Opinion Magazine
Number of visits: 9485370
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાય તોળનારા જ ન હોય તો કોની પાસે ન્યાય માંગશો?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 August 2021

અરુણ શૌરી કહે છે કે શાસકો તાનાશાહી વલણ ધરાવતા હોય ત્યારે અદાલતોના, ખાસ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા સતત ખખડાવતા રહેવું જોઈએ. લોકોના અધિકારોનું રક્ષણ કરવું અને કાયદાના રાજની રખેવાળી કરવી એ સર્વોચ્ચ અદાલતનું બંધારણચીંધ્યું કર્તવ્ય પણ છે એટલે સર્વોચ્ચ અદાલત તેનાથી છટકી ન શકે. એનાથી એક ફાયદો એ થાય કે લોકોને જાણકારી મળે કે દેશમાં ચાલી શું રહ્યું છે. કઈ રીતે શાસકો વિવેક, લોકતાંત્રિક મર્યાદા અને બંધારણનો ભંગ કરી રહી છે. બીજો ફાયદો એ થાય કે સરકારે અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરવો પડે. સંસદમાં જવાબ આપવાથી છટકી શકાય, પણ અદાલતોમાં જવાબ આપવાથી છટકી ન શકાય. એનાથી નાગરિકોને જાણ થાય કે સરકાર પાસે કોઈ તર્કશુદ્ધ દલીલો પણ નથી. આમાં ત્રીજો ફાયદો એ થાય કે અદાલતોમાં બધા જજ કરોડરજ્જુ વિનાના, ડરપોક, કઢીચટ્ટા, બીકાઉ લાલચી હોતા નથી. તેમાંના કેટલાક જજો નાગરિક અને ન્યાયના પક્ષે ઊભા રહેવા જેટલું કાઠું ધરાવતા હોય છે. અદાલત જો નાગરિક અને ન્યાયનો પક્ષ લે તો સરકારને ભારે પડી જાય.

આ સિવાય જજોને ખબર છે કે ન્યાયતંત્રમાં સાઇટેશન એટલે કે પાછલા ચુકાદાઓને પ્રમાણ તરીકે સતત ટાંકવામાં આવે છે. આ વકીલાત અને ન્યાયતંત્રની અનિવાર્ય જરૂરિયાત છે. એક ખટલો એવો નહીં જોવા મળે જેમાં પાંચ-દસ સાઇટેશન ન હોય. અને જ્યારે ખટલો મૂળભૂત અધિકાર વિશેનો હોય, કેન્દ્ર-રાજ્ય સંબંધો અંગેનો હોય કે એવા બીજા ભારતીય રાજ્યના કલેવર અને પ્રાણને લગતા હોય ત્યારે તો એમાં ઢગલોએક સાઇટેશન આપવામાં આવે છે. આને કારણે ભવિષ્યમાં વારંવાર અદાલતોમાં આપણી આબરુની પાઘડી ઉછળવાની છે એ ડરે કેટલાક જજો ન્યાયસંગત ચુકાદા આપે છે. શાસકો તો આવે ને જાય, પણ ભવિષ્યમાં સો-બસો વરસ સુધી દેશની અદાલતોમાં અને કવચિત વિદેશની અદાલતોમાં વકીલો દલીલ કરતી વખતે આપણને હાજર કરવાના છે. આવનારી પેઢી અદાલતોમાં આપણી આવડતની, આપણી પ્રામાણિકતાની અને ન્યાયનિષ્ઠાની કસોટી કરતી જ રહેવાની છે.

ઉદાહરણ આપવું હોય તો ઈમરજન્સીનું આપી શકાય. તમે ઓમ મહેતાનું નામ સાંભળ્યું છે? કદાચ નહીં સાંભળ્યું હોય. ઓમ મહેતા ઈમરજન્સીના દિવસોમાં રાજ્ય કક્ષાના પ્રધાન હોવા છતાં કેન્દ્રના સર્વેસર્વા ગૃહ પ્રધાન હતા અને તેમની જાણકારીમાં અને ટેકા સાથે નાગરિકો સાથે અત્યાચાર કરવામાં આવતા હતા. આજે તેઓ ભુલાઈ ગયા છે, તે ત્યાં સુધી કે તમે નામ પણ નથી સાંભળ્યું. બીજી બાજુ ન્યાયમૂર્તિ પી.એન. ભગવતી, ન્યાયમૂર્તિ એ.એન. રે, ન્યાયમૂર્તિ એમ.એચ. બેગની કુખ્યાતિ તેમનો પીછો નથી છોડતી. તેઓ ખરા ટાણે સત્યની સાથે, ન્યાયની સાથે, બંધારણની સાથે અને નાગરિકના પડખે ઊભા રહેવામાં નિષ્ફળ નીવડ્યા હતા. વારંવાર તેમણે દેશની અદાલતોમાં આરોપી તરીકે ઊભા રહેવું પડે છે. ન્યાયમૂર્તિ ભગવતી તો એટલી હદે અપરાધભાવ અનુભવતા હતા કે મૃત્યુ પહેલાં તેમણે તેમની ભૂલ સ્વીકારી લીધી હતી અને આડકતરી રીતે માફી માગી હતી. વેચાઈ જવું સહેલું છે, પણ વેચાણખત વરંવાર ટાંકવામાં આવે અને એ પણ સદીઓ સુધી ત્યારે એ બહુ વસમું નીવડતું હોય છે. આને કારણે સાવ બેશરમ જજો હોય એ જ ન્યાય સાથે ખુલ્લેઆમ ગદ્દારી કરે છે અને એવા જજો મોટો સોદો કરી લે છે જે રીતે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કર્યો હતો.

માટે અરુણ શૌરી કહે છે કે અદાલતોના દરવાજા ખખડાવતા રહેવા જોઈએ. ત્યાં ભલે સંખ્યામાં થોડા પણ પ્રમાણિક અને હિંમત ધરાવનારા જજો બેઠા છે જેને સરકાર ખરીદી શકવાની નથી. તેઓ બંધારણ અને ન્યાયના પક્ષે ઊભા રહેશે. જેમનામાં હિંમત ખૂટે છે એવા, પણ લાજશરમ ધરાવનારા જજો ભવિષ્યમાં તેમના ચુકાદાઓના સાઇટેશનથી ડરીને ન્યાયની વિરુદ્ધ બહુ દૂર નહીં જાય. થોડુંક દહીંદૂધિયું વલણ રાખશે એટલું જ. સાવ બેશરમોને છોડી દો તો પણ એકંદરે અદાલતોનો ઉપયોગ કરીને લોકતંત્ર અને કાયદાના રાજને બચાવી શકાય.

સરકાર આ જાણે છે અને સરકારે ઉપાય શોધ્યો છે, ન રહે બાંસ ન બજે બાંસુરી. જજોની નિમણૂકો જ નહીં કરવાની. સમૂળગા ન્યાયતંત્રનું જ કાસળ કાઢી નાખવાનું. રોજ હજારો નવા કેસ આવતા હોય, કામનો ભરાવો હોય, અમુક ગંભીર કેસોને લઈને માનસિક દબાવ હોય, સમાજની અપેક્ષા હોય, ગંભીર કેસોમાં મીડિયાની નજર હોય અને જજો ઓછા પડતા હોય ત્યારે ન્યાયતંત્ર કેવી ગુંગળામણ અનુભવે એની કલ્પના કરી જુઓ. કોવીડના બીજાં મોજાં વખતે બન્યું હતું એમ ઓક્સીજનની સપ્લાઈ જ બંધ કરી દેવાની. જજો હોય તો કોઈ તમારી રાવ સાંભળશે ને!

પ્રમાણ જોઈએ છે? સૌથી મોટી ટાર્ગેટ કલકત્તાની વડી અદાલત છે, કારણ કે તે કોલકત્તામાં છે.  બંગાળમાં ગજ વાગતો નથી એ તો તમે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જોઈ લીધું. કલકત્તાની વડી અદાલત માટે ૭૨ જજોની નિમણૂક (sanctioned strength) કરવાની જોગવાઈ છે અને અત્યારે તેની પાસે માત્ર ૩૧ જજો છે અને ૪૧ જગ્યા ખાલી છે. ૭૧ જજોનું કામ ૩૧ જજોએ કરવું પડે છે. કોલકતામાં અડધા કરતાં વધુ અદાલત ખાલી પડી છે. બીજો મોટો ટાર્ગેટ દિલ્હીની વડી અદાલત છે, કારણ કે એ દિલ્હીમાં છે. દિલ્હીની વડી અદાલતમાં કુલ ૬૦ જજોની નિમણૂક કરવાની જોગવાઈ છે અને અત્યારે તેની પાસે માત્ર ૩૦ જજો છે. ૩૦ જગ્યા ખાલી પડી છે જેને નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારથી ભરવામાં આવતી નથી. દિલ્હીની અડધી અદાલત ખાલી પડી છે. ત્રીજી ટાર્ગેટ અલ્હાબાદની વડી અદાલત છે અને એનું કારણ પણ દેખીતું છે. ત્યાં બી.જે.પી.નો સૌથી મોટો રાજકીય દાવ લાગેલો છે અને ઉપરથી મુખ્ય પ્રધાન તુંડમિજાજી તેમ જ આવડત વિનાનો ફૂહડ છે. અલ્હાબાદની વડી અદાલતને કુલ ૧૬૦ જજો ફાળવવામાં આવ્યા છે અને અત્યારે તેની પાસે ૯૪ જજો છે અને ૬૬ જગ્યા ખાલી પડી છે. એ પછી ગુજરાતની વડી અદાલત ટાર્ગેટ છે, કારણ કે ગુજરાતમાં પણ શાસનનાં નામે મીંડું છે. ગુજરાતની વડી અદાલતને બાવન જજો ફાળવવામાં આવ્યા છે, પણ અત્યારે તેની પાસે ૨૮ જજો છે અને ૨૪ જગ્યા ખાલી છે.

આ વિગત પહેલી ઓગસ્ટ ૨૦૨૧ની છે અને તે ભારત સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. કુલ મળીને ભારતની ૨૫ વડી અદાલતોમાં ૧,૦૯૮ જજોની નિમણૂક કરવાની જોગવાઈ છે અને તેની સામે ૬૪૩ જજો કામ કરે છે અને ૪૫૫ જગ્યાઓ ખાલી પડી છે. લગભગ ૪૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે અને તેને ચાહી કરીને ભરવામાં આવતી નથી. સર્વોચ્ચ અદાલતની સ્થિતિ થોડીક સારી છે. સર્વોચ્ચ અદાલતને ૩૪ જજો ફાળવવામાં આવ્યા છે, ૨૬ જજો કામ કરે છે અને આઠ જગ્યા ખાલી પડી છે. એને પણ કદાચ અડધોઅડધ ખાલી કરી નાખવામાં આવશે. ઉપર કહ્યું એમ ન રહે બાંસ ન બજે બાંસુરી.

ન્યાયતંત્ર ગુંગળામણ અનુભવે એ સ્વાભાવિક છે. તમને યાદ હશે કે ૨૦૧૬માં એ સમયના દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર એક સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને આજીજી કરી હતી કે મહેરબાની કરીને ન્યાયતંત્રને બચાવો. અમારી પાસે જજો નથી અને ન્યાયતંત્ર તૂટી પડવાની સ્થિતિમાં છે. વડા પ્રધાને તેમના ભાષણમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિની પીડાનો ઉલ્લેખ સુદ્ધા નહોતો કર્યો, પ્રતિસાદ તો દૂરની વાત છે. એ ક્લીપ તમે યુ ટ્યુબ ઉપર જોઈ શકો છો. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રડે અને વડા પ્રધાન મોઢું ફેરવી લે? પણ એ ક્યાં નવી વાત છે. આવું તો કોવીડના બીજા વેવ વખતે પણ જોવા મળ્યું હતું અને એ પહેલાં અનેક વાર જોયું છે. 

હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ અને હૃષીકેશ રોયે હૈયાવરાળ કાઢી છે. એક કેસમાં સુનાવણી દરમ્યાન આ બે જજોએ કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની કોલેજિયમે વડી અદાલતોમાં જજોની નિમણૂકો માટે નામ મોકલ્યાં છે, પણ કેન્દ્ર સરકાર ભરતી જ નથી કરતી. તેમણે કેન્દ્ર સરકારના વલણને થાય એ કરી લો એવા ઉદ્દંડ (recalcitrant attitude) તરીકે ઓળખાવ્યું છે. આ પહેલાં ૨૦મી એપ્રિલે સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની બેન્ચે સરકારને જજોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો અને તે માટે ૧૮ અઠવાડિયાનો સમય આપ્યો હતો. મુદ્દતના ૧૬ અઠવાડિયા વીતી ગયાં છે, પણ નિમણૂકો કરવામાં આવતી નથી. માટે જજોએ સરકારના વલણને તુંડમિજાજી ઉદ્દંડ તરીકે ઓળખાવ્યું છે. ન્યાયમૂર્તિ કૌલે જૂના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે તેઓ દાયકા પહેલા દિલ્હીની વડી અદાલતમાં જજ તરીકે જોડાયા ત્યારે દિલ્હીની વડી અદાલતમાં જજોની કુલ સંખ્યા ૩૩ જજોની હતી અને તેઓ ૩૨મા ક્રમે હતા.

હવે બે વાત ભક્તરાજને કહેવાની રહે છે. વિદેશી કંપનીઓ ભારતમાં નાણાંનું રોકાણ કરતી વખતે શરત મૂકે કે જો કોઈ મતભેદ કે ઝઘડો થાય તો ખટલો અમારા દેશની અદાલતમાં ચાલશે, ભારતની અદાલતમાં નહીં, કારણ કે ભારતમાં ટાણાસર ન્યાય મળતો નથી, ત્યારે તમે પોરસાશો કે શરમ અનુભવશો? આ છે તમારો દેશપ્રેમ? આવું બની રહ્યું છે. અને બીજું, કાલે તમને ન્યાય જોતો હશે ત્યારે તમે કોની પાસે જશો? કલ્પના કરો કે તમારી સાથે ભયંકર ખોટું થયું હોય, તમારી આંતરડી ન્યાય માટે કકળતી હોય અને સામે ન્યાય તો બાજુએ રહ્યો ન્યાયતંત્ર સાંભળવાની સ્થિતિમાં પણ ન હોય! કલ્પના કરી જુઓ. આ શક્ય છે, કારણ કે તમે એક સામર્થ્યહિન અદના નાગરિક છો. તાળીઓ પાડતા પહેલાં અને સીટીઓ વગાડતા પહેલાં પોતાનું હિત તો જુઓ! કંઈ નહીં તો તમારા સંતાનોને તો સુરક્ષિત ભવિષ્ય આપતા જાવ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ઑગસ્ટ 2021

Loading

12 August 2021 admin
← ‘ઓપિનિયન’નો ત્રિવેણીસંગમ : ડાહ્યાભાઈ મિસ્ત્રી
‘જીવનનું પરોઢ’ એટલે ગુજરાતી ગદ્યનો સમર્થ વિનિયોગ →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved