Opinion Magazine
Number of visits: 9504408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંદર મિનિટની પ્રખ્યાતિમાં મેન્યુફેક્ચર્ડ હેટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 September 2022

અમેરિકન પોપ આર્ટીસ્ટ એન્ડી વોર્હોલે 1968માં કહ્યું હતું કે, “ઇન ધ ફ્યુચર એવરીવન વિલ બી ફેમસ ફોર 15 મિનિટ,”- ભવિષ્યમાં દરેક માણસ 15 મિનિટ માટે પ્રખ્યાત થશે. એન્ડી વોર્હોલે રિયાલિટી ટેલિવિઝન અને સેલિબ્રિટી કલ્ચરના સંદર્ભમાં આ કહ્યું હતું. એક જમાનામાં આપણા રોલ મોડેલ સમાજ સેવકો, નેતાઓ, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને કલાકારો હતા. આ એવા લોકો હતા, જેમની પ્રખ્યાતિ તેમની લાંબા ગાળાની નક્કર સિદ્ધિઓ અને સમાજમાં તેમની ઉપયોગિતામાંથી આવતી હતી. જ્યારે ટેલિવિઝન આવ્યું, ત્યારે સેલિબ્રિટીઓનો એક એક એવો વર્ગ પેદા થયો, જે લોકોનું મનોરંજન કરીને પ્રખ્યાત થતો હતો. આ ટૂંકા ગાળાની પ્રખ્યાતિ હતી અને તેના માટે લોકો કોઈ પણ હદે જવા તૈયાર હતા.

એન્ડી વોર્હોલે તો ટેલિવિઝનના સંદર્ભમાં આ કહ્યું હતું પરંતુ આજે સોશ્યલ મીડિયાના જમાનામાં તેની ભવિષ્યવાણી તેના ધાર્યા કરતાં પણ સચોટ સાબિત થઇ છે. એક સમયે આપણે માત્ર ‘ફિલ્મ સ્ટાર’ શબ્દ જ સાંભળ્યો હતો. આજે ટી.વી. સ્ટાર, ટિક-ટોક સ્ટાર, સોશ્યલ મીડિયા સ્ટાર, ઇન્ટરનેટ સ્ટાર એવી સેલિબ્રિટીઓ આવી ગઈ છે.

આવી ‘પંદર મિનિટની પ્રખ્યાતિ’ શું-શું કરાવે છે તેનો એક કિસ્સો તાજેતરમાં બહાર આવ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરના એક ડોક્ટર અરવિંદ અકેલાએ મીડિયામાં પ્રખ્યાત થવા માટે તેમના જાનને જોખમ છે તેવો નકલી કેસ ઊભો કર્યો હતો. 9 સપ્ટેમ્બરે ડોકટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને વિદેશી નંબરો પરથી વોટ્સએપ પર કોલ આવે છે અને ધમકી આપવામાં આવે છે કે હિંદુ સંગઠનોને મદદ કરવા બદલ તેમનું ‘સર તન સે જુદા’ કરી દેવામાં આવશે.

દેશમાં પાછલા ઘણા સમયથી આ ‘સર તન સે જુદા’ નારો ઘણો પ્રચલિત થયો છે. ડોકટરે તેની ફરિયાદમાં એનો ઉલ્લેખ કર્યો તે સૂચક છે. 2011માં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નર સલમાન તાસીરની, પાકિસ્તાનના બદનામ અને વિવાદાસ્પદ ઈશનિંદા (બ્લાસફેમી) કાનૂનની ટીકા કરવા બદલ તેમના જ બોડીગાર્ડ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.

એ હત્યાથી પાકિસ્તાનમાં રાજનીતિક ધરતીકંપ થયો હતો. તે વખતે ખાદિમ હુસેન રિઝવી નામનો એક મૌલાના બહુ ચર્ચામાં આવ્યો હતો. તેણે હત્યારા બોડીગાર્ડ મુમતાઝ કાદરીના સમર્થનમાં લોકોને ભેગા કર્યા હતા અને એમાં એક નારો લોકપ્રિય કર્યો હતો: ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા સર તન સે જુદા, સર તન સે જુદા – યાની પૈગંબર મોહમ્મદ સાહેબ(રસૂલ)નું જે અપમાન કરશે, તેનું માથું ધડથી અલગ કરવામાં આવશે.

પાકિસ્તાનના કટ્ટરવાદીઓનો આ નારો, ભારતમાં ભા.જ.પ.ની સસ્પેન્ડેડ પ્રવક્તા નુપૂર શર્માના વિવાદ પછી પ્રચલિત થયો હતો. નુપૂરના વિરોધમાં આયોજિત સભાઓ સહિત છૂટક મામલાઓમાં પણ ‘સર તન સે જુદા’ના નારા બોલાયા હોય, તેવી પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. ત્યાં સુધી કે પતંજલિ  પ્રોડક્ટ્સવાળા બાબા રામદેવે પણ તેમની સામેના પ્રચાર માટે આરોપ મુક્યો હતો કે દેશની ‘સર તન સે જુદા ગેંગ’ તેમનાથી નારાજ છે.

ગાઝિયાબાદ વાળા ડોકટરે પણ જે તે વખતે પોલીસને કહ્યું હતું કે તેમને અમેરિકાથી ફોન આવ્યો હતો અને હિંદુ સંગઠનોનાં નામ લઈને કહ્યું હતું કે તું તેમને મદદ કરવાનું બંધ નહીં કરે તો ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા, સર તન સે જુદા. જે તે વખતે આ સમાચારે બહુ સનસનાટી મચાવી હતી કારણ કે ધમકી આપવાવાળાએ એવું પણ કહ્યું હતું કે તેને મોદી કે યોગી પણ બચાવી નહીં શકે. સોશ્યલ મીડિયામાં આ ‘ધમકી’ને લઈને બહુ ચર્ચાઓ અને આરોપ-પ્રતિઆરોપ થયા હતા. એવું પણ કહેવાયું હતું કે કટ્ટરવાદીઓ દેશમાં બેફામ થઇ ગયા છે અને કોઈને ડર નથી.

ગાઝિયાબાદ પોલીસે આ કેસની તપાસ કરીને હવે ખુલાસો કર્યો છે કે ડોકટરે સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં તેના જ એક દરદી પાસે ફોન કરાવીને તેને ધમકીમાં ખપાવી દીધો હતો. અનીશ મહતો નામનો આ દરદી ડોકટરને ઘણા સમયથી જાણતો હતો. તે આઈ.ટી.માં કામ કરતો હોવાથી ડોકટર તેને વિદેશી નંબરો પરથી કોલ કેવી રીતે થાય તે પૂછ્યું હતું. તે પછી અનીશ પાસે જ વોટ્સએપ પર કોલ કરાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવીને મીડિયામાં સમાચાર ફેલાવી દીધા હતા કે હિંદુ હોવાના કારણે તેને ધમકી મળી રહી છે.

પોલીસે તેની સામે નકલી ધમકી બદલ કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ એક વાત પાકી છે કે ડો. અરવિંદ વત્સ અકેલા પ્રખ્યાત તો થઇ ગયો છે. એન્ડી વોર્હોલે જે વાત કરી હતી, તેવી જ વાત મુસ્તફા ખાં શેફતા નામના શાયરે તેમના એક મશહૂર શેરમાં કહી હતી :

હમ તાલિબ-એ-શોહરત હૈં હમેં નંગ સે ક્યા કામ

બદનામ અગર હોંગે તો ક્યા નામ ન હોગા

(અમે તો પ્રખ્યાતિના ભૂખ્યા છીએ, અમને શરમની જરૂર નથી … બદનામ થઇશું તો પણ નામ તો થશે ને)

ડોકટરનો આ કિસ્સો જો કે માત્ર ‘સસ્તી લોકપ્રિયતા’ પૂરતો મર્યાદિત નથી. આ કિસ્સો મેન્યુફેક્ચર્ડ હેટ એટલે કે કૃત્રિમ નફરત ઊભી કરવાનો પણ છે. આ મુદ્દો વધુ ગંભીર છે. એન્ડી વોર્હોલે ‘પંદર મિનિટની પ્રખ્યાતિ’ની વાત કરી હતી, ત્યારે તેના મનમાં સર્જનાત્મકતાનો ખ્યાલ હતો. તેને હતું કે મીડિયાનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તે જોતાં કોઈ પણ માણસની તેની આવડતના જોરે પ્રખ્યાત થઇ શકશે, પણ ભારતમાં સોશ્યલ મીડિયાનો વ્યાપ અને પ્રભાવ એટલો નિર્દોષ નથી.

સમાજના અમુક વર્ગમાં મુસલમાનો વિરુદ્ધ નફરતની લાગણી છે તેનો લાભ લઇને કોઈ વ્યક્તિ ‘પ્રખ્યાત’ થવાની સાજીશ રચે, તેમાં નુકસાન એ છે કે મુસલમાનો માટેની નફરતને બળ મળે છે. ડોકટરે જ્યારે આ ફરિયાદ યાદ કરી હતી તે પછી તે ટી.વી. ચેનલોની ડિબેટમાં પણ ‘મહેમાન’ બન્યો હતો અને દેશમાં કેવો હિંદુ વિરોધી માહોલ છે તેના દાખલા-દલીલો પેશ કરી હતી. હવે જયારે તેની ફરિયાદ નકલી સાબિત થઇ છે, તો ચેનલો તેને પાછો બોલાવીને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરશે? એ ભરપાઈ થઇ શકે તેમ છે?

(પ્રગટ : ‘ફાયરવોલ’ નામક કોલમ, “ગુજરાતમિત્ર” / “મુંબઈ સમાચાર”, 25 સપ્ટેમ્બર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

27 September 2022 Vipool Kalyani
← ટૂંકમાં (૧૧) : લિટરરી કૅનન અને ગ્રાન્ડ નૅરેટિવ (૩) :
૨૧મું ટિફિન : ગુજરાતી ફિલ્મનો રિવ્યૂ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved