Opinion Magazine
Number of visits: 9446626
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કટોકટીની ચાલીસી નિમિત્તે

પરેશ ર. વૈદ્ય|Opinion - Opinion|20 July 2015

૨૫ જૂન, ૧૯૭૫ના રોજ જાહેર કરાયેલ કટોકટીને ૪૦ વર્ષ પૂરાં થયાં. તે દરમિયાન થયેલા જુલમોની વાતો તો કટોકટી ઊઠ્યા પછી બહાર આવી અને તેથી આજે તો બધાને તેનો તિરસ્કાર છે. પરંતુ એ ચાલુ હતી તે દરમિયાન ઘણા લોકો એવા હતા, જે તેનાં વખાણ કરતા. પણ તેમાં આ લખનારની પેઢી, (જે અત્યારે ૬૦ થી ૭૦ વર્ષની વચ્ચે  છે) તે સામેલ નથી. ખાસ કરીને ગુજરાતમાં. તેનું કારણ એ કે જ્યારે અમે તરુણાવસ્થામાંથી યુવાની તરફ જઈ રહ્યા હતા, ત્યારે જ ‘ઇન્દિરા’ નામની ઘટના આકાર લઈ રહી હતી. તેનાં નાટકીય તત્ત્વોએ અમારા પર સારી છાપ નહોતી છોડી.

૧૯૬૬માં કૉલેજનાં પહેલા વર્ષમાં હતા, ત્યારે સિન્ડિકેટ અને મોરારજીભાઈ વચ્ચેની ખેંચતાણ એ અમારી રિસેસમાં ચર્ચાનો વિષય રહેતો. ભુજની લાલન કૉલેજના પ્રાંગણમાં તડકો શેકતા એ વિષય પર વાતો કરવામાં લખનારની સાથે કર્મશીલ દીપક ધોળકિયા પણ હતા. શાસ્ત્રીજી પછી વડાપ્રધાન તરીકે કૉંગ્રેસે સિનિયર સભ્ય મોરારજીને છોડીને સૌથી જુનિયર ઇન્દિરા ગાંધીને પસંદ કર્યાં. તે પછી યંગટર્કની ઘટના અને ૧૯૬૯માં કૉંગ્રેસનું તૂટવું પણ એ સમયે આવ્યું. જ્યારે અમારી પેઢી અભિપ્રાય બનાવતા શીખી રહી હતી. બૅન્કોના રાષ્ટ્રીયકરણ ટાણે મોરારજીભાઈ પાસેથી નાણાંખાતું લઈ લીધું. ત્યારે દુઃખ એટલે નહોતું થયું કે મોરારજીભાઈ લોકલાડીલા હતા, પરંતુ આ બધામાં ઇન્દિરા ગાંધીની ચાલાકી અને કાવાદાવામાં નિપુણતાની ગંધ આવતી હતી. આથી જ તેમાંના ઘણાને બાંગ્લાદેશ યુદ્ધના જ્વલંત વિજય છતાં ઇન્દિરા ગાંધી પ્રત્યે માન વધ્યું નહિ. તે પછી પ્રચંડ ભાવવધારો, સમાંતરે નવનિર્માણ આંદોલન, એમની ચૂંટણી રદ થવી અને બિહાર/જયપ્રકાશનું આંદોલન – એ ઘટનાક્રમને છેડે આવી કટોકટી. મુખ્ય કારણ અલાહાબાદ હાઈકોર્ટનો ચૂંટણી રદ ગણતો ચુકાદો હતો. એ વિષે હવે કોઈને શંકા નથી. કટોકટીની પૂર્વે અને પછી ઇન્દિરા ગાંધીને ન્યાયતંત્ર જોડે ઝગડો હતો જ.

પચીસમી જૂનના સાંજે સમાચાર આવ્યા, ત્યારે આ લખનાર ભુજમાં હતો અને ૨૬મી એ સવારે મુંબઈ જવા નીકળવાનું હતું. મનમાં વિચિત્ર ધૂંધવાટ હતો. ૮-૧૦ કાગળો ઉપર કટોકટી વિરુદ્ધના સૂત્રો લખ્યાં. સ્ટેશને-સ્ટેશને ઊતરીને જ્યાં જગા મળી – બૅંચ, ટી-સ્ટૉલ, પાણીનો નળ-ત્યાં કાગળ મૂક્યા. અસર જે થઈ હોય તે, મનને શાંતિ થઈ. મુંબઈ આમ તો અમદાવાદ કે દિલ્હી જેવું રાજકીય રીતે ‘ઍક્ટિવ’ શહેર નથી, પરંતુ કાયદાના નિષ્ણાતોનું સ્રોત રહ્યું છે. ન્યાયતંત્ર અને બંધારણ સાથે ચેડાં થવા લાગ્યાં ત્યારે અહીં રહીને મહત્ત્વની સભાઓ અને મિટીંગોનો લહાવો મળ્યો. હિન્દુસ્તાની આંદોલન નામની સંસ્થા પૂર્વસાંસદ મધુ મહેતાએ સ્થાપેલી. તેના સંપર્કમાં રહ્યો. મુંબઈ સર્વોદય મંડળની તારદેવ ઑફિસમાં છાત્ર-સંઘર્ષ વાહિનીની મિટિંગો થતી. રંગા દેશપાંડેના સૂચનથી તેની બે-ચાર મિટિંગમાં હાજરી આપી. આ બધાથી સંતોષની લાગણી થતી કે લોકો તદ્દન ચૂપ નથી, કશુંક ચાલી રહ્યું છે.

‘કમિટેડ ન્યાયતંત્ર’ના પ્રચાર વચ્ચે જસ્ટિસ એ.એન. રેને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા, ત્યારે બીજા ત્રણ ન્યાયાધીશોની સિનિયોરિટી અવગણવામાં આવી. આથીએ ત્રણેએ ૨૬ એપ્રિલ ૧૯૭૩ના રાજીનામાં આપ્યાં. તેમના ટેકામાં ક્રિકેટક્લબ ઑફ ઇન્ડિયાના ચોગાનમાં એક જાહેરસભા થઈ. સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવામાં આવી સભાઓનો મોટો ફાળો રહ્યો હશે. સભામાં લૉ કમિશનના માજી ચૅરમેન મોતીલાલ સેતલવાડ ૮૮ વર્ષની જૈફવયે પણ હાજર રહ્યા. સાથે જસ્ટિસ હિદાયતુલ્લા અને જે. સી. શાહ પણ બોલ્યા. હિદાયતુલ્લાએ વારંવાર યાદ દેવરાવ્યું કે સામ્યવાદીમાંથી કૉંગ્રેસી બનેલા કુમારમંગલમ્ આ બધા માટે જવાબદાર હતા. જે સરકારની નીતિઓને ટેકો આપે તેને જ પ્રમોશન આપવામાં આવે તો રહેવા હવેથી થઈ. જસ્ટિસ રેને લાંબી ટર્મ મળી શકે તેથી વહેલા ચીફ જજ બનાવાયા છે તેવી દલીલને કાપતા જસ્ટિસ શાહે કહ્યું કે હું તો માત્ર ૪૫ દિવસ માટે ચીફ જસ્ટિસ હતો; તો શું ફરક પડ્યો? પૂર્વ ઍટર્ની જનરલ દફતરીએ ધ્યાન ખેચ્યું કે આ મુદ્દો માત્ર ન્યાયાધીશો કે વકીલો  માટેનો જ નથી, તમારા સર્વનો છે, કારણકે હવેથી ન્યાયાધીશો જે ચુકાદો આપશે, તે ન્યાયને જોઈને નહિ પણ પોતાની કૅરિઅર વિશે વિચારીને આપશે.

બંધારણસભાના સેક્રેટરી આયંગાર પણ એક વક્તા હતા. ન્યાયતંત્ર શા માટે સ્વતંત્ર રાખવામાં આવ્યું છે, તે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેમણે સમજાવ્યું. કહે કે રાજકારણીઓનો મોટો દોષ છે કે એ પોતાને કાયમી માને છે. ઇન્દિરા પણ આ ગ્રંથિથી પીડાય છે. તેણે કરેલા ફેરફારોનો તેના અનુગામીઓ દુરુપયોગ કરી શકે છે, તે તેને નથી સમજાતું! ( બિચારા આયંગાર – ઇન્દિરા પોતે જ દુરુપયોગ કરશે તે તેઓને ન સમજાયું). ઇન્દિરાના ચુસ્ત સમર્થક ખુશવંતસિંહને પણ નિમંત્રણ હતું, પરંતુ તેઓ બોલવા આવ્યા જ નહિ. છેલ્લે બોલ્યા સ્ટેજ પર સૌથી યુવાન એવા નાની પાલખીવાળા. કહે કે જો ન્યાયધીશ સરકારની ફિલસૂફીને વરેલો (કમિટેડ) હોય, તો તે ન્યાયાધીશ છે જ નહીં. જો ન્યાયતંત્ર ખરેખર સ્વતંત્ર હોય, તો બંધારણમાંથી મૂળભૂત અધિકારોનું પ્રકરણ જ કાઢી નાખો તો ય ચાલે! તેમણે પણ એ વાત પર ભાર આપ્યો કે તમે માત્ર સાંભળવા નથી આવ્યા, પૂરો વિરોધ કરો.

આવી જ એક બીજી રોમાંચકારી મિટિંગ કટોકટીની વચ્ચોવચ થઈ, ૪૨મા બંધારણસુધારાના વિરોધમાં.  હિન્દુસ્તાની આંદોલનના નેજા હેઠળ ચર્ચગેટમાં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ઘીયા હૉલમાં છઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૬ના રોજ આ સભા મળી. તેને વિરોધસભા કહેવાને બદલે ‘ મૂળભૂત અધિકારો અને ફરજોના સંદર્ભમાં સીમ્પોઝિયમ’ એવું નામ આપ્યું. તેમ છતાં સિવિલ ડ્રેસમાં ઢગલાબંધ પોલીસ અને ઇન્ટેલીજન્સ બ્યૂરોના માણસો ઑડિયન્સમાં ભળેલા હતા. ૨૦૦ – ૨૫૦ લોકોની હાજરી એ વાતાવરણમાં સારી ગણાય. અધ્યક્ષસ્થાને એમ.સી. ચાગલા હતા. પરંતુ ખાસ્સી ૪૦ મિનિટ એ પોતે જ બોલ્યા. મહારાષ્ટ્રના ઍડ્વોકેટ જનરલ રામરાવ આદિક, ફ્રી-પ્રેસ જર્નલના શ્રી સી.એસ. પંડિત, મધુ મહેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ સોલી સોરાબાજી વક્તાઓ હતા. રામરાવ આદિકને લોકોએ ધારાશાસ્ત્રી કરતા શાસકપક્ષના પ્રતિનિધિ તરીકે જોયા અને લગભગ હુરિયો બોલાવી, બોલવા જ ન દીધા.

જસ્ટિસ ચાગલાએ ૪૨મા સુધારાની એક-એક કલમ લઈને તેમાં રહેલી વિસંવાદિતા દર્શાવી. શરૂમાં કહે કે આજે સવારે મને પોલીસ કમિશનરે ફોન કરીને કહ્યું કે ‘કટોકટીની ટીકા ના કરતા’, આ જ બતાવે છે કે આપણા મૂળભૂત અધિકારો કેટલાક છે! કટોકટીનો પાયો એટલો નબળો (brittle) છે કે ટીકાનો ભાર ન ઝીલી શકે! બંધારણના નવમાં શિડ્યુલમાં એવી બાબતોનું લિસ્ટ છે કે જેને કોર્ટમાં પડકારી ન શકાય; ૧૯૭૧માં આ યાદીમાં ૮૧ આઇટેમો હતી, આજે ૧૧૬ છે. આ ભારતના ન્યાયતંત્રની પહોંચની મર્યાદા બતાવે છે. બંધારણના આ સુધારામાં એમ પણ સૂચવ્યું છે કે હવેથી બંધારણને લગતી બાબતોમાં ચુકાદો ન્યાયધીશોની ૨/૩ બહુમતીથી જ આવવો જોઈએ. જો સાત જજમાંથી ચાર એક તરફ મત આપે તો પણ ચુકાદો પાસ ન થાય અને ત્રણ જજ કહે તે ચુકાદો ગણાય. એમ.સી. ચાગલાએ ગુસ્સ્સાથી કહ્યું કે આવું ‘નૉન-સૅન્સ’ તો દુનિયામાં ક્યાં ય સાંભળ્યું નથી.

રામરાવ આદિક પર કટાક્ષ કરતા કહે કે હું તો અદનો માણસ છું, મારી પાસે ટીવી, રેડિયો વગેરેનો ટેકો નથી, એટલે પ્રોપગેન્ડાના આ દિવસોમાં અમારી વાત લોકો સુધી કેમ પહોંચશે? આથી આપ શ્રોતાઓનું કામ છે કે અહીં કહેવાય તે બહાર જઈને મિત્રોને કહેજો. ‘લોકશાહીમાં કશું કાયમી નથી અને સંજોગો બદલી શકે છે’. એમના ભાષણ પછી એટલા લાંબા સમય સુધી તાળીઓ ચાલતી રહી, જેટલી અગાઉ ક્યારે ય નહોતી સાંભળી. લોકોના મનમાં જે ધૂંધવાટ હતો, તેને જાણે માર્ગ મળ્યો હોય. એમના સૂચનના અમલ તરીકે જ આ અહેવાલ તૈયાર કરી અમુક વ્યક્તિ સંસ્થાઓને મોકલ્યો. ૪૨મા સુધારાની ઘણીખરી ખામીઓ જનતા સરકારે ૧૯૭૮માં ૪૪મો સુધારો લાવીને સુધારી લીધી. અને તેથી આજે આપણે એટલા જ આઝાદ છીએ જેટલા ૧૯૬૯માં હતા. પરંતુ આપણામાંના ઘણાને સત્તા સામે વગર જરૂરે ઝૂકવાની ટેવ છે – તેનો શો ઉપાય?                                           

e.mail : pr_vaidya@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 18 and 16

Loading

20 July 2015 admin
← મંગલ પાંડેની શહીદી Vs ટેલિગ્રાફની શક્તિ
હું, અમદાવાદ અને આભડછેટ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved