Opinion Magazine
Number of visits: 9448738
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી સાહિત્ય પરિષદના આધારસ્તંભ સમા રઘુવીર ચૌધરી

પરેશ દવે|Opinion - Literature|18 April 2014

શાંત, સૌમ્ય ચહેરો ધરાવતા રઘુવીર ચૌધરી એક વ્યકિત નહીં, સ્વયં એક ઇન્સ્ટિટ્યુટ (સંસ્થા) છે. સાદગી અને સત્ય એમની પ્રકૃતિ છે. મૂળે સર્જક, પણ એ સાથે સક્રિય ખેડૂત પણ છે. એટલે જ તેઓની વાત કે સર્જનમાં નિરાશા નહીં પણ આશાનું વાવેતર હોય છે. ૭૫ વર્ષે પણ તેઓ સીધા ટટ્ટાર બેસી, ચાલી શકે છે. એમ.એ. તથા પી.એચ.ડી.નો અભ્યાસ કરનાર રઘુવીર ચૌધરીની ઓળખ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક, સંપાદક, પ્રકાશક અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’માં આત્મા રેળનાર સર્જક તરીકેની છે. તેમની મુખ્ય કૃતિઓમાં ‘અમૃતા’, ‘પરસ્પર’, ‘શ્યામ સુહાગી’, ‘રુદ્ર-મહાલય’ જેવી નવલકથા, નવલિકામાં ‘આકસ્મિક સ્પર્શ’, ‘ગેરસમજ’ તથા કવિતામાં ‘તમસા’, ‘વહેતા વૃક્ષ પવનમાં’ અને નાટકોમાં ‘અશોકવન’, ‘ઝૂલતા મિનારા’, ‘સિંકદરસાની’ મુખ્ય છે. ઉપરાંત, ‘ડિમલાઈટ’, ‘ત્રીજો પુરુષ’ જેવા એકાંકી, ‘સહરાની ભવ્યતા’ જેવા રેખાચિત્રો, ‘બારીમાંથી બ્રિટન’ નામે પ્રવાસવર્ણન તથા વચનામૃત અને કથામૃતના ધર્મચિંતન પણ જાણીતા છે. વર્ષ ૧૯૭૭થી તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દીના અધ્યાપક તરીકે સેવાઓ આપી છે. કુમારચંદ્રક, ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી રઘુવીર ચૌધરી સન્માનિત થયા છે. તેમના સર્જનમાં નવા સમાજની દિશા મળે છે. રઘુવીર ચૌધરીની સાથે થયેલ સંવાદ …

આપ નગરજીવનની સાથે વિચારક થોરોની જેમ ગ્રામ્યજીવન પણ જીવો છો. બાપુપુરાના જીવનની આપના સર્જન ઉપર શું અસર પડે છે?

થોરો તો બહુ મોટા ઉદ્દેશ માટે કાયદાનો વિરોધ કરીને, નગર છોડીને બહાર ગયા હતા. પણ મારી પાસે કંઈ બહુ મોટો ઉદ્દેશ નથી. એક ખેડૂતના દીકરા તરીકે સ્વાભાવિક રીતે જ ગામમાં જવાનો સંબંધ જળવાઈ રહ્યો છે. ખાસ તો નિવૃત્તિ પછી મારો ખેતી સાથેનો સંબંધ વધ્યો છે. પહેલા શનિ-રવિ અને ઉનાળામાં ગામમાં જવાનું થતું. બાપુપુરામાં લખવાનું ચાલે અને કેટલુંક ત્યાં જવાથી પણ લખી શકાયું. સાથે ગ્રામજીવનનો સંપર્ક પણ રહ્યો. હું વિદ્યાર્થી હતો ત્યારે ગામમાં સમાજશિક્ષણ(પ્રોઢશિક્ષણ)ની પ્રવૃતિ કરતો હતો. ગામના ૩૫થી નાના યુવક-યુવતીઓને વાંચતા લખતા કર્યા. એ પૈસામાંથી ગામમાં રંગભૂમિનો ચોતરો અને પુસ્તકાલય બનાવ્યા. એટલે વિદ્યાર્થી અવસ્થાથી જ આ પ્રવૃત્તિઓ ચાલતી હતી. કુટુંબ, પિતા-માતાજી પણ બાપુપુરા રહેતાં. બંને ૯૦ વર્ષ જીવ્યાં. એટલે સ્વાભાવિક રીતે ગામ સાથે સંબંધ રહ્યો. નાનપણમાં ખેતીનું કામ કરતો. ખેતીનાં કાર્યોમાં ઉત્સાહ પણ ખરો. એ કારણે ય એ સંબંધ ટકી રહ્યો છે.

આપ કયા કારણે નાની ઉંમરેથી જ સાહિત્ય તરફ વળ્યા હતા?

મેં ૧૦ વર્ષની ઉંમરેથી લખવાનું શરુ કર્યું હતું. અમારે ત્યાં શનિવાર હોય કે એકાદશી, મહાદેવના મંદિરે ભજન ગવાય. પિતાજી સ્વામિનારાયણ સંપ્રદાયના હતા. એમણે લોકો પાસેથી સાંભળીને અનેક ભજનો, દોહા અને ગીતો શીખ્યા હતા. એટલે નાનપણથી જ આ કાને પડતું. પિતાજીનો એ વારસો મારી કવિતાના લયમાં ઉતર્યો. પિતા પાસે જાણકારી બહુ હતી. આપણે જે વાંચીને સમજીએ એ પિતાજી સાંભળીને શીખ્યા હતા. આથી તેમના પ્રભાવ હેઠળ હું પણ થોડું ઘણું લખતો થયો હતો અને એ નાની ઉંમરે લખેલી મારી પહેલી રચના “કુમાર”માં પ્રગટ પણ થઈ હતી.

માણસા તાલુકો અને પરમ મિત્ર ભોલાભાઈ પટેલનું આપના જીવનમાં શું યોગદાન રહ્યું છે?

મારું ઘડતર માણસા અને બાપુપુરામાં થયું. હું સાતમાં ધોરણમાં ભણતો ત્યારે ભોળાભાઈ મેટ્રિક થઈને માણસા આવ્યા. એ ભણવાની સાથે અન્યને ભણાવતા પણ હતા. ત્યારબાદ હું અને ભોળાભાઈ માણસાથી અમદાવાદ સાથે આવ્યા. મેં ગુજરાતી, સંસ્કૃિતમાં પરીક્ષાઓ આપી. ભોળાભાઈ પર મોહનલાલ પટેલની સારી એવી અસર હતી અને ત્યાંથી ભોળાભાઈની સાહિત્યની ભૂમિકા તૈયાર થઈ હતી. હું જ્યારે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવ્યો ત્યારે ત્યાં રામદરશ મિશ્ર જેવા સારા સાહિત્યકારો મળ્યા. મેં હિન્દી વિષય રાખ્યો હતો. હિન્દી અને સંસ્કૃત સાથે મેં બી.એ., એમ. એ. કર્યું. એ પહેલા હિન્દીમાં સાહિત્યરત્ન ઉત્તીર્ણ કર્યું. એ પણ એમ.એ.ની જ સમકક્ષ ગણાય અને આ રીતે મારી સાહિત્યક્ષેત્રે શરૂઆત થઈ, પણ આ સાથે જ ભોળાભાઈનો મને ઘણો પ્રેમ પણ મળ્યો હતો.

સાહિત્યમાં પ્રવેશ કઈ રીતે કર્યો?

મેં કવિતાથી સાહિત્યમાં પ્રવેશ કર્યો અને વર્ષ ૧૯૬૪માં પહેલી નવલકથા ‘પૂર્વરાગ’ પ્રગટ થઈ. એમાં અંગત સંબંધ, અનુભવો અને સંપર્કો ઘણાં છે. બીજી નવલકથા ‘અમૃતા’ ૧૯૬૫માં પ્રગટ થઈ અને તેનાથી મને આખા ગુજરાતમાંથી આવકાર મળ્યો.

નવલકથાને બે-ત્રણ પુસ્તકો સુધી વિસ્તારવાનું કોઈ ખાસ કારણ?

હું માનું છું કે આપણા અનુભવોની સાક્ષીએ આગળ વધવું જોઈએ. ‘પૂર્વરાગ’ અને ‘પરસ્પર’એ સમયના ક્રમ અનુસાર ચાલે છે. એનો છેલ્લો જે ભાગ છે-‘પ્રેમઅંશ’, એમાં કટોકટી સુધીનો સમય આવે છે. એ તમામ તારીખો સાચી છે. એમાં ફેરફાર કર્યો નથી. કેટલાક પાત્રો પણ ઓળખી શકાય છે.

આપની ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના ભજનો અને ગીતાનો બહુ પ્રભાવ છે. આ પ્રભાવ સર્જન ઉપર કેવી રીતે પડ્યો?

સ્વામિનારાયણ સંપ્રદાયે હિન્દુ ધર્મમાં જે ઉત્તમ હતું એ સ્વીકાર્યું છે. તેના ભજનો, ગરબી કે દોહા અમારે ત્યાં ગવાતા એટલે તેની અસર ખરી. સવારે સ્નાન કરીને ઘરે ગીતા વાંચતો. મારા ઉપર ભગવદ્દગીતાના ગાઢ સંસ્કાર. માણસા ખાતે પાંડુરંગ શાસ્ત્રી વ્યાખ્યાન આપવા આવ્યા હતા, તે સાંભળ્યા છે. ભગવદ્દગીતા અને વચનામૃત કંઠસ્થ છે. કથામૃત (રામકૃષ્ણનું) પણ વાંચ્યું છે. આ બધાનો તાત્ત્વિક વારસો, અનુભવ, સંવેદન અને માન્યતાનો વિષય બન્યો હોય તેવું લાગે.

કવિ, સાહિત્યકાર, વાર્તાકાર, નાટ્યકાર, ચરિત્રલેખક અને પ્રકાશક તરીકેની આપની ઓળખમાં સાચા રઘુવીર ક્યાં પડઘાય છે?

મને તો એટલું જ હતું કે સાહિત્ય એટલે કવિતા. એટલે કવિતા લખાશે એ જ ખ્યાલ હતો. પહેલી નવલકથા ‘પૂર્વરાગ’(૧૯૬૪)ની બહુ ચર્ચા થઈ. પણ બીજી નવલકથા ‘અમૃતા’ને બહુ સારો આવકાર મળ્યો. એ વખતે મારી ઉંમર ઘણી નાની હતી. મારા પર અસ્તિત્વવાદનો પ્રભાવ હતો અને એ સાથે ગીતાના અનાસક્તકર્મનો જે ખ્યાલ હતો તે બંનેના વૈચારિક સંર્ઘર્ષમાંથી ઉદયન અને અનિકેતના પાત્રોનું સર્જન થયું. ‘અમૃતા’ તો જીવનનું પ્રતિક છે. ‘અમૃતા’ રચતા તો રચાઈ ગઈ. મારા સર્જનમાં હું કોઈ સ્થાન પસંદ કરું તો ત્યાં જાઉં. માત્ર કલ્પનાના આધારે ન લખું. રાજસ્થાનના રણ હોય તો એમ કલ્પનાથી ન લખું. હું ત્યાં ગયો છું. ઉદયન રેડિયો એક્ટિવનો ભોગ બને છે તો મેં રેડિયો એક્ટિવના વિજ્ઞાનનો અભ્યાસ કરેલો, જેના કારણે આ નવલકથાની વૈચારિક સમૃદ્ધિ પણ છે. નવલકથાકાર તરીકે આવકાર મળ્યો એના કારણે વધુ લખાતું હતું.

નાટ્યકાર રઘુવીર ચૌધરી વિશે વાત કરશો?

મને નાનપણથી જ નાટકોમાં રસ હતો. ગામમાં ભવાઈ આવે એટલે નાટકો થતા. વિદ્યાર્થીઓ ભાવવાહી વાંચન કરે, શુદ્ધ ઉચ્ચારો કરે એ માટે પણ એક શિક્ષક તરીકે મેં નાટ્યપ્રવૃત્તિ કરેલી. ‘ડિમલાઈટ’- મારું એકાંકી – ખૂબ લોકપ્રિય છે, જે લોકબોલીમાં છે. નાટકોમાં ‘સિકંદરસાની’ આખા દેશમાં ભજવાયું હતું. વડોદરાના માર્કન્ડ ભટ્ટે પ્રયોગો કરેલા. તેમની સાથે મહેશ ચંપકલાલ પણ હતા. નાટકોની કેટલીક કૃતિઓ સારી નીવડી આવી. પછીનાં વર્ષોમાં નાટકો ઓછાં થયાં. બે વર્ષ પહેલાં મહાજન પરંપરા ઉપર નાટક લખ્યું, જે મનોજ શાહે મુંબઈમાં ભજવ્યું. તેના પાંચ-છ પ્રયોગો થયા હતા. તેમ છતાં નાટ્યપ્રવૃત્તિ ધારી એવી થઈ શકી નહોતી. આ સિવાય દૂરદર્શન માટે પણ મેં નાટ્યશ્રેણી પણ લખી છે.

વિવેચક રઘુવીર ચૌધરીની વિશેષતા શું છે?

મેં જે વિવેચન લખ્યું છે એ આસ્વાદમૂલક છે. એમાં વાચકને રસ પડે એ ભાગ હું ઉપસાવી આપતો. પણ માત્ર કપોળ કલ્પિત હોય તેવા સાહિત્યમાં મારો રસ ઓછો છે. કલ્પના પણ મોટી વસ્તુ છે, એમ હું માનું ખરો. પણ મને તો જીવનલક્ષી સાહિત્ય હોય તેમાં ખરો રસ. આજના માણસને વિચાર, અનુભવ, પ્રેરણા અને જીવન આપે તેવી સાહિત્યકૃતિ ઉપર લખ્યું છે.

આપના સાહિત્યમાં સમાજ કેવો છે અને કેવો હોવો જોઈએ તેનું દર્શન થાય છે. વિશેષ તો ઉપરવાસ, સહવાસ અને અંતરવાસમાં. શું વિશેષતા છે આ બૃહદ્દ કથાની?

સમાજ સરળ હોવાની સાથે સાચો પણ હોવો જોઈએ. માત્ર સાદગીનું મહત્ત્વ નથી. ઉપરવાસ એ મારા વતનની આત્મકથા છે. ઉપરવાસના મુખ્ય પાત્રો મૂળભૂત રીતે સાચા છે. આ પાત્રોના અનુભવો ઘણા વ્યાપક છે. આપણા રાજેન્દ્ર શાહ કહેતા આપણને પાંચ જ ઇન્દ્રિયો મળેલી છે. જો અગિયાર ઇન્દ્રિયો મળી હોત તો આપણે જગતને વધુ પામી શકત. કેટલાક અનુભવોના વર્ણનો પણ છે, જે તાર્કિક ભૂમિકા પર લાગે કે બરોબર છે. આજે પણ મને સાદગી, સચ્ચાઈ પ્રિય છે. દંભ મને ન ગમે. એટલે મેં જે કટાક્ષનું સાહિત્ય લખેલું એ દંભ, જૂઠાણા, છેતરપિંડી વિરોધી જ લખેલું. મેં વર્ષ ૧૯૬૬માં શિક્ષણ જગત વિશે ‘એકલવ્ય’ લખેલું. આજે તો તેના કરતાં શિક્ષણ વધુ કથળ્યું છે. એ વખતે જે અતિશ્યોક્તિ લાગેલી તે આજે અલ્પોકિત લાગે છે. હાસ્ય પણ સુધારાનું સાધન બની શકે.

આપ નવલકથા કઈ રીતે લખો અને બૃહદ્દ રીતે તેને કઈ રીતે કથામાં વિસ્તારો છો?

હું જે નવલકથા લખું તે મારા મનમાં અંત સુધી સ્પષ્ટ હોય. હું આમ જ તેનું લખાણ શરુ કરી દેતો નથી અને તેથી જ લખતી વખતે સંવેદન પણ એ જ પ્રમાણે સક્રિય બનતું જાય છે. હવે લોકો તેને અર્ધજાગ્રત મનની સક્રિયતા કહે છે. લખતી વખતે કથા એના પ્રવાહમાં કામ કરે. લખતી વખતે બધા સંસ્કારો એક સાથે આવે. પહેલા તો ૧૪ કલાક લખતો. ખાવાપીવાનું પણ યાદ ન રહેતું. ‘અમૃતા’ એવી જ રીતે લખાઈ હતી. ગોકુળ-મથુરા-દ્વારકા લખેલી તો શ્રીકૃષ્ણ ક્યાં સુધી જશે એ મારા મનમાં સ્પષ્ટ હતું. શ્રીકૃષ્ણને કેન્દ્રસ્થાને રાખીને તે નવલકથા લખી છે. ‘ઉપરવાસ’માં પણ મારે ક્યાં પહોંચવું છે તેની મને ખબર હતી. લખતી વખતે સુધારા-વધારા થાય ખરા. પણ લખતા સમયે એક સાદો નકશો મનમાં હોય જ. ‘ઉપરવાસ’ એ આપણી લોક-સંસ્કૃિતનો વારસો છે. ગોકુળ-મથુરા-દ્વારકા એ ભારતીય સંસ્કૃિતનો તપોવનકાળથી માંડીને છેક સુધીનો આપણો વારસો છે, જેમ કે કૃષ્ણરામ, બુદ્ધ-મહાવીર અને એ જ રીતે ઈસુ પણ આપણા છે, મહમંદ પયગંબર સાહેબ પણ આપણા છે. એ જ મારો અભિગમ રહ્યો છે. તેના મૂળમાં ગાંધી, રવિશંકર મહારાજ અને વિનોબા ભાવે છે. મહારાજ સાથે ભૂમિદાનમાં જોડાયો હતો. વિનોબાને વાંચીને બહુ આનંદ થાય. મને કોઈ પૂછે તો કહું છું કે ગાંધીજીની આત્મકથા એ આપણી ભાષાનું શ્રેષ્ઠ પુસ્તક છે. એમ વિનાબાને વાંચીએ તો એક મોટા કવિને વાંચતા હોઈએ એવું સતત લાગે. ગીતા પ્રવચન તેમણે જેલમાં લખ્યું છે. તેનો ગુજરાતી અનુવાદ ઠાકોરભાઈ દેસાઈએ કર્યો છે. જયપ્રકાશ (જે.પી.) ઉપર મારાં કાવ્યો છે, તેમની સાથે પણ મેં કામ કરેલું છે. ‘અમૃતા’માં સ્ત્રી સ્વતંત્રતા મૂકી છે. એ વખતે આ નવલકથા સમય પહેલાંની હતી. અમૃતાની સ્વતંત્રતાની જે માંગ હતી એ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને જરા વધારે પડતી લાગેલી. એમાં વિદ્રોહ જેવું લાગ્યું હતું, પણ મને લાગે એમ લખવું મારા માટે અનિવાર્ય હતું. સ્ત્રીની સ્વતંત્રાની ભૂમિકા જેવી ગામડામાં હોય છે, તેવી ગામડાના માણસે અનુભવી હોય જ છે. બંને સરખા હક-જવાબદારીથી ઘર ચલાવે છે. સરખો શ્રમ કરે છે. કુટુંબમાં સ્ત્રીનું સ્થાન તો નિર્ણાયક હોય છે. સ્ત્રીને અન્યાય થાય તો તે વિદ્રોહ પણ કરે. પન્નાલાલની કથાનો રાજુ હોય કે પ્રેમચંદની કથાનો ઘનિયા, તેઓ કાલ્પનિક હોવા છતાં સાચા લાગે છે. ‘અમૃતા’ના પાત્ર અને તેની સ્વતંત્રતા ઉપર પશ્ચિમના અભ્યાસનો પ્રભાવ નથી. તેના ત્રીજા ભાગમાં છેલ્લું વાક્ય છે, ‘પણ જેનાથી હું અમૃતા ન બનું તો તેને (મિલકત) લઈને હું શું કરું’ (મિલકત લેવાની અમૃતા ના પાડે છે). છેક ઉપનિષદકાળથી સ્વતંત્રતા માટે છોડવું પડતું હોય અને એ રીતે અમૃતાનું પાત્ર આવ્યું. જાગૃતિ ભોગ માગે, ભોગ આપો, જોખમ ખેડો, સહન કરો તો સ્વતંત્રતા છે.

આજે ‘અમૃતા’નું પાત્ર ફરીથી રચવાનું આવે તો શું બદલાવ કરો?

હું એને જ વળગી રહું. અત્યારે જે ચાલે છે તેમાં થોડા અંશે છીછરાપણું છે. શરીરનાં અંગોનાં પ્રદર્શન માટેની સ્વતંત્રતા કોઈ ભોગવતો હોય તો હું કંઈ એનો વાંધો ન લઉં. પણ હું એવું વર્ણન ન કરું. માનો કે સ્ત્રી-પુરુષના સંબંધોનું વર્ણન હોય તો તે પણ કવિતાની ઊંચાઈએ હોવું જોઈએ. મિલનનું વર્ણન સ્થૂળ ન હોવું જોઈએ. સંબંધમાં એક નિષ્ઠા ન હોય તો એનો શું અર્થ છે? અત્યારે જે સ્વૈરાચાર થાય છે એને હું એ સ્વીકારતો નથી અને એટલા પૂરતો હું જૂનવાણી પણ ખરો, કારણ કે એના લીધે અનેક રોગો જગતમાં આવ્યા. હું માનું છું કે, કુટુંબ કોઈને કોઈ સ્વરૂપે ટકવું જોઈએ. કુટુંબને ટકાવવા જાતે નક્કી કરેલી આચારસંહિતા જોઈએ, સંયમ જોઈએ.

પહેલા અને આજના અમદાવાદમાં શું ફેર છે?

એ વખતના અમદાવાદ માટે તો કુતૂહલ હતું. હવે તો અમદાવાદમાં જૂના રસ્તે જતા રસ્તા ભૂલા પડી જવાય એટલા બધા ફેરફારો થયા છે. બે દિવસ ગામ જાઉંંતો શુદ્ધ હવા ત્યાં જ મળે છે. ત્યાં પ્રદૂષણ ઓછું થવાથી આંખો બળતી નથી. હું શહેરનો, નગર સંસ્કૃિતનો વિરોધી નથી. બીજે જે રીતે શહેરો સચવાય છે તેવી રીતે આપણી ત્યાં શહેરો સચવાતા નથી. શહેરો આયોજનથી સચવાવા જોઈએ. ગામમાં કુદરતી રીતે હવા પાણી મળે છે. ગામમાં અનિવાર્યપણે શ્રમ કરવો પડે અને એટલે જ ૭૫ વર્ષે પણ સીધા ચાલી શકાય છે.

‘તમસા’ ગદ્યકાવ્યમાં ‘મને કેમ ન વાર્યો’ એ વેદના છે કે અભિવ્યક્તિ?

માણસ ગ્રામજીવનથી જે દૂર થઈ ગયો છે તેનું વર્ણન એમાં કર્યું છે. આમ તો વિચ્છેદન માટે માણસ ખુદ જ જવાબદાર હોય છે. ગામના માણસને ગામનો કેમ ન રહેવા દીધો! અંતે તો ગામ અને શહેર એક સાથે મળે છે. ગામ અને શહેરનો સંબંધ નાભિ સાથેના સંબંધ જેવો જ છે.

‘સહરાની ભવ્યતા’ના નામે આપે જીવનચરિત્રો લખ્યા છે. કેવો અનુભવ રહ્યો?

મેં ‘સહરા’ શબ્દ જયંતી દલાલ માટે ઉપયોગમાં લીધો હતો. એ મૂળ ઉમાશકંરની કવિતામાં આવે છે. મને તેમના માટે ખૂબ આદર. જયંતીભાઈ માણસની નબળાઈઓના મોટા જાણકાર. માણસના હૃદયમાં નકારાત્મકતા, નિરાશા, ખાલીપાની પણ ભવ્યતા હોવી જોઈએ. ૨૫ રેખાચિત્રોમાં એવું કશુંક છે, જેમાંથી શીખવા મળે, પ્રેરણા મળે છે. મોટાભાગના સર્જકો જીવતા હતા ત્યારે લખેલા. દરેકમાં સુક્ષ્મહાસ્ય છે. ‘સહરાની ભવ્યતા’ને પણ બહુ આવકાર મળેલો છે.

ગુજરાતી સાહિત્યનું ભાવિ કેવું લાગે છે?

હું તો આશાવાદી છું. પણ ભાષા અને સાહિત્યના સ્વરૂપો બદલાશે. ઉત્તમ નવલકથા હશે તે નવા સ્વરૂપે (ટી.વી સિરિયલ કે ફિલ્મ સ્વરૂપે) આવશે. ‘અમૃતા’ની ૧૧ આવૃત્તિ થઈ અને અમે તેને વેબસાઈટ ઉપર મૂકી. જે નવી પદ્ધતિ આવી વાંચવાની એ પણ સ્વીકારી. ઈન્ટરનેટની સાથે સાહિત્ય અને કળાઓ જોડાવાની છે. આપણી ભાષા એ જ સ્વરૂપે ટકશે એવી અપેક્ષા ન રાખવી. તેમાં ફેરફારો ચોક્કસ થવાના. હા, સાહિત્યનું વાંચન ઘટ્યું છે. છઠ્ઠા દાયકામાં વાર્તા સંગ્રહની ૨૨૦૦ નકલો છપાતી હવે ૫૦૦ છપાય છે. રંગદ્વાર પ્રકાશન દ્વારા અમને નવા લેખકોને પ્રોત્સાહનની આશા હતી, પણ ધારી સફળતા મળી નથી.

ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે કંઈક જણાવશો? 

સાહિત્ય પરિષદ પહેલા એચ. કે. આર્ટસમાં ચાલતી. ઉમાશંકર દેશમાં જાણીતા હતા. એમણે ખૂબ મદદ કરેલી. મને આવા વડીલોએ બહુ સાથ આપ્યો છે. ભાષાભવનમાં હતો ત્યાંથી કામ પતાવી હું રોજ ચાર કલાક અહીં આવતો. આ તો પ્રજાની સંસ્થા છે. મને સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓ માટે બધાનો સાથ મળ્યો છે. હર્ષ બ્રહ્મભટ્ટ બહુ સદ્દભાવવાળા છે એટલે મદદ કરે છે. સમાજ માને છે કે અહીં આવેલો પૈસો એળે નહીં જાય એટલે પણ સારો સહકાર મળતો રહે છે. સાહિત્ય અને કળાની પ્રવૃત્તિને પ્રોત્સાહનની જરૂર રહેશે. સાહિત્ય પરિષદને આશરે એક કરોડ  રૂપિયાની મદદ મળી છે. આમ છતાં આપણી સરકાર એવી કોઈ ખાસ મદદ કરતી નથી.

સમાજ માટે સાહિત્ય પરિષદ વધુ શું કરે છે?

આપણે પ્રદર્શન વધારે યોજવા જોઈએ. નારાયણ દેસાઈ પ્રમુખ થયા ત્યારે એમણે ગ્રંથ યાત્રાનું આયોજન કર્યું હતું. ત્યારે સૌને લાગ્યું કે સાહિત્ય પરિષદ અમારે આંગણે આવી. સાહિત્યના અનેક કાર્યક્રમો થયા. ગુણવંત શાહે જૂનાગઢથી, નરસિંહથી નર્મદ સુધી માતૃભાષા વંદનાના કાર્યક્રમો શરુ કર્યા હતા. પ્રજા સુધી લેખકો પહોંચે તે આવશ્યક છે. સાહિત્ય પરિષદ ગ્રામસત્રો ગામવિસ્તારમાં કરે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ છે. નવી પેઢીને આવા કાર્યક્રમોમાં રસ પડે છે.

સમાજના પરિવર્તન માટે સાહિત્યનો શું પ્રભાવ લાગ્યો?

સમાજ ઉપર નવી કૃતિનો પ્રભાવ જોઈ શકાય છે. ધ્રુવ ભટ્ટ આવ્યા. તેમણે પ્રકૃતિ સાથેના સંબંધોની નવી દૃષ્ટિ આપી. તેમની પ્રકૃતિ એક સ્વતંત્ર સત્તા છે, એ લોકો સુધી પહોંચી છે. મારી રચના ધરાધામ નામે પ્રગટ થઈ, જેમાં ધરાને ધામ તરીકે આલેખી છે. વૈકુંઠની ભલે જે વાત હોય, પણ ધરા એ જ ધામ છે. બાપ-દાદાઓને સ્વર્ગ પણ લાગતું. આ પૃથ્વી-જગત ચાાહવા જેવું છે, માટી એ મૂડી છે એ લોકો સુધી પહોંચે એ મહત્ત્વનું છે.

નવલકથાને શ્રેણીમાં લખો છે. કોઈ કારણ?

ઘણાએ આ પ્રમાણે લખી છે. ગ્રામલક્ષી ચાર ભાગમાં, દર્શકમાં ઝેર તો પીધા જાણી-જાણી વગેરેનો સમયગાળો વધુ છે. ગોકુળ-મથુરા-દ્વારકા એકસાથે લખી છે. ‘ઉપરવાસ’ પણ એકસાથે લખેલી, પણ સમય વધુ લીધેલો. એકસાથે બધા ભાગ આવે તો સંકલન સચવાય છે.

આપને કેવી રીતે ઓળખવું ગમે?

મે એવી ઈચ્છા પ્રગટ કરી છે કે લોકો મને ભૂલી જાય. નહેરુએ પણ કહેલું કે સ્મૃિતમાં ભારરૂપ ન બનવું. આપણું અદ્વૈત દર્શન પણ કહે છે કે આપણું રૂપાંતરણ થતું હોય છે. બસ તમારા જેવા મિત્ર યાદ રાખે કે કોઈ ચાહનાર પણ હતું. ■

e.mail : pdave68@gmail.com

Loading

18 April 2014 admin
← ગિજુભાઈની વિવિધ બાળવાર્તાઅો
સાહિત્ય એ મારો જીવનરસ છે ઃ ધીરુ પરીખ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved