Opinion Magazine
Number of visits: 9448840
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રઘુવીર ચૌધરીનું સાહિત્ય અકાદમી દ્વારા મહત્તર સદસ્યતા આપી સન્માન કરવામાં આવ્યું

ચિરાગ ઠક્કર 'જય'|Opinion - Literature|30 July 2013

ગત 20મી જુલાઈ ને શનિવારના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે પ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ચૌધરીનું સાહિત્ય અકાદમી દ્વારા મહત્તર સદસ્યતા આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાહકો અને મહાનુભાવોથી ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘રામનારાયણ વિશ્વનાથ પાઠક સભાગૃહ’ ઊભરાઈ ગયું હતું. સન્માન સમારંભ બાદ ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ લેખકની રચનાઓનું વિવેચન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

સમારંભની શરૂઆતમાં સાહિત્ય અકાદમી, દિલ્હી વતી કે. શ્રીનિવાસે શ્રોતાજનોને આવકાર આપીને પૂર્વભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે આ વર્ષે સાહિત્ય અકાદમીએ ગુજરાતી, સંસ્કૃત, સિંધી અને નેપાળી, એમ કુલ ચાર ભાષાના સર્જકોને આ મહત્તર સદસ્યતાનું સન્માન આપવાનું નક્કી કર્યું હતું, અને તેમાં ગુજરાતી ભાષા માટે વિવેચકો અને વાચકો પાસેથી સમાન ધોરણે આદર પ્રાપ્ત કરનાર રઘુવીર ચૌધરીને પસંદ કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ રઘુવીરજીની જીવનયાત્રાનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું હતું. માણસા નજીક આવેલ બાપુપૂરા ગામમાં 1938માં તેમનો જન્મ થયો હતો. પ્રકૃતિના ખોળે શાળાજીવન પસાર કર્યા બાદ, હિન્દીમાં સ્નાતક અને અનુસ્નાતક થઈને, ‘હિન્દી અને ગુજરાતી ધાતુરૂપોના તુલનાત્મક અભ્યાસ’ વિષય પર મહાનિબંધ તૈયાર કરીને તેમણે પી.એચડી.ની ઉપાધિ મેળવી હતી. 1977માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં જોડાયા હતા, જ્યાંથી 1998માં અધ્યાપક અને વિભાગાધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા.

આ પરિચયને આગળ વધારતા કે. શ્રીનિવાસને રઘુવીરજીના જીવનમાં ગાંધીજીના ઊંડા પ્રભાવની વાત કરી હતી. તેઓ ગાંધીજી ઉપરાંત વિનોબા ભાવે, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, ‘દર્શક’, ટાગોર, કાલિદાસ અને ઇલિયટ જેવા મહાન લેખકો અને કવિઓથી પણ પ્રેરિત થયા હતા. તેમણે લેખન ઉપરાંત કરેલા સામાજિક કાર્યોની પણ નોંધ લેવાઈ હતી.

લેખનની શરૂઆત કવિતાથી કરી હોવા છતાં, તેમને ખરી લોકચાહના તેમની નવલકથાઓથી મળી હતી. ‘અમૃતા’ જેવી અમર નવલકથાઓ ઉપરાંત, તેમણે કવિતા, ટૂંકી વાર્તા, નાટકો, એકાંકી, ચરિત્રલેખો, વિવેચનો અને સંપાદનો પણ આપ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકેના તેમનાં કાર્યો, તથા તેમના અથાગ પ્રયત્નોથી ગુજરાતી સાહિત્ય પરિષદના ભવનનું નિર્માણ થયાની, તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અલગ વિભાગ ઊભો કરવામાં તેમણે ભજવેલ ચાવીરૂપ ભૂમિકાની પણ નોંધ લેવામાં આવી હતી.

રઘુવીર ચૌધરીને ગુજરાતી તેમ જ હિન્દી ભાષાની સેવા માટે દેશ-વિદેશમાં મળેલાં સન્માનોની લાંબી યાદીના અંતે એમ ઉમેરવામાં આવ્યું હતું કે નિવૃત્તિમાં તેઓ સપ્તાહાંતે ખેડૂતનું સરળ જીવન વિતાવે છે અને સાહિત્ય અકાદમી તેમને મહત્તર સદસ્યતા અર્પણ કરવામાં ગૌરવ અનુભવે છે.

ત્યાર બાદ અધ્યક્ષીય ઉદ્દબોધન કરતાં સાહિત્ય અકાદમીના ડૉ. વિશ્વનાથ પ્રસાદ તિવારીએ ફૂલોથી રઘુવીર ચૌધરીનું સ્વાગત કર્યું હતું. એ ક્ષણે રઘુવીરજીએ પોતાની આગવી શૈલીથી રમૂજ પ્રસરાવી હતી. તિવારીજીએ લેખક જીવનની દુર્બોધતા અને મહત્તાની વાત કરતાં લેખકો જ કેમ સમાજના નિર્માતા છે, એ બાબત પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે રઘુવીરજી સાથેના તેમના લાંબા સંબંધોની અને તેમની સર્જકતા સાથે જોડાયાની વાતો યાદ કરી હતી. તેમણે અંતે ઉમેર્યું હતું કે દેશમાં એક મહાન લેખકની હાજરી સમાંતર સરકારની બરાબર છે.

ત્યાર બાદ રઘુવીર ચૌધરીને શાલ ઓઢાડીને મહત્તર સદસ્યતા પ્રદાન કરવામાં આવી હતી. આ મહામૂલી ક્ષણને પલકવારમાં સંકોરીને રઘુવીરજીએ ૠણસ્વીકારનું પોતાનું લાગણીસભર વક્તવ્ય પોતાની પુત્રી દૃષ્ટિ પટેલ આપશે તેમ જાહેર કર્યું હતું.

રઘુવીરજીએ આ સન્માન સ્વીકારતાં, દૃષ્ટિ પટેલના મુખે, એમ કહ્યું હતું કે ‘લખવું એ જ જીવન છે. જીવનથી કોઈ ફરિયાદ નથી, પરંતું લેખનથી હંમેશાં ફરિયાદ રહી છે.’ પોતાના કુટુંબજીવનની ભાવુક વાતો કરીને તેમણે સૌનો આભાર માન્યો હતો અને સમાજની તમામ સમસ્યાઓનો ઉપાય જાગરૂક નાગરિક છે, તેમ સૂચવ્યું હતું. ૠણ સ્વીકારના અંતે તેમણે સ્વમુખે થોડાંક શબ્દોમાં નિર્દંશ વ્યંગ સાથે બધાનો આભાર માનીને પોતાની બે કવિતાઓ ‘અમે આટલે આવ્યા …’ (2008) તેમ જ ‘કેફિયત’(1968)નું પઠન કરીને ઉપસ્થિત તમામ લોકોની તેમને સાંભળવાની ઇચ્છાપૂર્તિ કરી હતી.

સમારંભના અંતે, ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ, રઘુવીરજીના લેખનનું વિવિધ તજજ્ઞો દ્વારા રસદર્શન કરાવવામાં આવ્યું હતું. ‘સંવાદ’ના અધ્યક્ષ સિતાંશુ યશશ્ચંદ્રએ ‘ગુજરાતનો આનંદ હોલ ભરીને છલકાય છે’ કહીને કાર્યક્રમની શરૂઆત કરીને ચંદ્રકાંત ટોપીવાળાને રઘુવીરજીની કવિતાનું રસદર્શન કરાવવા આમંત્ર્યા હતા, ‘The Course of Commitment’ નામક તેમના પ્રવચનમાં ચંદ્રકાંત ટોપીવાળાએ રઘુવીરજીની ‘કામાખ્યા’ જેવી પ્રતિનિધિ કવિતાઓની વાત કરી હતી. ત્યાર બાદ રમેશ આર. દવેએ રઘુવીરજીની નવલકથાઓ તથા ટૂંકી વાર્તાઓનું રસદર્શન કરાવ્યું હતું. તેમણે રઘુવીરજીની ‘ઉપરવાસ’ નવલકથાને ‘અમૃતા’થી પણ ઉત્તમ ગણાવી હતી. આબાદ ઘટના નિરૂપણ અને દ્રઢ વસ્તુ સંકલ્પના જેવી ખૂબીઓ સાથે અતિલેખન અને વિશેષણોની ભરમાર જેવી કેટલીક ખામીઓ તરફ આંગળી ચીંધીને તેમણે આ સમારંભને માત્ર પ્રશસ્તિપર્વ બનવામાંથી બચાવી લીધો હતો. છેલ્લે સતીશ વ્યાસે રઘુવીરજીના નાટકો અને એકાંકીની વાત લાઘવમાં કરી હતી. તેમણે પણ ખૂબીઓ સાથે ખામીઓ દર્શાવીને રઘુવીરજીના પોતાના જ કથન ‘(મને) લેખનથી હંમેશાં ફરિયાદ રહી છે’નું સમર્થન કર્યું હતું.

અંતે જ્યારે કે. શ્રીનિવાસે સાહિત્ય અકાદમી વતી સૌનો આભાર માન્યો, ત્યારે શ્રોતાજનોમાં રઘુવીરજી ચૌધરીની ‘અમૃતા’, ‘ઉપરવાસ’, ‘પરસ્પર’, ‘શ્યામ સુહાગી’, ‘ઇચ્છાવર’, ‘રૂદ્રમહાલય’ જેવી નવલકથાઓ; ‘આકસ્મિક સ્પર્શ’, ‘ગેરસમજ’ જેવી નવલિકાઓ; ‘તમસા’, ‘વહેતાં વૃક્ષ પવનમાં’ જેવા કાવ્યસંગ્રહો અને ‘અશોકવન’, ‘ઝુલતા મિનારા’, ‘સિકંદર સાની’ જેવાં નાટકો તેમ જ ‘ડિમલાઇટ’, ‘ત્રીજો પુરુષ’ જેવી એકાંકીઓની ચર્ચા શરૂ થઈ હતી.

અમદાવાદ, 20 જુલાઈ, 2013

courtesy : http://www.chiragthakkar.me/2013/07/Raghuvir-Chaudhari-Fellowship.html

Loading

30 July 2013 admin
← રાજા-રૈયતની માનસિકતા : લોકશાહીનો મહિમા ને માહોલ છતાં રાજ-ઘેલછા કેમ ઘટતી નથી?
નવરાત્રિનાં કેરલ્સ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved