Opinion Magazine
Number of visits: 9448741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિક અમિતભાઈ શાહને નામ એક જાહેર પત્ર

ગણેશ દેવી|Opinion - Opinion|1 January 2020

“કોઈ પણ ભારતીય નાગરિકે નાગરિકત્વ સુધારા કાયદાથી ડરવાની જરૂર નથી.” કેવી સરસ વાત કરી, અમિતભાઈ! જે મારા ભાઈઓ અને બહેનો હિન્દુ, જૈન, બૌદ્ધ, શિખ, પારસી અને ઈસાઈ છે અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ધાર્મિક કારણે દમનથી બચવા ભારતમાં ગેરકાનૂની સ્થળાન્તર કરીને આવ્યાં છે, તેમને ભારે રાહત થશે. બીજા પ્રત્યે આટલી સહાનુભૂતિ અને ઊંડી કરુણા દર્શાવવા માટે તમારો ઘણો આભાર. તેમની જુલમની પીડા પર મલમ લગાવવામાં તમે જે દયા દાખવી છે તે માટે તેઓ અને તમામ ભારતીયો તમારા આભારી રહેશે.

પણ તેમના ઉપરાંત બીજા લોકો પણ છે. બાંગ્લાદેશમાં મ્રો નામનો એક વંશીય (એશનિક) આદિવાસી સમુદાય છે, જેમના પોતાનાં દેવદેવીઓ છે. મ્રો આદિવાસીઓ મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ગુરુદ્વારા, દેરાસર કે સિનેગોગમાં નથી જતા. તેઓ માત્ર પ્રકૃતિની પૂજા કરે છે. દૈવ અંગેના તેમના વિચારથી પરિચિત ન હોવાના કારણે નૃવંશશાસ્ત્રીઓ અને વસતિ ગણતરીકારો ધર્મના ખાનામાં તેમને ‘એનિમાસ્ટિક’ ગણે છે. અને મ્રો એકલાનો સવાલ નથી. મૈતેઈ, ત્રિપુરા, માર્મા, તાંચાંગ્યા, બરુઆ, ખાસી, સંથાલ, ચકમા, ગારો, ઓરાઓં, મુન્ડા, માર્માસ અને ત્રિપ્પેરાસ પણ છે. એવી અગિયાર આદિજાતિઓ છે જેમાંના મોટા ભાગના લોકો ચિત્તાગોંગ ટેકરીઓના વિસ્તારમાં રહે છે. બાંગ્લાદેશમાં તેમને ‘લઘુમતી’ ગણવામાં આવે છે.

આ આદિવાસીઓ ઘણા લાંબા સમયથી એક ઈસ્લામી પ્રજાસત્તાકના નાગરિકો છે અને, તમારી જેમ, તેમને પણ ધાર્મિક સતામણીનો ડર છે. ભાઈ, તમારી કૃપાદૃષ્ટિમાંથી તેઓ કેમ બાકાત રહી ગયા? એટલે તો નહિ ને કે પોતાને હિન્દુ ન ગણાવતા હોય તેવા આદિવાસી બાબતે આર.એસ.એસ. કદાચ રાજી ન હોય? બાંગ્લાદેશના સત્તાવાર આંકડા પ્રમાણે આવા લગભગ નવ લાખ આદિવાસીઓ ત્યાં વસી રહ્યા છે, અને આઝાદી પૂર્વેની વસતિ ગણતરીઓ અનુસાર કદાચ એટલી જ સંખ્યામાં તેઓ અત્યારે મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને અસમમાં રહેતા હોઈ શકે છે. તેમનું શું?

અત્યાર સુધીમાં ઘણા લોકો તમને માહિતગાર કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે કે પાકિસ્તાનમાં શિયા અને અહમદી જેવા ‘અન્ય’ ઈસ્લામી સંપ્રદાયો પણ છે જેમને ધાર્મિક કારણે જુલમ સહન કરવો પડે છે. પૂરી નિખાલસતાથી વાત કરીએ તો, અમે સમજીએ છીએ કે ઈસ્લામની વાત આવે અને તમને અગવડ થાય છે, પરંતુ જ્યારે નૅશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ થશે ત્યારે તમે સૂફી, મદારી, દરવેશ અને બાઉલ – જે સૌ અલ્લાના નામે રહેમ માગે છે – તેમનું શું કરશો? તેમનું રહેવાનું ચોક્કસ સરનામું નથી, તેમની પાસે કોઈ ઓળખપત્ર નથી, વંશપરંપરા સાબિત કરવા કશું નથી. તમે યુદ્ધના ધોરણે જે ડિટેન્શન કૅમ્પ ઊભા કરી રહ્યા છે તેમાં ધકેલાનારા સૌથી પહેલા આ લોકો હશે?

તમારા ખરડાના સમર્થનમાં લોકસભામાં ૩૧૧ અને રાજ્યસભામાં ૧૨૫ બટન દબાયાં તે માટે અભિનંદન. તમને કે એમને એ માલૂમ હતું કે એક બટન દબાવ્યે તમે વિશાળ સંખ્યામાં એવા લોકોને મતવિહોણા કરી નાખ્યા છે જેમનો અવાજ કદાચ કદી તમારી સુધી પહોંચવાનો નથી? આવી પ્રજામાં સૌથી પહેલાં દેશભરમાં રહેતા બસોએક સમુદાયોના આશરે ૧૩ કરોડ ડિનોટિફાઈડ અને વિચરતા લોકો આવે છે. અંગ્રેજ શાસન દરમિયાન તેમને ૧૮૭૧ના ‘ગુનાઈત આદિવાસીઓના કાયદા’ હેઠળ ખોટી રીતે ગુનાઈત ગણાવવામાં આવ્યા હતા, અને જવાહરલાલ નહેરુએ ૧૯૫૨માં ડિનોટિફિકેશનની પ્રક્રિયા આદરીને તેમનું એ કલંક મિટાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં સુધીમાં તેઓ ૧૯૫૧ની વસતિ ગણતરીમાં સામેલ થવાની તક ચૂકી ગયા હતા. એ પછીથી જ્યારે વસતિ ગણતરીના આધારે નૅશનલ સિટિઝન્સ રજિસ્ટર બનાવાયું ત્યારે તેઓ મોડા પડી ચૂક્યા હતા. થોડા ઓછા કમનસીબ એવા અમુક સમુદાયોને બાદ કરતાં બાકીના ન તો શિડ્યુલ્ડ ટ્રાઈબ(એસ.ટી.)માં સમાવેશ પામ્યા, ન શિડ્યુલ્ડ કાસ્ટ(એસ.સી.)માં.

તમારી એ દલીલ સાચી છે અમિતભાઈ, કે નહેરુએ પાકિસ્તાનના નેતા લિયાકત અલી ખાન સાથે સમજૂતી ના કરી હોત, તો તમારે અન્ય દેશોમાં સતાવાયેલા હિન્દુઓને ભારતીય નાગરિક તરીકે સ્વીકારવાની આ બધી પળોજણ કરવી ના પડી હોત. નહેરુએ જે કાંઈ કર્યું તે બધાને ઉલટાવવાનો તમારો અડગ નિર્ધાર પ્રશંસનીય છે. પણ ભારતની ડિનોટિફાઈડ જાતિઓ(ડી.એન.ટી.)નું શું? તેઓ હજુ ચાર રસ્તાની લાલ બત્તીએ ફુગ્ગા વેચે છે અને તેમની પાસે કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર નથી, ન આધાર કાર્ડ, ન ગૅસ જોડાણ, ન વીજળી બિલ, પછી પાસપોર્ટ તો ક્યાંથી હોય. નહેરુએ તેમના ડિટેન્શન કૅમ્પ ૧૯૫૨માં ખોલી નાંખ્યા હતા અને તેમને મુક્ત કર્યા હતા. તે ઘડીએ તેમને જે આશા સાંપડી એ હવે તમે છીનવીને તેમને પાછા એ જ ડિટેન્શન કૅમ્પમાં મોકલશો જ્યાં તેઓ ૧૮૭૧થી ૧૯૫૨ સુધી ફસાયા હતા?

અલબત્ત, ચાહે કાશ્મીર હોય કે ધર્મનિરપેક્ષતા હોય કે અટકાયતમાં મુકાયેલી પ્રજાનું ડિનોટિફિકેશન હોય, બધી મુશ્કેલીઓ નહેરુથી જ શરૂ થાય છે, બીજા કોઈથી નહિ. નરેન્દ્રભાઈ આપણને છેલ્લાં છ વરસથી સમજાવી રહ્યા છે કે આપણી બધી સમસ્યાઓના જડમાં નહેરુ, રાજીવ અને કૉંગ્રેસ જ છે. તમે, નરેન્દ્રભાઈ અને તમે જેમનો વારસો લઈ આવ્યા છો તે આર.એસ.એસ.ના નેતાઓ વારંવાર કહી ચૂક્યા છે કે સેક્યુલરિઝ્‌મની ભારતની સમજ ભારે ભૂલભરેલી છે. દયા આવે એવી વાત છે કે અમે સ્યુડો-સેક્યુલરો એટલું સમજવા તૈયાર નથી કે ભારતમાં રહેતી દરેકેદરેક વ્યક્તિ હિન્દુ છે, ચાહે તે પોતે પોતાના ધર્મ વિષે કાંઈ પણ દાવો કરે કે પોતે કોણ છે તે વિષે કાંઈ પણ માને. ગાય પર ખતરો હોવાની સાચીખોટી માન્યતાના કારણે જ્યારે લોકો ટોળે વળીને કોઈ બિચારાને રહેંસી નાખે અને દેશભરમાં બુદ્ધ, બાસવન્ના, કબીર, મીરા, નાનક અને ગાંધીને યાદ કરીને આપણી સંમિલિત પરંપરાઓની વાત થાય ત્યારે ‘દેશભક્તો’ કેવા વાંસે પડી જાય છે તે તો તમારી જાણમાં હશે જ.

તમે સારું કર્યું કે કાશ્મીરને આટલા મહિનાઓથી નિર્‌-વાચ બનાવી દીધું, બિનજરૂરી સવાલો પૂછતા લોકોને ચૂપ કરી દીધા, અને માત્ર સરખા વિચારના યુરોપીય લોકોને જ કાશ્મીર આવવા દીધા જેથી તેઓ જોઈ શકે કે આખો પ્રદેશ કેવો શાંત થઈ ગયો છે. જામિયા મિલિયાના કૅમ્પસ પર પોલીસના ગોળીબાર પછી તમે દેશને જે કહ્યું કે તોફાની તત્ત્વોને દંડ મળશે એ અને નાગરિકતા કાયદા સામે વિરોધો બહાર આવ્યા ત્યારે તમે કલમ ૧૪૪ લાગુ કરી એ પણ ભલું જ કર્યું. અમે તો હજુ યાદ કરીએ છીએ, તમે કેવી રીતે ગુજરાતમાં કોમી રમખાણોને ‘અંકુશ’માં લાવી દીધાં હતાં, અને તમારી સમજ મુજબના ‘ભારતીયતાના મૂળ સત્ત્વ’(‘આઇડિયા ઑફ ઇન્ડિયા’)ને પૂર્ણ સમર્પિત રહીને રમખાણના કેસોનો કેવો નિકાલ લાવ્યા હતા.

પણ, અમિતભાઈ, ભારતના નાગરિકો જ્યારે ટી.વી. પર દેખાવો જોઈ રહ્યા છે અથવા એમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે આ ‘વિન્ટર ઑફ ડિસકન્ટેન્ટ’, (નારાજીનો આ શિયાળો) જરા જુદો છે. ચિત્રમાં એના એ જ, ‘ટુકડે-ટુકડે’ ટોળીવાળા તમારા કાયમી વિરોધીઓ જ નથી. વિરોધમાં વિશાળ સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ અને યુવાન નાગરિકો પણ જોડાયા છે જે કોઈ રાજકીય છાવણીમાં નથી. તેઓ અજબ વાતો કરે છે, જેમ કે, ‘માનવ માત્ર સૌથી પહેલાં તો માત્ર માનવ છે.’ તેઓ ભારતીય નાગરિક હોવાનો દાવો કરે છે – જો કે તમે કદાચ સંમત ન થાવ – અને તેઓ તેમનો ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ જીવંત રાખવા માગે છે. અમિતભાઈ, એવું બને કે ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું છે? આમ તો તમને સામાન્ય રીતે તો આત્મ-સંદેહ થતો નથી, પણ તમને નથી લાગતું, ક્યારેક એવી ઘડી આવે છે જ્યારે હર કોઈ માટે પોતાના વિચાર અને વર્તન વિશે એક વાર ફેરવિચાર કરવાની આવશ્યકતા ઊભી થાય છે? શું તમે નથી વિચારતા કે આ દેશના જે નાગરિકો નાગરિકતાને ધર્મ, ભાષા, જાતિ વગેરેથી ઉપર સમજે છે તેઓ તમને કંઈક સંદેશ આપી રહ્યા છે? શું તમે વિચારો છો ખરા, અમિતભાઈ?

(લેખક સાહિત્યવિવેચક અને સાંસ્કૃતિક કર્મશીલ છે, પિપલ્સ લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે અને લેખકોના ‘દક્ષિણાયન’ નામના અભિયાનના આગેવાન છે.)

[Courtesy : Free Press Journal]

અનુવાદ − આશિષ ઉપેન્દ્ર મહેતા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 01-02

મૂળ અંગ્રેજી લેખની કડી :-

https://www.freepressjournal.in/analysis/an-open-letter-to-citizen-shah-ganesh-devy

Loading

1 January 2020 admin
← સ્વ. હરનિશ જાની સ્મૃતિ ‘હાસ્યરચના-સ્પર્ધા’
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો ખુદા છે કે નહીં હાક મારી તો જો →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved