આજથી સ્વીટ્ઝર્લેન્ડમાં દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનું વાર્ષિક સંમેલન શરૂ થશે. આ સંમેલનમાં દુનિયાના મોટા ભાગના દેશના અગ્રણીઓ મળશે અને અર્થતંત્ર, વ્યાપાર, વૈશ્વિક સમસ્યાઓ, રાજકીય મુદ્દાઓ વગેરે અંગે મોટી મોટી ચર્ચાઓ કરાશે પછી પાર્ટીઓ માણશે. દેશના વડાઓ સ્વીટ્ઝર્લેન્ડની સફરનો લુત્ફ ઉઠાવાશે અને મોજશોખ કરીને સ્વદેશ સીધાવી જશે.
આ બેઠકમાં આર્થિક બાબતો કેન્દ્રમાં હશે, પણ કમનસીબે તેમની ચિંતાનો વિષય દુનિયાભરના આમ આદમીની આર્થિક સંકડામણ નહીં હોય! અને એટલે જ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના આવાં સંમેલનોનો ઘણા સભાન નાગરિકો અને બૌદ્ધિકો દ્વારા વિરોધ થતો આવ્યો છે. આ વખતે દાવોસ ખાતે સંમેલન શરૂ થાય તેના આગલા દિવસે જ બ્રિટનની દાતા સંસ્થા ઓક્સફામ દ્વારા 'વર્કંિગ ફોર ધ ફ્યુ : પોલિટિકલ કેપ્ચર એન્ડ ઇકોનોમિક ઇનઇક્વાલિટી' નામનો અહેવાલ પ્રસિદ્ધ કરીને દુનિયામાં વધતી આર્થિક અસમાનતા તરફ રાજકીય-આર્થિક વડાઓનું ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી છે.
આ અહેવાલમાં અનેક દેશોની ૧૯૮૦થી ૨૦૧૨ દરમિયાનના સમયગાળાની આર્થિક વિગતોનું વિશ્લેષણ કરીને કેટલાંક તારણો રજૂ કરવામાં આવ્યાં છે, જે ચોંકાવનારાં છે. વિકસિત અને વિકાસશીલ એમ બન્ને પ્રકારના દેશોમાં કઈ હદે આર્થિક અસમાનતા વધી રહી છે, તેનો વિસ્તૃત ચિતાર આ અહેવાલમાં વ્યક્ત કરાયો છે. આ અહેવાલનું શીર્ષક પણ ઘણું સૂચક છે – વર્કિંગ ફોર ધ ફ્યુ, જેનો અર્થ થાય, અમુક લોકો માટે જ બધું કાર્ય કરવામાં આવે છે!
આ અહેવાલમાં શબ્દો ચોર્યા વિના જણાવાયું છે કે આજકાલ સરકારો અમીરો, મૂડીપતિઓ અને ઉદ્યોગપતિઓના હાથની કઠપૂતળી બની ગઈ છે. સરકાર મૂડીપતિઓનાં હિતો તરફી જ નિર્ણયો લે છે, કાયદા ઘડે છે અને અમીરોને જ વધારે અમીર બનાવે છે. આમ, લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર પણ સાધારણ લોકો માટે નહીં પણ અમુક ખાસ લોકો માટે જ કામ કરતી હોય છે. આપણા દેશમાં સાંસદો પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછતાં હોવાનો પર્દાફાશ થયો હતો, જેણે આ અંગે પુરાવો પૂરો પાડેલો છે.
આ અહેવાલમાં તીવ્ર બનતી આર્થિક અસમાનતા દર્શાવતાં કેટલાક આંકડા પણ રજૂ કરાયા છે. વિશ્વમાં એક ટકા અમીર લોકો પાસે દુનિયાની અરધી વસતી કરતાં વધારે સંપત્તિ છે. દુનિયાના માત્ર ૮૫ અમીર લોકો પાસે જેટલી સંપત્તિ છે, એટલી સંપત્તિ દુનિયાની અરધી ગરીબ વસતી પાસે પણ નથી! છેલ્લાં પચીસ વર્ષમાં ગણતરીના લોકો પાસે જ ધન-સંપત્તિ કેન્દ્રિત થતી ગઈ છે, તેનો આ પુરાવો છે. દુનિયામાં એક તરફ સંપત્તિની રેલમછેલ છે તો બીજી તરફ બે ટંકનું ખાવાનાં પણ સાંસા છે. અમીર વધુ અમીર બનતો જાય છે અને ગરીબ વધુ ગરીબ. આર્થિક અસમાનતાની ખાઈ દિવસે દિવસે વધી રહી છે અને હવે તો વિકરાળ બની ગઈ છે. આરબ વસંત હોય કે ઓક્યુપાઇ વોલસ્ટ્રીટ આંદોલન હોય કે પછી આપણા દેશમાં વકરતો નક્સલવાદ હોય, આ બધાનાં મૂળમાં આખરે તો તીવ્ર આર્થિક અસમાનતા અને આર્થિક અન્યાય જ કારણભૂત છે.
લોકશાહી દેશોમાં સ્વતંત્રતા છે, પણ સમાનતા નથી અને એટલે જ અશાંતિ, અસ્થિરતા અને અંધાધૂંધીને આમંત્રણ મળતું હોય છે. આર્થિક અસમાનતાને કારણે અનેક સામાજિક સમસ્યાઓ પેદા થાય છે. આ અહેવાલમાં દાખલા-દલીલ સાથે આર્થિક અસમાનતાના ઉપાય પણ દર્શાવ્યા છે, આશા રાખીએ કે દાવોસમાં મળનારા નેતાઓ એ અંગે સકારાત્મક રીતે વિચારશે. આર્થિક અસમાનતાનો ઉકેલ કાઢવામાં નહીં આવે તો પછી કોઈ સરકાર કે વ્યવસ્થા પણ અમીરને ધોળા દિવસે લૂંટાતો બચાવી શકશે નહીં!
http://www.sandesh.com/article.aspx?newsid=2903068