Opinion Magazine
Number of visits: 9449112
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરેશાન દિલ્હી શહેર છે કે યમુના નદી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|16 July 2023

રમેશ ઓઝા

દિલ્હી શહેર પરેશાન છે અને તેનું કારણ છે યમુનાનું પાણી. યમુનાનું પાણી દિલ્હી શહેરમાં પ્રવેશ્યું છે. યમુનાનું સ્તર અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચ્યું છે અને ઉતરવાનું નામ નથી લેતું. દિલ્હી શહેરમાં કોઈ ધોધમાર વરસાદ નથી વરસી રહ્યો. વરસાદ ઉપરવાસમાં છે અને યમુનાનાં પાણીને સંઘરવા કોઈ રાજ્ય તૈયાર નથી. ખો ખોની રમતની માફક વચ્ચે આવતાં દરેક રાજ્ય યમુનાનાં પાણીને ખો આપે છે. દિલ્હી ખો આપી શકે એમ નથી એટલે પરેશાન છે.

પણ ખરું પૂછો તો પરેશાન દિલ્હી શહેર છે કે યમુના નદી? લાખો વરસ દરમ્યાન યમુનામાં લાખો વાર પૂર આવ્યાં હશે અને બે કાંઠે ફેલાઈને એ પાણી પોતાને માર્ગે સમુદ્રમાં સમાયાં હશે. આ જ તો કુદરતનો ક્રમ છે. નદીઓને કાંઠે જ્યારે માનવ સભ્યતાઓ વિકસી તો એણે પણ નદીઓની વહેવાની અને ચોમાસામાં ફેલાવાની જગ્યાને છોડી દીધી હતી. સભ્યતા અને સંસ્કૃતિની વ્યાખ્યા કરવી હોય તો એક વાક્યમાં કહી શકાય કે બીજાની જગ્યાનો સ્વીકાર એ સભ્યતા અથવા સંસ્કૃતિ. એમાં પશુ, પક્ષી, જંગલ, પર્વત, સમુદ્ર અને માનવીનો પણ સમાવેશ થાય છે. અને આ જ રાહે જો વિકૃતિની વ્યાખ્યા કરવી હોય તો કહી શકાય કે બીજાની જગ્યાનો અસ્વીકાર કે અનાદર એ વિકૃતિ. એમાં પરિવારમાં સ્ત્રીની જગ્યાનો અને સમાજમાં દલિતની જગ્યાનો પણ સમાવેશ થાય છે.

એમાં વળી જળ, જમીન, જંગલ, સમુદ્ર, પશુ, પક્ષી પાસે વાચા નથી અને વિકાસની જે અવધારણા વિકસી છે તેનાં પાયામાં તેનું શોષણ છે. જંગલને કાપો. નદીઓને નાથો અને તેનાં પાત્રોને સંકોરો કે જેથી વધુ જગ્યા મળે. સમુદ્રનાં ખારાં પાણી દૂર સુધી ફેલાય નહીં અને રેતી જમીનને બગાડે નહીં એ માટે ઈશ્વરે સમુદ્રને કિનારે વનસ્પતિ ઉગાડી આપી હતી. અત્યારે એ વનસ્પતિ કાપીને મકાનો બાંધવામાં આવે છે અને વધારે જમીન મેળવવા માટે સમુદ્રને પૂરીને દૂર ધકેલવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને જંગલોમાંથી ભગાડવામાં આવી રહ્યા છે જે રીતે મણિપુરમાં કુકી અને બીજી આદિવાસી પ્રજાને જંગલમાંથી ભગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આદિવાસીઓને હટાવવામાં આવે તો જંગલની જમીન અને જંગલનાં તમામ સંસાધનો પર કબજો કરી શકાય. પશુ-પક્ષીઓની જગ્યા આંચકી લો. ટૂંકમાં બીજાના હકની જગ્યા આંચકી લેવાનો સર્વત્ર પ્રયાસ ચાલી રહ્યો છે, પછી એ જગ્યા લાચાર માનવીની હોય, અન્ય જીવોની હોય કે કુદરતની.

માટે આગળ કહ્યું એમ પરેશાન દિલ્હી અને દિલ્હીવાસીઓ નથી, યમુના નદી છે. તેની પાસે બે કાંઠે વહેવા માટે અને ઉપરથી લાવેલો સોના જેવો કાંપ છોડી જવા માટે જગ્યા નથી એટલે તે ગાંડીતૂર છે. દિલ્હીમાં યમુનામાં પૂર નથી આવ્યાં, દિલ્હીમાં યમુના તરફડી રહી છે. રક્તવાહિની નસોમાં ચરબીને કારણે અવરોધ પેદા થાય અને માનવી શ્વાસ લેવા માટે જે રીતે તરફડે એ રીતે યમુના તરફડી રહી છે. રસ્તામાં પડતાં કોઈ રાજ્ય યમુનાનાં પાણીને સંઘરી શકવાની સ્થિતિમાં નથી એટલે બંધના દરવાજા ખોલીને એક રાજ્ય યમુનાનાં પાણીને બીજાં રાજ્યમાં ધકેલે છે.

વિકાસની અવધારણાનાં પાયામાં શોષણ છે અને હવે શોષણને છૂપાવવા માટે સોંદર્યકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરોમાં નદીઓનાં કિનારે બાંધવામાં આવતા રીવરફ્રન્ટ આનું ઉદાહરણ છે. વિકાસના નામે આ પહેલાં જ નદીઓની હકની જગ્યા છીનવી લીધી છે અને હવે સોંદર્યકરણના નામે નદીઓનાં પાત્રોને ટૂંકાવવામાં આવી રહ્યા છે. ઓછામાં પૂરું કુદરતે તેનાં શોષણ સામે બગાવત કરવાનું શરૂ કર્યું છે. દુકાળ, અતિવૃષ્ટિ, વાવઝોડાં, અતિશય ગરમી અને ઠંડી વગેરે હવે દર વર્ષે કોઈને કોઈ પ્રદેશમાં જોવા મળે છે. હિમશીલાઓ અને હિમાલયની ગ્લેસિયર ઓગળી રહી છે અને સમુદ્રનાં પાણીનાં સ્તર વધી રહ્યાં છે. એમ કહેવાય છે કે આ સદીના અંત સુધીમાં જગતમાં પ્રચંડ માત્રામાં અન્ન અને જળસંકટ પેદા થવાનું છે. જળસંકટ બન્ને પ્રકારનું; ક્યાંક અભાવનું અને ક્યાંક અતિશયતાનું.

દિલ્હીમાં પહેલીવાર મેં યમુનાનાં દર્શન ૧૯૭૮ની સાલમાં કર્યાં હતાં અને ત્યારે યમુના ધોરણસરની નદી હતી. ફેલાયેલી અને બન્ને કિનારે પોતાનાં હકની અનામત જમીન ધરાવનારી. યમુનાને પેલે કાંઠે પણ દિલ્હી વસેલું હતું, પણ યમુનાની અનામત જમીન છોડીને. આજે એ જ યમુના નદીની અનામત જમીન તો છોડો તેની વહેવાની જમીન પણ છીનવી લેવામાં આવી છે. પૈસા કમાવા માટે બિલ્ડરો, રાજકારણીઓ અને પ્રશાસનના અધિકારીઓએ મળીને એ યમુનાને નાળામાં ફેરવી નાખી છે અને તેનાં પાણી કાળા મેશ જેવાં છે. લોકોને બેવકૂફ બનાવવા સોંદર્યકરણના નામે રીવરફ્રન્ટ બાંધવામાં આવેલ છે જેણે નદીને હજુ વધુ સંકોરી છે. ધર્મનો ધંધો કરનારા બાવાઓનાં આશ્રમો દેશભરમાં સર્વત્ર નદીઓને કાંઠે સેંકડો એકર જમીનમાં જોવા મળશે. માટે પરેશાન યમુના છે. યમુના સંતપ્ત છે.

આ તો હજુ શરૂઆત છે. આવી રહેલાં સંકટનો હળવો અહેસાસ કરાવે છે. સંકટ તો હવે આવવાનું છે અને તે સાર્વત્રિક હશે. ચેતવવા માટે કુદરત ટપલી મારી રહી છે, કુદરતની લાત હવે પછી પડવાની છે. આદિ શંકરાચાર્યનું યમુનાષ્ટક ગાવાથી અને ગાતી કે સાંભળતી વખતે ગળગળા થઈ જવાથી સારા માનવી નહીં બની શકાય, સારા માનવી બનવું હોય તો યમુનાની કે બીજી કોઈ પણ નદીની હકની જગ્યાનો સ્વીકાર કરવો રહ્યો. કેટલાક મૂળભૂત પ્રશ્નો કરતાં શીખવું જોઈએ. રીવરફ્રન્ટની વાત આવે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ શા માટે? આની કોઈ જરૂર છે? બુલેટ ટ્રેનની વાત આવે ત્યારે પ્રશ્ન થવો જોઈએ કે આ શા માટે? આની કોઈ જરૂર છે? અંગત જીવનમાં પેન્ટ-શર્ટની દસમી જોડી ખરીદતાં પહેલાં પણ પ્રશ્ન થવો જોઈએ કે આની કોઈ જરૂર છે ખરી? છે એટલાં કપડાં પૂરતા નથી? જો પ્રશ્ન નહીં પૂછો તો કુદરત તો જવાબ આપી જ રહી છે. અને હા, આપણા અકરાંતિયાપણાની તેમ જ કદરૂપા સોંદર્ય પ્રત્યેની મુગ્ધતાની કિંમત આપણા નિર્દોષ સંતાનોએ ચૂકવવી પડશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જુલાઈ 2023

Loading

16 July 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—205
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  2020:  શિક્ષણની વિવિધતામાં એકતા લાવવાની ચાહ ધાર્યા કરતાં વધુ જટિલ  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved