Opinion Magazine
Number of visits: 9482983
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધારાવાહિકનો વિરોધ કરનાર સામયિકમાં એક સાથે બે નવલકથા

દીપક મહેતા|Opinion - Literature|17 June 2014

આપણાં ઘણાં સામયિકો જ્યારે ધારાવાહિક નવલકથાના પ્રકાશનને ઉત્સાહપૂર્વક અપનાવી રહ્યાં હતાં ત્યારે પણ કેટલાંક સામયિકો સભાનતાપૂર્વક એનાથી દૂર રહ્યાં હતાં. આવાં સામયિકોમાં પહેલું નામ આનંદશંકર ધ્રુવના ‘વસંત’નું યાદ આવે. ૧૯૧૨થી ૧૯૨૪નાં બાર વર્ષને બાદ કરતાં લગભગ પચ્ચીસ વર્ષ આનંદશંકર તેના તંત્રી રહ્યા. રમણભાઈની નવલકથા ‘ભદ્રંભદ્ર’નો કૈંક ઉગ્રતાથી વિરોધ કરનાર આનંદશંકર પોતાના સામયિકમાં ધારાવાહિક નવલકથાથી દૂર રહ્યા હતા, એટલું જ નહિ, વચમાં બાર વર્ષ (૧૯૧૨-૧૯૨૪) ખુદ રમણભાઈ તેના તંત્રી બન્યા ત્યારે તેમણે પણ આનંદશંકરની એ પરંપરા ચાલુ રાખી. મુખ્યત્વે મધ્યકાલીન કાવ્ય કૃતિઓ – અને અત્યંત વિવાદાસ્પદ બનેલાં ‘પ્રેમાનંદનાં નાટકો’ પ્રગટ કરવા માટે જાણીતા થયેલા સામાયિક ‘સાહિત્ય’એ કેટલીક સારી ટૂંકી વાર્તાઓ પ્રગટ કરેલી. પણ ધારાવાહિક નવલકથા તરફ તેણે ઝાઝું ધ્યાન આપ્યું નહોતું. તો ઉછરંગરાય ઓઝાની ‘અજોજી ઠાકોર’ અને ભોગીન્દ્રરાવ દીવેટિયાની કોલેજિયન’ નામની નવલકથા ‘સમાલોચક’ માસિકે ધારાવાહિક રૂપે પ્રગટ કરેલી. ભોગીન્દ્રરાવની નવલકથા છપાતી હતી તે દરમ્યાન તેમનું મૃત્યુ થતાં તેમનાં પત્ની કૌમુદીબહેને તે પૂરી કરી હતી. છતાં એકંદરે ‘સમાલોચક’નો ઝોક ધારાવાહિક તરફ નહોતો. રામનારાયણ પાઠક પણ ‘પ્રસ્થાન’ માસિકના તંત્રી રહ્યા ત્યાં સુધી ધારાવાહિક નવલકથાના પ્રકાશનથી સતત દૂર રહ્યા હતા. આ પ્રથાને અનુસરીને ‘સંસ્કૃિત’માં ઉમાશંકર જોશીએ તથા ‘ઉદ્દેશ’માં રમણલાલ જોશીએ ધારાવાહિક નવલકથા પ્રગટ કરી નહોતી.

કનૈયાલાલ મુનશી માસિક શરૂ કરે અને તેમાં ધારાવાહિક નવલકથા ન છાપે એવું બને ખરું? અને એ નવલકથાઓ મુનશીની ન હોય એવું પણ બને ખરું? અગાઉ શરૂ થયેલું ‘ગરવી ગુજરાત’ સાહિત્ય સંસદ દ્વારા મુનશીના હાથમાં આવ્યું અને ‘ગુજરાત’ નામે પ્રગટ થવા લાગ્યું ત્યારે અગાઉ ‘વીસમી સદીમાં છપાયેલી ‘ગુજરાતનો નાથ’ના અનુસંધાનમાં લખાયેલી મુનશીની ‘રાજાધિરાજ’ નવલકથા તેના પહેલા જ અંકથી હપ્તાવાર પ્રગટ થવા લાગી. ‘વીસમી સદીમાં’ જેમણે ચિત્રો કરેલાં તે રવિશંકર રાવળનાં જ ચિત્રો ‘ગુજરાત’માં પણ પ્રગટ થતાં. તે પૂરી થયા પછી ‘સ્વપ્નદૃષ્ટા’ હપ્તાવાર પ્રગટ થવા લાગી. આ ઉપરાંત ‘ભગવાન કૌટિલ્ય’ અને ‘સ્નેહસંભ્રમ’ પણ ‘ગુજરાત’માં પ્રગટ થયેલી. ત્યાર બાદ ‘જય સોમનાથ’નું પ્રકાશન શરૂ થયેલું પણ પહેલાં બાર પ્રકરણ છપાયા પછી ‘ગુજરાત’ બંધ થતાં તેનું ધારાવાહિક પ્રકાશન અધૂરું રહ્યું હતું. 

આરંભથી ‘ગુજરાત’ સાથે સંકળાયેલા વિજયરાય વૈદ્ય મુનશી સાથેના મતભેદને કારણે છૂટા થયા અને ૧૯૨૪માં ‘કૌમુદી’ શરૂ કર્યું ત્યારે પોતે ધારાવાહિક નવલકથા તો પ્રગટ નહિ જ કરે એવી જાહેરાત કરી હતી, અને પહેલાં છ વર્ષ તેને નિભાવી હતી. પણ પછી ૧૯૩૦ના જુલાઈ અંકથી વિજયરાયે ધારાવાહિક નવલકથા પ્રગટ કરવાનું શરૂ કર્યું. તેમણે પ્રગટ કરેલી આવી પહેલી નવલકથા તે રમણલાલ દેસાઈની ‘દિવ્યચક્ષુ’. આ નવલકથા શરૂ કરતી વખતે પોતાની નોંધમાં વિજયરાયે લખેલું: “કૌમુદીનાં સદ્દભાગ્યો ઝાઝાં નથી. પણ જે થોડાં છે તેમાનું એક, અને સવિશેષ ઉજ્જવળ તે આ નવલકથાની પ્રાપ્તિ … વર્તમાન રાષ્ટ્રીય વાતાવરણને સુરેખ સુકોમળ કળા વડે ઝીલતી આ કથા વાચક આલમનો સંપૂર્ણ આદર પામશે તેમાં સંદેહ નથી.” પછીનાં વર્ષોએ વિજયરાયની આ શ્રદ્ધાને સાચી ઠેરવી છે. બીજી નોંધપાત્ર વાત એ કે ૧૯૩૦ના માર્ચની ૧૨મી તારીખે દાંડી કૂચની શરૂઆત થઈ અને એ અરસાના વાતાવરણને સચ્ચાઈપૂર્વક ઝીલતી આ નવલકથાનું પ્રકાશન એ જ વર્ષના જુલાઈમાં તો શરૂ થયું હતું. એટલે કે સમસામયિક ઘટનાઓને નિમિત્ત બનાવતી આ નવલકથા લખવાનું રમણલાલે એ લડતની હજી તો શરૂઆત થઈ હતી ત્યાં જ શરૂ કર્યું હશે. એ પછી ૧૯૩૨ના એપ્રિલ અંકથી રમણલાલની બીજી નવલકથા ‘કૌમુદિ’માં પ્રગટ થવા લાગી. પહેલાં છ પ્રકરણ સુધી તેનું નામ ‘કલ્યાણી’ રાખેલું, પણ પછી સાતમા પ્રકરણથી બદલીને ‘ભારેલો અગ્નિ’ રાખવામાં આવ્યું. ૧૯૩૫ના જુલાઈમાં તે પૂરી થયા પછી રમણલાલની ત્રીજી નવલકથા ‘ક્ષિતિજ’ વિજયરાયે પ્રગટ કરી. આ ત્રણ નવલકથાઓ ‘કૌમુદિ’માં પ્રગટ થઈ તે પહેલાં પણ રમણલાલની બીજી નવલકથાઓ અન્ય સામયિકોમાં કે તેમનાં ભેટ પુસ્તક તરીકે પ્રગટ થઈ હતી. પણ આપણા વિવેચકોનું ધ્યાન ત્યારે રમણલાલ કે તેમની નવલકથાઓ તરફ ઝાઝું ગયું નહોતું.

રમણલાલને નવલકથાકાર તરીકે નામના મળી તે તો ‘કૌમુદી’માં આ ત્રણ નવલકથા પ્રગટ થઈ તે પછી. વળી આ ત્રણે નવલકથા ગુણવત્તાની દૃષ્ટિએ માત્ર તેના લેખકની નવલકથાઓમાં જ નહિ પણ ગુજરાતી નવલકથાઓમાં પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે એ પણ નોંધવું રહ્યું. તો સાથોસાથ એ પણ નોંધવું જોઈએ કે રમણલાલની નવલકથાઓના પ્રકાશનને કારણે ‘કૌમુદી’ના ફેલાવામાં નોંધપાત્ર વધારો થયો નહોતો. આ વર્ષો દરમ્યાન અવારનવાર વિજયરાય ‘કૌમુદી’ની આર્થિક મુશ્કેલીઓ વિષે લખતા રહ્યા છે તેના પરથી આ વાત સમજાય છે. ધારાવાહિક નવલકથાનો શરૂઆતમાં વિરોધ કરનાર વિજયરાયે પછી તો એક સાથે બે ધારાવાહિક નવલકથા પણ ‘કૌમુદી’માં છાપી હતી. ‘ભારેલો અગ્નિ’ છપાતી હતી તે દરમ્યાન જ જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાની હાસ્યપ્રધાન નવલકથા ‘અમે બધાં’ પણ તેમાં છપાતી હતી. ધારાવાહિક નવલકથા વિશેનું આ ધારાવાહિક લખાણ હજી પૂરું થતું નથી. વધુ રસિક ભાગ હવે પછી ક્યારેક.

સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 16 જૂન 2014

Loading

17 June 2014 admin
← Just those ……..
જીવતર અાખું એક ઉખાણું →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved