાત છે. ગૌરી લંકેશની શહાદતને વશ વર્તતી અપીલ પહેલા ખાનામાં પડે છે જ્યારે નમોની પ્રથમ મતદાનવાળી અપીલ બીજા ખાનામાં પડે છે.

જલિયાંવાલાને સોએ વરસે બ્રિટનના વડા પ્રધાન એને ‘અ શેઈમફુલ સ્કાર’ તરીકે વર્ણવે છે ત્યારે હાઉસ ઑફ કૉમન્સમાં સાંસદોના ખાસા હિસ્સાને એમ લાગે છે કે ધોરણસરની ક્ષમાપ્રાર્થનામાં હજુ કાંક કશુંક ખૂટે છે. શું આ હિસ્સાને આપણે ઇંગ્લંડના સંદર્ભમાં દેશદ્રોહી/રાજદ્રોહી કહીશું કે અંતરાત્માના રખેવાળ તરીકે જોઈશું? પોતાનો દોષ અને મર્યાદા જોઈ શકવાં એ એક એવી દેશવત્સલ માનવતા છે જે નવી ને ન્યાયી દુનિયાનું ધરુવાડિયું બની શકે. મતદાનની નાજુકનિર્ણાયક પળે જો હું ગૌરી લંકેશને સ્મરી શકું તો એ આ ધરુવાડિયા ભણી લઈ જતી, ભલે સેતુબંધની ખીસકોલી શી ચેષ્ટા હશે. એક વાર આ ફલક પર જોઈએ તો મતદાન બેત્રણપાંચ પક્ષો વચ્ચેની પસંદગીની સાંકડી સમજને ક્યાં ય ઓળાંડી જઈ નવી દુનિયા અને પ્રતિગામી વલણો વચ્ચેની પસંદગી બની રહે છે. આ નવી દુનિયાની, દેશવત્સલ માનવતાની જે ખોજ તે સ્વાતંત્ર્યસંગ્રામમાં ઊભરેલાં મૂલ્યોની ધારામાં છે.

અહીં લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે આ પૂર્વે કદી નહીં એ હદે એક વૈકલ્પિક વિમર્શ સત્તાનશીન થયો છે. હમણાં ‘નૅશન ફર્સ્ટ’ની જે જિકર કરી તે આ વિમર્શને સમજવા વાસ્તે હિમદુર્ગનું ટોચકું માત્ર છે.

નહીં કે ભાજપ સિવાયનાં બળોને આ બધી સમજ છે અને આપણને એવી પતીજ છે. બીજાં બળોને ઠમઠોરતાં રહેવાની પ્રજાની જવાબદારી અલબત્ત હતી, છે અને રહેશે. પણ પસંદગી સાફ છે : તમારે નવી દુનિયા તરફ જવું છે, કે પ્રતિગામી વલણો તરફ.

આ અંકમાંની સામગ્રી નાગરિક સમાજને નાતે સહિયારી નિસબત અને સહચિંતનને ધોરણે યથાસંભવ બની આવે તે માટેની કોશિશનો આટલો સંદર્ભ : દિલ્હીને અલ્વિદા કહેતાં દિલી અલ્વિદાનો જે સવાલ ઉમાશંકરે ઉપસ્થિત કર્યો છે, રાજધાનીઓ ને અગ્રવર્ગો શ્રમિક-કૃષક પર ચડી વાગે છે (આ સિલસિલાને કથિત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ઓર ન્યાય્ય પણ ઠરાવી શકે) એ તરફ ધ્યાન દોરી વિરમું છું.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 02 અને 20

Loading

17 April 2019 admin
← BJP: Hiding Failures-Targeting Nehru
આટલી બેશરમ સરકાર ક્યારે ય જોવા મળી નથી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved