Opinion Magazine
Number of visits: 9448267
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Paatidaar Saamayikna Tantri, Kraantikaari Deshbhakta Narsinhbhai Patel

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|15 September 2015

‘પાટીદાર’ સામયિકના તંત્રી, ક્રાંતિકારી દેશભક્ત નરસિંહભાઇ પટેલ

ફક્ત પાટીદારોના જ નહીં, આખા ગુજરાત માટે રોલમોડેલ બની શકે એવા, રવીન્દ્રનાથ ટાગોર-ગાંધી-સરદારના સાથી, ક્રાંતિકારી વિચારક-સમાજસેવક અને ‘પાટીદાર’ માસિકના તંત્રીનું સ્મરણ

(LtoR) Mahadev Desai (standing), Sardar Patel, Narsinhbhai Patel / મહાદેવ દેસાઇ, સરદાર પટેલ, નરસિંહભાઇ પટેલ

ગાંધી-સરદાર-ભગતસિંહ જેવાં નામનું અને ‘ક્રાંતિ’ જેવા શબ્દોનું જે હદે અવમૂલ્યન થયું છે, એ જોતાં નરસિંહભાઈ પટેલનું નામ ભૂલાઈ ગયાથી રાહત થાય. બાકી, તેમના જેવું વ્યક્તિત્વ સમાજ પોતાના હિસાબે ને જોખમે જ વિસરી શકે.

કોણ હતા નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ? અને શા માટે તેમને મૃત્યુનાં સિત્તેર વર્ષ પછી પણ યાદ કરવા પડે? આણંદમાં પોતાના ઘરને ‘પાટીદાર મંદિર’ જેવું નામ આપનાર નરસિંહભાઈએ એકવીસ વર્ષ સુધી ‘પાટીદાર’ માસિક ચલાવ્યું. જ્ઞાતિનું માસિક કેવું હોવું જોઈએ, એનું તે આદર્શ ઉદાહરણ છે. જમાનાથી આગળ હોવું એ નરસિંહભાઈની ખાસિયત હતી. એટલે જ, દીકરીઓ ‘સાપનો ભારો’ ગણાતી એવા વખતે નરસિંહભાઈની દીકરીઓ શાંતાબહેન અને વિમળાબહેન તેમની સાથીદાર બની. આઝાદીની ચળવળમાં નરસિંહભાઈ જેલમાં જાય ત્યારે ‘પાટીદાર’નું કામકાજ દીકરીઓ સંભાળતી.

સરદાર પટેલ કરતાં એક વર્ષ મોટા (જન્મઃ ૧૮૭૪) અને સ્કૂલમાં સરદારની સાથે ભણેલા નરસિંહભાઈ શરૂઆતમાં બોમ્બ દ્વારા ક્રાંતિના સમર્થક હતા. ‘વનસ્પતિની દવાઓ’ જેવા છદ્મનામે તેમણે બોમ્બ બનાવવાની રીતોના બંગાળી પુસ્તકનો અનુવાદ કર્યો. અંગ્રેજ સરકારના ગુપ્તચર વિભાગે તેમને ‘ધ મોસ્ટ ડેન્જરસ મેન ઇન બોમ્બે પ્રેસિડેન્સી’ (બોમ્બે પ્રાંતના સૌથી ખતરનાક માણસ) ગણાવ્યા હતા. કાળા પાણીની સજાની સંભાવના પારખીને તે થોડો સમય આફ્રિકા જતા રહ્યા અને ત્યાં ફ્રેન્ચ અને જર્મન શાસન ધરાવતા પ્રદેશોમાં રહ્યા. એવા વિપરીત સંજોગોમાં તે જર્મન ભાષા શીખ્યા અને વિલિયમ ટેલના જીવનચરિત્રનો જર્મનીમાંથી અનુવાદ કર્યો. ત્યાર પહેલાં ભારતમાં તેમણે ગેરિબાલ્ડી, મેઝિની જેવા રાષ્ટ્રનાયકોનાં ચરિત્રો લખ્યાં હતા. તોલસ્તોયનાં લખાણનો પહેલો પરિચય તેમને કવિ ‘કાન્ત’ (મણિશંકર ભટ્ટ) દ્વારા થયો. પણ બંગાળાના ભાગલા વખતે તે હિંસાના પંથ તરફ વળી ગયા. આફ્રિકા ગયા પછી ‘એ મર્ડરર્સ રીમોર્સ’ જેવા તોલસ્તોયના પુસ્તકની જૂની અસર તાજી થઈ અને અહિંસાના સંસ્કાર દૃઢ બન્યા.

આફ્રિકામાં તે ગાંધીજીના મિત્ર ચાર્લી, ‘દીનબંધુ’ એન્ડ્રુઝના સંપર્કમાં આવ્યા. એન્ડ્રુઝ સાથે જ તે ‘શાંતિનિકેતન’ આવ્યા અને જર્મન ભાષાના શિક્ષક તરીકે જોડાયા. ત્રણ વર્ષ રહ્યા પછી દમના રોગને કારણે તે આણંદમાં વસ્યા અને આઝાદીની લડતમાં ગાંધી-સરદારના સાથી બન્યા. ગાંધીજી પ્રત્યે તેમને અહોભાવ વગરનો આદરભાવ હતો. ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારે નરસિંહભાઈએ આણંદથી બોરિયાવી સામા જઈને ગાંધીજીનું સામૈયું કર્યું હતું અને તેમની સાથે કૂચમાં જોડાઇને આણંદ આવ્યા હતા.

પરંતુ પણ દલિતોને પ્રવેશ ન આપતા જગન્નાથ પુરીના મંદિરમાં કસ્તૂરબા ગયાં અને ગાંધીજીએ નારાજ થઈને તેમને નોટિસ-અંદાજમાં પૂછ્‌યું કે ‘મારે તમારાથી છૂટાછેડા કેમ ન લેવા?’ ત્યારે નરસિંહભાઈએ ‘પાટીદાર’ માસિકમાં લખ્યું હતું, ‘કસ્તૂરબાએ મંદિરમાં જવું કે નહીં, એ તેમનો સ્વતંત્ર પ્રશ્ન છે. પતિ સાથે સંકળાયેલો નથી … પરંતુ પુરુષમાં સદીઓથી ચાલ્યું આવતું ધણીપણું મહાત્મા ગાંધીમાં પણ પૂરેપૂરું લુપ્ત થયું નથી.’ નરસિંહભાઈનું પુસ્તક ‘લગ્નપ્રપંચ’  સ્ત્રીઓના શોષણનો ઉગ્ર વિરોધ અને તેમની સમાનતાની જુસ્સાદાર હિમાયત કરનારું હતું. પશ્ચિમી દેશોમાં ‘ફેમિનિઝમ’ની ઝુંબેશ શરૂ થઈ તે પહેલાં લખાયેલા એ પુસ્તકને કારણે કિશોરલાલ મશરૂવાળા જેવા ગાંધીવાદી ચિંતકે નરસિંહભાઈને ‘સ્ત્રીજાતિના એક મોટા વકીલ’ તરીકે ઓળખાવ્યા.

નરસિંહભાઈનું બીજું ક્રાંતિકારી પુસ્તક હતું ‘ઈશ્વરનો ઈન્કાર’. નાસ્તિકતા વિશેના વિચાર આટલા તર્કબદ્ધ રીતે અને સ્પષ્ટતાપૂર્વક રજૂ કરવાનું આજે પણ સહેલું નથી, ત્યારે ૧૯૩૩માં આવું પુસ્તક લખનાર નરસિંહભાઈની વૈચારિક સ્પષ્ટતા અને નૈતિક હિંમત વિશે કલ્પના કરવી રહી. ત્યાર પછી એક પ્રસંગે નડિયાદની અદાલતમાં જુબાની પહેલાં સોગંદ લેવાના થયા ત્યારે નરસિંહભાઈએ કહ્યું હતું, ‘હું ઈશ્વરને માનતો નથી અને માનતો હોઉં તો ય સોગંદ લેવા એ મારા ધર્મવિરુદ્ધ માનું છું.’ ન્યાયાધીશે આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ છેવટે સાચું બોલવાની પ્રતિજ્ઞા લઈને નરસિંહભાઈને સાક્ષી આપવાની રજા મળી. જુબાની પૂરી થયા પછી એક વકીલે કહ્યું, ‘એટ લાસ્ટ, નરસિંહભાઈ એન્ડ ટ્રુથ ઓલ આર વન એન્ડ ધ સેમ.’ (આખરે, નરસિંહભાઈ અને સત્ય એક જ છે.’) એ સાંભળીને ન્યાયાધીશે કહ્યું, ‘યસ.’ નરસિંહભાઈનાં લખેલાં કેટલાંક પુસ્તકો ગાંધીજીએ જેલવાસ દરમિયાન વાંચ્યાં હોવાની નોંધ મળે છે. તેમાં પણ ‘આફ્રિકાના પત્રો’ વાંચ્યા પછી ગાંધીજીએ મહાદેવભાઈને કહ્યું હતું કે ‘એમનું (નરસિંહભાઈનું) નિખાલસપણું બહુ વખાણવા જેવું છે.’

સરદાર પટેલની જેમ પાટીદારના કુરિવાજો વિશે ચીડ ધરાવતા નરસિંહભાઈ સુધારાની શરૂઆત ઘરથી કરવામાં માનનારા હતા. ભાઈના લગ્ન પ્રસંગે પિતાએ કન્યાપક્ષ પાસે દહેજ માગ્યું. નરસિંહભાઈ ત્યારે કોલેજમાં ભણે. તેમણે દહેજનો વિરોધ કર્યો, એટલે પિતાજીએ તેમને કહ્યું, ‘દહેજ ન લઉં તો તારી કોલેજનો ખર્ચ શી રીતે નીકળશે?’ એ સાંભળીને નરસિંહભાઈએ નિર્ણય કર્યો, ‘મારો અભ્યાસ દહેજના રૂપિયાથી આગળ વધવાનો હોય તો મારે વધારે ભણવું નથી.’ અને એમણે અભ્યાસ છોડીને શિક્ષકની નોકરી લઈ લીધી.

આફ્રિકા – શાંતિનિકેતન થઈને આણંદ આવ્યા પછી ૧૯૨૪માં તેમણે ‘પાટીદાર’ માસિક શરૂ કર્યું. સામાન્ય રીતે જ્ઞાતિનાં માસિકો ‘જ્ઞાતિગૌરવ’ની લાગણીમાં અને જ્ઞાતિવાદની સંકુચિતતામાં હિલોળા લેનારાં હોય છે, પરંતુ નરસિંહભાઈનું ‘પાટીદાર’ એમાંનું ન હતું. ‘પાટીદાર’ના જેઠ, સંવત ૧૯૮૮ના અંકમાં પ્રગટ થયેલા એક પત્રમાં નરસિંહભાઈએ લખ્યું હતું, ‘બેશક ‘પાટીદાર’ મારું અંતિમ ધ્યેય નથી. ‘પાટીદાર’, ‘હિંદુ’ એ નામનો તો નાશ જ થવો જોઈએ. ‘માનવી’ એ જ સ્વાભાવિક નામ હોઈ શકે. ‘પાટીદાર’ પાટીદાર મટી માણસ થાય એ જ ‘પાટીદાર’ ચલાવવાનો મારો હેતુ છે. અંતિમ ધ્યેય છે. એ હેતુ, એ ધ્યેય સિદ્ધ ન પણ થાય. પણ તો ય એમાં મારે શું? મારે તો મારું કરવું રહ્યું. તે કર્યા કરીશ. એમાં ય અંતરાયો ક્યાં નથી?’

‘પાટીદાર’ના કારતક, સંવત ૨૦૦૧ના અંકમાં નરસિંહભાઈએ વિદાયનોંધ લખી. ‘સ્થાપક અને નિવૃત્ત તંત્રી : શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઇ પટેલ’ એવી ક્રેડિટ ધરાવતા એ અંકમાં તેમણે પત્નીના અવસાનથી આવેલી માનસિક અપંગતા અને લકવાના પરિણામે ડાબા હાથે આવેલી અપંગતાની વાત કરીને લખ્યું હતું, ‘પાટીદાર શરૂ કર્યું ત્યારથી જમણો હાથ થાક્યાના પરિણામે ડાબે હાથે બઘું લખવાનું કામ કરું છું. પણ તે જ હાથે લકવો થયાથી હવે લખવાની કંઈ પ્રવૃત્તિ થઈ શકે એમ નથી. તેથી ‘પાટીદાર’ ચલાવવું મુશ્કેલ જણાય છે. તેથી એકવીસ વર્ષ સુધી ‘પાટીદાર’ને પાળીપોષીને મોટું કર્યા પછી ચાલુ અંકથી તેને ચલાવવાનું તંત્રી ભાઈ ઈશ્વર પેટલીકરને સોંપી દઈને હું તમારી સૌની વિદાય લઉં છું …’

છેલ્લી અવસ્થામાં શારીરિક રીતે અપંગ બન્યા પછી પણ નરસિંહભાઈની વૈચારિક સ્પષ્ટતા અડીખમ રહી. આઝાદી મળ્યાનાં બે વર્ષ પહેલાં ૨૭ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ તેમનું અવસાન થયું. પછીનાં વર્ષોમાં દેશભક્તોને તેમના કર્મના આધારે નહીં, પણ તેમના જન્મની જ્ઞાતિના આધારે વટાવી ખાવાનો રાજકીય અને સામાજિક ધંધો શરૂ થયો, ત્યાં સુધીમાં નરસિંહભાઈની વિસ્મૃિત સંપૂર્ણ બની ચૂકી હતી.

Sunday, September 06, 2015

સૌજન્ય : http://www.urvishkothari-gujarati.blogspot.co.uk/2015/09/blog-post_6.html

Loading

15 September 2015 admin
← Super Marketni Century : Graahakoni Aazaadine Konun Laagyun Grahan ?
Samagra Meghani Sahitya, Jayantbhaina SampaadanmaM →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved