Opinion Magazine
Number of visits: 9448847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહારાષ્ટ્રના રાજકારણમાં જિલેટીન સ્ટિક્સ સાબિત થઇ રહેલા પોલિસ અધિકારીઓ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 March 2021

જ્યારે મહારાષ્ટ્રના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ્સના ખેલમાં રાજકારણની છાતી વિંધાવાની નોબત આવી

કેન્દ્ર પાસે એક ધારદાર શસ્ત્ર આવ્યું છે મહારાષ્ટ્રમાં સત્તા પલટો કરવાનું, જોઇએ આ ખેલ કેટલો ખેંચાય છે અને કોને તેમાંથી શું ફાયદો થાય છે.

છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવો ખળભળાટ શરૂ થયો છે. આ ખળભળાટની શરૂઆત મૂકેશ અંબાણીના ઘરની બહાર મુકાયેલી એક એસ.યુ.વી. કારથી, જેમાં જિલેટીનની સ્ટિક્સ અને એક હાથે લખાયેલો ધમકી ભર્યો કાગળ હતો.  આ પછી તો ઘણું બધું થયું પણ ત્યાં પહોંચીએ તે પહેલાં ‘ક્રોનોલૉજી’ સમજીએ.

આ ઘટનાની એફ.આઇ.આર. કરાઇ. ૨૫ ફેબ્રુઆરીએ આ થયું અને ૨૭મીએ ટેલિગ્રામ એકાઉન્ટ પરથી કોઇ જૈશ-ઉલ-હિંદ નામના જૂથે ક્રિપ્ટોકરન્સીમાં મૂકેશ અંબાણી પાસે પૈસા માંગ્યા અને થોડા કલાકોમાં તો આ જૂથે, એટલે કે જે સાચુકલું જૈશ-ઉલ-હિંદ છે તેણે પોતાને આ કેસ સાથે કંઇ લેવાદેવા જ નથી એમ કહી દીધું. પહેલી માર્ચે આ લીલી એસ.યુ.વી. થાણામાં રહેતા ઓટોમોબાઇલ સ્પેર પાર્ટના બિઝનેસ મને મનસુખ હરિણની છે એ જાણ થાય છે. નવેમ્બરમાં મનસુખે આ કાર એક જૂના ગ્રાહક સચિન વઝેને આપી હતી જેણે આ કાર ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં સ્ટીયરિંગમાં કંઇ તકલીફ છે, એમ કહી પાછી આપી હતી. ૧૭મી ફેબ્રુઆરીએ મનસુખ હિરાણીને આ કાર વિખ્રોલી હાઇવે પાસે પાર્ક કરવાની ફરજ પડાય છે. બીજા દિવસે ત્યાં કાર નથી હોતી અને તે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. મનસુખ એક પત્ર લખી પોલિસ પોતાની પજવણી કરે છે તેવી ફરિયાદ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ગૃહ સચિવ અનિલ દેશમુખ, મુંબઇ પોલિસ ચિફ પરમ બિર સિંઘ અને થાણેના પોલીસ ચિફ વિવેક ફણસાલકરને કરે છે. બે દિવસ પછી એટલે કે ૪ માર્ચની આસપાસ મનસુખને કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચમાંથી કોઇ તાવડેનો કૉલ જાય છે અને તેને થાણે ઘોડબંદર રોડ પર મળવા બોલાવાય છે. પાંચમી માર્ચે પાંચ કલાક ગાયબ રહેલા મનસુખની લાશ કાલવા ખાડીમાંથી મળી આવે છે અને તેને આત્મહત્યામાં ખપાવાય છે. મનસુખની પત્ની સચીન વઝે, જે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના ઑફિસર છે તેમની પર પોતાના પતિના મોતનો આક્ષેપ મૂકે છે.

હવે વિરોધ પક્ષ એક્શનમાં આવે છે અને દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે મનસુખનું છેલ્લું લોકેશન શિવસેના લીડર ધનંજય ગાવડેની ઑફિસ પાસે હતું અને ગાવડે તથા વઝેનું નામ ૨૦૧૭માં એક ખંડણીના કેસમાં સંડોવાયું હતું અને તેની પાસેથી સત્તા લઇ લેવી જોઇએ. વિરોધ પક્ષનું દબાણ વધે છે અને શિવસેનાની સરકાર એટલે કે મહારાષ્ટ્ર સરકારને વઝેને ક્રાઇમ બ્રાન્ચમાંથી ખસેડીને બીજા વિભાગમાં કરવાની જાહેરાત કરવી પડે છે. ૧૧મી માર્ચે દિલ્હી પોલિસને એ સિમ કાર્ડ અને સેલફોન મળે છે જેનો ઉપયોગ અંબણી પરિવારને ધમકી આપવા થયો હતો. આ સામગ્રી તિહાર જેલના તેહસીન અખ્તરના બેરેકમાંથી મળે છે, તેહસીન એ ઇન્ડિયન મુજાહિદ્દીન આતંકી જૂથનો સભ્ય રહી ચૂક્યો છે. આ ફોન અને કાર્ડ વાપરનારાએ ટીઓઆ બ્રાઉઝરનો ઉપયોગ કરીને ટેલિગ્રામ વગેરેથી કોમ્યુનિકેશન કર્યું હતું. આ દરમિયના સચીન વઝેને મહારાષ્ટ્ર એ.ટી.એસ. તાબામાં લઇ પૂછપરછ કરવાની શરૂ કરી અને એન.આઇ.એ. ટીમે મુંબઇ થાણે, પાલઘરમાં અલગ અલગ સ્થળોએ રેડ પાડી. ૧૨ કલાકની પૂછપરછ પછી ૧૩મી માર્ચે સચીન વઝેની ધરપકડ થાય છે અને બીજા અધિકારીઓની પૂછપરછ પણ થાય છે. આ લખાઇ રહ્યું  ત્યારે મુંબઇના પોલિસ વિભાગમાં ૮૬ જેટલા અધિકારીઓની પોસ્ટમાં ફેરબદલ કરાઇ છે.

આ સચિન વઝે આ પહેલાં ૨૦૦૪માં ચર્ચાને ચકડોળે ચઢ્યા હતા જ્યારે એક ૨૭ વર્ષના એન્જિનિયર ખ્વાજા યુનુસનું કસ્ટોડિયલ ડેથ થયું હતું. આ મોતને પગલે વઝે સસ્પેન્ડ કરાયા હતા અને ચાર વર્ષ પછી પણ જ્યારે તેમને ફરી ફરજ પર ન હાજર કરાયા ત્યારે તેમણે રાજીનામું આપ્યું જે ૨૦૨૦ સુધી સ્વીકારાયું પણ નહોતું અને તેમને આટલાં વર્ષે ફરી ડ્યુટી સોંપાઇ હતી. જો કે જૂના અધિકારીઓને ફરી નોકરીએ રાખવાની વાત તો કોવિડ ડ્યૂટી માટે થઈ હતી પણ વઝે તો કોવિડ ડ્યૂટી પર નહોતા. આ ફરી ડ્યૂટી પર આવતા પહેલા વઝે શિવસેનામાં જોડાયા, બાઇકર બનીને વિવિધ સ્થળોએ ફરતા થયા, પુસ્તકો લખ્યા અને પોલિસ તથા ઇન્ટેલિજન્સ એજન્સીઝ માટે ફ્રિલાન્સિંગ પણ કરતા.

વઝેએ એન.આઇ.એ. સામે એવું કંઇક કહ્યું હોવાની વાત છે કે આ આખો ખેલ એમણે એટલા માટે કર્યો જેથી તે ફરી પૉપ્યુલર થાય અને પોતાનું નામ જે કસ્ટોડિયલ ડેથમાં ખરડાયેલું હતું તે સાફ થાય. આમ કાર પાર્ક કરી, ડર પેદા કરીને પછી પોતે જ કેસ સોલ્વ કરવાનો ઇરાદો હતો જો કે એજન્સીને આ ચોખવટ કંઇ ગળે નથી ઊતરી રહી. આ વઝેની વાયડાઇ મુંબઇ પોલિસ ચીફને ભારે પડી છે અને તેમની બદલી થઇ ગઇ છે તો તે હવે મહારાષ્ટ્રના ગૃહ સચિવના માથે માછલાં ધોઇ રહ્યા છે.

મુંબઇના પોલિસ કમિશનર પરમ બીર સિંઘની બદલી કરાઇ છે તેની પાછળ એવો ગણગણાટ શિવસેના કરે છે કે દિલ્હીની એક ચોક્કસ લૉબીને તેમના સામે વાંધો છે કારણ કે તેમણે અર્ણબનું ટી.આર.પી. સ્કેમ બહાર પાડ્યું. આ સામે અનિલ દેશમુખ, જે મહારાષ્ટ્રના ગૃહ સચિવ છે તેમણે વઝેને રેસ્ટોરન્ટ્સ અને બાર પાસેથી પૈસા ઉઘરાવવા કહેલું એવો આક્ષેપ પરમ બીર સિંઘે મુક્યો. આ બાજુ પુરાવાઓ વઝે અને હિરણ જ નહીં પણ ગૃહ સચિવ દેશમુખ વચ્ચેનો કોન્ટેક્ટ પણ સાબિત કરે છે તો હવે તેમની સામે પગલાં લેવાવાં જ જોઇએ તેવી માંગ પણ થઇ રહી છે.

કોકડું એટલું ગુંચવાયેલું છે કે તેમાં શિવેસના, કૉંગ્રેસ, એન.સી.પી. જેવા અનેક છેડા અડે છે, એમાં ભા.જ.પા.ની દાનત પણ ઉઘાડી પડવાની જ છે. મહારાષ્ટ્રમાં ભા.જ.પા.ની સરકાર હજી સુધી નથી અને તે થાય એ માટે ભા.જ.પા. શક્ય એટલું બધું કરી છૂટવા તૈયાર છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એન.આઇ.એ.નું કેસમાં ઇન્વોલ્વ થવું વાજબી છે કારણ કે તિહાર જેલ, ભટકલના સાથીદારની બેરેકમાંથી મળેલો ફોન અને કાર્ડ વગેરે. ભા.જ.પા. તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના પર કુહાડી ચલાવવા તત્પર જ છે અને આનાથી બહેતર કેસ તો વળી શું મળી શકવાનો?

આ કિસ્સામાં ઘણી ગુંચવણો છે, ઘણાં ચારિત્ર સ્ખલનો છે. આ ઘટના એ સાબિત કરે છે કે રાજકારણીઓ અને પોલિસ અધિકારીઓની એકબીજાના સ્વાર્થ માટેની સાંઠગાંઠ ગમે ત્યારે વિસ્ફોટક સામગ્રી બની જઇ શકે છે.

બાય ધી વેઃ

ગયા વર્ષે સુશાંત સિંઘ રાજપૂતનો કેસ હતો તો હવે આ ઊભું થયું છે. રાજકારણની મેલી લડાઇ આમાં લાંબી ચાલી શકે છે. એક તરફ મુંબઇના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પોલિસ અધિકારીઓ છે જે અત્યારે ભૂંડા ગુનેગારોની હરોળમાં આવી ગયા છે, તો બીજી તરફ પોલિસ સાથે હાથમાં હાથ મેળવી ધાર્યું કરાવતા રાજકારણીઓ છે જેમને એ તો ખબર છે કે કોઇ અસામાજિક તત્ત્વ જેને પાળ્યું હોય તે આડું ફાટે તો પોલિસોને એન્કાઉન્ટર કરવા કહી દેવાય પણ જ્યારે પોતાના પોલિસ અધિકારીઓ જ રાજકારણીઓનું ઇન્દ્રાસન ડોલાવી દે ત્યારે શું કરવું તેની તેમને હજી કોઇ તાલીમ નથી મળી. કેન્દ્ર પાસે એક ધારદાર શસ્ત્ર આવ્યું છે મહારાષ્ટ્રમાં સત્તા પલટો કરવાનું, જોઇએ આ ખેલ કેટલો ખેંચાય છે અને કોને તેમાંથી શું ફાયદો થાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  28 માર્ચ 2021 

Loading

28 March 2021 admin
← ન આવે કવિતા કોઇ
બંગાળની ચૂંટણી અને ટાગોરના રાષ્ટ્રવાદનો ખ્યાલ … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved