Opinion Magazine
Number of visits: 9484372
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માસ પ્રમોશનને મામલે સરકારે અનિશ્ચિત અને અપ્રમાણિક સિદ્ધ થવાનું કૈં કામ છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 June 2021

દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાઓ રદ્દ થઈ અને સરકારે માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું. આવું  ગુજરાતમાં જ થયું, એવું નથી. ઘણાં રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી અને આગલી પરીક્ષાઓને આધારે પરિણામો નક્કી કરવા જણાવ્યું. ગુજરાતે પણ 10માં ધોરણની પરીક્ષાનું પરિણામ નક્કી કરવા નીતિનિયમો ઘડયાં. ધોરણ 10નાં પ્રથમસત્ર અને એકમ કસોટી સાથે, 9ની બંને સત્રની પરીક્ષાના માર્કસ પ્રોરેટા મુજબ મૂકવાનું નક્કી થયું. માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ ન કરવાનું તથા આંતરિક મૂલ્યાંકન માટે 20 ગુણમાંથી અને 9 અને 10ની લેવાયેલી કસોટીઓમાંથી 80માંથી માર્ક્સ આપવાનું ઠરાવાયું. દરેક કસોટીનું મહત્ત્વ જળવાય એ રીતે ચોક્કસ ટકાવારી દ્વારા 80 ગુણમાંથી ચાર માપદંડો નક્કી કરીને પરિણામ તૈયાર કરવાનું શાળાઓના આચાર્યોને કહેવાયું. આ ગણતરીઓ કરતાં ઘણી સ્કૂલો હાંફી જાય એમ છે ને આ રીતે 8.37 લાખ વિદ્યાર્થીઓની ગણતરી બધી સ્કૂલોએ કરવાની થાય છે. તે પછી પણ કોઈને નાપાસ કરવાના જ ન હોય તો સવાલ એ થાય કે આટલી કસરત શેને માટે? ન લેવાયેલી પરીક્ષાનું પરિણામ, આટલી તકેદારીથી નક્કી કરવા છતાં, સાચું પરિણામ હાથ લાગે એમ જ નથી, કારણ કે આ વર્ષે પરીક્ષાઓ જ લેવાઈ નથી.

એ સાચું કે આ પદ્ધતિ મુજબ માર્કસ આપતાં જે હોંશિયાર વિદ્યાર્થી છે તેને આ પરિણામ થોડો ન્યાય કરે, પણ જે ન્યાય થશે તે તો અગાઉ લેવાયેલી પરીક્ષા સંદર્ભે હશે. એથી વાર્ષિક પરીક્ષા થઈ હોત ને જે પરિણામ આવ્યું હોત તે પરિણામ તો આ નથી જ ! બને કે આવેલાં પરિણામ કરતાં, આવ્યું હોત તે પરિણામ વધારે સારું અથવા નબળું હોત, પણ એનો જે સંતોષ હોત તે આ ટકાવારીનો ન જ હોય. એ સંતોષ હોત, આ સમાધાન છે. ગમે એટલું પરફેક્ટ પરિણામ આ હોય તો પણ તે ન લેવાયેલી પરીક્ષાનું છે એ ન તો સરકાર ભૂલી શકે એમ છે કે ન તો વિદ્યાર્થી ! આ પરિણામથી જેને કારકિર્દીનો કે અભ્યાસનો ખાસ રસ નથી ને તેને ડી ગ્રેડ મળે કે એ, બહુ ફરક પડે એમ નથી, આ વ્યાયામ એવાઓ માટે થઈ રહ્યો હોય એવું વધારે છે, પણ એક નીતિ નક્કી થઈ હોય તે મુજબ વર્તવું પડે એમ જ હોય તો બીજો ઈલાજ નથી.

આ એવી વ્યવસ્થા છે કે વિદ્યાર્થી નાપાસ થવા માંગે તો પણ તેમ થઈ શકે એમ નથી, કારણ નાપાસ થતા હોય તેમને ખૂટતા ગુણ ઉમેરીને પાસ કરવાનો અધિકાર બોર્ડે પોતાની પાસે રાખ્યો છે. ધારો કે કોઈ વિદ્યાર્થીએ એક પણ પરીક્ષા આપી નથી તો તેનાં એક વિષયના 100માંથી 33 ગુણ બોર્ડ ઉમેરી આપશે અને એ ધોરણ બધા વિષયોને લાગુ પડશે. મતલબ કે બધા વિષયમાં, દરેકના 33 લેખે ગુણ ઉમેરીને બોર્ડ જે તે વિદ્યાર્થીને ડી ગ્રેડમાં પાસ કરી શકશે. બિલકુલ નાપાસને પાસ કરવાનું જ્યારે થઈ જ રહ્યું છે, ત્યારે રિપીટર્સનો વિચાર પણ કરવા જેવો છે. એક પણ પરીક્ષા આપ્યા વગર દરેક વિષયમાં 33 માર્કની લ્હાણી બોર્ડ કરવાનું હોય તો રિપીટર્સને એ લાભ શું કામ ન આપવો, જ્યાં એ સૌએ કમસેકમ એક વાર તો પરીક્ષા આપી જ છે !

આમ તો માસ પ્રમોશનનાં પરિણામની અને રેકોર્ડ સાચવવાની જવાબદારી આચાર્ય પર છે. પરિણામના આધાર તરીકે ડૉક્યુમેન્ટ પર શાળા સમિતિની સહીઓ લેવાનું અને એનું વેરિફિકેશન બોર્ડ કે ડી.ઈ.ઓ. કરી શકે તે માટે પુરાવાઓ રજૂ કરવાનું ને તેની ખરાઈ કરવાનું પણ ફરજિયાત કરાયું છે ને એવી જાહેરાત પણ થઈ કે જે તે પરિણામો માસ પ્રમોશનથી જાહેર થતાં હોઈ પૂરક પરીક્ષાઓ નહીં લેવાય.

ગમ્મત તો એ છે કે આટલી કાળજી અગાઉ સાધારણ સંજોગોમાં લેવાયેલી પરીક્ષાઓમાં નથી લેવાઈ જેટલી ન લેવાયેલી પરીક્ષાઓ માટે હવે લેવાઈ છે. મુશ્કેલી શું છે કે સરકાર જાણ્યા મૂક્યા વગર પહેલાં તો વ્યવસ્થા ઠોકી પાડે છે, પછી વિરોધ થાય છે તો નમતું જોખે છે. જેમ કે, લેવાયેલી કસોટીઓની ઉત્તરવહીઓ કેટલીક સ્કૂલોએ વિદ્યાર્થીઓને આપી દીધી છે. એ કસોટીમાં આવેલા માર્કસની ટકાવારી હાલની નીતિ પ્રમાણે નક્કી કરવાની હોય તો પુરાવા તરીકે ઉત્તરવહી વેરિફિકેશનમાં મૂકવી પડે જે નથી ને વિદ્યાર્થી પાસે પણ તે હોય જ તેની ખાતરી નથી, કારણ ઉત્તરવહીનો પાછળથી ખપ પડશે એવો અંદાજ કોઈને પણ ન હોય એમ બને, ત્યારે કરવાનું શું? દેખીતું છે કે આચાર્ય, પુરાવો રજૂ ન થઈ શકે એમ હોવાથી વાંધો ઉઠાવે. એવો વાંધો ઊઠ્યો ને સરકારે વેરિફિકેશનની વાત પડતી મૂકવી પડી.

દુનિયા જાણે છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ લેવાઈ નથી. જે અપાઈ રહ્યું છે તે માસ પ્રમોશન જ છે. હોંશિયાર વિદ્યાર્થીને અન્યાય ન થાય એટલે આગળ થયેલી પરીક્ષાઓને આધારે ટકાવારી ને ગ્રેડ નક્કી કરવાનું આચાર્યોને સોંપાયેલું છે, પણ સૌ જાણે છે કે આ ન લેવાયેલી પરીક્ષાનું પરિણામ છે. કોઈ પણ રીતે એ 10માંનું  સાચું પરિણામ નથી. એ નવ-દસનું આગળ લવાયેલું પરિણામ છે, પણ એ જાહેર એવી રીતે થશે કે એ 10માંનું પરિણામ છે. આવો ઢાંકપિછોડો કરવાથી થશે શું? કોરોના કાળમાં બધા પ્રયત્નો છતાં વાતાવરણ એવું ન જ થયું કે બોર્ડની પરીક્ષાઓ થઈ શકે. એવે વખતે પરીક્ષાઓ રદ્દ કરવી એ જ એક ઉપાય બચ્યો ને સરકારે તેમ કર્યું તો તેની શિક્ષણ જગત નાનમ શું કામ અનુભવે છે? આ ગુજરાતમાં જ બન્યું છે એવું નથી. બીજે પણ બન્યું છે. પરીક્ષા લઈ શકાઈ હોત તો લીધી જ હોત, ધોરણ 12ની પરીક્ષાઓનો તો કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો હતો, એ લઈ પણ શકાઈ હોત, પણ ધોરણ 10ની પરીક્ષા તો લઈ શકાય એમ જ ન હતું, તે રદ્દ થઈ. વિદ્યાર્થીઓના જીવના જોખમે તો એ ન જ લેવાયને !

આ સ્થિતિમાં જે થઈ શકે તે સરકારે કર્યું છે, પછી એનો સંકોચ શું કામ? એ ખરું કે માર્કશીટમાં માસ પ્રમોશન લખાય તો હોંશિયાર વિદ્યાર્થીને અન્યાય થાય, પણ માસ પ્રમોશન અપાયું જ છે તો એવું ખોટું શું કામ કહેવું કે માસ પ્રમોશન નથી અપાયું? ધારો કે માસ પ્રમોશન નથી લખાતું તો દુનિયા નથી જાણતી કે પરીક્ષાઓ નથી થઈ? તો, માર્કશીટમાં ન લખવાથી શો ફેર પડશે? જો કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગે છે એમને પરીક્ષાનો વિકલ્પ સરકારે આપવો જોઈએ. વડા પ્રધાને એવો વિકલ્પ આપવાની વાત કરી પણ છે. એ રીતે પરીક્ષા લેવાની અનુકૂળતા ક્યારે થાય અને તેનું પરિણામ ક્યારે આવે ને વિદ્યાર્થીને પ્રવેશ મેળવવામાં તે કેટલું ઉપયોગી થાય એ બધા પ્રશ્નો છે જ, એમ પણ બને કે પરીક્ષાનું પરિણામ આવે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય. એ પણ છે કે શિક્ષણ બોર્ડ ઇચ્છુકોની પરીક્ષા લે અને સાચું પરિણામ મેળવે, પણ તે માસ પ્રમોશનથી પાસ થયેલા વિદ્યાર્થીઓથી બહુ અલગ નહીં પડે. એ રીતે પાસ થનાર પણ માસ પ્રમોશનનો જ ભાગ બની રહેવાનો.

કોઈ પણ નશાખોર વ્યક્તિનાં સંતુલન કરતાં સરકારનું સંતુલન ઓછું છે. માર્કશીટમાં ન લખવાનું નક્કી થયું ત્યાં સરકારને નવું સૂઝ્યું ને ફતવો બહાર પાડ્યો કે માસ પ્રમોશન સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ પર તો લખાશે જ ! તેનો ય વિરોધ થયો એટલે બોર્ડે ફેરવી તોળ્યું કે “માધ્યમિક શિક્ષણ પૂરું થતાં” એવી નોંધ શાળા છોડ્યાનાં કારણમાં મૂકવી. આ અધૂરું છે. એનાથી ખબર પડતી નથી કે કયાં કારણથી સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અપાયું છે? માધ્યમિક શિક્ષણ પૂરું થયું હોય, પણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોય કે આપી હોય એ બંને શક્યતાઓ છે. આપી હોય તો પાસ થયો હોય કે નાપાસ થયો હોય એમ પણ બને. એટલે “માધ્યમિક શિક્ષણ પૂરું થતાં” એવી નોંધ અસ્પષ્ટ ગણાશે.

શિક્ષણ બોર્ડ જ અપ્રમાણિક અને અનિશ્ચિત રીતે વર્તતું હોય તો વિદ્યાર્થી કે વાલીની તો વાત જ શું કરવાની? સાદી વાત છે કે 10માં ધોરણની પરીક્ષાઓ રદ્દ થઈ અને સરકારે માસ પ્રમોશન આપવાનું ઠરાવ્યું, તે પ્રમાણિકપણે કબૂલવાને બદલે ગલ્લાંતલ્લાં થાય તે ઠીક નથી. વિદ્યાર્થીઓએ પણ એ સ્વીકારી લેવાનું રહે કે પોતે માસ પ્રમોશનથી પાસ થયા છે. એનાથી ડફોળ હોંશિયાર નથી થઈ જતા ને હોંશિયાર ડફોળ નથી થઈ જતા. એ છે કે અન્યત્ર પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે, પણ એ, એક બે વિદ્યાર્થીઓનો પ્રશ્ન નથી. આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ જ રીતે પાસ થયા છે ને અન્ય રાજયોની સ્થિતિ પણ આનાથી ખાસ જુદી નથી, તો શરમાવાને બદલે હિંમતથી કબૂલવાનું રહે. જે પ્રવેશ આપવા માંગે છે તે સંસ્થાઓ જોઈએ તો પ્રવેશ પરીક્ષા લઈ લે ને પછી નિર્ણય કરે. સાથે એ ખાતરી પણ આપે કે પ્રવેશ પરીક્ષા ને તેનું પરિણામ પ્રમાણિક્તા સભર હશે. એ સાથે જ સરકારે અને વિદ્યાર્થીઓએ લઘુતા અનુભવવામાંથી બહાર આવી જવા જેવું છે. થશે આટલું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 જૂન 2021

Loading

11 June 2021 admin
← કવિતા અને અરાજકતા
સરકારી નાણાંથી ચાલતા ‘શબ્દસૃષ્ટિ’માં ઝેર કોણે ઓક્યું? →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved