Opinion Magazine
Number of visits: 9449151
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાટણ (યુનિવર્સિટી)ની પ્રભુતા ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 August 2023

પ્રમુખીય

પ્રકાશ ન. શાહ

સોલંકી કાળની ભારતપ્રતિષ્ઠ રાજધાની પાટણમાં વિરાજતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પાઠ્યક્રમમાંથી ‘પાટણની પ્રભુતા’ને જ રુખસદ ફરમાવવામાં આવે એવા સંજોગો વચ્ચે કંઈક ક્ષુબ્ધ, કંઈક સચિંત બે શબ્દો પાડવાપણું લાગે છે.

કોઈક છેડેથી વિરોધ દર્જ થાય અને પાઠ્યસામગ્રીનો કોઈક અંશ પડતો મૂકવામાં આવે એવા પ્રસંગોની જો કે નવાઈ નથી. આ લખી રહ્યો છું ત્યારે સહેજે સામે આવતાં દૃષ્ટાંત ‘નર્મદનો જમાનો’ (વિશ્વનાથ ભટ્ટ), ‘ખેમી’ (રામનારાયણ વિશ્વનાથ પાઠક) અને ‘ઢેઢનાં ઢેઢ ભંગી’ (ઉમાશંકર જોશી) જેવાં છે. અહીં પ્રસંગોપાત કોઈ ઉલ્લેખ થઈ જાય તો ભલે પણ એ બધાંની તપસીલમાં સિલસિલાબંધ જવાનો તત્કાલ ખયાલ નથી.

સીધો પ્રભુતા પ્રશ્ને જ આવું. મુદ્દે, એક સન્માન્ય જૈનાચાર્યે કુલપતિ રોહિત દેસાઈ જોગ પત્રમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે યુનિવર્સિટી જે મહાપુરુષના નામથી ગૌરવાન્વિત છે એ હેમચંદ્રાચાર્યના જ જીવનને અયોગ્ય રીતે પ્રસ્તુત કરનાર આ પુસ્તકને પાઠ્યક્રમમાં પ્રવેશ કેવી રીતે આપી શકાય. સ્વાભાવિક જ, વાસ્તવમાં આવું કાંઈ હોય તો એ અંગે અમૂઝણ અસ્થાને પણ ન ગણાય. પણ ‘પાટણની પ્રભુતા’ના રસિક ને વિદગ્ધ વાચકો વિનયભેર વળતું પૂછી શકે કે આ નવલકથામાં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં. જે રીતે મૂળ પ્રશ્ન ઉઠાવાયો છે એમાં રહેલી વાગ્મિતાની લગાર કળ વળે પછી કહેવાનું થાય કે ભાઈ, એક જૈન જતિ અહીં જરૂર છે. આનંદસૂરિ. આ યુનિવર્સિટી સાથે જેનું નામ જોડાયું છે તે મહાપુરુષ એ તો નથી.

જો કે, પાટણ પંથકના એક જૈન અગ્રણીએ વળી વાતને જુદો જ વળ અને આમળો આપ્યો છે. તમે એને ‘ગુગલી’ કહીને કદર પણ કરી શકો. એમણે કહ્યું છે કે આ જતિ સ્તો પરોક્ષ રૂપે હેમચંદ્રાચાર્ય છે. સર્જકને જે ખબર નથી તે આપણને હોય એ મુદ્દો અલબત્ત કાબિલે તપાસ ગણાય. વસ્તુતઃ સાદો હિસાબ છે કે મુનશીને અભિપ્રેત બે અલગ પાત્ર છે. આગળ ચાલતાં આપણે સૂરિ ઉપરાંત આચાર્યને પણ મળીએ છીએ તે જોતાં આ એક સ્વતઃ સ્ફુટ વિગત છે.

આ વિવાદના અનુસંધાનમાં ગુજરાતી સાહિત્યના સાર્વજનિક ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વની કહેવાય એવી સામગ્રી, એમની સાંસ્કૃતિક-સાહિત્યિક અભિરુચિથી ગુજરાતના સારસ્વત મંડળમાં પ્રિય ને આદરણીય થઈ પડેલા આચાર્ય વિજયશીલચંદ્રસૂરિના સદ્ભાવી માર્ગદર્શન હેઠળ ભાઈ અતુલ કાપડિયા તરફથી મળી છે એની સાભાર નોંધ લઈ તે સંદર્ભમાં એક બે મુદ્દા કરવાની રજા લઉં છું. ‘જૈન ગૂર્જર કવિઓ’ સરખું મહાભારત કામ જેમને નામે ઇતિહાસજમે છે તે મોહનલાલ દલીચંદ દેસાઈના લેખસંચયમાંથી હાલની ચર્ચામાં પ્રસ્તુત જણાય તેવી સામગ્રી એ છે. 

સમગ્ર સામગ્રીમાંથી પસાર થયા પછી ટૂંકસારરૂપે કહું તો આનંદસૂરિનું પાત્રચિત્રણ જે પ્રકારે થયું છે, એક ધર્મઝનૂની તરીકે, તે જૈનધર્મદ્વેષી નિરૂપણ છે એવી પ્રતિક્રિયા ‘ઘનશ્યામ’ એ ઉપનામથી ‘પાટણની પ્રભુતા’ પ્રગટ થઈ ત્યારે જાગી હતી. તે પછી, ત્રયી ભણી આગળ ચાલતાં હેમચંદ્રાચાર્યનું પાત્ર આવ્યું જેમાં આનંદસૂરિને મુકાબલે એક સમાજહિતૈષી શુચિતામંડિત સાધુતાની ગુંજાશ હતી. પણ એક નાજુક ક્ષણે હેમચંદ્રાચાર્યે મંજરી પરત્વે વિકાર અનુભવ્યો હતો એવો વાર્તાસંકેત આપી મુનશી પોતાનો દ્વેષભાવ પ્રગટ કર્યા વિના રહી શક્યા નથી એવો પ્રતિભાવ.

આમ તો, ‘પાટણની પ્રભુતા’માં હેમચંદ્રાચાર્ય છે જ ક્યાં, એવો વળતી વાગ્મિતા સાથેનો સવાલ ઉઠાવી આખી વાતને પૂરી થયેલી જાહેર કરી શકાય. પણ, તેમ છતાં, આનંદસૂરિની વાત નીકળી જ છે તો કહેવું જોઈએ કે આ કિસ્સામાં જૈન પાત્ર જરૂર છે પણ એના પાત્રાંકનમાંથી ફોરતો મુદ્દો ધર્મદ્વેષી નથી, ધર્મઝનૂની રાજનીતિ ઇષ્ટ નથી એ છે. સુદૂરથી યવનો ત્રાટકી રહ્યા છે ત્યારે પ્રતિકાર વાસ્તે રાજવટને જૈનધર્મઝનૂનનું અફીણ પાવું જોઈએ એવી સૂરિની થીયરી છે. જો ધર્મઝનૂની રાજનીતિનો ઇસ્લામી રવૈયો ખોટો છે તો વળતો રવૈયો પણ ખોટો છે, તે મુનશીનું પ્રતિપાદન છે.

હેમચંદ્રાચાર્યની પ્રતિભા વિશે તો હૈમસારસ્વત સત્ર જેવું અનેરું આયોજન કરનાર મુનશી અનભિજ્ઞ ન જ હોય. માત્ર, એ માણસ જેવા માણસ છે અને એમાંથી ઊંચે ઊઠતાં અહીં પહોંચી એક પ્રતિમાનરૂપ જીવન જીવ્યા છે તેનું, તેમના વિકાસક્રમનું, એક ઇંગિત એમણે મંજરી સંદર્ભે ક્ષણવિક્ષણ પૂરતું મૂક્યું એ આચાર્યની અવમાનના નથી. એમના વિશેષને નિઃશેષ પ્રગટાવી શકે એવી સામગ્રી એ અવશ્ય છે. આનંદસૂરિ સાથે સરખાવતાં સમજાતો સૂચિતાર્થ કહો, મથિતાર્થ કહો કે નિહિતાર્થ, અહીં અલબત્ત એ છે કે ધર્મવિવેકપૂર્વક પણ ધર્મઝનૂન વગર હેમચંદ્રાચાર્ય સરખી પ્રતિભા તત્કાલીન રાજશાસનના પ્રભાવ ને પરિશોધનમાં કેવું નિરામય બળ પ્રેરી શકે છે.

અઢાર વરસે મતાધિકારનાં આ વરસોમાં, છાત્રો પાસે પુખ્ત અભિગમ કેળવી શકતી સામગ્રી પાઠ્યક્રમમાં કેમ ન મૂકી શકાય? અધ્યાપકો પાસે પણ ચોક્કસ સજ્જતા અપેક્ષિત છે જ. ખરું જોતાં પાઠ્યક્રમમાંથી કશુંક કાઢી નાખવાની કે એવી હિલચાલ થાય ત્યારે જે તે દાબજૂથની વગ કે ધાક અગર વહીવટકારોની આઘાપાછીવશ સમજૂતી, એ સ્વસ્થ શૈક્ષણિક અભિગમ નથી. યુનિવર્સિટીના શૈક્ષણિક ને સત્તામંડળોએ તેમ સરકારે ધોરાજી ચલાવવાની ન હોય. લેખક, અધ્યાપક, સમાજહિતૈષી સહૃદય મંડળી, યુનિવર્સિટી તંત્ર, સરકાર, આ બધાં વચ્ચે વિચારવિનિમય થકી ચોક્કસ સમજ અને નિર્ણય પર આવવું જોઈએ. નિર્ણયપ્રક્રિયાનું ખાનગીકરણ કે સરકારીકરણ કશું ઇષ્ટ નથી. એન.ઇ.પી. એન.ઇ.પી. કહીને દિવસરાત કૂટ્યા કરીએ છીએ એમાં આટલી સમજનિર્માણ અને સમાજનિર્માણની સૂધબૂધ ન હોય એવું કેમ સ્વીકારી શકાય? અને સહૃદયતાની કેળવણી પણ નહીં? વિચારીએ, અને પાટણ યુનિવર્સિટીની પ્રભુતા કાયમ કરીએ.

(પ્રગટ : “પરબ”; ઑગસ્ટ 2023)
e.mail : prakash.nireekshak@gmail.com

Loading

14 August 2023 Vipool Kalyani
← ચોખાની ચતુરાઈ અને ઘઉંનું ગમારપણું?
બાલિકાઓના બેલી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved