Opinion Magazine
Number of visits: 9487924
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મરાઠી સાહિત્ય સંમેલન અને અપશુકન. નાના માણસોએ મોટાં સાહસો નહીં કરવાં જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|8 January 2019

યવતમાલમાં મળનારાં ૯૨માં મરાઠી સાહિત્ય સંમેલનનાં નિમંત્રિત ઉદ્ઘાટક નયનતારા સેહગલને આયોજકોએ જાણાવ્યું છે કે તેમની સામે એવા કેટલાક સંજોગો પેદા થયા છે કે જેથી તેમણે આપેલું આમંત્રણ રદ્દ કરવું પડે એમ છે. નયનતારા સેહગલે અત્યંત ઋજુતાપૂર્વક ખાનદાની બતાવીને પ્રત્યુત્તર આપ્યો છે કે કાંઈ વાંધો નહીં, તમે પોતાનું ધ્યાન રાખજો! ‘તમે પોતાનું  ધ્યાન રાખજો’, એ ત્રણ શબ્દોમાં એક વિદુષી નારીએ આજના યુગનું ભાષ્ય કર્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે સંમેલનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હાજર રહેવાના છે અને તેમને મારું ભાષણ નહીં ગમે અને નારાજ થશે એવું આયોજકોને લાગ્યું હશે. નયનતારા સેહગલે પોતાનું ભાષણ લખીને આયોજકોને મોકલી આપ્યું હતું.

મરાઠી સાહિત્ય સંમેલન અને વિવાદો વચ્ચે નાભીનાળ સંબંધ છે. મને યાદ નથી કે છેલ્લાં  ચાર દાયકા દરમિયાન એક પણ સંમેલન વિવાદ વિના યોજાયું હોય. આનું કારણ ગાંધીજીએ કહ્યું હતું એમ વિતંડાનો મરાઠી સ્વભાવ છે. આ સિવાય મરાઠી સાહિત્ય સંમેલનનું આયોજન કરનાર મરાઠી સાહિત્ય મહામંડળ અને જ્યાં સંમેલન ભરાવાનું હોય એ ગામની હંગામી ધોરણે રચવામાં આવેલી સ્વાગત સમિતિના અધિકારો વિશેનો ગુંચવાડો અનેક દાયકાથી વણઉકલ્યો છે. સ્વાગત સમિતિમાં રાજકારણીઓ હોય છે, સ્થાપિત હિત ધરાવનારા સ્થાનિક શેઠિયાઓ હોય છે, શિક્ષણનો ધંધો કરનારા શિક્ષણસમ્રાટો હોય છે અને સ્થાનિક ગુંડાઓ પણ હોય છે. તેમના પોતાના એજન્ડા હોય છે, હિતસંબંધો હોય છે, ભય પણ હોય છે અને આપસમાં ટકરાવ હોય છે. આવી સ્થિતિમાં સાહિત્યકારો થોડી સાહિત્યચર્ચા કરીને અને શીરો આરોગીને પાછા ફરે છે, અને જ્યારે નયનતારા સેહગલ જેવી ઘટના બને છે ત્યારે નાક કપાવીને પણ આવે છે.

૧૯૭૫માં મરાઠી વિદુષી સાહિત્યકાર દુર્ગા ભાગવતની અધ્યક્ષતામાં કરાડમાં ૫૧મું સાહિત્ય સંમેલન મળ્યું હતું. કરાડ એટલે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણનું વતન. યશવંતરાવ ચવાણ એ સમયે કેન્દ્રના વિદેશ પ્રધાન હતા અને જ્યારે તેમના વતનના ગામમાં સંમેલન મળવાનું હતું એટલે તેમને સ્વાગત સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. યશવંતરાવ ચવાણ આજ જેવા અભણ અને અસંસ્કારી રાજકારણી નહોતા. મરાઠી સાહિત્યની ઊંડી સમજ ધરાવતા હતા. ગ.દી. માડગુલકરનું ‘ગીત રામાયણ’ તેમને કંઠસ્થ હતું અને જાહેરમાં તેનું પઠન કરતા. મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સાંસ્કૃતિક મંડળ જેવી સંસ્થાઓ તેમણે સ્થાપીને તેમણે મહારાષ્ટ્રનું સાંસ્કૃતિક સંવર્ધન કર્યું હતું. રાજકારણી હોવા છતાં સ્વાગત સમિતિના અધ્યક્ષ બનવાની તેઓ તમામ લાયકાત ધરાવતા હતા.

એક લાયકાતમાં તેઓ ઊણા ઉતર્યા હતા. દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હોય અને  વ્યક્તિગત સ્વાતંત્ર્યનું ગળું ઘોંટવામાં આવતું હોય ત્યારે સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે એવા માણસને કેમ સાંખી લેવાય જે તાનાશાહી સામે ચુપકીદી સેવે અને તાનાશાહના પ્રધાનમંડળમાં બની પણ રહે. દુર્ગા ભાગવતે મંચ પરથી યશવંતરાવ ચવાણની હાજરીમાં આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો અને કેન્દ્રના વિદેશ પ્રધાનને મંચ પરથી ઊતરી જવા કહ્યું. બોમ્બ વિસ્ફોટ જેવી એ ઘટના હતી, પરંતુ એ દુર્ગાબાઈ હતાં. સામે પક્ષે યશવંતરાવ ચવાણની ખાનદાની જુઓ. તેઓ ચૂપચાપ મંચ પરથી નીચે ઊતરી ગયા હતા. ગુસ્સો કરીને જતા નહોતા રહ્યા, પરંતુ સામે સભાગૃહમાં બેસીને દુર્ગાબાઈનું સંપૂર્ણ અધ્યક્ષીય ભાષણ સાંભળ્યું હતું. તેઓ તેમની સાથે ‘ચવાણ, ચવાણ’ કરનારા ભાડૂતી સમર્થકોને પણ નહોતા લાવ્યા કે કૉન્ગ્રેસીઓએ કોઈ દેખાવો કર્યા.

મહારાષ્ટ્રના સર્વોચ્ચ નેતાનું અપમાન થવા છતાં સંમેલન કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના પાર પાડ્યું હતું. જો કે દુર્ગાબાઈ ભાગવતની ઈમરજન્સીમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મને ગળા સુધી ખાતરી છે કે એમાં યશવંતરાવ ચવાણનો હાથ નહીં હોય. યશવંતરાવ ચવાણે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી કે નહોતી ક્યારે દુર્ગાબાઈની નિંદા કરી. એ ઘટના પછી લોકોની અને સાહિત્યકારોની નજરમાં સુદ્ધાં યશવંતરાવ ચવાણ પ્રત્યેના આદરમાં ઉમેરો થયો હતો. યશવંતરાવની માણસાઈ સામે દુર્ગા ભાગવત થોડાં ઝંખવાયાં હતા એમ કહી શકાય. અહીં દુર્ગા ભાગવતની હિંમતને અને યશવંતરાવ ચવાણની માણસાઈને નમન કરવા પડે.

આજનો યુગ જુદો છે અને આજના માણસો જુદા છે. નાના માણસોએ મોટાં સાહસો નહીં કરવાં જોઈએ. સ્વાગત સમિતિના સભ્યોએ અંગ્રેજી ભાષામાં લખનારા નયનતારા સેહગલ કોણ છે એ કોઈકને પૂછી લેવું જોઈતું હતું. સનાતની હિન્દુત્વવાદીઓએ કન્નડ સાહિત્યકાર ક્લ્બુર્ગીની હત્યા કરી અને આપણા મહાન વડા પ્રધાને મોઢું ખોલવાની પણ નિસ્બત નહીં દાખવી, ત્યારે નયનતારા સેહગલે વ્યથિત થઈને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પાછો કર્યો હતો. એ પછી તો આપણી ભાષાના કવિ અનિલ જોશી સહિત ચાળીસ જેટલાં સાહિત્યકારોએ એવોર્ડ પાછા કર્યા હતા. આ એ નયનતારા સેહગલ છે જેમણે ઈમરજન્સીનો પણ વિરોધ કર્યો હતો. મામા (જવાહરલાલ નેહરુ) પાસેથી મૂળભૂત માનવીય મૂલ્યોનું શિક્ષણ મળ્યું હતું. એ શિક્ષણ તો ઇન્દિરા ગાંધીને પણ મળ્યું હતું, પરંતુ પુત્રી કરતાં ભાણીએ એ વધારે પચાવ્યું હતું. નયનતારા સેહગલ મામાની દીકરી ઇન્દિરા ગાંધી સામે બાખડ્યાં હતાં.

આયોજકોએ કે સ્વાગત સમિતિના સભ્યોએ નયનતારા સેહગલને આમંત્રણ આપતાં પહેલાં આ બધું જાણી લેવું જોઈતું હતું. તેઓ કયા યુગમાં જીવી રહ્યા છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈતું હતું. કોઈ બે બદામનો માણસ આવીને કહે કે મરાઠી ભાષાના સંમેલનમાં અંગ્રેજીમાં લખનારાને બોલાવશો તો અમે સંમેલનને રોળી નાખશું અને આયોજકો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આમંત્રણ રદ્દ કરે એવું આ યુગમાં બની રહ્યું છે. કેટલાક લોકો કહે છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો વિરોધ તો એક બહાનું છે, બાકી સાચું કારણ નયનતારા સેહગલનું સ્વાતંત્ર્યની હિમાયત કરનારું પ્રવચન છે. લખેલું પ્રવચન મળ્યું અને ગાત્રો ઢીલાં થવાં લાગ્યાં. આ ત્રિશૂળધારી, તિલકધારી, ભગવાધારી, શિખાધારી, ધનુષધારી અને ગદાધારીઓનો યુગ છે.

આયોજકોના નિર્ણય સામે મહારાષ્ટ્રમાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. અનેક લોકોએ સંમેલનનો બહિષ્કાર કરવાનો કોલ આપ્યો છે. દુ:ખની વાત એ છે કે આ વખતે સંમેલનના અધ્યક્ષા અરુણા ઢેરે છે, જે તેમનાં પિતા રા.ચિ. ઢેરેની પરંપરાના વિદ્વાન સંશોધક છે. ટકોરાબંધ અસ્સલ વિદ્વાન. સંમેલનને ઘણાં વરસ પછી આદર થાય એવા માંડ સાહિત્યકાર વિદ્વાન અધ્યક્ષ મળ્યાં ત્યારે અપશુકન થયું.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2019

Loading

8 January 2019 admin
← Nayantara Sehgal’s speech for Marathi Sahitya Sammelan: In some cases, our duty to hurt sentiments
એમનું આગમન →

Search by

Opinion

  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી

Poetry

  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved